Friday, July 17, 2020

રાજકારણના રન-વે પર પાયલોટની ફાઈટ, છોડ ભી નહીં શકતે, મોડ ભી નહીં શકતે

રાજકારણના રન-વે પર પાયલોટની ફાઈટ, છોડ ભી નહીં, શકતે  મોડ ભી નહીં શકતે

છેલ્લા એક અઠવાડિયાથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રાજકીય દંગલ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચીન પાયલટ વચ્ચેની તીરાડની તડ છેક દિલ્હી સુધી પહોંચી છે. હાઈકમાન્ડના માણસોની કોરોના કાળમાં દોડાદોડીનો આખો માહોલ સત્તા બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. હકીકત એ પણ છે કે, આવી રાજકીય ઉથલપાથલનો ભાજપે મોકે ફાયદો ઉઠાવ્યો છે. એ પછી કર્ણાટકનું રાજકીય નાટક હોય કે પશ્ચિમના રાજ્યનું પોલિટિક્સ. તકસાધુ બની બેઠેલા ભાજપે આ માહોલ વચ્ચે પોતાની એક પણ પ્રતિક્રિયા આપી નથી. એટલે સતત અને સખત બદલતી ઘટના પર એનું ધ્યાન નહીં હોય એ માનવું ભૂલ ભરેલું છે. કોંગ્રેસે સચીનને દરેક પોસ્ટ પરથી ભલે હટાવી દીધા હોય પણ પાર્ટીમાંથી છોડવા પણ નથી માગતા. સામે પક્ષે સચીન પાયલટની મોંઘી બની રહેલી માગ પણ પાર્ટીના ગળે ઊતરતી નથી અને પક્ષ બોલી શકતો પણ નથી. નિર્ણય પાછળનું નેટવર્ક સફળતા પાછળની ફોર્મ્યુલા જેવું છે. બળવાખોર નેતા તરીકે સચીનની છબી વધારે સ્પષ્ટ થઈ ગઈ. ભાર દઈને કહી ચૂક્યા છે કે, ભાજપનો ભગવો ધારણ કરવાનો કોઈ મૂડ નથી. સચીને ધમપછાડા કર્યા પણ ટાઈમિંગ ખોટો રહ્યો છે. હવે જો તે 30 થી વધુ ધારાસભ્યની ટીમ સાથે આગેકુચ કરે તો ભાજપનું સમર્થન મળી શકે છે. જેની સીધી અસર સત્તા પર થશે. ખુરશી ચેન્જ હો શકતી હૈ. આવા માહોલ વચ્ચે 'કિતને ભી તુ કરલે સિતમ, હસ હસ કે સહેગે હમ' કોંગ્રેસને લાગુ પડતું હોય એવું લાગે છે. કારણ કે, જનમત અને કાર્યની અમલવારી જેટલી સચીનના હાથે થઈ એ જોઈને કોંગ્રેસ એને છોડી શકે એમ નથી. 


બીજી તરફ સચીન પાયલટ સાથે રહેલા ધારાસભ્યો અંદરથી ગહેલોત સરકારથી નારાજ છે. પણ આ ઘારાસભ્યો પક્ષપલટો કરવાના કોઈ મૂડમાં નથી. રાજસ્થાનનું રાજકારણ કોંગ્રેસ માટે મજબૂત અને સક્ષમ સાબિત થનારૂ છે. કારણ કે ગહેલોત અનુભવી ખેલાડી છે. પણ પાયલટના વલણને કારણે તે બીજે 'સ્વીચ' થાય એવું અત્યારે દેખાતું નથી. એવું પણ કહેવાય છે કે, સચીન કેટલાક સિનિયર કહેવાતા કોંગ્રેસી નેતાઓની રાજકીય જાળમાં અટવાયા છે. ઘણી એવી ક્ષણ પણ જોવા મળી કે, ઉશ્કેરાયેલા પાયલટે કેરિયરનું પ્લેન સાવ અજાણ્યા રન-વે પર ઊતારી દીધું. એક સમયે અગ્રસ્થાને રહેલા સચિન હવે અંતિમ સ્થાન પર છે. પણ કોંગ્રેસ અંદરખાને મનામણા કરી રહી છે. આવી રાજકીય સખળડખળ વચ્ચે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. એક જ પક્ષના નેતા સામસામે સરકાર ઉથલાવવા માટેના આક્ષેપ કરે છે. પણ 'સુલતાન' કોણ છે એ હજું રહસ્ય છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, આટલી ખેંચતાણ વચ્ચે ભાજપ માટે આ 'તમાશો' તક રૂપી બની શકે. સચીને એવો આક્ષેપ કર્યો હતો કે, કોઈ મહત્ત્વના નિર્ણય લેવા માટે મને પૂછવામાં નથી આવતું. જાણકારી પણ આપવામાં આવતી ન હતી. આવી પદવીનો અર્થ શું? પ્રજાને આપેલું પ્રોમિસ પૂરૂ ન કરી શકો તો શું કામનું? આ નિવદેનથી એમનો ઈશારો ગહેલોત સરકાર તરફ હતો. સામે અશોક ગહેલોત કહે છે કે, બેઠક યોજીને વિવાદને સંવાદમાં પલટી શકાય છે. દેશના અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ છે. પણ અનિશ્ચિતતા અને અસ્પષ્ટતાની રાજકીય રેતીના તોફાનમાં ટકી રહેવું લોઢાના ચણા પચાવવા જેવું છે. અનેક એવા રાજ્યમાં જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો ત્યાં કોંગ્રેસ સત્તા પર નથી.  એવામાં રાજસ્થાનમાં સરકાર બચાવવી અને સૌનો સાથ સાચવવો કાતિલ ઠંડીમા શ્વાસના રોગીને જીવન આપવા જેટલું કઠિન છે. 

મધ્ય પ્રદેશમાં સિંધિયા સહિત કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા રાજ્યસભાની ચૂંટણીનું સમીકરણ બગડ્યું હતું. પણ મઘ્ય પ્રદેશમાં કોંગ્રેસની ગણતરી વિપરીત સાબિત થઈ. આવો માહોલ મધ્ય પ્રદેશથી શરૂ થયો. જ્યારે કમલનાથની સરકાર સામે જ્યારે એક મોરચો શરૂ થયો. ટૂંક જ સમયગાળામાં કોંગ્રેસ સરકારમાંથી ભાજપ સરકાર સત્તા પર આવી ગઈ. આ રાજ્યમાં કોંગ્રેસ કોઈ તોડ શોધી ન શકી. જ્યારે ભાજપની રાજનીતિ દંગલમાંથી ડેવલપમેન્ટનું બેનર પકડીને આગળ વધવાની રહી છે. હવે ગહેલોતનો રસ્તો સાફ થઈ ગયો છે. કારણ કે, સચીન પાયલટ, મહારાજા વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાની હાંકલપટ્ટી કરી છે. રાતોરાત મુકેશ ભાકર અધ્યક્ષ પદે આવી ગયા. ગહેલોતે અધિકારના આધિપત્ની ઉજવણી કરી. હાઈકમાન્ડની ટીમમાંથી આવેલા રણદીપ સુરજેવાલે બેક ટુ બેક બે બેઠક કરીને વણાંક લાવવા પ્રયત્નો કર્યા. હવે બંને નેતા પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. સચીનની ટીમના ધારાસભ્યને હરિયાણાના ગુડગાંવમાં રોકી રખાયા છે.


 એક તરફ રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસ રોકેટ સ્પીડથી વધી રહ્યા છે. એવામાં સંક્રમણ ઘટડવાના પ્રયત્નો કરવાને બદલે પોતાની ફાઈટને રાઈટ બનાવવા મથી રહ્યા છે. કુલ 25 હજારથી વધારે  પોઝિટિવ કેસ રાજસ્થાનમાંથી સામે આવ્યા છે. વાસ્તવિકતા એ પણ છે કે, સચીન અને અશોક ગહેલોતની આ લડાઈ નવી નથી. વિધાનસભાની ચૂંટણી વખતે સચીન પાયલટ મુખ્યમંત્રી પદના મોટા દાવેદાર હતા. જ્યારે દિલ્હી જઈને ગહેલોતે 'વહીવટ' કરી લીધો. મુખ્યમંત્રી એ બન્યા. ત્યારથી બંને નેતા એકબીજાની કમઝોર કડી શોધી રહ્યા છે. 

આઉટ ઓફ બોક્સ

મહામારીના સમયમાં અંદરોઅંદર લડવા કરતા આવામ(જનતા)નું સ્વાસ્થ્ય જળવાય એ પ્રયત્નો હોવા જોઈએ. બાકી રાજરમતની સીઝન તો ચૂંટણી વખતે સૂર્યમુખીના ફૂલની જેમ ખીલી ઊઠે છે.

Tuesday, June 16, 2020

અભિવ્યક્ત નથી થતું એટલે જ કદાચ પગલું આત્મહત્યા સુધી પહોંચે છે

અભિવ્યક્ત નથી થતું એટલે જ કદાચ પગલું આત્મહત્યા સુધી પહોંચે છે

          નાનું બાળક એક ઉંમર સુધી પહોંચે તેમ છતાં કંઈ બોલે નહીં એટલે એના માતા-પિતાને ખૂબ ચિંતા થાય પણ એ જ બાળક મોટું થઈને ક્યાંય જતા અને ન બોલવાનું બાફી મારે એવું ન બને એ ચિંતા પણ પાછી વાલીઓને જ થાય છે. હવે આનાથી તદ્દન વિપરિત સ્થિતિ થાય તો? વ્યક્તિ બધું જાણવા, જોવા છતાં કંઈ બોલે જ નહીં તો ભડાશનો દાવાનળ બહારની જગ્યાએ અંદર ફાટે. બસ, આ અંદર ફાટે ત્યારે જ અણધાર્યા અને અનિશ્ચિત પરિણામ વેઠવા પડે છે. શું બોલવું એ શિક્ષકો કે વાલીઓ શીખવાડી શકે પણ ક્યારે શું બોલવું અને કેવું બોલવું એની સમજ આવતા વર્ષો વીતિ જાય છે. કેટલો મોટો વિરોધાભાસ કહેવાય કે, ગાળો બોલવાનું કોઈ શાળા કે યુનિવર્સિટી ન શીખવાડતી હોવા છતાં આવડી જાય છે અને સારા શબ્દો-વાણી માટે અભ્યાસ કરવો પડે છે. સુશાંતસિંહે આત્મહત્યા કરીને સમગ્ર બોલિવુડ જ નહીં હજારો-લાખ્ખો ચાહકોને ચોંકાવી દીધા છે. જીવનમાં અનેક એવી સ્થિતિ આવે છે કે, જ્યાં માનસિક નિયંત્રણ અનિવાર્ય બની જાય છે. અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખે એક વખત કહેલું કે, જે વ્યક્તિ પોતાના પર કંટ્રોલ રાખી શકે એ દુનિયાને કંટ્રોલ કરી શકે. આ નિયંત્રણ માત્ર શારીરિક આવેગ માટે નહીં માનસિક માટે પણ લાગુ પડે છે. આ વાક્ય જીવનમાં ઊતરી જાય તો જીભાજોડીથી લઈને ઝઘડા સુધીના તમામ કેસમાં ઓચિંતી બ્રેક લાગી જાય. પણ સુશાંતના કેસમાં એક વાત એ પણ સાબિત થઈ કે, ધન-દોલત, એશો આરામ કે ઐયાશી કંઈ કામ નથી આવતું. જ્યાં કોઈ સાંભળનારૂં જ ન હોય. પેટની આગ, ભૂખમરો અને પગપાળા જતા એક પણ મજૂરે આત્મહત્યા નથી કરી કારણ એમનામાં સ્વયં સંઘર્ષનું કેમિકલ હતું. જે અગાઉ સુશાંતમાં પણ હતું જ. આત્મહત્યા માટે પણ હિંમત જોઈએ. પણ જીવવા માટે તો હિંમતનું આખેઆખું પાવરહાઉસ જોઈએ. કારણ કે જીંદગીની પરીક્ષામાં પહેલા પરિણામ નક્કી થાય છે અને પછી પાઠ શીખવા મળે છે. ઘણી વખત સંબંધોમાં પણ એ સમજાય છે કે, જે જતું રહ્યું એ સુખ હતું. પણ પકડીને પણ રાંખવાથી ક્યાં કંઈ રહે છે. 


