Tuesday, July 23, 2024

ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

 ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

     સામાન્ય રીતે કોઈ મહાનગરમાં જ્યારે બહુમાળી ઈમારતનો નજારો આંખમાંથી પસાર થાય છે ત્યારે એની જોરશોરથી વાત થાય છે. મુંબઈ જેવા સિટીમાં તો કોર્પોરેટ ઓફિસ પણ એટલી ઊંચાઈએ હોય કે, જે તે વિસ્તારના મોટાભાગના આકાશી દ્રષ્યના દર્શન એ ઈમારતમાંથી થાય. ઊંચાઈ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે. એ પછી ઈમારતની ઊંચાઈ હોય કે વિચારોની. માણસમાં તો ઊંડાઈ હોવી જોઈએ એવું અનેક સુવાક્યોમાં લખાઈ ચૂક્યું છે. કોર્પોરેટ ઓફિસ હોય કે મલ્ટિલેવલના મોલ, અંદર કેવું અને શું હશે એ કાયમી ધોરણે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ મુદ્દાની વેલિડિટી જ્યાં સુધી તે સંપૂર્ણ પણે કાર્યરત ન થાય ત્યાં સુધી જ રહે છે. એકવખત શરૂ થઈ ગયા બાદ બધાને બધી જ ખબર હોય છે. અંદર શું થાય છે અને શું નથી થતું એ. શિક્ષણ વ્યવસ્થામાં નીટની પરીક્ષાએ જે શિક્ષણ વિભાગની ઊંચાઈને શરમાવી એ મામલો છેક સુપ્રીમ સુધી પહોંચ્યો. સિસ્ટમમાં જ બેઠેલા ચેરલવર્સ (ખુરશીપ્રેમી)ની ટુકડી ફાવી તો ગઈ પણ દેશ આખામાં પડઘા પડ્યા. 

     આપણા રાજ્ય ગુજરાતના તમામ જિલ્લાની શાળાની ઈમારતની ઊંચાઈ 9 મીટરથી વધારે હશે તો ફાયર NOC ફરજિયાત રજૂ કરવું પડશે. એકથી વધારે ફ્લોર હશે એવા શૈક્ષણિક સંકુલ માટે પણ ફાયર વિભાગ તરફથી મળતું પ્રમાણપત્ર અનિવાર્ય બનાવતો વિભાગે આદેશ આપ્યો છે. આ આદેશના પગલે જે તે જિલ્લાઓમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટિના ફરજિયાતપણા પર વિશેષતમ ભાર મૂકાઈ રહ્યો છે. એમાં કંઈ ખોટું નથી. એમ તો ફિલ્મો હોય કે ફેમિલી એવા તો કેટલાય નથી મળતા જેની ઊંચાઈ હોય પણ વાતમાં કંઈ હાજુ ન હોય? જોકે, આ ફરજિયાત શબ્દ જેટલો ગંભીર છે એટલી ગંભીરતાથી લેવાતો નથી. વગદારો માટે એ કાગળ ઉપર ને મધ્યમવર્ગ માટે જ તે અમલમાં હોય છે. એટલે આ ચોક્કસ વર્ગ પૂરતું નથી. જેટલી પણ કંપનીઓમાં આઈડી કાર્ડ ન હોવા પર સજા કે દંડનો નિયમ છે એના કેટલા માલિકોને આપણે આઈડીકાર્ડમાં જોયા છે? વિદેશનું અનુકરણ કરવામાં પાવરધા લોકોએ આ વિષય પર અનુકરણ કરવું જ જોઈએ. કંઈ ખોટું નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાવ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારનું તપ કરવું પડે. પુરૂષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. પછી પ્રમાણપત્ર મળે. પાપ વગરની કમાણી જ ટકતી હોય છે એમ તપથી મળેલું જ ટકતું હોય છે. હવે વાત જ્યાં પ્રમાણપત્રની આવે છે ત્યાં ડખો છે. કારણ કે, ચોમાસામાં જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ ફૂટી નીકળેલા વિશ્વવિદ્યાલયો (ભલેને પછી વિશ્વ લેવલનું કંઈ ન ભણાવાતું હોય) જોઈએ એ ડિગ્રી આપે છે. 

      આ વર્ષનો ઉનાળો પણ ગજબ રહ્યો એને પણ ડિગ્રીમાં ભુક્કા કાઢી નાખ્યા. હવે ખબર નહીં ઉનાળાને ક્યાં એવી ડિગ્રી રજૂ કરવાની જરૂર પડી હશે. ડિગ્રી એને વધારી અને શેકાઈ આપણે બધા ગયા. આવું જ થાય છે. કરી કોક જાય છે અને વાહાં (પીઠ) આપણા કાબરા થઈ જાય છે. હાઈક્વોલિટી (ગુણવત્તાની ઊંચાઈવાળું) દૂધ લેવા જઈએ તો આપણે પણ એના માપદંડનું પ્રમાણપત્ર ન માગવું જોઈએ? ઊંચાઈ તો યુનિવર્સલ હોય. પણ લાગુ થતા આદેશનો પ્રદેશ જ મર્યાદિત હોય છે. એમ તો ચૂંટણી વખતે સ્ટાફની ઘટને ઘ્યાને લઈને કેટલાક લોકોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ હોય છે. પરંતુ, અમુક અધિકારીઓને તો આદેશ લાગુ ન પડે પણ રાતોરાત બીમારી યુદ્ધના ધોરણે લાગુ પડી ગઈ હોય. એ સમયે પણ નામાંકિત હોસ્પિટલના પ્રમાણપત્ર તો ઝેરોક્ષ તૈયાર થાય એટલી સ્પીડથી તૈયાર થઈ જાય. એ માન્ય હશે કે નહીં એ તો મારો રામ જાણે.

         હશે અને જોઈશેની રાજરમત તો વર્ષોથી ચાલી આવે છે. હવે બગાસુ ખાતા પતાશું મળી જાય તો આગાહીકારો ને જ્યોતિષો હરખાય જાય કે, જોયું મેં કહ્યું હતું ને કે થશે એમ. ડોબેશચંદને એ ખબર ન હોય કે આ પતાશું છે. જરૂરી પ્રમાણપત્ર કઢાવવા માટે પણ લાંબાલચક કાગળીયાઓની એવી રીતે માગે જાણે આખી ટેસ્ટ સીરઝ પાસ કરી આપણે ગિનિસ બુકની સંસ્થામાંથી પ્રમાણપત્ર લેવાનું હોય. આંધળોપાડો રમવામાં કોઈ ચાલાકીથી છટકી જાય અને ફરાર થઈ જાય એમ વિજયભાઈ માલ્યા સાહેબ જ્યારે દેશ છોડીને ભાગ્યા એ સમયે એની પાસેથી આવેલા કાગળીયા પર કેમ ભરોસો આવી ગયો એ હજું ગૂગલવાળા પણ શોધે છે. વાત સાચી કે, ઊંચાઈ હોવી જોઈએ પણ સત્તાવાર અને ઓથેંટિકેટ હોવી જોઈએ. હવામાં કિલ્લા બાંધીને ખોટા પ્રમાણપત્ર પર ફાંકાફોજદારી એ ચીનથી મંગાવેલા માલ જેવી હોય છે. લાંબા સમય સુધી ટકતી નથી. ઊંચાઈ જરૂરી છે એક લેવલ સુધી પહોંચવા માટે પણ કેટલાય એવા હોય જેને અંધારાથી ડર ન લાગતો હોય એટલો પ્રમાણિક કર્મચારીથી ભય લાગતો હોય. કારણ કે, એ સમકક્ષ થઈ જાય તો ખુરશીમાં તિરાડ પડી જાય.   

      ઊંચાઈ વધારવી હોય તો સાચા, સારા અને સો ટકાના સત્યની સાથે ખુદની વધારવી. આવું સત્ય પાછું સંગઠીત થવું જોઈએ કોઈ સારા કામ માટે, બાકી એ પણ નક્કામું. એ સંગઠનમાં પાછો કોઈ મુખબીર હોય તો શિખર સુધી પહોંચેલું ડગલું પણ ભવનાથની તળેટી કરતા પણ નીચે આવીને ઊભું રહે. એટલે પ્રમાણપત્ર ધારીઓ પાછા એકતામાં હોય તો પરિવર્તન આવે. બાકી તો ફતવા જાહેર કરો. મોજ કરો તપાસના નામે ગોઠવણી કરો. 

Monday, July 01, 2024

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

  વડાપ્રધાન મોદીની છબી હેઠળ બે-બે ચૂંટણીના પરિણામમાં મજબૂત થયેલી ભાજપ પાર્ટી સામે રાજકીય પડકારો પણ મોટા

   છેલ્લા છ દાયકામાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર વ્યક્તિ એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ ખરેખર એક અસાધારણ કહી શકાય એવી રાજકીય ઘટના છે. લોકસભા ચૂંટણીમાં મેરેથોન પ્રચાર અને રેલી વચ્ચે જે માહોલ જોવા મળ્યો એમાં મોદી લહેર કરતા ગેરંટીની ચર્ચા વધારે હતી. એમાં બંધારણમાં ફેરફાર અને પ્રાંત-કોમ-ધર્મનો મુદ્દો એક ચોક્કસ વર્ગમાં અસર કરી ગયો. 4 જુને આવેલું પરિણામ વડાપ્રધાન મોદીજીના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી એક મોટો ફટકો માનવામાં આવે છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ વખતે જીતી ગયા કરતા બચી ગયા એવું ચિત્ર ઉપસ્યું છે. સતત બે વખત બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાવાર પક્ષ તરીકે ભાજપમાં અંદરોઅંદરની ખટાશ પણ તેલનું ટીપું પાણીની સપાટી પર આવે એમ ઉપર આવી. વર્ષ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત ચૂંટણી જીતીને જવાહરલાલ નેહરૂએ હેટ્રિક ફટકારી હતી. આવું જ મોદીજીએ કર્યું.

    ભલે ભાજપને બહુમતી ન મળી. સહકાર-સમર્થનની સરકાર બની. જે વર્ષ 2019માં 303 બેઠક પર કમળ ખીલ્યું હતું એમાં બેઠક એ જ રહી પણ પરિસ્થિતિ બદલી ગઈ. 240 પર બ્રેક લાગી ગઈ. જ્યારે કોંગ્રેસ સદી કરતા એક બેઠક ચૂકી ગઈ. બહુમતીમાં કુલ 32 બેઠક ઘટી. તેથી તેલુગુ દેશમ પાર્ટી અને જેડીયુ પર નિર્ભર થવાનો વખત આવ્યો. વિપક્ષની કુલ 234 બેઠક આવતા અણધાર્યું આશ્ચર્ય અનેક લોકોને થયું. વર્ષ 2014માં 44 અને 2019માં 52 બેઠક જીતનારી કોંગ્રેસ ફરી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ. એક લાંબા સમય બાદ કેન્દ્રીય સ્તર પર ગઠબંધનની રાજનીતિ જોવા મળી છે. ગજગ્રાહ વચ્ચે જનતાએ પોતાનો નિર્ણય તો આપી દીધો, પરંતુ કેન્દ્રમાં હવે સમતોલન જાળવવું અનિવાર્ય છે. પરિણામના ચોક્કસ સમય બાદ સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સેવક તરીકેની વ્યાખ્યા સ્પષ્ટ શબ્દોમાં સમજાવી. એમનું સમગ્ર સંબોધન તો ખૂબ જ લાંબુ છે. જેમાં તેમણે મણીપુર હિંસા અને અહંકારની ટિપ્પણી કરતા રાજકીય ચહલપહલ એકાએક તેજ થઈ ગઈ. સંસદમાં વિપક્ષને કાયમી વિરોધી ગણીને યુદ્ધ જેવો માહોલ ન ઊભો કરવો જોઈએ. એમનું આ વાક્ય ઘણી રીતે સૂચક અને વિચારસર્જક છે.

     સંઘ સુપ્રીમોએ તો ત્યાં સુધી કહ્યું કે, કોઈ પણ પક્ષે સમાજમાં કોઈ વર્ગવિગ્રહ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ફાવે એમ નહીં મનફાવે એમ બોલાયું છે. બફાટ પાર વિનાનો થયો છે. રાજકીય સ્પર્ધા હોઈ શકે પણ સતત અને સખત જુથબંધી નહીં. વિપક્ષ ભલે મજબૂત હોય પણ હવે વડાપ્રધાન શ્રીએ ધ્યાન ઘણું રાખવું પડશે. કર્મબળે મળેલી સત્તા સામે કપાતર ગાલીચરણો તો રહેવાના. પણ જરૂરી છે કંટ્રોલ. પક્ષના આગેવાનો પોતાના દમ પર ડાયનામાઈક જેવો પાવરફૂલ વિશ્વાસ વ્યક્ત કરતા હતા પણ બહુમતીના અભાવે એમનામાં ફરી ખાલીપો પૂરી દીધો. NDAનો આખો અર્થ સમજાવતા મોદીજીએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા અને એસ્પાઈરિંગ ઈન્ડિયા. ટાઈમિંગના દ્રષ્ટિકોણથી જોઈએ તો સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ પણ એવા સમય આવ્યું જ્યારે પરિણામ અને ખાતાઓની જવાબદારી નવી સરકારમાં જે તે નેતાઓને સોંપાઈ ચૂકી હતી. સંઘના મુદ્દે એ વાત પણ સમજવી ને સ્વીકારવી પડે કે, સિસ્ટમ સેટ કરવામાં સંઘ ક્યાંય કોઈની પણ સામે વિધ્ન ઊભું કરવા માગતું ન હતું.  બીજી એક ઘટનાએ પણ ઘટી કે, જ્યારે શપથવિધિ ચાલતી હતી એ સમયે કાશ્મીરમાં ફરી ફાયરિંગથી ફફડાટ ફેલાયો. યાદ રહે કે, આ વખતે કાશ્મીરમાં નોંધપાત્ર મતદાન થયું છે. ભાજપ મહત્ત્વની બે જગ્યાઓ પર મજબૂત થયો છે. 