ફિલ્મ 'ડ્રીમગર્લ'. આમ તો સાવ સરળ થીમ પર બનાવેલી કોમેડી ફિલ્મ છે જ્યાં મજબુરીવશ એક છોકરો છોકરીના અવાજથી કોલ સેન્ટરમાં પૂજા નામથી નોકરી કરે છે. પણ આ ફિલ્મના અંતે આયુષ્માન ખુરાના ખૂબ જ સરસ વાત કહે છે. આ દુનિયામાં એકલતા કરોડો લોકોને છે. પણ જે દિવસે આ લોકોને એની પૂજા મળી જશે ત્યારે કોઈ આવા ફ્રેન્ડશીપના નામથી ચાલતા કોલસેન્ટરમાં કોલ નહીં કરવો પડે. આ પૂજા કોઈ પણ હોઈ શકે છે. પત્ની, બેન, મમ્મી, ભાઈ, ભાભી, પિતા, મિત્ર અને પાડશી પણ. એકલતામાંથી બે ફાટા ફાટે છે. એક સર્જન કરાવે બીજી સમસ્યાઓ ઊભી કરે. હવે આ માટે વ્યક્તિ શું અને કેવું વિચારે છે એના પર એના પગલાં હોય છે. જેલમાં ગાંધીજી પણ રહ્યા અને ગુનેગારો પણ રહે છે. પણ ગાંધીએ ત્યાંથી પણ લોકોમાં સર્જનના વિચારબીજ રોપ્યા. જ્યારે બાકીના કેદી કોઈનું કાયમી વિસર્જન કરીને અંદર બેઠા હોય છે. ડિપ્રેશન એક અવસ્થા છે. જ્યારે સ્ટ્રેસ એક વર્કલોડ સમાન છે. પ્રેશર જેવું છે. પણ પેશનને પકડી રાખીએ તો આ બંને વસ્તુ એટલી ઝડપથી નજીક આવતી નથી. દિમાગની ગુપ્ત તિજોરીમાં સાચવવા જેવું આમ તો ઘણું છે. પણ સૌથી પહેલા એ વાક્ય છે એ છે. ડોન્ટ ક્વિટ. જાતને ક્યારેય પડતી નહીં મૂકવાની. પણ આજની પેઢી એવી છે જેને સંજોગોના સાક્ષાત્કાર વગર શાણપણ નથી આવતી. જસ્ટ ફોર ફન પાછળ ફંદ ક્યારે થઈ જાય છે. એનું ભાન નથી રહેતુ. સુશાંતના કેસમાં આવું કંઈ જ ન હતું. સરળ વ્યક્તિત્વએ સફળતાની એ ઊંચાઈ પણ જોઈ હતી. કલાકારોની પાછળ રહીને ડાન્સ પણ કર્યો હતો. એટલે લો પ્રોફાઈલ રહેલા માણસમાં ડિપ્રેશનનું વાતાવરણ એકદિવસીય ડ્રિમ જેવું તો નહીં હોય. હવે વ્યથા પાછળનો વિલાપ માત્ર એના પરિવારને જ નહીં પણ એના દરેક ચાહકને માનસિક પીડાની અકડામણથી શરીર થકવતું હશે. એક તરફ કોરોના, બીજી તરફ ભૂકંપ અને એમા પણ આવા ગમતા કલાકારની વિદાય એટલે હાર્ટબ્રેક કરી દેતા હાલાતનો સાક્ષાત્કાર. પણ આવા બીજા લોકો હાર્ટબ્રેક ન કરે એ માટે છે. અભિવ્યક્તિ. કહેવાય છે કે, સુશાંતે એક એક્ટરને પણ ફોન કર્યો પણ એને ઉઠાવ્યો નહીં. જો એ ઊઠાવ્યો હોત અને હૈયાવરાળનો શાબ્દિક ફોર્સ ઠલવાયો હોત તો. ચાન્સ અને ચેન્જ બંને શક્ય છે.  

છોકરો થઈને રડે છે. બાયલો લાગે છે. આવું આપણે ખાસ કરીને પુરુષોના કાને અથડાયું જ હશે. પણ કોઈની કાયમી વિદાય થાય ત્યારે જ રડવાનું? ત્યારે જ કેમ એકાએક સજીવન થઈ જતી લાગણી આંખમાંથી વહે છે. એ વ્યક્તિને જીવતા જ કહ્યું હોત તો. આવી અનેક ઈચ્છાઓ અને સાંભરણા આપણે કોઈના પ્રત્યે હોવાના જ. પણ આપણે અભિવ્યક્ત થવું પડશે. બીજી તરફ સામે માણસે પણ એવી માનસિક તૈયારી રાખવી પડશે કે, કોઈને સાંભળ્યા બાદ ટમેટા જેવા લાલચોળ થવાથી પરિણામ પલટી શકે છે. ગુસ્સો ક્ષણિક હોય એ સારૂ અને જુસ્સો કાયમી હોય એ સારૂ. આ જુસ્સો હર હાલ પર જીત, દેખાડી દેવાની વૃતિ, જોઈ લે મજા, અપના ટાઈમ આયેગા જેવા ટોણામાં નથી વેડફવાનો. હવે કોઈ પણ સ્પર્ધામાં જે તે માણસ સામે જીતીને પણ શું ઉખાડી લેવાનું છે. એક કડી કે વેર વધવાનું છે. એના કરતા હાર કર જીતને વાલે કો...શું કહેવાય એ તો ખબર જ હશે. પામી લેવાની અને પહોંચી જવાનું જોમ પરમેનન્ટ નથી રહેવાનું. કેટલો મોટો કોન્ટ્રાસ કહેવાય કે, કોઈની પ્રશંસા માટે પાંચ શબ્દ ઉછીના લેવા પડે અને વાંક શોધવા તો ગૂગલ કે બિલોરી કાચની પણ જરૂર નથી પડતી. સ્યુસાઈડ નોટ પાછળનું મૃતકનું લોજિક એ હોય છે કે, હવે એને કોઈ કંઈ કરી શકવાનું નથી. પણ નોટ કે કાગળ પર અક્ષર ઊતારી શકાય તો આપણાની જ સામે આપણે બોલી કેમ ન શકાય? કારણ કે, સામે બોલે એ કોઈને પચતું નથી. બોલવામાં પણ વોલ્યુમ ઓછું અને અવાજમાં સંતોષનો રણકો હોય તો કોઈ પણ પીગળી શકે. ઉદા. દીકરાને પ્રવાસમાં જવાની પરમિશન બાળકે લેવાની થાય ત્યારે ઘરમાં બાપુજીએ બબાલ કરી હોય ત્યારે મમ્મી કહે છે કે, અત્યાર રહેવા દો. બાપુજી મનથી ફાટ્યા છે. પણ એપલ કંપનીના સ્થાપક સ્ટિવ જોબ્સ કહી ગયા કે, બોસ એ જ બની શકે જે ક્ષણભર માટે ગુસ્સે થઈને બીજી મિનિટે તમારી પાસે આવી કહે, બોલ દોસ્ત શું હતું. આપણે સૌ આનાથી વિપરિત સ્થિતિમાં જીવતા આવ્યા છીએ. હવે મોબાઈલનો સોફ્ટવેર પણ સમયાંતરે અપડેટ માગે છે તો આપણા ઘરની વ્યક્તિ અભિવ્યક્તિ તો માંગે ને? કદાચ આ અભિવ્યક્ત નથી કરી શકાતું ને એટલે જ આપઘાતની અડગતામાં મેરૂ પર્વત જેવી મજબૂતી આવે છે. ગુસ્સો સારો પણ ગળી જવું ખરાબ. મોઢે ફડકાવી દેનારાથી માઠું ન લગાડતા પીઠ પાછળથી પાંચસો લોકોને ખોટી પબ્લિસિટી કરતા લોકો પણ છે જ. 



ગુસ્સો, ભડાશ, મેણા-ટોણા અને પ્રેમની અભિવ્યક્તિ સારી છે. કોઈના કાયમી મૌન સહેવા કરતા. એક સરસ ગીત છે. 'દિલ કા હાલ સુને દિલવાલા...' કોઈના દિલવાલા તો બનો પછી કોઈ દિલનો હાલ કહેશે. ખૂણામાં બેસીને રડવા કરતા ખભા પર હાથ મૂકીને હળવું થવામાં બે ફાયદા છે. વ્યક્તિ અંગત બનશે અને સાંત્વના ફ્રીમાં મળશે. ટ્યુનિંગ વધશે તો કહેશે હકીકત આ હતી. બાકી હવાતીયા તો આખી જિંદગી મારતા જ રહીશું. સૌથી ડેલિકેટ વસ્તુ હોય તો એ મન છે. ખીજ સારી છે પણ માત્ર ખીજાવાથી પરિણામ બદલવાનું નથી. નેચરલી વિચારો. વરસાદ સારો કે સુનામી? વરસાદ પછીના ટાઢા પોરમાં જ રેઈન-બો જોવા મળે. પાતળા તડકામાં. આવા મેઘધનુષી રંગો કોઈ પણ સંબંધમાં જોવા કે માણવા હોય તો અભિવ્યક્ત થજો અને પ્રેમથી વરસજો. ખોટું લાગે તો ભલે પણ ઈર્ષાના ઓટલે બેસીએ તો માણસને માણસ પ્રત્યેની અવગણના અંદરથી ધીમે ધીમે તોડે છે. બ્રેક (વિરામ) સારો પણ ક્રેક નહીં સારો. સહવાસના સુખનો પણ આનંદ હોય છે પછી ભલેને કોઈના શરીરનો સ્પર્શ ન હોય. દુઃખ થાય છે એ કહી નથી શકાતું પણ દુખે છે એ તો ડૉક્ટર પણ જાણી શકે છે. દરેક માતા-પિતા પોતાના બાળકને સાચું બોલતા નાનપણથી શીખવાડે છે. પણ એ જ્યારે સાચું બોલે ત્યારે ગુસ્સા કા ગાળને બદલે પ્રેમ કે કઠોર સ્વરની અભિવ્યકિત કેમ ન સમજાવી શકાય. થપ્પડ સુધારો લાવી શકે એ પેઢી હવે મર્યાદિત છે. બાકી ટોણો મારીને સીધો કરી શકાય એ વર્ઝન અત્યારે છે. અહેસાસ થવો જોઈએ. અધિકારનું આધિપત્ય અને અહંકારની આરાધના ઓળગે પછી જ સંબંધમાં મીઠાશ આવે. મનમાં માની લેવાની વૃતિને મૂકીને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પૂછવામાં કંઈ ખોટું નથી. ઝાંઝર થનગને તો કેવું સાંભળવું ગમે. એમ બોલનારાના અવાજ અને સાંભળનારાના ટ્યુનિંગ વધે ત્યારે મળવા માટે કોઈ ફ્રિક્વન્સીની મોહતાજી નથી કરવી પડતી.

Wednesday, June 03, 2020

લોકલને વોકલ કરવાની પહેલઃ આભાસી પરિણામ અને પહાડ રૂપી પડકાર

લોકલને વોકલ કરવાની પહેલઃ આભાસી પરિણામ અને પહાડ રૂપી પડકાર

કોરોના વાયરસના સંકટકાળમાંથી દેશને ફરી બેઠો કરવા માટે અનેક રાહત પેકેજ અને આર્થિક મદદની પહેલ સરકાર તરફથી કરવામાં આવી. આફત સમયમાં પણ અવસરનો અજવાશ પાથરીને આમ તો બે રસ્તાની એક જ મંઝીલનું એલાન કરાયું. આત્મનિર્ભર ભારત અને લોકલને ગ્લોબલ. આમ જોવા જઈએ તો ગાંધી ચિંધ્યા રસ્તે સાહેબે ચાલવાની વાત ફરી દાયકાઓ બાદ રજૂ કરી છે. આઝાદીના સમય વખતે ગાંધીજીએ સ્વદેશ વસ્તુઓનો સ્વીકાર કરવાની દેશવાસીઓને પહેલ કરી હતી. પણ ફર્સ્ટ કોપીનું માર્કેટ આવતા દેેેશી બનાવટનો કચ્ચરઘાણ
બોલી ગયો. દરજીએ સિવેલા કપડાંથી દિવાળી ઉજવાતી એવામાં જેના કાપડમાં ઈગ્લેન્ડ જેવા દેશના નામ આવતા હોય એવા કપડાં આપણે સૌ હોંશે હોશેં પહેરતા થઈ ગયા. હવે જો આત્મનિર્ભરતાથી જ કોવિડ-19 સામેનો જંગ જીતી શકાય એમ હોય તો આ એક અસાધારણ સિદ્ધિ સમાન સાબિત થશે. પણ 'પોન્સ' ફાવી ગયો હોય એને 'સંતુર' ફાવતા થોડી વાર લાગે. આ બંને પાસા પર સફળતા મેળવવા માટે હિમાલય જેવડા પડકાર છે અને અત્યાર રાય જેવડું પરિણામ દેખાય રહ્યું છે. એ પણ આભાસી. કોરોના વાયરસના નીવેડા બાદ વિકસીત દેશ પોતાની ઈમિગ્રેશન પોલીસીમાં ફેરફાર કરશે એ વાત નક્કી છે. ભારતે પણ પોતાની આયાત-નિકાસ સંબંધીત કેટલીક રણનીતિમાં મોટાપાયે ફેરફાર કરવા પડશે.


દેશના વડાપ્રધાને વધુ ગણવત્તા પર ભાર મૂકવાની વાત કરી છે એના પછીના થોડા જ દિવસોમાં કાર્બનથી પકવેલી કેરીના વેપલા પર દરોડા પડે એ પણ વાસ્તવિકતા છે. ગોળી લીધા પછી તરત જ અસર ન થાય એ સમજી શકાય એવી વાત છે પણ આત્મનિર્ભર બનાવવાની હાંકલ પછી પણ 'લિમ્કા' ફાવી ગઈ હોય ત્યાં 'લીંબુપાણી'નું સ્થાન આવતા હજું સમય લાગશે. પેપ્સોડન્ટના સ્થાને પતંજલીની દંતક્રાંતિ એકાએક આવે તો સવારના જ મોઢાનો ટેસ્ટ અને અરીસામાં મુખ બંને બદલી જાય. એક તરફ આ પહેલ આડકતરી રીતે ચાઈના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવા માટેનો સ્પષ્ટ સંદેશો છે. પણ હેન્ડ્સ ફ્રીમાં અત્યાર સુધી 'યુબોર્ન' વાપર્યા છે તો સ્વદેશમાં બનેલા હેન્ડ્સ ફ્રી માર્કેટમાં મળે છે ખરા? ટેકનોલોજીની બાબતમાં આપણે ડિવાઈસ ક્ષેત્રે ઘણા પાછળ છીએ. એપ્લિકેશન અને એવી સર્વિસ સેક્ટરમાં ભારતે ઘણું સારું કામ કર્યું છે. પણ લોકલ લેવલ કામ કરતા વેપારીઓને પણ 100 કિમીથી વધારે દાયરામાં 'બિઝનેસ' કરવાનો વિચાર સુદ્ધા નથી આવતો. એ વાત જુદી છે કે, ગોરધનભાઈની ચટ્ટણી ગોવા સુધી ખાવા ગુજરાતીઓ સાથે લઈને જાય છે. પણ ગોવામાં એનો પ્રચાર કરીએ તો એ બ્રાંન્ડ બને. પણ રાજકોટના વેપારી ગોવાના માધ્યમ કે સોશિયલ મીડિયા પર એડ તો શું ટચુકડી પણ નથી આપવાના. આ પણ વાસ્તવિકતા છે. રૂ.20 લાખ કરોડને નાણામંત્રીએ પાંચ જુદા જુદા પાસામાં વર્ગીકૃત કરીને સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી આર્થિક વેગ આપવા માટે પંપ માર્યા છે. ગ્રામિણ અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર ભારતની એક બુનિયાદ બનાવવા પગલાં ભરવા યોજનાઓ જાહેર કરી છે. પણ એક લોજિક તો શહેરની ભણેલી પ્રજાને પણ ગળે ઊતરતું નથી કે, અમુલના ભાવ વધે તો ઘરે આવીને દૂધ આપી જનારો કે જે તે દુકાનેથી લગવાનું દૂઘ લેનારા વેપારીઓ શા માટે ભાવ વધારો કરે છે? શું આપણે ત્યાં દૂધ આપનાર આણંદમાં આવેલા અમુલના પ્લાન્ટમાં દૂધ નાખવા જતો હશે? જવાબ છે ના. દરેકની આર્થિક સ્થિતિ સમયાંતરે સુધરવી જોઈએ. પણ જ્યારે અમુલ ભાવ વધારો કરે ત્યારે જ શા માટે? એ એક, બે, કે પાંચ રૂપિયા વધારે ત્યાં સ્થાનિક ડેરીવાળા સીધા 10 રૂ. વધારે છે. આ આર્થિક વિકાસ કહેવો કે પ્રોફેનલ લૂંટ?

            દેશના કેટલાય મોટા એકમના ઉદ્યોગમાં લોકડાઉન સુધી કાચોમાલ ચીનથી આવતો હતો એ વાસ્તવિકતા છે. કારણ કે સસ્તું પડતું હતું. ગ્રામિણ અર્થવ્યવસ્થામાં 30 લાખ લોકોને નવી રોજગારી મળશે એવી આશા સરકારે વ્યક્ત કરી છે. પણ કેવી રીતે પગલાં ભરાશે એનું આયોજન 'અચ્છે દિન' આનેવાલે હૈ જેવું છે. ગુજરાત રાજ્ય સરકારે ખડૂતોએ લીધેલી પાક લોન અંગેના હપ્તાની સમય મર્યાદા વધારી ખરા અર્થમાં રાહત આપી. આવકાર્ય અને સ્વીકાર્ય પગલું છે. એ વાત નક્કી છે કે, આર્થિક પેકેજે ઉદ્યોગ કારોબાર અને ગ્રામિણ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંક્યા છે. બીજી તરફ ગેસના ભાવમાં ખિસ્સાતોડ વધારો કર્યો એ પણ કડવો ઘૂટડો છે. લોકલ ઉત્પાદનોને ગ્લોબલ બનાવવા માટે ઘણા મોરચા પર એક જડબેસલાક આયોજનની સાથે અમલીકરણ અનિવાર્ય છે. લોકમુખેથી થતો પ્રચાર કોઈ મોટા બેનર કે એડનો મોહતાજ નથી હોવાનો. પણ જે નાના ઉત્પાદકોને વેપારની વેલિડિટી અને માર્કેટમાં પ્રાયોરિટી વધારવી છે એને માર્કેટ રીસર્ચ કરવું પડશે. એડ આપવાથી અસાધારણ ફાયદો નથી પણ ખોટ પણ નથી જ. લોકડાઉને એક સારી અને મોટી સમજ એ આપી છે કે, હવે વેપારથી લઈને વેલ્યું સુધીના અભિગમ બદલવા પડશે. જેમ કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે એમ ધંધા માર્કેટમાં એ જ કોનસેપ્ટ ચાલશે જે ઈઝી, ઈફેક્ટિવ અને અટ્રેક્ટિવ હશે. દેશી ચાની કિટલીએ દેશી ચાની ભૂક્કીનો સબળકો ભરવાની મજા છે એ 'લિપટન'માં નથી. 'જીલેટ' તો હમણા આપી આપણા દાદા વર્ષોથી 'તોપાઝ'ની બ્રાંડ વાપરતા. આ બ્લેડને ત્રણ વાર ઘસો તો પણ મસ્ત દાઢી થાય. દેશમાં વપરાતી વિદેશી બ્રાંડની પ્રોડક્ટનું ચિત્ર જ્યાં સુધી દિમાંગમાંથી નહીં જાય ત્યાં સુધી તે ઉપયોગ માંથી નહીં જાય. સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓએ પણ બ્રોડ થિકિંગ કરીને એડથી લઈને રિમોટ માર્કેટ સુધી એક્ટિવ થવાની જરૂર છે. એટલે આડકતરી રીતે અહીં 'એડ આપો' એવો કોઈ હેતું નથી. બીજી કોઈ બ્રાંડને અહીં જાહેરાત કરવાનો પણ કોઈ લક્ષ્યાંક નથી. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતાના ગાઢ ધુમ્મસ વચ્ચે વિદેશી બ્રાંડ સામે લોકલને સ્વિચ કરવાનો ઈરાદો છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2નું ઊતરણ થયેલું એમ યુવાદિમાંગમાં ફર્સ્ટકોપીના સ્થાને ફ્રેશ દેશી પ્રોડક્ટ અવતરશે ત્યારે ખરા અર્થમાં દેશના અચ્છેદિન આવશે.


સ્નેહ, સંબંધ અને સદ્ ભાવનાનું વાવેતર આપણા ગામ કે પરિજનોથી જ શરૂ થાય છે. હવે જે વ્યક્તિ પોતાના ગામડાંને પ્રેમ કરી જાણે એ જ દેશને પ્રેમ કરી જાણે. ઝીણીં આંખવાળા અને ઊભી લીપીમાં લખનારા ચીનના વૈશ્વિક સ્તરે બહિષ્કારના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. એની સાથે ખાટી થયેલી ઘટનાઓ વર્ષ 1962થી ચાલતી આવે છે. આ તમામનો સરવાળો કરવામાં આવે તો હુંફના સંબંધમાં હુસાતુસી સિવાય કંઈ હાથમાં આવ્યું નથી. લોખંડી પુરૂષ સરદાર પટેલે એક વખત કહ્યું હતું કે, ચીનથી ભારતે કાયમી ધોરણે ચેતવા જેવું છે. કાશ્મીરનો પ્રશ્ન હંગામી છે અને ઉકેલી શકાય એવો છે. આ ગ્રેટમેને દાયકાઓ પછીનું એ વખતે વિચાર્યું હશે જે કથન અત્યારે સાચું પડી રહ્યું છે. વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં એક આખા વર્ગની વેદના એ હોય છે કેવું લાગે? અને ફાવતું નથી. આપણા દાદાજીઓ દાંતણ કરતા એટલે ડેન્ટિસ્ટ પાસે જવાનો વારો ઓછો આવતો. સ્ટેટસ બદલી શકાય તો સ્વદેશી પણ અપનાવી જ શકાય. એક હકીકત એવી પણ છે કે ધોતીમાં જે મજા છે એ ઈનરવેરના ધજાગરા કરતા પેન્ટમાં નથી. કારણ કે એ પણ વિદેશી બનાવટ જ છે. સ્વદેશી ઉત્પાદકો પણ જ્યાં તેનું ઉત્પાદન કરે છે એ શહેર, ગામ કે તાલુકા-જિલ્લાને સસ્તા ભાવે વસ્તુ વેચે એ અનિવાર્ય છે. ભલે બીજા રાજ્યમાં એમઆરપી વધારીને વેચો. પણ જ્યાં જન્મ થાય છે ત્યાં એનો ઓરિજિનલ ટેસ્ટ દરેકના ખિસ્સાને પરવડે એવો હોવો જોઈએ.

આઉટ ઓફ બોક્સ
દુનિયાની કોઈ પણ બ્રાંડ લઈ લો, જે એક સમયે લોકલ જ હતી. પણ એને ગ્લોબલ થવા પાછળ બે પાસા પર પરસેવો પાડવામાં આવ્યો. મેક્સિમમ પ્રમોશન એટ મિનિમમ પ્રોડક્ટ પ્રાઈસ

Friday, May 15, 2020

કોરોના વોરિયર્સ, યોદ્ધા બની મેદાને પડતા મારા માતા-પિતા

કોરોના વોરિયર્સ, યોદ્ધા બની મેદાને પડતા મારા માતા-પિતા

અત્યાર સુધીમાં અનેક કોરોના વોરિયર્સની અનેક કહાની પ્રકાશમાં આવી ચૂકી છે. કોઈ ગર્ભવતી મહિલા ફરજ અદા કરે છે તો કોઈ પોલીસકર્મી પિતા બન્યા હોવા છતાં સંતાનના સ્પર્શનો અભાવ અનુભવે છે. કોઈ હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવા ગયેલી દીકરીની ચિંતા કરે છે તો કોઈ દીકરી એના તબીબ મમ્મીની કાયમ ઘરમાં બેસીને રાહ જુવે છે. પરિવારના કોઈ મહિલા કે પુરૂષ જ્યારે આવી આફત આવે ત્યારે ઈમરજન્સી ડ્યૂટીમાં જંગમાં સિપાઈ તહેનાત હોય એમ ફરજ નિભાવતા હોય છે. પણ જ્યારે માતા-પિતા બંને ઈમરજન્સી ડ્યૂટીમાં હોય ત્યારે બંનેને ઘર અને સંતાનની ચિંતા થાય છે. પણ મને ગર્વ છે કે, આ મહામારીની લડાઈમાં મારા પિતા અને માતા બંને કોરોના વોરિયર્સની ટીમમાં રહીને લોકોનાં જીવ બચાવી રહ્યા છે. મારા મમ્મી સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં નર્સ છે. કોરોના સ્પેશ્યલ યુનિટમાં તે ફરજ અદા કરે છે. એક તરફ તંત્ર લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડે છે એવામાં મમ્મી એમની વચ્ચે જઈને એમના સંપર્કમાં આવીને સેવા કરે છે. હું ગર્વ અનુભવું છું કે, આવી આફત વચ્ચે તે પોતાના પરિવારને મૂકીને લોકસેવા થકી દર્દીઓને સ્વસ્થ કરવા જીવ જોખમમાં મૂકી કામ છે. જ્યારે મારા પિતા કોર્પોરેશનના કર્મચારી છે. તેઓ ક્વોરેન્ટાઈન સેન્ટર સમરસ હોસ્ટેલ જામનગરમાં ડ્યૂટી કરે છે. દરરોજ અહીં આવતા લોકોને એન્ટ્રી રાખવાની એ પણ પોતાની જાતને જોખમમાં મૂકીને. આ બંને મારી દ્રષ્ટિએ એક યોદ્ધાથી કમ નથી. આ પહેલા મારા પપ્પાએ રાશન વિતરણ કીટ આપતી ટીમ સાથે કામ કર્યું હતું. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે એની ખબર નથી એવા વિસ્તારમાં જઈને લોકોની વચ્ચે રહીને એમને એક ટંકના ભોજનની સામગ્રી આપી છે. હવે લોકોના માથે તો લખ્યું નથી હોતું કે, તે નેગેટિવ છે કે પોઝિટિવ.