          સૈન્યની વારંવાર ચોખવટ એ જ રહી છે કે, લોકલ ઈનપુટ વગર એ શક્ય ન બને. એટલે એક વાત એ પણ સપાટી પર આવી કે, નસનસમાં નેગેટીવિટીનું ખુન્નસ ભરીને બેઠેલા પાડોશી પાકિસ્તાન પ્રત્યે અમુક લોકોને પૈસા કે નશાલક્ષી પ્રેમ છે ખરા. પ્રચાર હોય કે પ્રોજેક્ટ, કાશ્મીરના કણમાં કોઈ તો એવું છે જ જેને વિકાસ કણાની આંખમાં જેમ ખટકે છે. નશો અને પૈસાની લાલચ દેશ તોડે છે એ પણ યાદ રાખવું જોઈએ. 9 જુનના રોજે જે રીતે શપથવિધિ પૂરી થઈ એમાં ભાજપના નેતાઓ પાસે મહત્ત્વની જવાબદારી આવી છે. પ્રદેશ અધ્યક્ષ નડ્ડાને મંત્રીમંડળ મળ્યું છે, સારી વાત છે. પણ જરૂરી હવે સંયમ અને મર્યાદા છે. ભાજપના ચહેરા અને જાણીતા નેતાઓ પાસે અતિ મહત્ત્વના પોર્ટફોલિયો છે. જે થયું એમાં પોસ્ટમોર્ટમ કરવા જેવું નથી. જે થવાનું છે એમાં એલર્ટનેસ સાથે અવેરનેસથી પગલું ભરવાનું છે. ભાજપના નેતાઓનો આસમાની અહંકાર કોઈ અસાધારણ જીત સુધી પહોંચ્યો નથી એ હકીકત છે. પથ્થર તો રામના નામે પણ તરવાના એની જેમ માત્ર મોદીજીના બેનર નીચે જે તે આયાતી ઉમેદવારોએ કરેલી લોકઅપીલ ન ચાલે એવું પ્રજાએ શાનમાં સમજાવી દીધું. હવે સૌને સાથે રાખીને ડગ ભરવાની સ્થિતિ છે. કોઈ પણ સમાજ માટે એની પ્રાથમિક જરૂરીયાત ગુણવત્તા સાથે પૂરી થાય એ પાયાની શરત છે. આ દિશામાં ચૂંટાઈ આવેલા નેતાઓ કામ કરે તો મોદીજીની કાર્યશૈલીનું ખરેખર સાતત્ય જળવાશે.

       ભાજપના નેતા કોઈ ચૂંટણી પ્રચારમાં ભલે મોંઘવારી કે બેરોગારીના દયાજનક આંક સામે વિકાસના કરોડોના પ્રોજેક્ટ ધરી દે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, વિપક્ષે આ બન્ને મુદ્દા પર લોકોની નસ પારખી નહીં પકડી લીધી. એવામાં બંધારણનો મુદ્દો, અનામતનો મુદ્દો, ધર્મની કેડી જેવી અનેક બાબતોમાં ખાતરી ક્યાંક ખોટી ઠરી. ચૂંટણી પહેલા ફ્યૂલ ચાર્જના ઘટતા ભાવ અને પરિણામ બાદ જીવનજરૂરી વસ્તુઓમાં એ જ કમરતોડ ભાવ વધારો સરકાર સામે સવાલ ઊભા કરે છે. આ મુદ્દે ભલે કોઈ તરત તિખારા ન ઝર્યા હોય પણ વોટ દઈને ખોટું કર્યું કે અફોસસ એવી વાત તો છે જ. મુસ્લિમ અને મંગળસુત્રનો મુદ્દો એટલો પડઘાયો કે, ખરેખર લોકોએ પ્રચારની ચરમસીમાનો દાખલો જોયો. હવે લોકહિતના મુદ્દા સાથે પરિણામલક્ષી કામ થવું જોઈએ. જે માટે વડાપ્રધાન શ્રી નવી ટીમને કોઈ ટાર્ગેટ બેઈઝ વસ્તુ સોંપે તો નક્કર નવીનીકરણ થાય. બાકી કરોડોના પ્રોજેક્ટ અને કાચામાંથી પાક્કા રોડ તો સરકાર બનાવતી જ હતી. ગ્રામીણ, પંચાયત અને જિલ્લા-પાલિકાની ચૂંટણી હવે પછીના સમયમાં છે. ભાજપે સ્થાનિકોની ફરિયાદ સાંભળીને સિસ્ટમમાં નખ ભરાવવા કરતા સિસ્ટમેટિક કામગીરી કરવી પડશે. રાજનેતા-અધિકારીઓ વચ્ચેની લડાઈમાં કામ ક્યારે કચરો બની જાય છે એ શૈલીનું આખું ફોર્મેટ બદલવું પડે. ઓડિશામાં વગર ચિંતાએ આંટાફેરા વધે તો નવાઈ નથી. આ વખતે ઓડિશામાં પણ ડબલ એન્જિન સરકાર બની છે. 

      આંધ્ર પ્રદેશમાં બેઠક વધી પણ ટીડીપીનું વર્ચસ્વ એ જ પાવર સાથે વધારે 'પાવરફૂલ' થયું. ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગઢ તો બચી ગયો. ખરેખર તો હવે સૌનો સાથ અને સૌનો વિકાસ એ સુત્ર સાર્થક કરવાની તક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી એવું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકારની 'પોલીસી' કે નીતિની એક આખી વ્યવસ્થા હતી. વિધ્નો લીગલ કરતા વૈચારિક વધારે હતા. જે હવે નથી. સંઘ અને ભાજપ વચ્ચેના સંબંઘોમાં વિરોધાભાસ દેખાયો. પણ જે રીતે સંઘના સજેશન અને માનવહિત મિશનને ફગાવાયા છે એ ખોટું છે. ન થવું જોઈએ. ડેમેજ કંટ્રોલ કરતા હવે કંટ્રોલમાં જ મજા છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. 

    આ પાછળનું કારણ પણ સમજવા જેવું છે. નીતીશ કુમાર રાજનીતિના અનુભવી અને ખેલાડી કહી શકાય એવા વ્યક્તિ છે. જે સમય આવ્યે ગમે તે બાજું ઢળી જાય એમ છે. બિહારમાં લોકસભાની આ વખતેની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે, નીતીશ સબ હૈ. રાજકારણમાં જે છે એ ન હોવું એવો અર્થ સામાન્ય રીતે કાઢવામાં આવે છે. જેમ કે, મનમોહનસિંહે પીએમ તરીકે જાણીતા નેતાઓ સામે પદનો ઈન્કાર કર્યો હતો. પછીથી તો પીએમ તરીકે એ જ આવ્યા એ દુનિયા આખી જાણે છે. બીજી તરફ પાણી અને પ્રોજેક્ટ વિશેષ રાજ્યને લઈ ચંદ્રબાબુ નાઈડુ ઘણા ક્લિયર છે. અમરાવતીને એક વ્યવસ્થિત ટાઉન તરીકે સ્થાપીને તે નેતાગીરીમાં પર્સન ઓફ રાજનીતિ યુગ થવા માગે છે. હવે આ સ્થિતિ એવી છે કે, પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવું નથી. આંધ્ર પ્રદેશની પ્રજાએ પણ એ જ સમજીને વોટ આપ્યા હશે કે, આ ભાઈ આપણું, આપણા શહેરનું ભલું કરશે. વસ્તુ પણ ખોટી નથી. પણ મોદીજીના હવેના પછીના નિર્ણય પણ સૌની નજર છે. સમીકરણ જે પણ હોય દેશ વિકાસનું પ્રાધાન્ય ખોટું નથી. બીજી તરફ વ્યક્તિના ખિસ્સા એકસામટા જ કપાય જાય એવો ભાવ વધારો અને મનસ્વી નિર્ણય પણ અસ્વીકાર્ય તો છે જ. પ્રજા પણ મનોમન કહેતી જ હશે કે, કિતને ભી તું કરલે સિતમ...હસ હસ કે સહેંગે હમ. કારણ કે, પ્રાથમિક વસ્તુઓ સામે બીજો કોઈ ઓપ્શન જ નથી. મીડલક્લાસ અને નોકરિયાત વર્ગ પાસે બીજી બચત કે આવકના સોર્સ માટેની સ્પેસ જ નથી. કમને કહેવું પડે કે, દેશનો દરેક વ્યક્તિ ભલે ધાર્મિક હોય પણ નૈતિક છે કે નહીં ત્યાં પ્રશ્નાર્થ છે. 

       સંઘ અને ભાજપ વચ્ચે વૈચારિક મતભેદ દૂર થાય તો સારી વાત છે. મજાનું કામ થઈ શકે. આગળના દિવસની કલ્પના કરતા જાને ક્યા હોગા રામા રે...ગીત જેવી સ્થિતિ છે. ધ્યાન હવે ગઠબંધનની અંદર શું, કેમ, કેવી રીતે અને શા માટે ચાલી રહ્યું છે એનું પણ ધ્યાન રાખવાનું છે. દેશવાસીઓએ એક એવો પણ સમય જોયો જેમાં કોઈ જ રાજકીય વિરોધ કે હસ્તક્ષેપ ન હતો. બિલ હોય કે નિર્ણય યુદ્ધના ધોરણે લાગુ થઈ જતા કે પાસ થઈ જતા. આર્થિક અને વિકાસના પાયા પર સહમતી હવે અનિવાર્ય થઈ રહેશે. ભાજપના નેતાઓ પાસે મહત્ત્વના ખાતા છે એ દરેક એનડીએના પક્ષ જાણે છે. મોદીજી પાસે રાજકીય અનુભવ પાક્કો અને મોટો છે. આ ઉપરાંત નીતીશ કુમાર બિહારને એક વિશેષ રાજ્ય તરીકે ગણવા માગ ઊઠાવી રહ્યા છે. જ્યારે ટીડીપીના જ કદાવર નેતા સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અનામતની ટકાવારીની વાત કહી ચૂક્યા છે. ખેર, ચૂંટણી મુદ્દાઓ અનેક છે જેમાં બેલેન્સ કરવાનો હાલ સમય છે. હવે શરૂઆત કેવી અને કોની થાય એ તો મારો રામ જાણે. પણ હવે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર પક્ષની મજબૂતી પ્રાધાન્ય હોય તો કંઈ ખોટું નથી. 

વૈશ્વિક સ્તરે મોદીજીની છબી હજું પણ યથાવત

ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં જી7 દેશના વડાઓની બેઠકમાં હાજરી આપી હતી. ઈટાલીના અપુલિયામાં આયોજીત વૈશ્વિક બેઠકમાં ઝેલેન્સકીથી લઈ ઋષિ સુનક સુધીના વડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, પોપ ફ્રાંસિસ પહેલી વખત આ બેઠકમાં સામેલ થયા છે. પોપનું ખ્રિસ્તી સમુદાયમાં એક મોટું માન છે. આ બેઠકના પહેલા જ દિવસે મોદીજીએ ટેકનોલોજીની જે તે દેશની એક મોનોપોલી ખતમ કરવાની વાત કહી હતી. ટેકનોલોજીને સંહારક કરતા સર્જકતાનું માધ્યમ બનાવવાની વાત કરી હતી. દુનિયાના કોઈ પણ દેશ જ્યારે કોઈ એકમંચ પર ભેગા થાય છે ત્યારે જે તે વડા મોદીજીની એક સકારાત્મક પર્સન તરીકે નોંધ લેવાનું ભૂલતા નથી.

Tuesday, June 04, 2024

યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ

 યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ 

      લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનની બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ઝિટ પોલ સામે ગણતરી ઊંધી વળી ગઈ એવું ચિત્ર જોવા મળ્યું છે. ગુજરાતમાં મજબૂત મનાતા ભાજપને એ અહેસાસ તો થઈ ગયો કે, આ વખતે ખરેખર બચી ગયા. ચારથી પાંચ બેઠક પર મતગણના શરૂ થતા જે વિપક્ષના ઉમેદવારોના જંગી આકડાં સામે આવ્યા એમાં થોડો આત્મવિશ્વાસ વિજયને રહ્યો હતો. આ જીતના ઝંડાના પાયામાં મજબૂતી ખખડી ગઈ હતી. આ પણ વાસ્તવિકતા છે. ગુજરાતમાં ભાજપની ઘટી રહેલી વિશ્વસનીયતા ભાજપના નેતાઓ માટે ચિંતાનો વિષય તો છે જ. આ સાથે 300 સુધી પહોંચતા ખરેખર પક્ષ અને ઉમેદવારોને પરસેવો આવી ગયો આ પણ કમને સ્વીકારવું તો પડે જ. એક્ઝિટ પોલમાં ગળું ખેંચી ખેંચીને બોલતા એન્કર કહી રહ્યા હતા કે, ઈન્ડિયા ગઠબંધનને 100 બેઠક પણ નહીં મળે. જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીથી સંજીવની મળી ગઈ છે. 


અનઅપેક્ષિત યુપી

       ઉત્તર પ્રદેશમાં પલટાયેલું પાસું છેક દિલ્હીમાં પડઘા પાડી ગયું. મીડિયામાં પણ આશ્ચર્ય અને ઉમેદવારોમાં પણ ચોંકાવનારૂ પરિણામ. ગુજરાતમાં ભાજપને ધારેલી લીડ ન મળી એ પાછળ કાર્યકર્તાઓની નારાજગી અને અસરકારક આગેવાનોને ન મળેલી ટિકિટ માની શકાય છે. પક્ષ પલટો કરનારા તરફ કોઈ પણ પક્ષ થોડા સમય માટે શંકાના ચશ્મામાંથી એને જુવે છે. આ કામની વેલિટિડી ખૂબ ઓછી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપ રહેલા કોંગ્રેસી નેતાઓ માટે કહે છે કે, પક્ષ પલટો કરનારા માટે આ પરિણામ છે એવું ધીમા અવાજે કહી રહ્યા છે. જે અવાજ પબ્લિકે મોટો કરી દીધો. મતદાનનો દિવસ યાદ કરીએ તો ટકાવારીના આધારે મતદાન પણ ઓછું થયું હતું. મોટા કહેવાતા નેતાઓ અને જાણીતા ચહેરાઓના મતવિસ્તારમાં મતદાનની ટકાવારી સૂચક હતી. એ સમયે ગરમીનું થર્મોમીટર આગળ ધરીને કેટલાકે સંતોષ માની લીધો. આનો અર્થ ડાયરેક્ટ પક્ષમાં ન રહેલા પણ પરોક્ષ રીતે ભાજપમાં રહેલા 'સિનિયર્સ' અમુક અંશે તો સમજી ગયા હતા.