આ સિવાય પણ પપ્પા જ્યારે ફાયર શાખામાં હતા ત્યારે કુદરતી કેટલીય આફતમાં લોકોના જીવ બચાવ્યા છે. માનવનિર્મિત કેટલીક અસાધારણ ઘટનામાં જ્યાં લોકોનું દિમાંગ કામ કરવાનું બંધ કરે દે એવા કપરા સંજોગોમાં સતત જાગૃત મને એમને કામ કર્યું છે. આ એ સમયની વાત છે જ્યારે ટેકનોલોજી આટલી આધુનિક ન હતી. જામનગરના લાખોટા તળાવમાં કોઈએ આત્મહત્યાની છલાંગ લગાવી છે એવા વાવડ મળતા ત્યારે કોઈ ઑક્સિનજન કિટ કે સ્વિમસુટ ન હતા. જાત મહેનતે તરીને એમના મૃતદેહને પીઠ પર ઊઠાવીને કામ કર્યું છે. પણ જ્યારે આ મહામારીની વાત છે ત્યારે જ્યાં લોકો હાથ મિલાવવાથી ડરે છે અને સંપર્કમાં જતા ફફડે છે એવામાં મમ્મી કોઈ પ્રકારના ડર વગર સર્વિસ ટુ મેન ઈઝ સર્વિસ ટુ ગોડનું સુત્ર સાર્થક પુરવાર કરે છે. મને બંનેની ચિંતા કરતા પહેલા ગર્વ છે કે, તેઓ આવી મહામારીમાં ખરા અર્થમાં ઘર-પરિવાર કરતા ફરજને પ્રાથમિકતા આપીને એક સેવાભાવી કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો આકરા તાપમાં ઊભા રહીને લોકોને ઘરે રહેવા સમજાવે છે અને માસ્ક પહેરવા અપીલ કરે છે એ તો ખરા લડાયક છે જ. પણ જ્યારે એક સેનાપતિ એમની ટુકડી વિશે વિચારીને યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એમ મારા મમ્મી-પપ્પા એ ટીમનો એક ભાગ હોવા છતા એક જવાબદાર યોદ્ધાની જેમ ફરજ અદા કરે છે. ગર્વ સાથે કહું છું કે, આ મારા પેરેન્ટસ છે. જેને શીખવાડ્યું છે કે, સર્વિસ કમ ફર્સ્ટ

Sunday, April 26, 2020

બસ દો વક્ત કી રોટી હર કીસી કો મિલની ચાહિયે

કટોકટીના આ કપરાકાળમાં રાજકોટની એક સંસ્થાએ એક લાખ રોટલી બનાવીને અનોખું સેવાકાર્ય કર્યું

કોરોના વાયરસને કારણે લોકડાઉનનો બીજો તબક્કો અંતિમ ચરણમાં છે. સાથોસાથ એપ્રિલ મહિનો પણ વિદાય લઈ રહ્યો છે. મૌસમ ગરમ છે પણ ઉનાળાની હેલ્થ ટિપ્સ આવતી બંધ થઈ છે. કારણે દેશની 95% પ્રજા ઘરે બેઠી છે. કાળમુખી કોરોનાએ કેટલાય કાર્યક્રમને કકકળભૂશ કરી નાંખ્યા. વેકેશન વહી રહ્યું છે. ઈત્તર પ્રવૃતિઓ હવે ઈન્ટરનેટ પર થઈ રહી છે. 40 દિવસના લોકડાઉન પર થયેલો એક સર્વે એવું કહે છે સામાન્ય દિવસોમાં જે ભારત ન હતું એનાથી પાંચગણો લોડ ઈન્ટરનેટ પર વધી ગયો છે. ખાસ કરીને વેબસીરીઝ અને ઈ-બુક્સે અનેક યુવાનોને વાંચન પ્રેમી કર્યા છે. કારણ કે, લાખો એવા યુવાનો છે જે સત્યકથા પર આધારિત વેબસીરીઝ જોઈને એ સિવાયની વાર્તા ઈન્ટરનેટ પર શોધી રહ્યા છે. પરંતુ, આ માહોલે સેવાકીય કાર્યની જ્યોતિને વધું તેજસ્વી બનાવી છે. ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવતી અનેક સંસ્થાઓ વગર હરિફાઈએ મેદાને નીકળી છે. આમ પણ નિરાધારની ઉદરતૃપ્તિ કરવી એ સૌરાષ્ટ્રની નસમાં છે. સંત-સાધુની ભૂમિમાં પ્રસાદી રૂપે આખું ભાણું મળે. જેમાં ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે રોટલી. ઓખા મંડળના દ્વારકાથી લઈને અમૃતસર સુધી જમાડવાની પ્રથા પર કોઈ લોજિક છે કે મેજિક એ અંગે જેટલા મોઢા એટલી વાતો છે. ઘરથી દૂર રહેતા અને હોસ્ટેલ-પીજીમાં રહેતા મોટાભાગના યુથ એક વાત સાથે સહમત થાય છે કે, બસ રોટલી સારી હોવી જોઈએ. બાકી બધું ચાલ્યું જાય. ગુજરાતી પ્રજા પ્રવાસ પ્રેમી પણ ખરા. આ પ્રવાસનું ફિક્સ મેનું એટલે પહેલા ક્રમે થેપલા અને અથાણું અને બીજા ક્રમે ટાઢી-રોટલી. એ પછી સેકેલી પણ ચાલે અને તળેલી પણ ચાલે. દક્ષિણ ભારતના લોકોનું ભાત વગર પેટ ભરાતું નથી એમ આપણી આ પશ્ચિમ પ્રાંતની પ્રજાની ભૂખનો મોક્ષ કરતી વસ્તું એ રોટલી છે.


રાજકોટનું અર્હમ ગ્રુપ લોકડાઉનના આ સમયમાં દરરોજની 32 હજાર રોટલી બનાવે છે. પણ હવે આ આંકડો એક લાખ સુધી પહોંચ્યો છે. દાળ-શાક તો ગમે ત્યાંથી મળી રહે પણ રોટલીની કડાકુટ સ્ત્રીઓના મોઢે ભરયુવાનીમાં મોઢે કરચલી લાવી છે. આવા સમયે આ ગ્રૂપે એક લાખ રોટલી બનાવીને લોકોની ભૂખ-જ્વાળાને શાંત કરી છે. અહીં ગ્રૂપમાં કામ કરતી બહેનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે. હાથમાં મોજા અને મોઢે માસ્ક પહેરીને દરરોજ રોટલીના લોટ બાંધવાથી લઈને એના પેકિંગ સુધીની જવાબદારી નિભાવે છે. માત્ર રાજકોટ પૂરતી જ આ સેવા નથી. રાજકોટથી નજીક ગોંડલ સુધી 5 હજારથી વધારે રોટલી જાય છે. એમાં પણ થોડો મોર્ડન ટચ આપીને રોટી ઓન વ્હીલ્સ નામથી સેવા કાર્ય છે. એક જાણ ખાતર કે, મેસમાં કે ડાયનિંગ હોલમાં રોટલીના લોટ સાથે મેંદાનું સ્નેહમિલન કરીને રોટલી બનાવવામાં આવે છે. પણ આ ગ્રૂપ કોઈ પ્રકારની મિલાવટ કર્યા વગર પ્યોર શુદ્ધ અને ઘઉંના લોટની રોટલી પીરસે છે. ગ્રૂપના દાતા હિરેન મહેતા કહે છે કે, પરિવારનો સાથે મળ્યો એટલે પારકાને પોતાના માનીને આ રોટલીની સેવાને યથાવત રાખી. પણ આ રોટલી વિશે થોડો વ્યુ વાઈડ કરીએ અને રોટલીનું રાષ્ટ્રીય સ્તરે રોટેશન કરીએ. અમદાવાદમાં એક આખું રોટલી માર્કેટ છે. જ્યાં વહેલી સવારથી પરધર્મની સ્ત્રીઓ માત્ર રૂ.1 અને રૂ.2ના ભાવે જથ્થાબંધ રોટલી વેચે છે. અહીં બનેલી રોટલી માત્ર આસપાસની હોટેલમાં જ નહીં પણ છેક ગાંધીનગર સુધી જાય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની સામે આવેલા ગેટની બહારના ભાગમાં ડાબી બાજુનાં એક ખાંચામાં સવારે નજર કરો તો મસ્ત રોટલીની સુંગધથી સવાર ઉઘડે છે. એમાં પણ ઘીવાળી, સાદી, કડક, અડધી-પાકી (જેથી તવી પર ફરીથી ગરમ કરીએ ત્યારે નવી લાગે), પંજાબી રોટલી, પડવાળી તથા તેલવાળી રોટલી મળે છે. એ પણ માત્ર નજીવી કિંમતે. આ રીતે આ બહેનોના 'ક્લાઈન્ટ' મોટી હોટેલ્સ-રેસ્ટોરાંવાળા છે. રેકડીવાળા તો ખરા જ. અહીં દરરોજ ભરાતી શાકમાર્કેટમાંથી જ્યારે મજૂર બપોરે લંચ માટે જાય છે ત્યારે માત્ર શાક પોતાની સાથે લાવે છે. રોટલી અહીંથી લે છે.



હાલ એકાંતવાસનો કસોટીકાળ ચાલી રહ્યો છે. એટલે ઘરની રોટલીની સ્વાદ તાજો લાગે છે. બાકી ટિફિનની રોટલી કમાવવા માટે પણ કાળી મજૂરી કરવી પડે છે. સંજોગોના સાક્ષાત્કાર વગર માણસ સુધરે નહીં. રોટલીની વાત છે તો ભારતે રોટલીમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2012માં ગણેશ ચોથના દિવસે પૂણેમાં આવેલા દગડું શેઠ ગણપતિ બાપાના મંદિરે 140 કિલોની રોટલી બનાવવામાં આવી હતી. જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. મોટાભાગના જુદા જુદા પ્રાંતના ભારતીય કુક કહે છે કે, કુલ 16 પ્રકારની સત્તાવાર રોટલીઓ ભારતમાં બને છે. રૂમાલી રોટી, મક્કે કી રોટી એ બધાના નામ તો સાંભળ્યા જ હશે. પણ તંદુરી ચપાતી, રોટી કુલ્ચા અને ગુળ રોટી પણ ઉત્તર ભારતમાં બને છે. પંજાબમાં આવેલા અમૃતસર ગુરુદ્વારના લંગરમાં કલાકમાં 2000 હજાર રોટલી બને છે. વૈશાખીના તહેવાર નિમિતે આ આંકડો 5 લાખ સુધી પહોંચે છે. જ્યારે દરરોજમાં અઢીથી ત્રણ લાખ રોટલી બને છે. હા, અહીં ગુજરાતીઓની પાતળી અને પંજાબીઓની પંજાબી રોટી બંને બને છે. સાથે મિઠાશની મેલોડી પણ ખરા. હવે અમદાવાદમાં ફ્રેન્કી શરૂ થઈ છે. એમાં પણ રોટલી જ છે. બસ અંદરનું સ્ટફ જુદુ છે. ક્યા રાજ્યનું શું વખણાય એ જ્યારે પૂછવામાં આવે ત્યારે પંજાબની રોટલી વખણાય છે. જાણીને નવાઈ લાગશે કે, કેરળ, કર્ણાટક અને તામિલનાડુંના પ્રસાદમ ભોજનમાં રોટલીનું ચલણ જ નથી. આ ઉપરાંત હૈદરાબાદમાં પણ રોટલી એટલી વધારે નથી ખવાતી. પંજાબમાં ગુજરાતીઓ ખાય શકે એ ગુણવત્તાના ઘઉં પાકે છે. પણ પંજાબમાં મકાઈના લોટની રોટલી ખવાય છે. સ્વાદની સફર કરીએ ત્યારે રોટલી ગુજરાતી પ્રજા માટે રેલવેના એન્જિન જેટલું મહત્ત્વ ધરાવે છે. રાજસ્થાનની દાલબાટી તો જાણીતી છે જ. નાથદ્વારા જતા વૈષ્ણવોએ એક વખત ત્યાંની વલ્લભદર્શનની રોટલી ભૂલ્યા વગર ખાવી જોઈએ.

આઉટ ઓફ ધ બોક્સ
ઘણી વખત કાને સાંભળ્યું હશે કે, આનું દિમાંગ તો શૉ રૂમમાં રાખવા જેવું છે. શૉ પીસની જેમ. એક જાણ ખાતર બેંગ્લુરૂમાં એક બ્રેઈન મ્યુઝિયમ આવેલું છે. જ્યાં આ રીતે દિમાગને શૉ રૂમમાં રાખવામાં આવ્યા છે. 

Sunday, April 12, 2020

ઝીંદગી મેરા ગાના, મૈ ઈસીકા દિવાના.

ઝીંદગી મેરા ગાના, મૈ ઈસીકા દિવાના.

ડૉન્ટ રિજેક્ટ મી...આઈ એમ અ લર્નર. 

બપ્પી લહેરીને આ ગાયિકાએ પોતાના કમ્પોઝિશનમાં ગાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

આંખ પર ચશ્મા અને ગળામાં સોનાના લોકેટ. હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં મસ્ત કડું. બોલીવુડના ગોલ્ડન મ્યુઝિક ડાયરેક્ટર તરીકે જ્યારે પણ કોનું નામ લેવામાં આવે ત્યારે બપ્પી દા પહેલા યાદ આવે. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે મ્યુઝિક ક્ષેત્રે કેરિયર બનાવવા માટે તેમણે ઘણા કષ્ટ સહન કર્યા છે. પણ કહેવાય છે ને કે, જેને કંઈક નવું કરવું છે એને કપરી સ્થિતિનો સામનો કરવો જ પડે છે. પણ અવાજની અસાધારણ છાપ અને મીઠાશ ક્યારે રિઝલ્ટ બદલે છે એનો ખ્યાલ સમય સિવાય કોઈને હોતો નથી. 70 અને 80નો દાયકો એવો હતો જ્યારે સંગીત ક્ષેત્રે કોઈ કંઈ નવું લાવે તો પરોક્ષ રીતે પરિસ્થિતિને જટીલ બનાવી દે એવી યુક્તિઓ અને યોજનાઓ ક્યારે કોણ કરી દે એની ખબર ન પડતી. આટલા મોટા કદ અને પદના કલાકાર હોવા છતા એમને પણ ક્યારેક રેકોર્ડિંગ રૂમમાં જવાનો ડર લાગતો હતો.

ડૉન્ટ રિજેક્ટ મી, આઈ એમ અ લર્નર
બપ્પી પોતાની વાત આગળ કહેતા કહે છે કે, હું હજું શીખું છું. મ્યુઝિક ક્ષેત્રે હજું પણ ઘણું શીખવાનું બાકી છે. ડિસ્કોની થનગનાટ એટલે બપ્પી દા. પણ હકીકત એવી છે કે, ડિસ્કો ભારતનું કોઈ થીમ કે ફોર્મેટ જ નથી. આ અમેરિકા અને લંડનનું કલ્ચર છે. પણ આ વસ્તુને ઈન્ડિયામાં એક મ્યુઝિક ફ્લેવરથી લાવનાર બપ્પી દા છે. દાદા કહે છે કે, 70નો આખો દાયકો આખો રોમેન્ટિક મેલોડીનો હતો. જેમ કે, ‘ગોરો કીના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’, ‘પ્યાર બિના ચેન કહા રે’ આ એવા ગીત છે જે હજું જૂના થયા જ નથી. કદાય એટલે જ એનું રિક્રિએશન થાય છે. પણ એ સમયે અને આજે હું જે કંઈ નવું કરું છું એ એક યુથને ગમે અને એની અસર લાંબા સમય સુધી રહે એવા વિચાર સાથે કરું છું. આ એ યુગની વાત છે જ્યારે ફિલ્મમાં અભિનેતાના અવાજ સાથે ગીતનો સ્વર ખૂબ જ નજીક હોય એ અનિવાર્ય હતું. જેમ કે, શમ્મી કપૂરના કોઈ પણ હીટ ગીત લઈ લો એમાં મહંમદ રફી જ હશે. રાજેશ ખન્નાનું ગીત હોય એટલે કિશોર મામા. ધર્મેન્દ્ર હોય એટલે કિશોર મામા પ્લસ રફી. એટલે એ સમય મિથુનદાનો હતો જેમાં મારો અવાજ બિલકુલ મેચ થતો. અમેરિકાના લોસ એન્જલસમાં જ્યારે હું હતો ત્યારે એક ચીનની છોકરી મળી. ત્યારે મેં એને પૂછ્યું કે,તમે મારા ગીત સાંભળ્યા. હજું તો વાત પૂરી થઈ ન હતી ત્યાં એણે જીમ્મી જીમ્મી ચીનની ભાષામાં ગવાનું શરૂ કર્યું. માત્ર આ જ નહીં ‘મેરા દિલ ગાયે જા...ઝુબ્બી ઝુબ્બી’ આ એક ટચ છે અને ઈફેક્ટ છે તમારા સંગીતની.


તમને માન્યમાં નહીં આવે પણ હકીકત છે કે, ‘ગોરો કીના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’ આ ગીત રશિયન લિરિક્સમાં રેકોર્ડ થયું છે. કુદરતસર્જિત વિશ્વ અને માનવસર્જિત આ દુનિયામાં જ્યાં કલા છે ત્યાં કોપી પણ છે જ. અમેરિકામાં કોપીરાઈટ વાયોલેશનનો કેસ જીત્યો હતો. એ વાત એવી હતી કે, લતાજીનું ગીત છે. ‘કલીયો કા ચમન જબ બનતા હૈ’ હવે આ ગીતમાં મારૂ મ્યુઝિક હતું. આ ગીતમાં રેપ એડ કરવામાં આવ્યું હતું. એટલે મને ફોન આવ્યો કે, ગીત તમારૂ છે પણ વચ્ચે રેપ વર્ઝન આવે છે. ડૉ. ડ્રેના આલ્બમાં આ કમ્પોઝિશનનો ઉપયોગ થયો પછી કેસ કર્યો. જેમાં જીત થઈ. ભલે પૈસા ન આપો વાંધો નહીં પણ નામની ક્રેડિટ તો આપો. કારણ કે દરેક સર્જન સમય માગી લે છે. દાદા ઉષા વિશે તમારી યાદ...ઉષા ખૂબ ટેલેન્ટેડ પર્ફોમિંગ આર્ટિસ્ટ છે. ‘કોઈ યહાં નાચે નાચે’ આ ગીત આજે પણ એટલું જ નવું લાગે છે. એવું અનેક વખત બન્યું છે કે, ગીત પાછળની હિસ્ટ્રી કંઈક અલગ હોય છે. જ્યારે ફિલ્મ ‘લાવારીસ’ આવી ત્યારે મારા ઘરે પ્રકાશ મહેરા સીટીંગ રૂમમાં બેઠા હતા ત્યારે એને ગીત અમિતાભ બચ્ચના સ્ટાઈલનું ગીત સંભળાવ્યું ‘મેરે અંગને મે.. ’ તો મેં પણ ત્યારે આ જ ગીત થોડી અલગ સ્ટાઈલમાં સંભળાવ્યું. હવે એ સમયે તો એક જ મ્યુઝિક ડાયરેક્ટર રહેતા. એટલે મે જ પ્રકાશજીને કહ્યું કે, આનંદજીનું નામ આપી દો. પ્રકાશ મહેરા મારા ખૂબ સારા મિત્ર છે. આ ગીત પ્રકાશ મહેરાજીનું ક્રિએશન હતું. ‘નીલે નીલે અંબર પર ચાંદ જબ આયે’ હવે આ ગીત મે અને પ્રકાશજીએ સાથે મળીને કંમ્પોઝ કર્યું પણ પ્રકાશજીએ કહ્યું કે, ડારેક્ટર પી. સંબાશિવરાવ મારા મિત્ર છે આ ગીત આપી દે. મે હસતા હસતા આપી દીધું. આ ગીતમાં પહેલા કલ્યાણજી આનંદજીનું નામ હતું પછી મને નામની ક્રેડિટ આપી. પ્રકાશજીને ગીતના શબ્દો અને સંગીતના કમ્પોઝિશનનું ખૂબ સારું નોલેજ હતુ.

હવે આ મ્યુઝિકની દુનિયા એવી છે કે, તમે કંઈક નવું કરવા માંગતા હોવ એટલે ઝડપથી કોઈને ગળે ઊતરે નહીં. એવામાં ઘણા સંગીતના મહારથીઓ સાથેની અનબન તો થતી હોય. પણ આવું ચાલ્યા કરે. હું મારા પર કુદરતની કૃપા અને માતા-પિતાના આશીર્વાદ માનું છું કે, આટલી મોટી જર્નીમાં ટકી શક્યા. હવે વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે, આશાજીને કહી દેવાયું હતું કે, તારે બપ્પીના કમ્પોઝિશનમાં નથી ગાવાનું. પણ હું ખૂબ આદર કરું છું આર.ડી. બર્મનનો. એમને પણ મારું સંગીત વખાણ્યું અને ગમ્યું. હવે આશા અને બપ્પીના સંગીતના ગીત જોવો. ‘કિસી નઝર કો તેરા ઈન્તેઝાર આજ ભી’ સુપરહિટ ગીત. ‘આવાઝ દી હૈ એક નજર ને યા ફીર’ આપણ સુપરહિટ સાબિત થયું. આજે ડી.જે.નો જમાનો છે એ સમય ડફલીનો હતો. એ ગીતની અસર જોવો. ‘નેનો મે સપના...સપનો મેં સજના’ આ જ ગીતનું આખું ફોર્મેટ ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’માં રીપિટ થયું. ગીત ‘ઉલાલા ઉલાલા....’આમાં પણ બપ્પીનો અવાજ અને એ જ ડફલી અને નારંગીઓના સેટ. આ સિવાય વર્ષ 1980માં બપ્પીએ 33 ફિલ્મના 180 ફિલ્મી ગીત રેકોર્ડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ગીતના રેકોર્ડિંગને લઈને  ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે.

    બપ્પીએ પોતાની આ અનોખી અને ગોલ્ડન સ્ટાઈલ પર પેટન્ટ કરાવી છે. જેથી કોઈ એમની કોપી ન કરી શકે. કારણ કે એમના ગળામાં જેટલું પણ સોનું છે એ અસલી છે. પોતાની જાત મહેનતથી એમણે કમાયું છે. દિલના પણ એટલા દયાળું છે કે, એક કાર્યક્રમમાં એક દીકરીએ ‘આવો તુમ્હે ચાંદ પે લે જાયે’ આ ગીત ગાયું અને દાદાને ગમી ગયું ત્યારે એ જ સમયે ગળામાંથી એક ચેન કાઢીને ત્યાં એને આપી દીધી હતી. આજ જ્યાં કોઈ ગીત 3 મિનિટ પણ ટકતા નથી ત્યાં 12 મિનિટનું ગીત ‘પગ ઘુંઘરૂ બાંધ મીરા નાંચી થી’ હજું પણ લાખો કરોડો ચાહકોનું ફેવરિટ છે. રિક્રિએશન થાય એની પણ ઈફેક્ટ છે. જૂના ગીતની અસર છે એટલે તો ફરી બને છે. પણ ઓરિજિનાલિટીની સ્વિટનેસને કોઈ લેસ કરી શકે એમ નથી. દાદા કહે છે કે,કિશોર કુમાર અને લતાજી આ બોલીવુડ જ નહીં પણ સંગીતની દુનિયાના પિલ્લર છે. કારણ કે કિશોર મામા કાયમ એક મુડ ચેન્જ કરી દેતા. ગીત ભલે ગંભીર હોય પણ એના અવાજમાંથી સાંભળ્યા બાદ ફરી એ જ એની મોજ મસ્તી રહેતી. ‘દિલ મે હો તુમ, આંખો મે તુમ’ આ ગીતના મૂળીયા બંગાળીમાં છે. આ ગીત પહેલા કિશોરમામાએ બંગાળીમાં ગાયું પછી હિન્દી ફિલ્મ માટે રેકોર્ડ થયું. ‘લાવારિસ’ અને ‘નમક હલાલ’ આ બંને ફિલ્મ એક પછી એક સમયમાં આવ્યા પણ બંને સુપરહિટ સાબિત થયા. આજે પણ એના ગીત બેસ્ટ છે. જ્યારે માયકલ જેક્શન મુંબઈ આવ્યા ત્યારે બાલા સાહેબ ઠાકરેની ઓફિસમાં એમની સાથે મુલાકાત થઈ હતી. ત્યારે જ્યારે મે ખાલી ડિસ્કો ડાન્સરની વાત કરી ત્યારે એણે કહ્યું કે, જીમ્મી જીમ્મી ગીત પર હું આજે પણ ડાન્સ કરી શકું છું.
સેલ્યુટ છે દાદા.

Saturday, April 04, 2020

યે લોગ કહેતે થે મે તબ ભી ગાતા થા જબ બોલ પાતા નહીં થા

યે લોગ કહેતે થે મે તબ ભી ગાતા થા જબ બોલ પાતા નહીં થા

જૂના ગીતની રીધમની એ જ તો તાકાત છે કે જે આજે પણ રીક્રિએટ થઈ રહ્યા છે


‘એક આંખ મારૂ તો....’, ‘યાદ આ રહા હૈ... ’, ‘પ્યાર બિના ચૈન કહાં રે... ’, ‘રંબા હો હો... ’, ‘જીમ્મી જીમ્મી આજા આજા...’આવા અનેક ડિસ્કો થીમ પરના ગીત આજે પણ જ્યારે કાને પડે છે ત્યારે સાંભળવા ગમે છે. સંગીતની દુનિયામાં રીક્રિએશનની સીઝન શરૂ થઈ છે. જેમાં જૂના ગીતને નવા ઈન્સ્ટ્રુમેન્ટના સ્પર્શથી ડેકોરેટ કરીને પીસરવામાં આવે છે. એ જ રીધમ પણ વાજિંત્રો નવા. જાણે વર્ષો જૂના મોડલને નવા લુગડા પહેરાવ્યા હોય એવો ઘાટ છે. પણ હકીકત એ પણ છે કે, જેમ જેમ જૂના ગીતના રીમિક્સ સામે આવતા ગયા એમ ઓરિજિનલ ગીત પર થતું સર્ચ વધતું ગયું. લોકો ડી.જે.ની બીટ કરતા રીયલ ડ્રમ બીટની રીધમને શોધવા માંડ્યા. અલ્ટિમેટલી ફાયદો જૂના ગીતને જ થયો. આ જ માહોલ વચ્ચે બોલિવુડના મ્યુઝિક ડાયરેક્ટર, કંમ્પોઝર, બેગ્રાઉન્ડ મ્યુઝિક આપનાર અને ગાયક બપ્પી લહેરી આજની મ્યુઝિક શૈલી વિશે વાત કરે છે. જેણે 9000થી પણ વધારે ગીતમાં સંગીત પીરસ્યું છે અને સૂરની યાત્રામાં સિદ્ધ થયા છે. સિદ્ધિ મેળવવી સરળ હોઈ શકે પણ કોઈ ક્ષેત્રમાં સિદ્ધ થવા માટે તો સદી પણ ઓછી પડે. પણ આલોકેશ લેહરી (બપ્પી દાનું સાચું નામ)એને ખરા અર્થમાં સાબિત કરી દીધું કે, તે એવરગ્રીન છે. એના ગીત એટલા સુપરહીટ છે કે, હજું પણ એમાં રીક્રિએશન થઈ રહ્યું છે.