છબી સામે સવાલ ન હતો  

    બીજો ખેલ પડ્યો ઉત્તર પ્રદેશમાં. જેટલી ભીડ સભા અને રેલીમાં જોવા મળતી હતી. એનાથી અનેકગણી રીતે અંદરખાને શાંતિ ધારણ થઈ ગઈ હતી. ચોક્કસ વર્ગ અને સ્થાનિક પક્ષોના માનીતા વોટર્સ બીજે શિફ્ટ થયા. જેની અસર આ રીઝલ્ટ સુધી જોવા મળી. સ્થાનિકોના પ્રકાશિત અહેવાલ અનુસાર અહીં મોંઘવારી, બેરોજગારી, યુવા મતદારોમાં અંદરખાને મોટી નારાજગી, રદ્દ થતી પરીક્ષાઓ, શિક્ષકોના પ્રશ્નો એવા અનેક કારણો અસર કરી ગયા. વડાપ્રધાનની છબી સામે એક સવાલ ન હતો પણ સાંસદ તરીકે ઊભા રહેલા ચહેરાઓને જે તે પ્રાંતની મૂળ સમસ્યા પણ ખબર ન હતી. જોકે, આ મુદ્દો તો ગુજરાતમાં પણ એટલો જ લાગું પડે છે. ભલું થયું કે, ભાજપને ફરી વિજયતિલક લોકોએ કર્યું. કોઈ જ્ઞાતિ કે વર્ગના પ્રભાવને ઓછો ન આંકી શકાય. ભલે બીજા પ્રાંતમાં એનો વિરોધ ઠારવા પ્રયાસ થયા હોય પણ અસર તો થાય. જે રીતે આગ લાગે ને પાડોશીને પહેલા ધૂમાડો લાગે એવી આ વાત છે.  બાકી વટ છે ગેનીબેનનો. જે બન્ને પક્ષ માટે રીસર્ચનો વિષય છે. એક ગુજરાતની નારી આખા રાજકારણ પણ ભારી એવું સ્પષ્ટ લખવું પડે.  હવે પછી ભાજપ જે પગલાં ભરે અને આત્મચિંતન બાદ જે નક્શીકામ કરશે એ ખૂબ જ તકેદારી કરતા ગણતરી પૂર્વકનું વધુ રહેશે. 


Image Source_Indiatv News Channel

ભાવની વધઘટ બધા જાણે છે

       સારી વાત છે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં મામલો સ્પષ્ટ જીતનો રહ્યો છે. દિલ્હીમાં ભલે સરકાર કેજરીવાલે ચલાવી હોય પણ મોદીજીના સમર્થકો ઘણા છે. આ વાત આ પહેલાની 2019ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. યુપી, પ.બંગાળ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં આઘાત લાગે એવું પરિણામ છે. મોટાભાગની રેલી અને સભામાં વડાપ્રધાનની વાતને આગળ ધરી વિકાસના વડાને પબ્લિકને જે સ્વાદમાં ભાવે એ રીતે પીરસવામાં આવ્યા. હકીકતમાં લોકોને શું ભાવે છે એ પરિણામમાં દેખાયું. વિપક્ષનો બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ગેરંટી સાથે અસર કરી ગયો.  અગ્નીવીર યોજના અને ખેડૂતોને ન મળતા ભાવ ભલે સ્પષ્ટ રીતે સપાટી પર ન આવ્યા પણ ઈવીએમમાં જનાક્રોશ કેદ થયો હતો. પેટ્રોલ ડીઝલ જેવી જીવનજરૂરી ચીજ-વસ્તુમાં ઘટેલા ભાવથી લોકોને એ તો ખબર પડી ગઈ હતી કે, ચૂંટણી આવી રહી છે. પરિણામના એક દિવસ પહેલા વધેલા દૂધ અને ટોલટેક્સના ભાવથી પ્રજાને એ પણ આઈડિયા આવી ગયો કે, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. લોકોને માત્ર ઈમોશનલ ક્નેક્ટ કરવાથી કદાચ બચી શકાય પણ આત્મચિંતન કરવું જ હોય તો પીડિત કોણ એનું રીસર્ચ કરવામાં આવે તો કંઈક નવી દિશમાં મોટું કામ થઈ શકે. બાકી પરિણામ રોચક છે એ તો સૌ સ્વીકારે છે.

Tuesday, February 13, 2024

ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

 ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

     રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પાસે પ્લાન હતો પણ અમલવારીનું ચિત્ર સ્પષ્ટ ન હતું. એરફોર્સમાં મોટા અધિકારીના પદ પર બઠેલા બીએસ ધનૌઆ અને આર્મી ચીફ વિપિન રાવત પાસે પણ અનુભવના નીચોડમાંથી ઘડાયેલી અને મજબૂત વૉર સ્ટ્રેટજી હતી. રીસર્ચની પહેલું પગથિયું ઈનપુટ હતા. રજૌરીથી લઈને રાવલકોટ સુધી, આ તરફ શિગર (લદ્દાખમાં આવેલો ભારતીય સીમા તરફનો અંતિમ પહાડી વિસ્તાર)થી લઈ શ્રીનગર સુધી દરેક મુવમેન્ટમાં એ ધ્યાન રાખવાનું હતું કે, પાડોશી દેશે રાક્ષસી ઈરાદા સાથે પચાવી પાડેલા આપણા જ એક પ્રદેશમાં કોઈને ગંધ ન આવી જાય. કોર્ડિનેટ તો મળી રહેવાના હતા પણ માણસ તો શું ત્રાસવાદી વિસ્તારની માંખી પણ બચવી ન જોઈએ એવું જામી ગયેલી સિમેન્ટ જેવું મજબૂત પ્લાનિંગ હતું. અલર્ટ, પેટ્રોલિંગ અને ઈનપુટની હેકટીક વચ્ચે મિશન પાર પાડવું એક પડકાર હતો.    

  


       આઈબી અને રૉના ફોન રણકવાના શરૂ થઈ ચૂક્યા હતા. કોડવર્ડની ભાષાઓમાંથી એ વાત ફિક્સ થઈ ગઈ હતી કે, પચાવી પાડેલા પ્રદેશમાં તાલિબાની વિચારધારા ધરાવતા આકાઓ મૌજુદ છે. આમ તો કોઈ પણ સળીચાળાનો જડબાતોડ જવાબ દેવામાં જવાનને માત્ર ઈશારાઓની જરૂર હોય છે. દાંત ખાટા કરી નાખે એવો ઠોસ અને થોબડા પણ ધડથી અલગ હોય એવી રીતે એના પર તૂટી પડવામાં આવે છે. પણ દરેક દેશવાસીના આંખમાં પાણી લાવી દે આવી ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કરીને જવાબ દેવો ઉતાવળ સમાન હતું. કદાચ પિત્તળભેજાના ફટ્ટુઓ પણ એ જ ઈચ્છા હતા કે, એક્શનનું ઘડીના છઠ્ઠા ભાગમાં રીએક્શન આવે. પણ જ્યાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા જવાનની વાત આવે ત્યાં જવાન દેશ માટે વધુ અગ્રતા ધરાવે છે. અતિ સંવેદનશીલ વૉરરૂમમાં સ્ટ્રેટજી તો ઘણી હતી પણ વિચારઘારા એક કેન્દ્રમાં અટકી હતી. જેમાં કેઝ્યુઅલ્ટી ઓછી થાય ને દુશ્મનનો ખાતમો વધું થાય. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર, કાશ્મીરની ભૌગોલિક સ્થિતિ, ત્યાંના કેટલાક બની બેઠેલા 'ભાઈ' પણ વિસ્ફોટક જેટલા સંવેદનશીલ હતા. પાણા (પથ્થર) મારીને પથારી ફેરવનારા પણ કેટલાક કાશ્મીરમાંથી પણ હતા જ. આ હકીકત કાશ્મીર પોલીસથી લઈને સ્થાનિક પોલિટિકલ લીડર સુધી સૌને ખબર હતી.  

      વાયુ સેનાના તત્કાલિન પ્રમુખ આર.કે. એસ ભદૌરિયા ઑપરેશન ડેટ ડિક્લેર કરી. પણ સૈન્યની ત્રણેય પાંખના આંગળીના વેઢે ગણી શકાય એટલા અધિકારીઓને જ આ તારીખ ખબર હતી. જે જવાનો ઑપરેશનમાં સામિલ થવાના હતા એમને એટલો તો અંદાજો હશે જ કે, વારંવાર છમકલા કરતા જૈશ અને મુજાઈદ્દિનના આકાઓના ડાચાને ડેથ પનિશમેન્ટ દેવાનો કાળ પાકી ગયો છે. પણ શું? ક્યાં? કેવી રીતે? અને કેમ? આ તમામ પ્રશ્નોની પાછળ જંગલ જેવું ગાઢ અંધારૂ હતું. ઑપરેશનનું નામ નક્કી હતું પણ લોકો સુધી ન પહોંચી એવી ચોક્કસ અને રાજસ્થાનના કિલ્લાઓ જેવી કિલ્લેબંધી હતી. દિવાલ વચ્ચે નહીં, દિલ અને દિમાગ વચ્ચે. ઝનૂન અને ઉગ્રતા વચ્ચે. સમય પણ નક્કી હતો. પણ સૌથી કપરો સમય રીર્ટનનો હતો. ખાલી થપ્પડ માર્યે ભાઈડા નથી. ભાગતા પણ આવડવું જોઈએ. જેથી ક્રુર માનસ ધરાવતા ઘાતકીઓથી બચી શકાય. માત્ર ત્રણ જ કલાકમાં તૈયાર થયેલી વૉર સ્ટ્રેટજી સોલીડ હતી. બસ વાર તો ટીમ તૈયાર કરવાની હતી. એ વાત પણ ધ્યાન રાખવાની હતી કે, જે જવાન ડ્યૂટી પર છે એને રીપ્લેસ કરવાના નથી.

        એર માર્શલ હરિ કુમારે આખા વૉરરૂમની સ્થિતિને આંખમાં કેદ કરી હતી. કારણ કે, સૌથી નજીકના સાક્ષી એ હતા. પાવર, પ્લાનિંગ અને પરિણામ સુધીની આખી પ્રોસેસના. ઑપરેશનના નામ પાછળ પણ એક સીધી લાઈનની સ્ટોરી એ હતી કે, ભારતીય સંસ્કૃતિમાં એ પ્રજાતિને એક વિશેષ સ્થાન મળેલું છે. મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવાનો હતો કે, ઝીણીં આંખ વાળા અને ચીબા નાકવાળા ચીને જે પ્રદેશ પચાવી પાડ્યો છે એની સાથે આ પાડોશીને પાછો વાટકી વ્યવહાર હતો. એટલે અડધી રાત્રે ઊઠીને એ ધુણે નહીં એ પણ ઘ્યાન રાખવું એટલું જરૂરી હતું જેટલું બિલાડીની સામેથી દૂધને સુરક્ષા આપવી. ચંદગામ હાઈવેથી જાબા સુધીનું બાય રોડ અંતર 250 માંડ હતું. પણ ફાઈટર તો આટલું માત્ર ગણતરીની મિનિટોમાં કાપી કાઢે. દમ વગરની દાઢી ધરાવતા અને મજબૂતીની મુંછ ન ધરાવતા ગટરછાંપ મુખિયાઓનો આ ગઢ હતો. જ્યાં નવયુવાનોને ફના થવાની માનસિક-શારીરિક તાલિમ આપવામાં આવતી. હવે મદડું પણ ન મળે એવો ઘા મારવો હોય તો તીવ્રતા પણ એટલી જ જોઈએ.

     ઘા કરો અને સામે ઘાવ ન લાગે એવું તો કેમ બને? તારીખ નક્કી અને વાયુદળના લડાકું વિમાનની ફૌજ નક્કી. હવે વાર તો માત્ર ઘા મારવાની હતી. પણ રાત્રીના સમયને એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે, લડાઈ નાક વગરના આત્મઘાતીઓ સામે હતી. સામાન્ય પ્રજા સામે નહીં. પણ ત્રણ લૉંચપેડ પર વિમાનમાંથી બોંબમારો કર્યા બાદ રીટર્ન વીજવેગે થવાનું હતું. પણ વિમાનના અવાજ અને એના જ સળી ગયેલા રડારે સાચી માહિતીને ઓનસ્ક્રિન કરી દીધી. જેમાં આપણા વિમાન શિયાળામાં સનસેટ ચોખ્ખો દેખાય એમ અંધારી રાતે દેખાયા. પણ શિકાર માત્ર એકનો જ કરી શક્યા. કારણ કે એમને પણ ભીખમાં મળેલા વિમાન પર ભરોસો હોયને..! તૂટી પડેલા વિમાનમાં હિમાલય જેટલી સખ્તાઈ વાળો જવાન જીવતો નીકળ્યો. પણ રાજકીય દબાણને કારણે પાડોશી રાજનીતિ ઘૂંટણીએ પડી ગઈ. સન્માન સાથે હેન્ડ ઓવર કરવો પડ્યો. 