ઓવર ટું દાદા
દાદા કેવી રીતે આ સંગીતની રિધમિક જર્ની શરૂ થઈ? હવે ગીત સાંભળવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે ગીત દેખાય રહ્યા છે. એ સમય એક આલ્બમનો હતો આજે ઓરિજિનાલીટીનો છે. સંગીત મારા માટે બધું જ છે. મ્યુઝિક ઈઝ એવરીથિંગ. હું ફિલ્મોના સંગીતમાં હજું પણ એક્ટિવ છું. ટેકનોલોજીએ કાયાપલટ કરી છે એમાંથી મ્યુઝિક વર્લ્ડ પણ બાકાત નથી. હજું પણ ઘણી ફિલ્મો મારા ગીતના કમ્પોઝિશન યુઝ કરે છે. આવું બધું ચાલ્યા કરે છે. ફિલ્મ ‘બાગી-3’માં ‘બંકસ...એક આંખ મારૂ તો..’ મારૂ જ કમ્પોઝિશન છે. ફેન્સ કોને કહેવાય એ મને જ્યારે હું મસ્કત ગયો ત્યારે ખ્યાલ આવ્યો. પહેલી વખત જ્યારે મસ્કત ગયો ત્યારે સવારે ચાર વાગ્યે એક હોટેલમાં એક ફેનને ખબર પડી હશે કે, બાજુની વિંગમાં બપ્પી આવેલા છે. એ સમયે બધું છોડીને એ ફેન મને સવારે ચાર વાગ્યે મળવા આવ્યો. હું તો શોક્ડ...વોટ એ ફેમ. હજું પણ વર્ષ 1960ના દાયકાના ગીત પર લોકો ડાન્સ કરે છે. એ મ્યુઝિક સાંભળતા જ લોકોના પગ થિરકવા લાગે છે. હું આને સફળતા માનું છું.  જેમ કે ‘ચાહિયે થોડા પ્યાર....’ ફિલ્મ ‘લહું કે દો રંગ’નું ગીત છે આ


ક્યારેય વિચાર્યું ન હતું કે, ગીત પણ વર્લ્ડ રેકોર્ડ બનાવશે
આવા ગીત જ્યારે પણ સાંભળીયે ત્યારે એવું લાગે છે જાણે કાલે જ રીલિઝ થયા છે. ‘ઈમ્તિહા હો ગઈ...ઈત્ઝાર કી’ ઓલ ટાઈમ મારૂ ફેવરીટ. દાદા ગીત પણ વિશ્વ વિક્રમ કરી શકે એવું ક્યારે વિચાર્યું હતું? યાર, ‘જીમ્મી જીમ્મી’ આ ગીતે તો કમાલ કરી દીધી. આ એક જ ગીત 45 જુદી જુદી ભાષામા ડબ થયું છે. ચીની, અફઘાની, બર્મા, રશિયા અનેક દેશની ભાષામાં આ ગીત ડબ છે. આ ગીતનું મ્યુઝિક જેટલું ચાલ્યું એટલું કોઈ ગીતનું ચાલ્યું નથી. આજે એક ગીત જ્યાં અઠવાડિયું માંડ ચાલે છે ત્યાં આ પ્રકારના ગીત ખરેખર વિશ્વમાં ડંકો વગાડે એ ખરેખર અસાધારણ સફળતા કહી શકાય. એવું નથી કે, એ સમયે વિશ્વ સિનેમા ન હતું કે, વર્લ્ડ ઈગ્લીશ મ્યુઝિક ન હતા. માધ્યમો હતા પણ લોકોને ટચ થાય એવું હવે બહું ઓછું જોવા મળે છે. દાદા કહે છે કે, હું 11 વર્ષનો હતો ત્યારથી સંગીત ક્ષેત્રે સક્રિય છું. 11 વર્ષે મે પ્રથમ કમ્પોઝિશન આપ્યું. જેમાં મારા પપ્પા ગીત ગાતા અને હું વગાડતો. ચાર વર્ષનો હતો ત્યારે લતાદીદી સાથે કામ કરવા મળ્યું. પણ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે બપ્પી નામ મળ્યું અને કામ પણ મળ્યું. આ એ સમય હતો જ્યારે શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર.ડી. બર્મન, ઓ.પી. નૈયર અને કલ્યાણજી આનંદજીનો સૂર્ય મધ્યાહનની જેમ પ્રકાશિત હતો. એ તમામ વચ્ચે સેટ થવું રણ પ્રદેશમાં રોયલ પેલેસ બનાવવા જેટલું અધરું હતું. એ સમયે આ શરીર પણ શણગાર વગરનું હતું. વર્ષ 1969માં પ્રથમ વખત ફિલ્મમાં કામ મળ્યું અને સત્તર વર્ષની ઉંમરે બીજી ફિલ્મ ‘નન્હે શિકારી’ મળી. આ જ સમયે મન્નાડે અને લતાજી જેવા મોટા કદ અને પદ પર રહેલા ગાયકોને ગાઈડ કરવાનો ચાન્સ મળ્યો. ઘણી વખત એવું બન્યું કે, ફિલ્મ ન ચાલી પણ ગીત ખૂબ ચાલ્યા. જેમ કે, ‘બાઝાર બંધ’ ફિલ્મ ન ચાલી પણ ગીત લોકોને ખૂબ જ ગમ્યા. આ સંગીતજગત એવું છે કે, જ્યાં સુધી કોઈ મોટી સિક્સ ન મારો ત્યાં સુધી કાળું કૂતરું પણ સુંઘતું નથી.

        તાહિર હુસૈન મારા માટે સાંતાક્લોઝ બનીને આવ્યા. જેમ સાંતા ક્લોઝ ઘણી બધી ખુશી આપે છે એમ એ વ્યક્તિને ‘લડકી બદનામ સી’નું કમ્પોઝિશન ખૂબ ગમ્યું. એ સમયે એક પ્રોડ્યુસર, રાઈટર અને ડાયરેક્ટર ઘરે આવે એ મોટી વાત ગણાતી. એ મારા ઘરે આવ્યા હતા. ફિલ્મ ‘મદહોશ’ માં મ્યુઝિક ડાયરેક્ટર આર.ડી.બર્મન પણ બેગ્રાઉન્ડ મ્યુઝિક મારૂ હતું. એ માણસે મને પ્રોમિસ આપ્યું હતું કે, તને ક્રેડિટ મળશે. પછી ફિલ્મ આવી ‘ઝખમી’ છ ગીત એ તમામ સુપરહીટ. ‘જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતો મે’ આજે પણ કાને પડઘાય એટલે જલસો પડી જાય.

આ ગીત વખતે તો કિશોર કુમાર રડી પડ્યા
કિશોર દાનો સ્વભાવ માત્ર ઓન સ્ક્રિન કે કામમાં જ મસ્તીખોર ન હતો. પણ એ માણસ આખા જ મસ્તીખોર હતા. ‘પગ ઘુંઘરું બાંધ મીરા નાંચી થી’ આ ગીત જ્યારે મારી પાસે આવ્યું ત્યારે એમા વેસ્ટર્ન, ડાન્સ અને ક્લાસિકલનો એક ત્રિવેણી સંગમ હતો. અત્યાર સુધીના તમામ ફોર્મેટમાં પ્રથમ વખત આ ગીતમાં સરગમ મે મૂકી હતી. ‘સસસ ગગ રેરે સાનીની સા સા સા’ ગીત એટલું લાંબું હતું કે, કિશોરમામા (બપ્પીદાના મામા થાય)એ કહ્યું, ભાઈ હું કંઈ તાનસેન નથી. પહેલીવારમાં તો ના પાડી દીધી આવું બધું ન થાય. પણ મે ફોર્સ કર્યો અને ગીત સુપરહીટ થયું. ‘ચલતે ચલતે મેરે યે ગીત’ આ ગીતનું જ્યારે રેકોર્ડ થતું હતું ત્યારે કિશોરમામા બે વખત રડ્યા હતા. કારણ કે ગીતના શબ્દોમાં એટલી શક્તિ હતી. પછી તો એ ગીતકાર અમિત ખન્નાને મળવા પહોંચી ગયા હતા. ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત’ આ ગીત મારી ઓળખનું આઈડીકાર્ડ સમાન સાબિત થયું. આ એ સમય હતો જ્યાં કલા પણ હતી અને કથા પણ ફિલ્મોમાં હતી. જ્યારે ‘જહાં ચાર યાર મિલ જાયે વહી’ આ ગીતમાં અમિતાભ બચ્ચને રેપ વર્ઝન ગાયું છે એવું કિશોરદાને ખબર જ ન હતી. જ્યારે ફાયનલ રેકોર્ડિગ પૂર્ણ થયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે, આમા તો બીગ બીનો અવાજ છે. આ એક નવો કોન્સેપ્ટ હતો.
(ક્રમશઃ)

Tuesday, March 24, 2020

કોરોના ઈફેક્ટઃ યે ક્યા હુવા, કૈસે હુવા, ક્યું હુવા, કબ હુવા

કોરોના ઈફેક્ટઃ યે ક્યા હુવા, કૈસે હુવા, ક્યું હુવા, કબ હુવા

સમગ્ર વિશ્વમાં કોરોના એ પોતાનો મહાકાય પંજો ફેલાવ્યો છે. જેની સામે ભારત સહિતના અનેક દેશ જંગ લડી રહ્યા છે. તકેદારી નહીં હોય તો સ્થિતિ ચીન, અમેરિકા, ઈટાલી અને ઈરાન જેવી થઈ શકે છે. એમાં કોઈ બે મત નથી. સ્વયંને ઘરમાં બંધ કરવા સિવાય સીધો કોઈ ઉપાય નથી. સોશિયલ ડિસ્ટન્સ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકારે તમામ પ્રકારના પરિવહનના માધ્યમોને બ્રેક મારીને પ્રવાસીઓ પર અલ્પવિરામ મૂકી દીધું છે. જ્યારે જે તે રાજ્યની બોર્ડર સીલ કરી દીધી છે. એટલે કે, નો મુવમેન્ટનો મેસેજ. એમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું મોટું લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે પ્રોટેક્ટ યોર સેલ્ફ ઈઝ સર્વિસ ટું સોસાયટી જેવો સ્પષ્ટ સંદેશ છે. ભારતમાં આ વાયરસે સૌ પ્રથમ તા.30મી જાન્યુઆરીએ એક વ્યક્તિનો શિકાર કર્યો હતો. પગ પેસારો આટલી ગંભીર રીતે વકરશે એવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. પણ માસ્ક અને સેનિટાઈઝર માટેની પડાપડી તા.19મી માર્ચે વર્તાય હતી. પ્રાથમિક તબક્કે સરકારની પણ એટલી કોઈ મોટી તૈયારી ન હોય એ સમજી શકાય છે. પણ જનતા કર્ફ્યુંની સામે આવેલી તસવીરમાંથી એવું પણ કહી શકાય છે કે, લોકોમાં હજું સ્વયં શિસ્તતા ખૂંટે છે. મહાનગરને બાદ કરતા નાના શહેરમાં મનફાવે એ રીતે નીકળી પડેલા લોકોએ પણ સંયમ એ જ સુરક્ષા એ વાત ગળે ઊતારી નહીં પણ પચાવી લેવી જોઈએ. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતાનું ગાઢ ધુમ્મસ પ્રવર્તી રહ્યું છે. જેમાં ખુદની સમજદારી જ આશાનું કિરણ છે. જનતા કર્ફ્યું વખતે એવું પણ ચર્ચામાં હતું કે, યે તો સિર્ફ ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. હાર્ટ બ્રેક કરી દેતા હાલાત અને સમયની પાંખ પર કેટલાક લોકોનું ફરજપાલનનું વજન છે. જ્યારે દેશમાં પોઝિટિવ કેસનો આંક 200 સુધી પણ પહોંચ્યો ન હતો ત્યારે સરકારે આઈસોલેટ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે, સમગ્ર વિશ્વના નિષ્ણાંતોને ખ્યાલ હતો કે, આ મહામારી બનવાનું છે.


સૌ પ્રથમ સરકારે ખાનગી હોસ્પિટલને ગાઈડલાઈન આપી દીધી હતી. ખાસ વાત તો એ છે કે, આવા કેસમાં કોઈ કાચના શૉરૂમ માલિકો લૂંટ ન ચલાવે એ માટેનો ભાવ પણ સરકારે આપી દીધો હતો. એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે, દર્દી આઈસોલેશનમાંથી ભાગી ગયા હોય જેનું માઠું પરિણામ ભોગવવું પડ્યું છે. એક તો દેશમાં આરોગ્યની સ્થિતિ બાકીના દિવસો કરતા અત્યારે સૌથી બેસ્ટ છે કારણ કે, ઈન્ડિયાની સ્થિતિ ઈટાલી જેવી નથી થવા દેવાની. અગ્રસ્થાને લઈને અંતિમ સ્થાન સુધી કડક ગાઈડલાઈન છે. બિહારમાંથી એવું પણ થયું કે, વ્યક્તિના મૃત્યું બાદ ખ્યાલ આવ્યો કે, કે વ્યક્તિ રોગની ભેટ લઈને પધાર્યા હતા. ટેસ્ટિગની પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયા છે. અત્યાર સુધીમાં જે મેથડ હતી એમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેથી વાયરસના નિદાનની સૌથી નજીક પહોંચી શકાય. આવા માહોલ વચ્ચે એક પણ ભૂલ જડબા તૂટી જાય એવી જબરદસ્ત પછડાટમાં પરિણમી શકે છે. આ મહામારીનો માહોલ નવો નથી. પણ વધતા જતા સંક્રમણને અટકાવવા અનિવાર્ય છે. જેનો એક માત્ર રસ્તો ઘરમાં બેસી રહેવાનો છે. કોઈને બીગ બોસ જેવી ફીલિંગ આવતી હોય તો પ્લસ પોઈન્ટ એ છે કે, ઘરમાં રહેવું એ જ મોટો ટાસ્ક છે. એમાં પણ જે ટકે એ જ જીતે છે. માત્ર વાયરસથી નહીં પણ વાયરલથી પણ બચવું જોઈએ. વોટ્સએપના વિષવિદ્યાલય અને ફેકબુકમાંથી એવા એવા નુસખા આવે છે જાણે એકાએક ડૉક્ટરો સક્રિય થઈ ગયા હોય. MSW વધી ગયા એટલે કે, મફત સલાહ વર્કર. નવરા ભેજાબાજોની ગણતરી તો જુવો એક કિલો મમરાની થેલીમાં કેટલા મમરા આવે એ નંગ પણ ગણી કાઢ્યા. લાગે છે આવું જ રહ્યું તો મોલવાળા કોઈ પ્રકારની ચિટિંગ નહીં કરી શકે. બ્રેકિંગ ન્યુઝની હોડમાં હજુ તો નિર્ણય જાહેર થયો ન હોય ત્યાં મોટું તીર માર્યું હોય એવો ઘાટ સર્જી દે. આ કરુણકૃપામાં એકાંતવાસનો કસોટીકાળ સજામાં નહીં પણ મજામાં બદલી શકાય છે. જૂના યાદ તાજા કરી શકાય છે. ફેમિલી ટાઈમનો બેસ્ટ ટાઈમ આફત સામે મળ્યો. જોકે, આ પ્રકારના શટડાઉને અનેક લોકોના અરમાનની ગિફ્ટ પર બુલડોઝર ફેરવી દીધું. વ્યાપાર ધંધામાં મોટું નુકસાન તો છે. પણ અર્થતંત્રની દશા પણ ડામાડોળ છે. હાલમાં કોઈ આર્થિક રીતે સ્થાયી થવું એ મધદરિયા મીઠાશ શોધવા જેવું છે. દરરોજ જીવાતી સમૃદ્ધિની સરફ એકાએક સાદગીમાં પલટાઈ ગઈ છે. વિશ્વના ધનિકો આર્થિક દાન કરી રહ્યા છે. જેક માથી લઈને બિલ ગેટ્સ સુધી અનેક લોકોએ યથાશક્તિ ડોનેશન આપ્યું પણ આપણા દેશી સ્ટાર્સ શું ન કરવું એનું સજેશન આપી રહ્યા છે. અપલખણી વાત કરવા કરતા અમલીકરણનું એવિડન્સ વર્ષો પછી પણ યાદ રહે છે.

કોરોનાને કારણે એકાએક તમામ ક્ષેત્રનું ડિજિટાઈઝેશન થઈ ગયું. જેનું સૌથી મોટું ઉદાહરણ એજ્યુકેશનમાં છે. ટિવી ઉપર સીરીયલના બદલે સિલેબસ આવી ગયો. વીડિયો કોલથી વિષયજ્ઞાન પીરસાયું. આર્થિક રીતે પગભર અને સદ્ધર થવા માટે સરકાર ઉદ્યોગપતિને ચિંટીયો ભરી શકે છે. પણ શેરમાર્કેટની સુનામીમાં ધોવાયેલા રોકાણકારો હવે શેરમાર્કેટમાંથી અણધારી અને ઓચિંતી વિદાય લે એ નક્કી છે. કારણ કે ખખડતી સ્થિતિ વચ્ચે ખોટ ખાવી કોઈને પોસાય એમ નથી. એ પછી અંબાણી હોય કે અજીજ પ્રેમજી. ડૉલર સામે રૂપિયાની સોંસરવી રૂવાટી ઉખડી ગઈ છે. એવામાં સાહસ કરવું કે વિદેશ પ્રવાસ કરવો એ અંધારામાં ભુસકા મારવા જેવું છે. એક સમયે ભારતની નાગરિકતાના મુદ્દે બબાલ થઈ હતી હવે વિદેશથી આવેલા પણ ગર્વ સાથે કહે છે. મેરા ભારત મહાન. વિદેશ જવાનો જે લોકોને ડડરિયો હોય છે એના માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. અહમના ઊંબરેથી અભરખા સમાતા ન હોય. વિદેશથી દોડી આવેલાઓ થોડા સમય ત્યાં રોકાવું'તું ને. કેટલી ક્વોલિટી સર્વિસ છે એનો અંદાજો તો આવે. બાકી દેશી માણસ ભલે વિદેશમાં ડૉલરની વાવણી કરવા જાય પણ વતનની હવાથી જ સાજો થાય છે એ કન્ફર્મ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યના ગમે તે શહેર પર નજર કરો એટલે શિયાળાની રાત જેવું સાયલન્સ દિવસે પણ જોવા મળે છે. ઘરની બહાર ન નીકળવું એ જ સૌથી મોટી સમાજ સેવા છે એ સ્થિતિને પારખીને સ્વીકારીએ એમાં જ મજા છે.

આઉટ ઓફ ધ બોક્સ
વિચાર પોઝિટિવ હોય એ જ સારુ અને રિપોર્ટ નેગેટિવ હોય એ જ સારું. એવું પરમ પૂજ્ય કોરોનાબાપું વુહાનવાળાએ કહ્યું છે.

Tuesday, February 18, 2020

શિક્ષણતંત્રઃ ઈસ તરહ તૂટે હુવે ચેહરે નહીં હૈ, જીસ તરહ તૂટે હુવે આઈને હૈ

શિક્ષણતંત્રઃ ઈસ તરહ તૂટે હુવે ચેહરે નહીં હૈ, જીસ તરહ તૂટે હુવે આઈને હૈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી (વર્ષ 2020)ના પ્રચારમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં એ હતો શિક્ષણ. જેમાં ભલે સંપૂર્ણ અને સાચું ચિત્ર રજૂ નથી કરાયું. પણ જે રીતે સરકારી સ્કૂલની કાયાપલટ થઈ છે એ મુદ્દો મીડિયા કરતા સોશિયલ મીડિયામાં હજારો લોકો સુધી મત અપીલ બનીને પહોંચ્યો. જીતનું પરિણામ જોવા મળ્યું અને લોકોએ પણ સ્વીકાર્યું. શિક્ષણમાં અનેક વખત નેતાઓના પ્રચાર કરતા વાસ્તવિકતાનો વિસ્તાર વિરાટ હોય છે. જેમાં નક્શીકામ કરવા કરતા પરિણામ પોતે પુરાવો બનીને રજૂ થતું હોય છે. ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ બેન્કના મર્જર જેવી થઈ ગઈ છે. ક્યાંય સંખ્યા નથી તો ક્યાંય સુવિધા નથી. એવામાં હવે સરકારી ફતવો સામે આવ્યો છે કે, ધો.3થી 12 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા સરકાર લેશે. સ્કૂલ બદલાવવા સિવાય તમામ માળખું બોર્ડનું ફરજિયાત પણે લાગુ કરાયું છે. પણ જ્યાં સ્કૂલમાં બાળકોની સંખ્યા થતી નથી એ માટે સરકારનું કોઈ આયોજન નથી એ સ્પષ્ટ થયું છે. સમયાંતરે લેવાતા નિર્ણય પરથી એવું લાગે છે કે, રાજ્ય સરકારના એજ્યુકેશન વિભાગમાંથી આદેશ આપવામાં ઓટ ન આવવી જોઈએ. પછી ભલેને મુલ્યાંકન સ્થિતિ વરસાદ પછીના રચતા કાદવ જેવી હોય. શિક્ષણમાં ઓનલાઈન માધ્યમ આવ્યું હવે પુસ્તકો ઓનલાઈન આવી રહ્યા છે. થોડા વર્ષ પહેલા પુસ્તકોની અછતનો મુદ્દો વરસાદી વાદળની જેમ ગાજ્યો હતો. ઓનલાઈન પુસ્તકો વાંચવાની આદતથી ટેવાવવા માટે પગલાં ભરાઈ રહ્યા છે.


મોબાઈલ યુગમાં સ્ક્રિન પર અંગુઠા ફેરવવામાં માહિર ભૂલકા કે વિદ્યાર્થીઓ હજું એટલા એડવાન્સ નથી કે ઈ રિડિંગ કરી શકે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વાત છે. મનોરંજન માટેનું ડિવાઈસ માહિતીપ્રદ ત્યારે જ થાય જ્યારે એમાં કંઈક નવી ક્રિએટિવિટી હોય. હવે સામાજિક વિજ્ઞાન અને ગણિતના પુસ્તકોમાં જોવા ગમે એવા ચિત્રો હોય છે? પૂછી જો જો કોઈ વિદ્યાર્થીઓને...ગામડાંમાં વાત કરવા માટેના નેટવર્કના ઠેકાણા નથી ત્યાં ઓનલાઈન પાઠ્યપુસ્તક વાંચવાનો ઢોલ પીટાય છે. ચોપડી હાથમાં લઈને વાંચવાની પણ મજા છે. પણ  સરકારે બધુ મૂકીને ઓનલાઈન કામચોર શિક્ષકોને આપેલી સજા છે. હવે સરકારી શાળામાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને સંસ્કૃતના શિક્ષણો આંગણીના વેઢે ગણી શકાય એટલા છે. એમનું કોર્ષ પેપર સરકાર જાહેર કરે તો પણ તબલા, હાર્મોનિયમ કે અંગકસરતના દાવ ઓનલાઈન કરાશે? થાય તો હાજા નરવા રહે વિદ્યાર્થીઓ. રાજ્ય સરકારના પાઠ્યપુસ્તકનો ફરજિયાત પણે ઉપયોગ કરવાના નિર્ણયથી ખાનગી સ્કૂલને કબજિયાત થઈ ગયું છે. કારણ કે લાગતા વળગતા લેખકો અને પ્રકાશકોની રોકડી પર સરકારી રેલો આવ્યો. એમના અરમાનો પર એસિડ એટેક થયો. હવે સરકારને વરસાદ પછીના ઉઘાડ જેવું શિક્ષણનું ભાવિ દેખાય છે. જ્યારે ખાનગી સ્કૂલને બાપુજીનો પેઢો અને કંપની માની બેઠેલા ટ્રસ્ટીઓ તેમજ આચાર્યોએ ફરજિયાત આ સરકારનું કળુકળિયાતું પીવું પડશે. એટલે ફરજિયાત બાવા બનકે હિન્દી બોલના પડેગા.
              
સમય સાથેની સરવાળા-બાદબાકી કરીને સરકારી નિર્ણય યોગ્ય છે. આ સાથે જડબા તૂટી જાય એવી જબરદસ્ત પછડાટ ખાનગી સ્કૂલને પડી છે. કારણ કે ફી વધારો સૌથી વધારે એ જ કરે છે. બાપ દાદે કોઈ દિવસ કરી ન હોય એવી પ્રવૃતિને પર્ફોમન્સ બેઈઝ આપીને આખરે  બાળકોને રોબોટ બનવવા છે કે મશીન? ક્રિએટિવિટીના ક્લાસ ન હોય પણ ક્લાસમાં શિક્ષક ધારે તો જરૂર ક્રિએટિવિટી થાય. શણગારેલા સંપ્રદાયો જેવી જુદા જુદા ફોર્મેટની શાળાઓ એમેઝોનની જાહેરાતને અનુસરતી હતી. શિક્ષકો પાસેથી થોડા ઔર દિખાઓ...થોડા ઔર દિખાઓ...જેવી અપેક્ષા રાખવામાં આવતી. પણ સરકારે પાણીની સેર જેવો સટાક નિર્ણય લઈને વગર છાંટણાએ પવિત્ર કરી દીધા છે. હજું ખાનગી શાળાઓના ફી વધારા સામે ધોકા પછાડવાની જરૂર છે. જેથી પડધા ખાનગી સ્કૂલમાં ઈકો ઈફેક્ટની જેમ પડે. બીચારા વિદ્યાર્થીઓને શાળાનું ફોર્મેટ એન્જોય કરવાને બદલે બગડેલી કેરીની માફક પચાવવું પડશે. કારણ કે કુંવામાં હશે તો અવેડામાં આવશે. ભારતની કોઈ પણ યુનિવર્સિટી લઈ લો. જેએનયુથી લઈને જામિયા મિલિયા સુધી. સિક્કિમથી લઈને સૌરાષ્ટ્ર સુધી. આ તમામ સંસ્થાઓ સમયાંતરે હુલ્લખોરીના કેન્દ્રસ્થાન પ્રાપ્ત કરતી જાય છે. ગ્રેડ મળે કે ન મળે સેનેટની સીટ અને આવકની 'અદ્રશ્ય રિસિપ્ટ' મળવી જોઈએ. નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક કાપી લીધું. બે ઉચ્ચ અને પહોંચેલા ભગવા રંગના તરફદાર નરપક્ષીઓએ વિદ્યાર્થીઓના ગૌરવનો ગારો કરી નાંખ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં આવેલા વિદ્યાર્થીને ખબર પડે કે એમની યુનિવર્સિટીની કક્ષા ગગડી ગઈ છે તો? વિચારના આકાર અને વ્યવહારની આકૃતિ બંને ફરી જાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે બળદે શિંગળા ભરાવ્યા અને ગ્રેડનું પરિણામ ગાય ખાય ગઈ. હવે જે સ્ટાફ કે પ્રોફેશર ખરા દિલથી ભણાવે છે એને કોઈએ પૂછ્યું કેમ નહીં કે, શું ફીલિંગ્સ આવે છે.


વિવાદોની વિદ્યાપીઠ બની રહેલી સંસ્થાઓમાં પોલિટિકસ ભણાવવા કરતા એનું પ્રેક્ટિકલ વધારે થાય છે. એ પણ એક ભગવા રંગ તરફી. હજું પણ કેટલાક પદાધિકારીઓ પોતાના કેલેન્ડરમાં એ ગ્રેડનું પ્રેઝન્ટેશન કરે છે. પણ પરીક્ષામાં ચોરી, કેટલીક કૉલેજ પ્રત્યે પ્રેમાળ વર્તન, શ્રેષ્ઠતા પુરવાર કરવાની હોડ અને પીએચ.ડીની વિદ્યાર્થિની પાસે કરેલી તનતૃપ્તિ કરવાની માગ હલકાઈ સાબિત કરે છે. જેના કારણે એ ગ્રેડને કોરોના થઈ ગયો. આવી સ્થિતિ વચ્ચે ભાજપનો વિરોધ કરવો જાણે દેશનો વિરોધ કરવા બરોબર હોય એવી બ્રાંડ ઊભી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિ સુધી પ્રવાહ પહોંચ્યો ત્યાં સુધી શિક્ષણપતિ બની બેઠેલા અધિકારીઓએ શું નથી કર્યું એ વર્તાય છે. અધિકારના આધિપત્ય પર લીગલી વોમેટિંગ થઈ અને અહંકારની આરાધના નાપાસ થઈ ગઈ. હુંશાતુશી અને સામસામી ખો કરવા કરતા હવે સારા પ્રયાસોનું વાવેતર કરવું જોઈએ.