     તારીખ 26 ફેબ્રુઆરી 2019 ઈન્ડિયન એરફોર્સના મિરાજની એક ટીમ ગ્વાલિયરથી રવાના થઈને દુશ્મનોનાં દાંત ખાટા કરીને પાછી આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહમાં જાબા સહિત ત્રણ લોકેશન પર આતંકીઓના આકાના અડ્ડાઓ પર બોંબવર્ષા કરવામાં આવી હતી. જેમાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયા હતા. પણ પોતાના ગાલ પર પડેલો તમાચો સ્વીકારે તો પાકિસ્તાન થોડું કહેવાય? એને આપણી સામે ફરી ફાંકાફોજદારીનો બફાટ શરૂ કર્યો. ભારતે કર્યું એ દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે દેશવાસીઓએ તો સ્વીકાર્યું. પુલવામાનો બદલો બાપ થઈને લીધો. પછી તો ફૈડકા મારતું ચકલું ચીનની આપેલી ભીખમાં છુપાઈ ગયું. આ હતું ઑપરેશન બંદર. જ્યારે પાકિસ્તાનના એફ-16 એક્ટિવ થયા ત્યારે આપણા વિમાન આપણી હવાઈ સીમામાં કામ પતાવીને પરત આવી ગયા હતા. જે રીતે તેઓ જંગલ અને ધુમ્મસની આડમાં ભાગે છે એમ. આપણે સામે છાતીએ લડ્યા પણ ફટ્ટુઓની ફૌજમાં આજે પણ આનો પડઘો શમ્યો નથી. ધીસ ઈસ ઈન્ડિયન એર ફોર્સ એન્ડ ઑપરેશન બંદર. રાત્રે 3.30 વાગ્યે શરૂ થયું ને 30 મિનિટથી ઓછા સમયમાં ખતમ. 

           પણ માત્ર મિરાજ ન હતા. એમની સાથે સુખોઈ-30 MIK હતા. જે પાકિસ્તાનના વિમાનને ડાઈવર્ટ કરવા માટે અને હેરાન કરવા માટે બાહુબલી હતા. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોની એક ટીમ સ્ટેન્ડ ટુ હતી. જે માત્ર જમીન પર ઊતરે તો કાળા કપડાં પહેરીને આવેલાઓના યમરાજ બનીને બતાવે એમ હતા. બાલાકોટમાં 200થી વધુ આતંકીઓના ફોન એક્ટિવ હતા એટલે એ વાત તો નક્કી હતી કે, સળી કરીને સળગાવનારા આ જ હતા. માનસેરા જે પાકિસ્તાનમાં આવેલું એક સિટી છે, જે ઈન્ડો-પાક. બોર્ડરથી સૌથી નજીક છે. બાલાકોટ એનો તાલુકો છે. કાગાન નામનો પહાડી વિસ્તાર પ્રવાસીઓ માટે જાણીતો છે પણ આંતકી આકા આનો ખોટો ઉપયોગ કરીને છાશવારે છમકલા કરે છે. છાણ વગરના છોતરાંઓ ઘા કરવામાં માહિર છે પણ છાતી કાઢીને લડવામાં એને રાજકારણ નડે છે. જોકે, એમના રાજકારણમાં પણ અંદરોઅંદર યુદ્ધ જ ચાલે છે. માનસેરાના જંગલનો વિસ્તાર આજે પણ એટલો જ સંવેદનશીલ છે. જ્યાંથી ડાયરેક્ટ શ્રીનગરથી લઈને બાલાકોટ સુધીના હાઈવે ક્નેક્ટ થાય છે. ચીન અને પાકિસ્તાનનો જોડતો કારાકોરમ હાઈવે અહીંથી પસાર થાય છે. મુઝ્ઝફરાબાદ પીઓકેનું મુખ્યકેન્દ્ર છે. આ સમગ્ર ઑપરેશનમાં સુબેદારથી લઈને સર્વેલન્સ રડાર સિસ્ટમ સુધી જુદા જુદા વિભાગમાં કુલ 6 હજાર લોકોએ યોગદાન આપ્યું છે. આવી જ આ ઑપરેશન સાથે જોડાયેલી ફેક્ટ ફાઈલ વાંચવી હોય તો ઉપાડો The Lession learnt from operation નામનો રીપોર્ટ.

Saturday, February 03, 2024

City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

 City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

     ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન મોટાભાગના ગુજરાતીઓનું પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. નજીકનું નજીક અને માણવા જેવી સાઈટનો ઢગલો. આધુનિકતા સાથે કદમતાલ છતાં ઈતિહાસને સાચવી બેઠેલા શહેર. બેશક ગુજરાતના હાઈવેને ટક્કર મારે એવા રસ્તા. રણ, રસ્તા અને રંગોની એવી દુનિયા જે દરેકના ખિસ્સાને પણ પરવડે અને ગમે પણ ખરા. પ્રાચીનતમ પુરાવાઓ સાથે પેશન સાથે જીવતી કોમનો નજારો. આસ્થાના કેન્દ્ર સમાન મંદિરથી લઈને માણવા જેવા કિલ્લાઓ સુધીની તમામ વ્યવસ્થા કરતા અઢળક ઠેકાણા. રેતીના શહેરો છે અને ગ્રીનરી પણ છે. પાણીની સગવડ અને પીવાની પણ. ફેક્ટ એ પણ છે કે, લાખોની સંખ્યામાં રાજસ્થાની લોકો ગુજરાતના મહાનગરમાં રોકડી કરવા માટે આવે છે. રોકાય છે, કમાય છે અને હોળી આવતા ઘરભેગા થાય છે. યુનિટી પણ એવી અને અસાધારણ કામ પણ ખેંચી જાણે. સિટિ કી બાત એક નવી રજૂઆત છે. જેની શરૂઆત જયપુરથી કરીએ. જેને શુટિંગ ડેસ્ટિનેશનથી પણ ઓળખવામાં આવે છે. તો ગુલાબીનગરી પણ કહેવાય છે. તો રાજસ્થાની પાઘડી પહેરીને બેસી જાવ શબ્દોની ગાડીમાં જેને આંખથી ડ્રાઈવ કરતા કરતા જયપુર જોઈએ. ચાલો ત્યારે.

     સમુદ્ર સપાટીથી 431મીટરની ઊંચાઈએ વસેલું સિટી જયપુર. ટેકરીઓના આ ગામમાં અત્યારે રસ્તાઓ સપાટ છે. એક સમયે ટેકરીઓની આસપાસ રસ્તાઓ હતા. જેમાંથી કેટલીક ટેકરીઓ તૂટી ગઈ. તો કેટલાક પોઈન્ટે પોતાનો ત્યાગ આપીને વિકાસની થપાટ સહન કરી. વાત ત્યાંથી શરૂ કરીએ જ્યારે બ્રિટનના ક્રાઉન પ્રિન્સ આલબર્ટ જયપુર આવવાના હતા. સાલ હતી 1876. એ સમયે જયપુરના રાજવી હતા રામસિંહ. પ્રિન્સને વેલકમ કરવા માટે તેમણે પોતાના શહેરને ગુલાબી રંગથી ડેકોરેટ કર્યું. પછી આખા શહેરની ઈમારતથી લઈને મહેલ સુધી તમામ વસ્તુ ગુલાબી. જ્યાં નજર કરો ત્યાં નજારો ગુલાબી. આમ કિલ્લાઓનું સિટિ ગુલાબી થવાનું શરૂ થયું. એક સમયે જયપુરમાં પ્રવેશ લેવા માટે સાત ગેઈટ બનાવવામાં આવ્યા હતા. છેલ્લે જયપુરમાં પત્રિકા ગેઈટ બન્યો. જેની પાછળ રાજસ્થાનના એક જાણીતા મીડિયાનું યોગદાન છે. આ ગેઈટ પણ અદભૂત છે. ખાસ કરીને રાત્રીના સમયે નજારો કેમેરામાં કેદ કરવા જેવો લાગે છે. રાજવી શાસનની સાક્ષી આપતા પેલેસ પરથી કહી શકાય કે, રજવાડું કેટલું પાવરફૂલ રહ્યું હતું. એ સમયે વિકાસની હોડ કરતા પ્રજાની સુખાકારીનું પ્રાધાન્ય હતું. કારણ કે, રાજાને બિઝનેસ કરવો ન હતો. 

      કોઈ એમ કહે કે, મુંબઈમાં મોનસુન એટલે અવિસ્મરણીય. તો જયપુરમાં ચોમાસું એટલે રાજવીઓના આંગણે થયેલી કુદરતી સપ્તરંગી રંગોળી. માત્ર બે દિવસના વરસાદમાં ઠંડુંબોળ થઈ જતું સિટિ રાજવી પ્રાંતમાં વર્ષારાણીને પોંખતું હોય એવું લાગે. પણ કમાલ કહો કે કમનસીબી કોંક્રિટીકરણને કારણે ગુલાબી રંગો ઝાંખપ લઈ રહ્યો છે. એક જાણ ખાતર, જયપુર રહેલું એવું સિટિ છે જેની બાંધણી સમગ્ર રીતે વાસ્તુશાસ્ત્ર પર આધારીત છે. નવા વિકાસ કરતા જૂના જયપુરનો નજારો આજે પણ અડીખમ છે. જુલાઈ-ઓગષ્ટ બે મહિનામાં જયપુરમાં આંટો મારો તો જાણે વાદળાઓની ફૌજ કિલ્લાઓને સલામ આપતી હોય એવું લાગે. છ નાના નાના નગર ભેગા થયા અને જયપુર ઊભું થયું. નાગરગઢ, તાલકટોરા, સંતોષસાગર, મોતીકટલા, કલ્તાજી અને કિશનપોલ. આ બધાના વિસ્તારો જોડી જયપુર બનાવાયું. વિન્ટેજ કારનું એક્ઝિબિશન થશે એવું જ્યારે પણ કાને પડઘાઈ ત્યારે એને જોવા યુવાનોથી લઈને સિનિયર સિટિઝન ઉમટી પડે. પણ વિન્ટેજ કારને પણ પ્રદર્શની હેઠળ મૂકી શકાય એની શરૂઆત જયપુરે કરી. પછી બીજા શહેરોએ રાજવીયુગની ઝાંખી કરાવતી કારની મુલાકાત પ્રજા માટે ખુલ્લી મૂકી. આજે પણ જયપુરમાં વિન્ટેજ કાર ફેસ્ટિવલ થાય છે. માત્ર ફેસ્ટિવલ નહીં આવી દુર્લભ કારની રેલી થાય છે. ક્યારે? જાન્યુઆરીમાં...

       કેરળમાં હાથીને પવિત્ર માનવામાં આવે છે. સૌથી વધારે હાથી કેરળમાં છે એવી માન્યતા હોય તો જયપુર પાસે હાથીનો આખો ફેસ્ટિવલ છે. હોળીના તહેવાર પર સેલિબ્રેટ થાય છે. જેમાં હાથીને શણગારવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટનું સૌથી મોટું માર્કેટ જયપુરમાં છે. જ્યાં કલાત્મક વસ્તુઓને હાથેથી બનાવીને સેલ કરવામાં આવે છે. હા, તમારી પાસે કોઈ ડીઝાઈન કે કોન્સેપ્ટ હશે તો આ લોકો કરી આપશે. ડીસેમ્બર મહિનામાં જર્મનીથી આવેલા એક પ્રવાસીએ અહીં એક અઠવાડિયા સુધી રોકાણ કરીને પોતાની જૂતી પોતાની રીતે ડીઝાઈ કરાવી. જે પ્રકાશિત થયેલું અને ટીવી પર પ્રસારિત પણ. કાર્પેટ માટે મિર્ઝાપુર દુનિયામાં ભલે ડંકો વગાડે પણ બીજા નંબરે જયપુર આવે છે. જ્યાંની કાર્પેટ મોટી હોટેલમાં પણ સેટ છે. બડા બાઝારમાં નીકળો એટલે કાર્પેટથી લઈને કુમકુમ સુધી અને ઝાંઝરથી લઈને ઝુમકા સુધી બધુ મળી જાય. હા....માર્કેટ આજે ખૂબ જ મોંઘી છે. ખિસ્સા ભરેલા હોય તો જવાય. પણ આના જેવી ડીઝાઈન, વર્ક, મટિરિયલ અને વસ્તુ બીજે ક્યાંય મળે તો પૈસા પાછા. નહેરૂ બાઝાર અને જૌહરી બાઝારમાં દાલબાટી સહિત લોકલ સ્નેક્સ મળશે. આટલું વાંચ્યા બાદ આકર્ષણ થયું હોય તો અનુભવ તો યાદગાર થવાનો એ ગેરેન્ટી. 

    યુનેસ્કોએ જયપુરને હેરિટેજ સિટિનો ટેગ આપ્યો છે. જ્યારે દેશના ટોપ 5 બ્યુટીફૂલ સિટિની યાદીમાં જયપુર બીજા ક્રમે છે. જયપુરને આકાશમાંથી જોવા ડ્રોનની જરૂર નથી. નાહરગઢ કિલ્લામાં પહોંચો એટલે જયપુર આખું આકાશી નજારામાં દેખાય છે. 18 નવેમ્બરના રોજ આ સિટિનો બર્થડે છે. જેને એકસમયે જૈપરથી ઓળખવામાં આવતું. ઈતિહાસને સાથે રાખીને વિકાસ કરતું સિટિ. વર્ષ 2006થી શરૂ થયેલો જયપુર સાહિત્ય ફેસ્ટિવલ અનેક લોકોને જોડે છે. જેમાં દેશ વિદેશથી અનેક લોકો આવે છે. એશિયાનું સૌથી મોટું સર્કલ જયપુરમાં છે. જવાહર સર્કલ. હા, આપણા ગુજરાતમાં ભાવનગરને સિટિ ઓફ સર્કલ કહેવામાં આવે છે. પણ જવાહર સર્કલ 13 હજાર મીટરના દાયરામાં છે. રામબાગ પોલો ગ્રાઉન્ડમાં હોળી રમવાની એક અલગ મજા છે. પણ એના એક દિવસ પહેલા હાથી ઉત્સવ જોવા ગામ ઉમટે છે. ચલો તો મળીએ. આગામી એપિસોડમાં નવા સિટિની અવનવી વાત સાથે....ચીયર્સ

Tuesday, January 23, 2024

રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

 રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

       ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી રામ મંદિર તથા પ્રાણ પ્રતિષ્ઠાથી પાવન થઈ છે. વર્ષોથી જે મુદ્દા પર વાતચીત થતી અને ચૂંટણીની ચર્ચામાં જે વારંવાર ઘુંટાતું એ ચિત્ર તારીખ 22 જાન્યુઆરી 2024માં સ્પષ્ટ થયું છે. રામ મંદિરને લઈને જે વિષયો સંકળાયેલા છે એ તો સદાય રહેવાના, લખાવાના અને વંચાવવાના પણ ખરા. પણ કેન્દ્રમાં જે તત્વ રહ્યું છે એ રામ છે. મંદિર શબ્દની પહેલા પણ રામ, અયોધ્યા પછીનો પહેલો શબ્દ મનમાં આવે એ પણ રામ. સરયુ નદીના કિનારાનો કોઈ ઉલ્લેખ કરો તો પણ રામ અને દિવાળીનું પર્વ હોય ને દીવા જેના નામે થાય એ પણ રામ. આસ્થાનો મીઠડો દરિયો જ્યાં ઘુઘવાય છે એવી અયોધ્યા નગરી રામની પ્રતિષ્ઠાના રીયલ વાયબ્રેશનથી પવિત્ર બની છે. હાથીઓની વિરાટ સેના જેવા પથ્થરમાંથી સુંદર નક્શી કામ કરીને જે મંદિર તૈયાર થયું એ દરેક કારીગરોના હૈયે કદાચ રામે જ હિંમત કાયમ રાખીને મંદિર કાર્ય માટે નિમિત કર્યા હશે. મંદિર સાથેના અનેક એવા વિષયો છે જેની પર એક આખું પુસ્તક લખી શકાય. ફેક્ટ ફાઈલ પણ એવી છે જે દિમાગથી ખાલી કોઈ ફોલ્ડરીયો વાંચે તો પણ એના દિલમાં દશરથ નંદન વસી જાય. પણ હકીકત એ પણ છે કે, જ્યારે મૂખ્ય મૂર્તિ તૈયાર કરનાર અરૂણ યોગીરાજ મૂર્તિને કંડારી રહ્યા હતા ત્યારે એની આંખમાં ઈજા થઈ હતી. 14 દિવસના વિરામ બાદ કામ ચાલું થયું અને મૂર્તિ તૈયાર થઈ. અહીંયા પણ તબીબે એને 14 દિવસનો વિરામ આપેલો. છે ને બાકી રામની ક્નેક્ટિવિટી!

            રામ કોઈ શબ્દ નથી પણ એક યુનિવર્સ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્રેતાયુગથી રામને જાણનારા સ્વીકારે છે કે, રામ કદી ખોટા નથી અને ખોટું હોય ત્યાં રામ નથી. ઈન્ડોનેશિયાથી લઈને ઈન્ડિયા (ભારત) સુધી રામનું એક વ્યાપક નેટવર્ક છે. અનેક એવા સ્થળો એની લીલાના સાક્ષી છે. પણ રામ જેટલું નામ ટૂંકું છે એટલી એનામાં ઊંડાઈ છે. પણ ખુદ રામના હૈયામાં આધાત ને પીડાનું સામ્રાજ્ય છે. કારણ કે, યુવાની માણવાની વયમાં વનવાસ માણ્યો ને પિતાના વચનને પાળવા રાજવી ઠાઠમાઠ ત્યાગી દીધો. આપણી આસપાસ કેટલાક માથાઓ બાપાની છત્રછાયા છોડી શકે પણ રોકડા નહીં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક પ્રાર્થના કરીએ કે રાજકીય અખાડામાં કોઈ રામને લઈને દોષારોપણ ન થાય. કૃષ્ણ ને રામની તુલના ન થઈ શકે, કારણ કે બન્ને એક જ મુખ્ય પ્રભુના અલગ અલગ અવતાર છે. નિયમ, નીતિ અને નિર્ણય પરની અડતા એટલે રામ. વર્ષાંતે ઘણા લોકો રિઝોલ્યુશન નક્કી કરે પણ પછી એ ફોલો થાય છે કે નહીં એ તો હવે રામ જાણે! રામના સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો એક વાત શીરાની જેમ ગળે ઊતરે એ છે નીતિ. પોલીસી. કોઈનું ખોટું કરવાની નીતિ નહીં અને સાચું હોય એને અન્યાય ન થાય એવી નીતિ. રાવણવધ કરીને એની લંકા પર રાજ કરી શકે એમ હતા. પણ તેણે વિભિષણને રાજ આપીને અવધાગમન કર્યું. એક વાસ્તવિકતા એ પણ છે કે, જેના પિતા રામપ્રેમી હોય એનો પુત્ર થોડી રાવણને ફોલો કરે? વિભિષણનો પુત્ર અયોધ્યા આવ્યો એવા પુરાવા છે. જેનું નામ છે મતગજેન્દ્ર. આજે અયોધ્યામાં એનું મંદિર છે. હેડમાં ભરાતા બેડ ન્યૂઝને કારણે આવું આપણી આંખ સુધી પહોંચ્યુ નહીં હોય કદાચ. 

           રામ એટલે રિલેશનશીપના માઈલસ્ટોન વ્યક્તિ. પતિ, પુત્ર અને ભ્રાતા તરીકે જેને કોઈ પણ ફ્રેમ વગર સ્વીકારી શકાય. રામાયણનું દરેક પાત્ર એક ઊંડાઈને સરળ શબ્દોમાં સમજાવે છે. ભરત ધારત તો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી શકત. પણ ના...રાજ તો રામનું. હવે આ શબ્દને થોડો ટ્વિસ્ટ કરીએ તો રામરાજ છે આવો શબ્દ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? જવાબ તમારી પાસે છે જ...રામ રાજ્ય ને પ્રજા સુખી...આવું પણ બોલાય છે. હવે રામ પણ ઈચ્છે છે કે, આ શબ્દ પ્રયોગને કોઈ નેગેટિવ ટોનમાં ન બોલવામાં આવે. કમાલ કહો કે કમનસીબી પણ વારંવાર એવું પણ બોલાય છે કે, રામાયણ થઈ ગઈ. વાત સાચી કે રામાયણમાં લડાઈ હતી પણ માત્ર લડાઈ જ ન હતી. હનુમાન જેવા રામભક્ત પાસેથી રામભક્તિ પણ શીખવા જેવી છે. બસ, આ પ્રાણ પ્રતિષ્ઠાથી એ પ્રણ લઈએ કે, કોઈ પણ લડાઈ વખતે રામાયણ થઈ ગઈ એવું નહીં બોલીએ. આસ્થાની અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમ દરેકના દિલમાં એક રામ મંદિર છે એની મર્યાદા રાખીને કોઈ પાસેથી રીવેંજ લેવાના બદલે relinquish (રેલિંક્વિશ-જતુ કરવું) કરીએ. બદલો લેવાના તાલિબાની વિચારોનું અમલીકરણ થાય છે એટલે જ તર્કશક્તિનો વિનાશ થાય છે.

           રામ એટલે સરળતા, સમાનતા અને સભ્યતાનો સંગમ. પ્રભુએ એક વ્યક્તિ તરીકે જન્મ લઈને પાવરફૂલ કામ કર્યા. સાલું અહીંયા બધાને વ્યક્તિત્વ ભૂલીને પાવરફૂલ થવું છે. એ પણ શોર્ટકટથી. રામાયણમાં હનુમાનને કદી રામે તુકારો નથી આપ્યો. હનુમાને કદી ખોટી હોશિયારી નથી દેખાડી. શક્તિ પ્રયોગ પહેલા પણ હનુમાન જય શ્રી રામ બોલતા. સમાજના કેટલાક ડાયરેક્ટ શક્તિ પ્રયોગ કરે છે ને પછી હાય રામ...બોલે છે. બસ આવું ન કરીએ એ જ રામની સાચી પ્રાણ પ્રતિષ્ઠા. રામાયણના દરેક કિસ્સામાં જીવનમાં ઊતારવા જેવા પાઠ છે. પણ રામ પાસેથી ઈન્ટિગ્રિટી (પ્રમાણિતકા) અને સિમ્પિસિટી (સરળતા) શીખવા જેવી છે. આ ઉપરાંત જે સૌથી વધારે ગળે નહીં પણ આચરણમાં ઊતારવા જેવું છે એ છે બી રીયલ. અમુક લોકો દરેક કામમાં ખોટા ફિલ્ટર મારીને ન હોવાનું દેખાડે છે અને પોતાને પુરવાર કરે છે. એટલે જ તકલીફ પડે છે. કુટનીતિ મંથરાએ અપનાવી, નિમિત બની કૈકેઈ અને પરિણામ ભોગવ્યું રામે. બસ આવું થાય ત્યારે રામને યાદ કરી લેવાના. ખુદને સાચા સાબિત કરવાના બદલે સમયને પુરાવા આપવા દીઓ. કૈકેઈ જેવી કેટલીય સુધરી જશે એવી ગેરેન્ટી રામની. ચલો ત્યારે રામ રાષ્ટ્ર બનાવીએ એવા પ્રયાસ સાથે જય શ્રી રામ

Tuesday, January 16, 2024

બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

  બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

          ટોટલ 48 કલાકના ટાઈમગેપમાં જ સેલિબ્રિટિના પ્રિય એવા માલદીવને એના જ ટાપુના પાણીએ વાસ્તવિકમાં એના જ પદાધિકારીઓને પાણી મપાવી દીધું. સોશિયલ મીડિયા પર કોઈની જ મંજૂરી વગર યુવાધને માલદીવ પર બોયકોટ નામની મિસાઈલથી સર્જિકલ સ્ટ્રાઈક (ઈરાદાપૂર્વક કરેલો હુમલો) કરી દીધી. એવામાં માલદીવની ઓથોરિટીએ થપ્પડ ખાઈને ગાલ રાખવા અને ટણી ઊંચી રાખવા કહ્યું હતું કે, ભલે ટિકિટ બુકિંગ પ્રવાસીઓએ રદ્દ કરી દીધા પણ અમારી રેવન્યૂને કોઈ અસર થઈ રહી નથી. પણ આ તો એવી જગ્યાએ ડામ લાગ્યો છે કે, દેખાડી શકાય એમ નથી અને સહન પણ કરી શકાય એમ નથી. માલદીવના પ્રધાન માલશા શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટર પોસ્ટ મૂકીને પોતાના પગ પર કુહાડો નહીં પણ એમના જ દેશની આવક આડે બુલ્ડોઝર મૂકી દીધું છે. હવે આ માલશા શરીફના રવાજે ચડીને બીજા બે ડાહ્યા (વધુ પડતા) નેતા મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમે ભારતને ભૂંડું કહેવાની પાપડતોડ હિંમત કરી નાંખી. પછી એમને જ એમના જ મંત્રાલયમાંથી ઘરે નેતાગીરી કરવાનો વારો આવ્યો. 

માલદીવ

        આટલો મામલો અખબારોની હેડલાઈન બન્યાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું બોયકોટ માલદીવ. એમાં પણ પહેલા હેશટેગ લગાવીને આ શબ્દ અંગ્રેજીમાં વગર કોઈ સ્પેલિંગ ભૂલ સાથે લખવાની ચીલો શરૂ થયો. હલકી માનસિકતા સામે બોલિવૂડના સેલિબ્રિટિથી લઈને સામાન્ય નાગરિકે પણ આક્રોશનો અગ્નિ શબ્દ થકી સોશિયલ મીડિયા પર ફૂંકી મરાયો. પરિણામ એ આવ્યું કે, માલદીવના શાસકોની ફાટી રહી. કરોડોનું રોકાણ કરીને બનાવેલા વોટર રૂમ ખાલી પડ્યા રહ્યા અને રાજકીય લોબીમાં રેવન્યૂનો મુદ્દો એવો ખખડ્યો કે, 24 કલાકમાં જ એના વડા ભારત આવવા ઘાંઘા થયા. સુંદરીઓનું (બોલિવૂડની સેલિબ્રિટીઓનું) સ્વર્ગ મનાતું માલદીવ બ્યુટીફૂલ નિર્જન બની રહ્યું. પ્રવાસ પ્રેમીઓ ઉપડ્યા લક્ષદીપ. હવે લક્ષદીપ તો આપણા ભારતમાં જ હતું. પણ ખિસકોલીને ખાખરાનો ટેસ્ટ થોડી ખબર હોય?? પણ સોશિયલ મીડિયા પર જે બોયકોટ વાયરલ થયું એ તો વાયરસની સ્પીડ કરતા પણ સો ગણું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ બોયકોટનો બોંબ ફૂટ્યો એ પણ માલદીવ પર. 

     એના છાંટા એમના જ પ્રવાસન ઉદ્યોગને લાગ્યા. ખરેખર તો બોયકોટનો બોંબ સમજી-વિચારીને સમયાંતરે ફોડવો જોઈએ. એ પણ નિશ્ચિત આત્માઓ પર. આ એવી આત્માઓ છે જે દેખાતી નથી. આમ પણ આત્મા ક્યાં કોઈને દેખાય છે? દર વર્ષે સંક્રાંત આવે એટલે ચીનની દોરી (હકીકતમાં પ્લાસ્ટિકની દોરી) પર બોયકોટનો સુતળી બોંબ ન ફોડવો જોઈએ? આવી બોયકોટની બારક્ષરીને આગળ વધારીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખોંખારો ખાઈને ગમે ત્યાં થૂંકતા (ગોબરા) લોકોને ન બોલાવીને બોયકોટ ન કરી શકાય? પાન ખાવ એનો વાંધો નથી પણ પાન ખાઈને પિચકારી ગમે ત્યાં મારે એને બોયકોટ કરી દેવાઈ જોઈએ. આવા લોકોનું નેટ 2જીની સ્પીડમાં કરી નાંખવું જોઈએ. ટ્રાફિક પોઈન્ટ પર લેફ્ટ સાઈડ (ડાબી બાજુ) જામ કરતા લોકોના લાઇસન્સ બાઈકોટ કરી શકાય.