Saturday, February 15, 2020

અમેરિકી ઉત્પાદનોનું ભારતીય માર્કેટ, મોંઘવારીનું ચિત્ર એટલું ઝડપથી નહીં બદલે

અમેરિકી ઉત્પાદનોનું ભારતીય માર્કેટ, મોંઘવારીનું ચિત્ર એટલું ઝડપથી નહીં બદલે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જેને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે રસ્તાઓ, સર્કલ, સાઈન બોર્ડ અને ટ્રાફિક સિગ્નલ છેલ્લા ત્રણ વર્ષમાં વ્યવસ્થિત થયા ન હતા એ તમામની ત્રણ જ દિવસમાં કાયા પલટ થઈ છે. જ્યારે પણ કોઈ શહેરમાં વિદેશી મહેમાન આવે છે ત્યારે આ પ્રકારની આગસ્તાસ્વાગતા થાય એ સામાન્ય છે. જ્યારે જાપાનના રાષ્ટ્રપ્રમુખ શિંજોઆબે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે આવી જ તૈયારીઓ વસ્ત્રાપુર વિસ્તારની આસપાસના કેટલાક એરિયાની હતી. પરંતુ, જ્યારે પણ કોઈ વૈશ્વિક નેતા ભારતની મહેમાનગતી માણે છે ત્યારે સાંસ્કૃતિક વારસાના મુલ્યને એક સ્તર સુધી અંકિત કરવામાં આવે છે. જેની પાછળનો હેતું વ્યક્તિગત કરતા વ્યાપારીકરણનો વધારે હોય છે. નવા વર્ષમાં પ્રથમ વિદેશી મહેમાનની યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસ પર મહેમાન બન્યા. ત્યાર બાદ હવે મહાસત્તાના મોટા નેતા ભારતની મુલાકાતે આવવાના છે. આ સિવાય અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે જ્યારે ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીના પડધમ સંભાળાય છે. બંને પાસાઓ પર દૂરબીન જેવી દ્રષ્ટિ કરીએ તો આ એક રાજકીય એજન્ડા એમ કહેવામાં કંઈ ખોટું નથી. ભારત અને અમેરિકા વચ્ચે ભારતની ધરતી પર વ્યાપારી સંબંધોને મજબુત કરવાની પ્રાથમિકતા રહેશે.

       ભારતમાં ડેરી ઉદ્યોગ મોટો છે અને અમેરિકા પાસે ટેકનોલોજીની વખાર છે. એટલે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે અમેરિકાને એન્ટ્રી આપવામાં આવે એવા એંધાણ છે. ખિસ્સાની ખખડતી દુનિયામાં મોંઘવારીએ અવકાશી સ્પર્શ કર્યો છે. એવામાં જ્યારે આવો કોઈ મોટો પ્રસંગ ઘર આંગણે થાય ત્યારે વેપારીઓથી લઈને નોકરિયાત વર્ગ સુધી સૌ કોઈ સરકારી રાહતની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. અમેરિકા પાસેથી આમ તો ટેકનોલોજીને લઈને આશા છે પણ એ સિવાય પણ બ્લુબેરી અને ચેરી જેવા ફળ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી થાય તો દરેકને એનો સ્વાદ ચાખવા મળી શકે છે. ભારતમાં પણ આ ફળ પાકે છે પણ વાત અહીં ગુણવત્તાની છે. બીજી તરફ ડેરીના કેટલાક ઉત્પાદનોમાં પણ અમેરિકાને પ્રવેશ મળે એવી આશા છે પણ અહીં એમનો ભાગ સમિત હશે. ભારત દુનિયાનો બીજા ક્રમનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. પોલ્ટ્રી ફાર્મ પર આશરે આઠ કરોડ જેટલા દેસવાસીઓની આજીવિકા ચાલે છે. વડાપ્રધાનનો પ્રાથમિક હેતું અમેરિકા સાથે વ્યાપારી સંબંધો મજબુત કરવાનો છે. ખાસ કરીને ભારતીય ઉત્પાદનો પર થતા ચાર્જિસ પર રાહત મળે તો સ્થાનિક કક્ષા સુધીના લાભ મળે એમ છે. જ્યારે અમેરિકી મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ પર ભારતે પ્રતિબંધ જાહેર કર્યો હતો ત્યારે ટ્રમ્પે પણ વર્ષ 1970થી યથાવત રહેલા વિશેષ વ્યાપારી દરજ્જામાંથી ભારતને દૂર કરી દીધુ હતું. બંને તરફની સ્ટ્રોફ ઈફેક્ટને કારણે અસર બંને બાજું થઈ હતી. ટ્રમ્પની ભારતયાત્રાથી આવી કડવાહટ દૂર થાય એવી પૂરી શક્યતા છે.

ભારત સાથેના દ્વિપક્ષીય કારોબારમાં અમેરિકા બીજા ક્રમે છે. જ્યારે ચીન પ્રથમ ક્રમે છે. આ પાછળનું કારણ સસ્તા ભાવે મળી રહેતી ચાઈનીસ પ્રોડક્ટનું વિશાળ માર્કેટ કરોડો રડી આપે છે. ભારતની યાત્રા વખતે ટ્રમ્પ ભારતીય ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે અને અમેરિકાના રોકાણ માટે રેડકાર્પેટ પાથરશે. જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધન કર્યું હતું એમ ટ્ર્મ્પ વ્યાપારી સંગઠનને સંબોધી શકે છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં ચૂંટણી છે. એવામાં ફર્સ્ટ અમેરિકનની વિચારધારા ધરાવતા ટ્રમ્પ પાસે કોઈ ક્રિએટિવ તકની આસમાની આશા છે. વીજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે અમેરિકા મદદે આવએ એવું અત્યારે લાગતું નથી. કારણ કે, એક તરફ ભારતીય માર્કેટમાં આંશિક મંદીની અસર છે. પણ અમેરિકી આર્થિક સલાહકારે કહ્યું હતું કે, ગેસ અને ઓઈલની જરૂરિયાત અમેરિકા પૂરું કરી શકે છે. કરોડોના પ્રસંગમાં અબજોનો ફાયદો થાય એવા એજન્ડા તો ટ્રમ્પની મુલાકાત બાદ ખ્યાલ આવશે. ટ્રમ્પેને પણ આશા છે કે, ડીલ સારી થશે તો અમેરિકાને પણ ફાયદો થશે. જોકે, વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે, જાપાનના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે બુલેટ ટ્રેન આપી હતી. પણ આ ટ્રેન જાપાનમાં બંધ થઈ ચૂકી છે. એટલે કોઈ વેસ્ટનો રીયુઝ ભારતને સોંપી ન દેવાય એ ખાસ જોવાનું રહેશે. બીજી તરફ જ્યારે અમેરિકી વિઝા મેળવીને પરદેશની ધરતી પર સેટ થવાનું સપનું લાખો ગુજરાતીઓનું હોય છે. એવામાં અમેરિકા કેટલી હળવાશ વર્તે છે એ પણ મુદ્દો આ મુલાકાતને અસર કરે છે. આર્થિક દ્રષ્ટિએ ભારતના સ્વાવલંબનમં હજું દિલ્હી ખૂબ દૂર છે. કારણ કે, નાના પાયાની રોજગારીનું ચક્ર ગોકળગાયની જેમ ફરે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ આ પ્રસંગથી કોઈ રાહત વર્તાશે તો જરૂર ટ્રમ્પની ગુજરાત યાત્રા સૌને યાદગાર રહેશે.

Saturday, January 11, 2020

તેલથી લઈને ટ્રેન સુધી સર્વત્ર મોંધવારી

તેલથી લઈને ટ્રેન સુધી સર્વત્ર મોંધવારી

નવા વર્ષમાં ઈરાન અને અમેરિકાના ઘર્ષણે વૈશ્વિક માર્કેટની પથારી ફેરવી છે. બદલો લેવાની વૃતિએ અનેક શહેરની આર્થિક વ્યવસ્થાને લઈ ડૂબી છે. એક તરફ સરકાર બજેટ માટેની સલાહ માંગે છે. બીજી તરફ નવા વર્ષે રેલ ટિકિટના દર વધી ગયા છે. સરકારી સાહસને લઈને વાત કરતા નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે, રેલ તંત્ર ખોટમાં ચાલે છે. પણ સૌથી વધારે પગાર ભથ્થા કેન્દ્રના સાહસના જ છે. આ ભથ્થાની ચૂકવણી પર થોડી બ્રેક મારીને એકમનો વિકાસ કરી શકાય છે. ડુંગળી, લસણ, દૂધ, મોબાઈલ બાદ ટ્રેનના ભાવમાં ખિસ્સું ફાટી જાય એવો વધારો થયો છતાં રેલવે તંત્રના અધિકારીઓ ખોટમાં ચાલતી ગાડીના ગીત ગાય છે. અનપેક્ષિત ભાડા વધારો બજેટ પહેલા આવ્યો છે. એટલે હવે જ્યારે પણ રાહત આપવામાં આવશે ત્યારે શાસક પક્ષના રંગબદલતા નેતાઓ જશ ખાટશે કે, અમારા રાજમાં ટ્રેનના ભાડા ઘટ્યા. એક એંધાણ એ પણ બાંધી શકાય છે કે, રેલબજેટ અણધાર્યું આવવાનું છે. સરકારનું ભાડા વધારવાનું કારણ વ્યાજબી અને માની શકાય એવું હશે. પરંતુ, હવે સામાન્ય માણસના નજરીયાથી વિચારીએ. એક માણસ દિવસમાં એક વખત રોટલો અને ડુંગળી ખાયને સૂઈ જઈ શકે છે. દૂધ પીને નાસ્તાની અવેજીમાં ચલાવી શકે છે. હવે ડુંગળીના ભાવ ગગડશે એવી જાહેરાત બાદ પણ સ્થિતિ ભાવ વધારાના બેનર નીચે જશ ખાટવા જેવી છે.


   ગુજરાતમાં દૂધ પૂરું પાડતી જાણીતી અને માનીતી કંપની અમુલે ભાવ વધારો કર્યો ત્યારે સ્થાનિક દૂધવાળાઓએ પણ મનસ્વી રીતે પૈસા ચડાવી દીધા. જાણે પોતે હજારો લિટર દૂધ અમુલ કંપનીને આપતા હોય. એટલે બ્રાંડેડ દૂધ પીવો કે નજીકમાં રહેલી ડેરીનું ભાવ તો ડબલ જ દેવાના. સિંગતેલમાં આગ ઝરતી તેજી છે અને ફ્યુલના ભાવ ઈરાન-અમેરિકાના યુદ્ધે વધારી દીધા છે. એવામાં સામાન્ય માણસની સ્થિતિ આર્થિક રીતે મૃત અવસ્થા જેવી થઈ છે. બીજી તરફ મફતની આદત પાડીને સૌની ગમતી કંપની જીઓએ એકાએક ભાવ વધારી દીધા. જોકે, આ વખતે બીજી ખાનગી કંપનીઓએ ઓફર્સ અને રિચાર્જ રેટમાં વધારો કરતા મફત વાત કરતા લોકોને કબજિયાત જેટલું જોર પડવાનું છે. કોઈ એક ચીજમાં ભાવ વધારો થાય ત્યારે બીજી ઘણી બધી વસ્તુને  અસર થતી હોય છે. વિચાર જો કે, જ્યારે ડીઝલના ભાવ ઘટે છે ત્યારે દૂધના ભાવમાં ઘટાડો થાય છે ખરા? જવાબ છે. ના. ભારત દેશમાં જે સ્પીડથી ભાવ વધે છે એ ગતિએ ભાવ નીચે ઊતરતા નથી. એવામાં સરકાર વિકાસની પીપુડી વગાડીને સામાન્ય વ્યક્તિની પડખે ચડવા થનગને છે. દેશના આર્થિક ક્ષેત્રે આટલી ખતરનાક મોંઘવારી અગાઉ કોઈ સરકારમાં જોવા મળી નથી. બીજી તરફ દેશની મોદી સરકાર એમના એમના કર્મચારીઓની વિરોધી હોવાનું સાબિત થઈ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કોઈ કર્મચારી સરકાર સામે રાજીપો વ્યક્ત કરતા નથી. સિવાય કે ‘વહીવટ’દારો.


એક તરફ મોબાઈલનો ડેટા મોંધો બીજી તરફ રેલવે મુસાફરીએ બજેટની દઈ નાંખી. આ વખતે મોંઘવારીની ભીંસ એ હદે વધી કે ક્યાં ફરવા જવું પોસાય એમ નથી અને મીઠાઈ ખવડાવી પરવડે એમ નથી. આર્થિક મંદી અને બેરોજગારીના બોંબે અનેક વર્ગને છાંટા ઉડાળ્યા છે. આમા ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે એવું છે. હવે સરકાર ગ્રાહકોની ખરીદશક્તિ વધે એ માટે ધમપછાડા કરી રહી છે. પણ ખિસ્સામાં હશે તો દુકાન સુધી જવાશે ને? નવા વર્ષે મોંધવારીનું વિષચક્ર અનેક વર્ગના અંદાજપત્રનો અંદાજ ખોરવી પડે એમ છે. એક બાજું હજું નવજાત શિશુ ખરી પડે છે બીજી તરફ ખીલેલા વર્ગો એકાએક કરમાય જાય એવી સ્થિતિ છે.

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...