       દર વર્ષે હિમાલય જેટલો તોતિંગ ફી વધારો કરતી સ્કૂલને બાઇકોટ કરવા વાર્ષિક અભિયાન ચાલું કરવું જોઈએ. હું તો કહું છું વાલીઓ આવી સ્કૂલ જ બાઇકોટ કરે. સરકારી સ્કૂલ ઘણી સારી છે જેમાં ખરા અર્થમાં ભારતીય વિષયોના પાઠ શીખવવામાં આવે છે. 31મી ડિસેમ્બરે પાર્ટીમાં ના કરવાનું કરતા લોકોની આખી પાર્ટી બોયકોટ કરી શકાય. પાર્ટી કરો એની સામે કોઈ વાંધો નથી પણ પાર્ટીમાં જે ન થવાનું થાય છે એની સામે વાંધાની આખી તલવાર છે. ક્રેડિટ કાર્ડના નામે આપણા પૈસા પર કળા કરી જાતા છુપા રુસ્તમને તો કાયમી બાઈકોટ કરો. સાલા પૈસા આપણા અને વાપરી જાય બીજા. એ પાછા 12મી ફેઈલ હોય છે. જાહેરમાં કચરો ભેગો કરીને એમાં દીવાસળી મૂકનારાના નાક પર ચિપટી મારીને બોયકોટ કરવા જોઈએ. જેમ હવા વગર શ્વાસ ન લઈ શકાય એમ આ કચરાના ધૂમાડાંથી કેવી મુશ્કેલી પડે છે એનો અહેસાસ નાક પર ક્લિપ મારીને જ કરાવી શકાય. બોયકોટની બબાલમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખે ભારતીય સેનાને ફૂટબેક કરવા (ખસેડી લેવા) કહ્યું છે. આ સમયે ગતવર્ષની ચૂંટણીમાં વાયદા કરેલા નેતાઓની યાદી બનાવીને એને 'સારી જગ્યા' એ ખસેડવા પગલાં લઈ શકાય. 

     જે વર્ષે મગફળીનું ઉત્પાદન મબલખ થયુ હોવા છતાં તેલના ભાવમાં એક પૈસો ન ઘટાડનારાને કાચું તેલ પાઈને બોયકોટ ન કરાય? ખેડૂતને કમાવા દેતા નથી અને આપણા (મધ્યવર્ગના) ખિસ્સા પર રાજ કરે છે એવા તેલીયા રાજા. મહાનગરમાં મોડી રાત્રે દોઢું ભાળું લેતા રીક્ષા ચાલકોની ગેસની ટાંકી એક મહિના સુધી કાઢી લઈ બોયકોટ કરાય. કારણ કે, આ દોઢુભાડું લેવાની સમયમર્યાદા દરેક રીક્ષા ચાલકે જુદી જુદી હોય છે. પોતાની ડ્યૂટી પૂરી કરીને પાયલટ (રાજસ્થાનના નેતા નહીં હો..) ફ્લાઈટને ફ્લાઈટ મોડ પર મૂકીને પ્રવાસી ગયા તેલ પીવા એવું કહીને બેસી રહેતા પાયલટનું લાયસન્સ બોયકોટ કરવું જોઈએ. પત્રકાર હોવાનું કહીને પૈસા ખંખેરતા કીડીકદના પત્રકારોની કલમ કાયમી આઈપીસી લાગુ પડતી કલમ હેઠળ મૂકીને બોયકોટ કરવી જોઈએ.

Wednesday, January 03, 2024

મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

 મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

     આમ તો આખું વર્ષ કેલેન્ડરમાં તારીખ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, એક તારીખ આખું કેલેન્ડર બદલી નાંખે છે. આ હકીકત બધાની વચ્ચેથી દર વર્ષે પસાર થાય છે. ઉત્સવપ્રેમી અને હરખઘેલી પ્રજા વર્ષમાં બે-બે વખત ન્યૂયર ઉજવે છે. એકમાં ટ્રેડિશન ફોલો કરીને અને બીજામાં બીજાનું ફોલોઈંગ અપનાવીને. પાર્ટી થાય એમાં કોઈને વાંધો ન હોય પણ પાર્ટીમાં જે થાય એની સામે ઘણાને વાંધો હોય છે. એ પછી પાર્ટી 31ની હોય કે રાજકારણની. નવા વર્ષનો રાજીપો રાઈજીરૂ વેચનારા કરિયાણાવાળાથી લઈને કિડ્સ સુધીના તમામ લોકોને હોય છે. જોકે, કોઈ પણ વર્ષની શરૂઆત દિવસથી થાય છે અને દિવસની શરૂઆત સવારથી થાય છે. હવે ખુદને એક સવાલ આપણે પોતે જ કરીએ કે, શું દિવસની શરૂઆત સવારથી થાય છે ખરા? એક હરતુ ફોરતું વોટ્સેપિયું વન-લાઈનર મારા મોબાઈલમાં પણ ખાબક્યું કે, એલાર્મ નથી ઊઠાડતા એટલી જવાદારીઓ સવારે ઊઠાડે છે. વાત પણ સાચી છે. સવારે ઊઠીને પહેલા કરાતા કામમાં પણ મોબાઈલનો સંગાથ અનિવાર્ય થતો જાય છે.

      ઘણાને મોબાઈલ ભેગો હોય તો જ ઊતરે.....ખી..ખી...ખી...અમુક પંચાતો એવી હોય કે, સવારે ઊઠીને ઓફિસના કર્મીને સોંપાતું કામ એના મોબાઈલમાંથી નીકળતું હોય. જેમ કે, આજે સાહેબશ્રી આવવાના છે એટલે મનીયા ડ્રાઈવરને કોલ કરી દેવો. આજે ત્રણના ઈન્ટરવ્યૂ છે એટલે ફોન કરજે. એક થોડી સ્પેશ્યલ વર્ગની વાત કરીએ તો ગુડ મોર્નિંગના મેસેજ પહેલા એવો મેસેજ હોય કે ઘરેથી નીકળતા પહેલા કોલ કરજે, ઘણાને એવો મેસેજ હોય કે હું ટિફિન નથી લાવવાની તું તારી રીતે જમી લેજે. મારી ગાડીમાં પેટ્રોલ થઈ રીયુ છે એટલે મને પિકઅપ કરજે. હવે આ જે પિકઅપ કરવાની ફોર્મ્યુલા છે એમાં સામેવાળી વ્યક્તિ 99 ટકા બેથી પાંચ મિનિટ લેટ જ હોય. આ સર્વેમાં થયેલું પ્રુફ છે. ઘણાના મોબાઈલમાં ગ્રૂપમાં આવેલા દર્શનથી સવાર પડે. એ પછી કોઈ પણ પ્રભુ કે ધર્મના કેમના હોય. મોર્નિંગ હવે કરાગ્રે વસ્તે લક્ષ્મીથી નહીં પણ અમી ભરેલી નજરૂ મોબાઈલમાં નાંખોથી થઈ રહી છે. આ દરેકના ઘરમાં થતું હશે. પણ ફોર્મેટ અલગ હશે.

      એલાર્મ બંધ કરી સૂઈ જવાની બેસ્ટ ઋતુ એટલે શિયાળો. એમાં પણ મોબાઈલ અડધી રાત્રે વાગે એટલે ધ્રાંસકો પડે એવા જ વાવડ હોય. નવા વર્ષમાં આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે, કોઈના ઘરમાં આવો ફોન ક્યારેય ન વાગે. ઘણા બીજાને સવાર સવારમાં થોટ્સ, મોટિવેશન, ઈસ્પીરેશન અને સુવાક્યોની એવી ડિજિટલ સુનામી મોકલી દે કે, ચોથા દિવસે સંસારમાંથી નિવૃતિ જાહેર કરીને દિક્ષા લઈ લઈએ એવું મન થાય. પાછું જે મોકલનાર છે એ મોબાઈલને ઘડીભર રેઢો ન મૂકે, જાણે મોબાઈલ રેઢો મૂકતા પેલો લાલ કપડું જોઈને આખલો ભૂરાટો થાવાનો હોય. હવે આ રમત કઈ એ તો મારો રામ જાણે કે, આમા વિજેતા પેલો બચી ગયો એને માનવો કે આખલો મુર્ખ બન્યો એને?? 

         આમ તો મોબાઈલમાં ઈન્ટરનેટ આવતા દરિયો હાથમાં છલકાતો હોય એવું છે પણ આ મધની પીપર આલ્પેનલીબે જેવું છે. જી લલચાયે રહા ન જાય....વોટ્સએપ પણ ઘણું સ્માર્ટ છે. પરમેનેન્ટ ડિલિટનો ઓપ્શન ત્યારે જ આપ્યો જ્યારે કેટલાક લોકો મેેસેજ મોકલવામાં પીએચડી થઈ ગયા (વોટ્સએપ વિષવિદ્યાલયની ડિગ્રીથી). હવે આંખ ઊંઘમાં હોય તો પણ મેસેજ કરવામાં ભાગ્યે જ કોઈની ભૂલ થાય છે. અહીંયા પણ શરાબી ફિલ્મના ડાયલોગ જેવું લાગુ પડે છે. તૌફે દેનેવાલી કિ નિયત દેખી જાતી હૈ ઉનકે દામ નહીં. જેવું ઈન્ટરનેટનું ઓપ્શન ઓન થાય એટલે વોટ્સએપ, મેઈલ, ટેલિગ્રામ, સ્નેપચેટ, એસએમએસ (આ તો હવે બેંકવાળા સિવાય અને ઓટીપી વાળા સિવાય કોઈ કરતું નથી)નું તાઉતૈ (તોફાનનું એક નામ) નોટિફિકેશનનો કિનારો તોડી નાખે. એન્ડ્રોઈડ બનાવનારે સૌથી મજબુત જે વસ્તુ બનાવી એ છે નોટિફિકેશન વિન્ડો, મારી બેટી ભલભલાને સમાવી લે છે. 

    હવે થોડી કલ્પનાના ઘોડાને રીવર્સ ગેરમાં નાંખીને સીધા દોડાવીએ. કારણ કે ઓરિજિનલ ઘોડો તો રીવર્સ ન ચાલે. જ્યારે મોબાઈલ ન હતા ત્યારે મોર્નિગ કેવી મસ્ત હતી. પ્રકૃતિના કેન્વાસ પર થતી રંગોળીના રંગો આંખના કોરા કાગળ પર સ્મૃતિ બનીને દિમાંગમાં સચવાતા. મોર્નિંગ વૉક કરનારાઓને એના રૂટનો આખો નક્શો યાદ રહેતો. રોડની નીચે ફીટ કરેલી ચાવીને ખોલનારો ક્યાં ઊભીને સરીયો ફેરવે છે એ આખી પ્રક્રિયા આપણને યાદ હતી. દૂધ ઘરે ઘરે આપનારાઓની એક હાંકલથી આપણી સવાર પડતી આ પણ હકીકત છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ઉનાળામાં ઉઘાડ થતોને આંખ ઉઘડતી. શિયાળામાં વહેલા ઊઠતા પણ ઠંડીને બરોબર માણતા. સ્કૂલ ટાઈમમાં વહેલા તૈયાર થઈને રીક્ષા કે બસની રાહ જોતા. પૂજા (પેલી ડ્રિમગર્લવાળી નહીં હો..)થી લઈને દિવસ આખામાં પતાવવા પડે એવા કામ મોઢે હતા. ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ થઈએ ત્યારે કઈ નવી ટ્રાવેલ્સ સિટીમાં સેટ થઈ છે એ બસના કલર સહિત એ ક્યા ચાર રસ્તેથી પસાર થાય છે એ યાદ હતું. 

          મોર્નિંગનો અજવાશ રોમેરોમે દીપી ઊઠતો. જાણે તાજગીના દરિયામાં સૌ કોઈ તરબોળ થઈને એક્ચ્યુઅલ ક્નેક્ટ થવાના હોય. પણ આ વર્ચ્યુઅલ આવ્યા બાદ દેખાય તો ઘણું છે પણ સ્ક્રિનમાંથી, ફીલિંગ્સની સર્કિટ નાની થતી જાય છે. આંખેથી પડતા ફોટોને સ્નેહીજન જોઈ લેતા. એ વખતે રિંગટોન ન હતી એટલે જ કદાચ શિયાળાની અફલાતુંન સવારની રોશની હતી. વહેલા ઉઠાતું પણ જે ભેગું થવાનું છે એને મનથી ગુડમોર્નિંગ થતું. મફલર, જેકેટ ને વાંદરાટોપીથી ઓળખી જવાતું કે, આ આપણો ભેરૂ. ઓળખીતા પારખીતાના રામ રામથી સવાર પણ એમાં ટાપસી પૂરાવતી.વિચારો સ્પષ્ટ અને ડગલા મજબુત હતા. વિશ્વાસ સિંહ જેવો હતો પછી ભલે પગમાં ફાટેલા બૂટ હતા. બસ કે રીક્ષામાંથી થતી શહેર કે ગામની પરિક્રમાથી એ ખ્યાલ આવતો કે ઝાકળ ક્યાં ક્યાં વધું છે. કદાચ આપણે સવારને એકલી કરી દીધી એટલે જ એને આપણી સવાર મેલી કરી દીધી.

Saturday, December 23, 2023

બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

 બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

            શિયાળાની ઠંડીમાં સ્વાદનો જાણે અન્નકુટ શરૂ થાય એવી સીઝનમાં તનને તંદુરસ્ત કરવા આમ તો જીમ અને જામ બન્નેની શરણે જતા લોકો જોવા મળે. એમાં પણ ગુજરાતના એક જાણીતા સ્થળેથી પરવાના સાથે પ્યાલા ભરવાની શરતી છૂટથી ક્યાંક અસાધારણ ખુશી તો ક્યાંક આક્રોશનો માહોલ છે. પણ ફૂડની વાત થાય ત્યારે ગુજરાતીઓની જીભ વાસ્તવિક સ્વાદને પારખનારી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આમ પણ બધુ પેટ માટે જ થાય છે. પણ ખાદ્યપ્રેમી પ્રજા પેટ માટે ક્યાંય વેઠ કરે એમ નથી. છેલ્લા બે વર્ષમાં જેટલી કોમોડિટીની આયાત નહીં થઈ એટલી કોમોડિટી ફૂડ ક્ષેત્રે દરિયામાં સામે છેડે દેખાતા ક્ષિતિજ જેટલી વિસ્તરી છે. ખાસ કરીને ઈટાલી ને ચાઈનીઝ બાદ થાઈ તેમજ સ્વિઝ ફૂડની આખી સીરિઝ મહાનગરમાં માણવા મળે છે. અમદાવાદના રાત્રી બજારમાં તો જાણે ફૂડનું એક્ઝિબિશન હોય અને માત્ર ચાખો ત્યાં પેટ ભરાઈ જાય એવી મસ્ત ક્વોલિટી વાળું ફૂડ પ્રાપ્ય છે. આમ તો રાજ્યના તમામ જિલ્લાઓની ફીચર ડેફિનેશન આપવામાં આવે તો દરેક જગ્યાની કંઈકને કંઈક તો વાનગી ખાવા લાયક મળે જ. જેમ કે, રાજકોટની ચટ્ટણી, ચેવડો અને ચિક્કી. જામનગરના ઘુઘરા અને પાન. એમ દુનિયાના નક્શમાં નજર કરીએ તો જેનું ફૂડ બેસ્ટ છે એવા રાષ્ટ્રમાં ઈટાલી, બ્રિટન અને થાઈલેન્ડ બાદ બેલ્જિયમનું નામ આવે છે. હા, એક હકીકત એ પણ છે કે, ઈન્ડિયન ફૂડને દુનિયાભરમાં સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 

        બેક ટુ પોઈન્ટ...બેલ્જિયમ એક નાનકડો એવો દેશ. જે પોતાની આગવી સુંદરતા માટે જાણીતો તો છે જ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની લોકલ ગણાતી વેફલ્સે દુનિયાના બીજા દેશમાં જોરદાર ડંકો વગાડી દીધો છે. ઈટાલીના પિઝા જેમ પ્રખ્યાત છે. એમ અહીંની વેફલ્સનો ટેસ્ટ દાઢમાં રહી જાય એમ છે.ખાસ કરીને ચોક્લેટ લવર્સ લોકો માટે આ વાનગી તો દિલના તારમાં ગીટાર વગાડી દે અને ધૂન બનાવી દે એવી છે. આગ્રા આવ્યા હોય અને પેઠા ન ખાઈએ એવું તો કેમ ચાલે? એમ બેલ્જિયમ આવ્યા હોય અને વેફલ્સ ન ખાઈએ એવું તો કેમ બને? ઓરિજિનલ શબ્દ વોફલ્સ (ઉચ્ચારણ પણ વોફ્લ્સ). વોફલ્સ બેલ્જિયમનું સ્ટ્રિટ ફૂડ છે. જે ગરમ હોય તો ખાવાની આખી મજા અલગ છે. ચોક્લેટ લવર્સ માટે હાઈલી રેકમન્ડેડ. હાલના ટાઈમથી થોડું રીવાઈન્ડમાં ડોકિંયું કરીએ તો એક સમયે પાર્લે કંપનીના વેફર બિસ્કીટ આવતા. જુદી જુદી ફ્લેવર્સના. એમાં સ્ટ્રોબેરીથી લઈને જીમજામ સુધીના ફ્લેવર્સ. પણ બેલ્જિયમમાં આનો જ એક ચોક્લેટ ફ્લેવર. એ પણ બિસ્કીટ કરતા અલગ ટેસ્ટનો, ફ્લેવર્સમાં પણ ચોક્લેટ તો મેઈન. પણ બ્લેક કે કોકો ફ્લેવર એ ખાનાર પર નિર્ભર કરે છે. 

        કુછ મીઠા હોય જાય...ની જેમ આમા પણ એક દિમાગી કેમિકલ્સને અસર પહોંચાડી દે એવા જોરદાર ટેસ્ટ છે. જે રીતે કોઈ મોલના આઉટલેટમાં કોઈ ડિસપ્લે મૂકેલા હોય અને આંખ ખેંચાયા વગર ન રહે એમ બેલ્જિયમના ફ્લેવર પણ મસ્ત હોય છે. અહીંયા તો પાર વગરના ઓપ્શન છે. મીઠું લાગે એવું પણ છે અને એકદમ નોર્મલ મીઠાશ હોય એવું પણ મળી રહે. ઈન્ડિયામાં અત્યારે વોફલ્સ પોતાના પીક પોઈન્ટ સુધી પહોંચ્યું છે. પણ બેલ્જિયમમાં તો બે સૈકાથી પણ વધારે સમયથી આ વાનગી ખવાય છે. એટલું જ નહીં દેશ વિદેશના પ્રવાસીઓ ખાસ આ વાનગી ખાવા માટે આતુર હોય છે. હા, બીજી એક વાત કે, જે વોફેલ્સ એના બેઝમાં હોય છે. એ વેજ અને નોનવેજ બન્ને કેટેગરીમાં મળે છે. બટ ડોન્ટ વરી....આપણે ત્યાં વોફલ્સ વાળા પ્યોર શાકાહારી છે. સો..ફીકર નોટ..જ્યારે આ વોફલ્સ તૈયાર કરવામાં આવે છે ત્યારે એના પર થોડી ખાંડ નાંખવામાં આવે છે. પછી ચોકલેટને કસ્ટમાઈઝ રીતે નાંખવામાં આવે છે. જેથી વધારે પડતી મીઠી વસ્તુ તૈયાર ન થાય. બેક્ડ આઈટમ હોવાથી વ્યવસ્થિત પકવ્યા બાદ જ એના પર ટોપિંગ અને ચોક્લેટની મસ્ત કાળી પણ જીભને ચોંટે એવી રંગોળીઓ કરવામાં આવે છે. 

      કોઈને બ્રસેલ્સના વોફલ્સ ગમે તો કોઈને લીચના.એક વખત વસ્તુ તૈયાર થયા બાદ ફરી એને શેકવામાં આવે છે. એક વખત શેકાયા બાદ એ થોડું સખત થાય છે. છેલ્લે આવે છે ટોપિંગ્સનો વારો. ગરમાગરમ કાણાવાળી વસ્તુ પર ચોક્લેટ સોસ નાંખીને મજેદાર બાઈટ તૈયાર કરવામાં આવે છે. હા...ફ્રેશ ફ્રુટ પણ નાંખી શકાય છે. જેમાં સ્ટ્રોબેરી મોટાભાગના ફૂડ લવર્સની ફર્સ્ટ ચોઈસ છે. (હા, ગુજરાતીઓ બાકાત છે હો... કારણ કે, અહીંયા એક વર્ગ તો પીઝા સાથે પણ છાસ ઢીચે...) પછી એની સાથે એક ક્રિમ પેસ્ટ પણ મૂકાવી શકો. આ તમામ વસ્તુ પાછી ટોટલી બેઝ પર કસ્ટમાઈઝડ છે. ચલો માની લો કે, ટેસ્ટમાં મજા ન આવી. જો એના પર લગાવેલી તમારા ફ્લેવરની આઈસક્રિમ તો જામો પાડી દેશે એમાં કોઈ બે મત નથી. પછી ચોકલેટના ટુકડા નાંખીને મસ્ત એન્જોય કરી શકાય. હા, આપણે ત્યાં હોય જેવું નથી કે, ઉપરથી વધારાની ચોકલેટ માંગ તો ડાચા બગડે..અહીંયા તો ખવડાવનારાનો ટેસડો છે. સ્ટ્રોબેરી અને ક્રિમ વાળી વોફેલ્સને લીએજ કહેવામાં આવે છે. બાકી સાદી વોફેલ્સ ચોક્લેટ તો કોમન છે. એ પછી ખાનારા પર છે કે, બ્લેક ચોકલેટ ખાવી છે કે, ચોક્લેટ સોસ. બ્રસેલ્સમાં ગ્રાન્ડ પ્લેસની આજુબાજુની કોઈ પણ સ્ટ્રીટમાં આટો મારો એટલે યુરોપીય કલ્ચરની આંખને સુગંધ આવે.  

     હવે આમા પણ નવા પ્રયોગ થાય છે. જેમ ચાઈનીઝ ભેળ નામની કોઈ વાનગી ચીનમાં મળતી નથી. આ ઈન્ડિયન કસ્ટમાઈઝેશન છે. એમાં ત્યાં પણ અખતરા કરનારા હોય ને? ફેર એટલો કે, ત્યાં શેરીમાં વેચનારો પણ સર્ટિફાઈડ હોય અને આપણે ત્યાં પહેલા હેલ્પર તરીકે હોય પછી એ તવામાં તેલથી વધાર કરતો હોય. એ પણ એવી રીતે સ્ટાઈલ મારે કે, દુકાન વધાવવાનો સમય થાય ત્યારે ગેસ અને તવાની આસપાસનું મટિરિયલ્સ ભેગું કરવામાં આવે તો એક વ્યક્તિનું ફૂડ પાર્સલ થઈ જાય. શરૂઆતમાં આ વાનગી દુનિયાભરમાં વિસ્તરી. એની સામે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ખાસ આ વાનગી ખાવા માટે બ્રસેલ્સ પધાર્યા. કોઈ પણ વિદેશની વાત હોય પછી ફૂડ હોય કે ફેશન. અમેરિકાનું નામ ન આવે તો અમેરિકાને ખોટ ન જાય? અમેરિકામાં બ્રસેલ્સ વોફલ્સ હજ્જારો લોકોને દાઢે ચોંટ્યા બાદ એની માંગ વધી ગઈ. 

તમામ પ્રકારના વોફેલ્સ

    વોફેલ્સ મૂળ ડચ શબ્દ વેફર પરથી ઊતરી આવ્યો છે. 8 ફૂટની વોફેલ્સ તૈયાર કરીને નેધરલેન્ડના એક ગ્રૂપે વર્લ્ડ રેકોર્ડ પણ કરેલો છે. બેલ્જિયમ વોફેલ્સ ઓરિજનલી બ્રસેલ્સ વોફેલ્સથી ઓળખાય છે. જેમ જેમ દુનિયાના દેશમાં આ વોફેલ્સ ફરતી ગઈ એમાં કસ્ટમાઈઝેશન થતું ગયું.  

Sunday, December 17, 2023

જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

 જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

  સૂકા દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બોલીવુડને બેઠું કરનાર પઠાણે કમાણીમાં છોતરા ફાડી નાખ્યાં. એ પછી જવાને સિસ્ટમ સામે બાંયો ચડાવીને એક વેઇકપ કોલ જેવું કામ કર્યું. વચ્ચે તું જુઠ્ઠી મે મકકાર નામની ફિલ્મ આવી પણ એ ઠીક ઠીક રહી. પણ પૈસાના ખોખા તો એને પણ ભરી લીધા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ કે કલાકારો તો ઠીક એને કાયમ . માણનારા દર્શકો એક કપરો દાયકો કોઈ દિવસ ભૂલી નહીં શકે. વિષય સારો હોઈ તો સ્ક્રીપ્ટમાં ઠેકાણા ના હોય, પ્રેઝન્ટેશન સારું હોય તો ગીતમાં ઠેકાણા ના હોય. ગીતની વાત આવી એટલે એક વાત પર એ પણ પ્રકાશ પાડું કે, મ્યુઝિક વીડિયોથી આખા સંગીત અને વિડીયોની ફ્લેવર્સ બદલી ગઈ. 90 ના દાશકમાં આ કામ પોપ મ્યુઝિકથી થયું. એની પણ પહેલા બપ્પી દા એ ડાન્સ મ્યુઝિક પીરસીને દરેકના પગને થીરકતા કરી દીધા. 

   કોરોનાના કાળ બાદ જાણે યુગ પરિવર્તન થયું હોય એવો અહેસાસ થયો. ખાસ કરીને સંગીતના સેક્ટરમાં એવી નવી ટેકનોલોજી આવી કે ઘરબેઠા પણ અમુક વસ્તુનું કંપોઝિશ શક્ય બન્યું પણ એમાં પણ સ્ટુડિયોની ફીલ અને એક્સપર્ટની ઇફેક્ટ તો મિસીંગ જ હતી. ટાઇગર 3 ફિલ્મથી અરિજિત અને સલમાનનો મેળ પડી ગયો. એટલે સ્વેગ સે સ્વાગત ચાલ્યું એટલું લેકે પ્રભૂકા નામ ના ઉપડ્યું. સલમાનને પણ પ્રભુનું નામ લેવું પડ્યું હશે ત્યારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં રીતસરની હાફી ગઈ. વચ્ચે પાછો વર્લ્ડકપ આવ્યો પણ ઓસ્ટ્રેલિયા એને ખેચી ગયું. એ પછી બાદશાહના ધૂમધડાકા વાળા પાર્ટી સોંગ રિચાર્જની વેલીડિટીની જેમ આવ્યા. જે ક્યારે ફેંકાઈ ગયા એની ખબર જ ન પડી. વેલ, એનિમલ ફિલ્મે રણબીર કપૂરના સાતેય રંગ ખીલવી દીધા. ઈમોશન, લવ અને લોહીના ફુવારા કરતાં એક્શન સીન એવા રહ્યા કે કબીરસિંહ ટૂંકા પડે. એમાં પણ 500 ટન વજનવાળી ઓરીજીનલ ગનથી રીતસરનો શોક લાગ્યો. જોકે આની પાછળ સુરેશ સેલવર્જન નું ભેજું છે. ઠેકન્સ ટુ હીસ ટીમ. (કાઠિયાવાડી થેંક્યું ને ઠેંક્યું બોલે....હા હા). રણબીરએ આ ફિલ્મથી એક્શનનો નવો માઇલસ્ટોન ઉભો કરી દિધો. પણ આ રેઇનબો કપૂર કરતા પણ વધુ ચર્ચા એ ફિલ્મના વિલનની છે.

     આશ્રમ વેબ સિરીઝથી વિલનના રોલમાં કમબેક કરનાર બોબી આખી ફિલ્મમાં એક શબ્દ બોલ્યો નથી. પણ આ ધરમપુત્ર એ ફેસ એક્સ્પ્રેસમાં કાયદેસર પાડી દીધાં. હવે એની એન્ટ્રી વખતે એ જે ગીત વાગે છે એના મૂળ ઈરાનના છે. ઈરાનની એક સમયની કવિતા હતી આ જમાલકુડુ. અસ્સલમાં હર્ષવર્ધન રામેશ્વરમ એ આ ગીત કંપોઝ કર્યું છે. વર્ષો પછી આ ધૂન ડીજેની જુદી જુદી બીટ પર વાગે છે. ઈરાનના ખત્રેહ ગ્રૂપ આને સૌથી પહેલા કમ્પોઝ કરેલું. એ વખતેની આબેહૂબ ધૂન ફિલ્મમાં લેવાઈ છે. વર્ષ 1950માં ઈરાનમાં આવેલી ખરાઝેમી ગર્લ્સ હાઈ સ્કૂલમાં કવિતા રૂપે પ્લે થયું. બીજાન સમાંદર નામના સર્જકે આના શબ્દો લખ્યા છે. ભલે આપણા દિમાગમાં એ સમજાય નહિ પણ ઈરાનની ભાષામાં એનો એક અર્થ થાય છે. એમ તો કોલાવેરી ડી માં પણ કોઈને કંઈ ટપ્પો પડ્યો ન હતો, પણ મજા બધાને ખુબ આવી. 

     પહેલી વખત આ ગીત શિરાઝી ચોઇરે ગાયું. પછી ઈરાનના કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગવાતું. સંદીપ વાંગા રેડ્ડીના એક્શન સીન માટે જેટલી ગાળો દેનારા છે તો એકવાર એની આવી ધી બેસ્ટ કહી શકાય એવી મ્યુઝિક સેન્સ માટે પણ એક તાલી તો બનતી હૈ...હવે કરીએ ગીતની અંદરની વાત. હવે જેને ધ્યાન આ ગીત સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગીતમાં કોઈ જ સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેંટ પાછળ નથી વાગતા. કોઈ જ લીડ પ્લેઈંગ થતું નથી. આખું ગીત કોરસ (ગાયકોનું એક ગ્રુપ જે લીડ સિંગરની પાછળ ગાતું હોય) થી શરૂ થાય છે અને કોરસમાં જ એન્ડ થાય છે. બીજી એક ખાસ વાત આખું ગીત કલેપ બિટ પર છે. વીડિયોમાં પણ એક ગ્રુપ તાલીના સહારે ગીત ગાય છે. બેગ્રાઉંડમાં વાગતું વાજુ એક કોઈ હાર્મોનિયમ નથી. આર્કોડિયન છે. આ ગીત ફિલ્મમાં પ્લે થયા બાદ એની એન્ટ્રી ક્લિપ ચાર દિવસમાં 24 મિલિયન વ્યું સુધી પહોંચી ગઈ. 

   બોબીની એન્ટ્રી વખતે આ ગીત વાગશે એ નિર્ણય ડાયરેક્ટરનો હતો. પણ એમાં બોબી જે ડાન્સ કરે છે એ ડાન્સ આઈડિયા બોબીનો પોતાનો છે. જે રીતે જવાન ફિલ્મમાં ટ્રેન મા શાહરૂખ બેકરાર કર કે હમે ગીત પર જે ડાન્સ સ્ટેપ કરે છે એ કોઈ જ કોર્યોગ્રાફરે એને શીખવાડયા નથી. એ એના પોતાના છે. જ્યારે બોબીને એની એન્ટ્રી કેહવામાં આવી એ સમયે બોબીને એનું બાળપણ સાંભર્યું. નાનો હતો ત્યારે તેણે પંજાબમાં કોઈને ગ્લાસ માથે મૂકી નાચતા જોયેલા. આ જ વસ્તુ બોબી ફિલ્મમાં કરે છે. ફિલ્મના વીડિયોમાં દેખાતી મસ્ત છોરી હકીકતમાં ઈરાનની જ છે. જે ક્રશગર્લ બની ગઈ છે. જેના ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત 2 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ એવી મેહનતું છોરી છે જેને કર્મબળે કમાણી કરી છે. નોરા સાથે પણ નાચી ચૂકી છે. ટૂંકા સમયની સ્ક્રીન પ્રેઝેન્સ કામ કરી ગઈ. બંદી સ્ટાર બની ગઈ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વખતે ઈરાનની ભૂમિકા સામે સવાલ થયા હતાં. એક સમયે આ દેશને લોકો અલગ નજરથી જોતા હતાં. પણ આ ગીતના મૂળ ઈરાનમાં છે અને આજે દર દસ લોકોની રિલ્સ, સ્ટોરી અને સ્ટેટસ આ ગીત જોવા મળે છે. આ જ તો તાકાત છે સંગીતની, કલાની, ફિલ્મની, અપિલિંગની. સમજાય ભલે કાઈ નહીં પણ મજા બૌ આવ્યા રાખે. કલા કાયમને માટે કનેક્ટ કરવાનું કામ કરે છે એ પછી સંગીત હોય કે સાહિત્ય. મ્યુઝિક તો ઓલવેઇઝ જોડે છે. જેને અલગ નજરે જોતા એ જ દેશનું ગીત આજે આઇકોન છે. સેલ્યૂટ છે આ સંગીતને અને સંદીપ વાંગાં રેડ્ડીને.


ગીતના શબ્દો અને અર્થ

Jamal Jamalek Jamaloo Jamal Kudu’ means 'Oh my love, my beloved, my sweet love!’

Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)


Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)


Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)

Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)

Sunday, December 03, 2023

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ 

મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફરી એકવાર દાવો કરવાની તક મળી છે કે તેનું સ્લોગન પાયાવિહોણું નથી. પરંતુ બિલકુલ અર્થપૂર્ણ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર 'મોદીના જાદુ'ની પુષ્ટિ કરી છે. મોદી છેલ્લા 10 વર્ષથી ભાજપ માટે વિનિંગ મશીનની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અનુક્રમે પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે સિંધિયા અને ડૉ. રમણ સિંહને ભાજપે જાળવી રાખ્યા હતા. એ અલગ વાત છે કે રાજવી પરિવારોથી પ્રભાવિત રાજસ્થાનમાં રાજે નારાજ થવાનું જોખમ ન ઉઠાવવા માટે ભાજપે પૂર્વ સીએમ ઉમેદવારોને ટિકિટ આપી. પરંતુ પાર્ટીએ ક્યારેય તેમનો ચહેરો મુખ્યમંત્રી તરીકે આગળ રાખ્યો નથી. ચર્ચા એવી પણ હતી કે, રિસાયેલા ને મનાવી લઈને સાચવી રાખવાની ભાજપની રણનીતિ રહી છે. 

         


જુલાઈમાં, જ્યારે ભાજપે સંગઠનાત્મક ફેરફારો કર્યા, ત્યારે વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. આ મનાવવા સાથેની પહેલી ઓફર હતી. તેમની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. સંકેત સ્પષ્ટ છે - રાજ્યના રાજકારણમાંથી બહાર આવો અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરો. ટૂંકમાં સ્થાનિક રાજકારણ એવી રીતે ફેરવી નાખ્યું કે, રિસાયેલા માની જાય અને મોટા કેન્દ્ર માં નાનું પણ વજનદાર પદ મળે. વિપક્ષની આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં પ્રહાર કરવા કરતાં એના જ નિવેદનને ફેરવી તોળીને પ્રજા લક્ષી સ્પર્શ આપી દઈને હરીફ પક્ષને પછાડી દીધો. રાજસ્થાનમાં માત્ર 9 રોડ શો અને રેલી કામ કરી ગઈ. આવા તો ફેક્ટર અને ગ્રાઉન્ડ પરની ફાઈલો મોટી છે. 

     જો કે, વસુંધરા અને રમણ બંનેને અનુક્રમે ઝાલરાપાટન અને પાટણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી હતી. બંનેએ પોતપોતાની બેઠકો પર પણ જીત નોંધાવી છે. ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં ડંકો વાગી રહ્યો હતો.. જ્યારે કોંગ્રેસ પાર્ટીને જીતનો વિશ્વાસ હતો, ત્યારે ભાજપના અભિવ્યક્તિઓ પણ સંકેત આપી રહ્યા હતા કે ત્યાં પણ જીતની કોઈ આશા બાકી નથી. પરંતુ પરિણામ સૌની સામે છે. છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. રાજસ્થાનના રણમાં પણ કમળ ખીલ્યું છે. તમામ એક્ઝિટ પોલના અનુમાન મુજબ કોંગ્રેસ પાર્ટી માત્ર છત્તીસગઢમાં પોતાની સત્તા બચાવી રહી નથી, તે મધ્યપ્રદેશને પણ ભાજપ પાસેથી છીનવી રહી છે.પણ પરિણામે ચિત્ર ફેરવી નાખ્યું. કાલ્પનિક ભય ને વાસ્તવિક ખાઈ પેદા કરતા ઘૂઘરાથી થોડું અલગ કહી શકાય એવું પરિણામ દેખાયું. ભાજપનો આત્મવિશ્વાસ અને સ્ટાર બ્રાન્ડ નેતાઓની અસર કરતા પરિણામ આપે એવા નિર્ણય કામ કરી ગયા. 

     બાય ધ વે, દેશમાં ચૂંટણી ગમે તે હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ નેતાની સૌથી વધુ ડિમાન્ડ હોય તો તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. હિંદુત્વના પ્રબળ સમર્થક એવા ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથનો ક્રેઝ એટલો બધો છે કે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો આપોઆપ એકઠા થાય છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ યોગીની જાહેર સભાઓ અને રોડ શો માટે ભાજપના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પણ અંતે તો સનાતન ની વાત થી રિઝલ્ટ બદલી ગયું. આ પરિણામ બાદ દેશનો રાજકીય નકશો બદલશે એ તો નક્કી છે. સંપત્તિ શોખીન નેતાઓની લોટરી લાગી. પણ હિંમત અને આવડતની યશોગાથા તો માત્ર મોદીના નામે જ છે. નિષ્ફળ કે નકામા નિવેદનમાં આમ તો જવાબ દેવાની વૃત્તિ દેખાતી હોય છે પણ એમાં એક ભાજપની બે ટીમના પ્રયાસ રિપોર્ટ કાર્ડ સુધી પહોંચ્યા. જેમાં એક કેડરની મોટા નેતાની વજનદાર વાણી અને આંકડાનો હિસાબ કરવા કરતાં વ્યકિતત્વની છાપ મતદારોને ખેચી લાવી. 

   


 તેલંગણાની તસવીર બદલવાની હતી એ થોડું અપેક્ષિત હતું. બીજી એક વસ્તુ એ શીખવા જેવી છે કે, કોઈ દિવસ એક્ઝિત પોલ જોઈએ મીઠાઈ ખરીદવી ના જોઈએ. દેશની વાત કરીએ તો અત્યારે ભાજપ પાસે 10 રાજ્યોમાં મુખ્યમંત્રી છે. તે જ સમયે, ભાજપ છ રાજ્યોની સરકારમાં ભાગીદાર છે. કોંગ્રેસ પાસે ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી છે. જ્યારે, કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ગઠબંધન સરકારનો ભાગ છે. સાત રાજ્યો એવા છે જ્યાં અન્ય પક્ષોની સરકારો છે. પંજાબ અને દિલ્હી એમ બે રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પશ્ચિમ બંગાળમાં TMC, તેલંગાણામાં BRS, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર છે.

    મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના સાત રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર ચલાવી રહ્યા હતા. તેમાંથી પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી હતા, જ્યારે તેનો સાથી પક્ષ આંધ્રપ્રદેશ અને પંજાબમાં સત્તામાં હતો. એટલે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પછી સંગઠનમાં પણ અમુક વસ્તુ બદલી ગઈ. મોદી લહેર પહેલી લોકસભા વખતે કામ કરી ગઈ આ વખતે હવે આ રાજ્યોમાં મોદીની ગેરંટી એ ઇમ્પ્રેશન જમાવી. આમ તો જ્યારે પણ પરિણામ આવે ત્યારે સંઘ પરિવારની વાત થઈ જાય છે. પણ ઘણા એવા કિસ્સા એવા પણ જોવા મળ્યા કે, સંઘ કરતા સંગઠનનું વલણ જુદું રહ્યું. માત્ર મત અપીલની વાત કરતું સંઘ એક વાત પર કાયમ રહ્યું. સનાતન ધર્મના મુદ્દા અને હિન્દુત્વ. જોકે વાતના મૂળ દક્ષિણમાં છે. સ્ટાલિન પુત્રનું નિવેદન બીજા રાજ્યોને અસર કરી ગયું. જોવાનું એ રહે છે કે, મુખ્યમંત્રી કોણ બને છે. રાજકીય કેબીએમ (કૌન બનેગા મુખ્યમંત્રી) ભલે કોઈ પણ જીતે પણ સરકાર સંગઠનની સંચાલન છબી થી ચાલશે. એ નક્કી છે.


જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...