Tuesday, December 31, 2024

2024 ગુડબાય....વેલકમ.....2025

 2024 ગુડબાય....વેલકમ.....2025 

     તારીખ દરરોજ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, તારીખ આખું વરસ બદલી નાંખે છે. આ દિવસ અને તારીખ એટલે 31મી ડિસેમ્બર. વર્ષની ગણતરીમાં ઊંડા ન ઊતરતા કે ફ્લેશબેકના રીવ્યૂમાં પડ્યા વગર વાત એ કરીએ કે, જે ગયું એ મેમરીઝ રહી જે આવશે એ મેકિંગ રહેશે. જેમાં મેમરીઝ કેવી અને કેવડી બનાવવી એ આપણા સૌના હાથમાં છે. શેરમાર્કેટથી લઈને સિનેમા સુધીના ક્ષેત્રમાં આપણી દિવાળી વખતે ભવિષ્યની નજીક રહેતી આખી ટાઈમલાઈન પ્રસારિત-પ્રકાશિત કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર જ્યારે સમય બદલે છે ત્યારે એ બી પ્રેક્ટિલ એવું શીખવાડી જાય છે. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી રહી, જે ખરેખર તો કોઈ દિવસ સામાન્ય રહી નથી અને અમેરિકામાં પ્રેસિડન્ટ ઈલેક્શન રહ્યું. જેમાં વિવાદોના પંપને લાત મારીને ટ્રમ્પ મેજિકલ સાંતા ક્લોઝ તરીકે હાજર થાય એમ રાજકીય મેદાનમાં પ્રગટ થયા. 

       ઈઝરાયેલ, ઈરાન, રશિયા અને યુક્રેન આ તમામ યુદ્ધભૂમિમાં રહ્યા અને દુનિયા આખીને ભયભીત કરી દીધી. સતત મોતના ઓઠા હેઠળ જીવતા લોકોની આશા હવે એ હશે જ કે, ક્યાંયથી કોઈ બોંબ ન ફૂટે અને નવા વર્ષે કોઈ યુદ્ધ ન થાય. કારણ કે યુદ્ધ દુનિયાના બાકી દેશ કરે છે અને મોંઘવારીનો અજગર અમારા દેશવાસીઓને કરડી નહીં આખેઆખો પચાવી જાય છે. જેમાં સૌથી વધારે ક્રશ થાય છે મધ્યમવર્ગ. નોકરિયાત ક્લાસ. જેને કોઈ ફર્સ્ટક્લાસ ગણતું નથી. રાજનેતાઓ સિવાય. (ચૂંટણી વખતે જ હો). શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોને પૂછો તો કહે બે જ ઋતુ છે તેજી અને મંદી, શિક્ષકને પૂછો તો કહે રાબેતામુજબ શૈક્ષણિકાર્ય અને વેકેશન. પણ આ વખતે શિયાળાએ અહેસાસ કરાવ્યો કે, ઋતુની વાત આવે ત્યારે હું પહેલા છું અને સલમાન ખાનની જેમ ફરતા લોકો માટે અઘરો છું. આ વખતે તો સારા સારા પ્રદેશના પાણી શિયાળાએ થીજવ્યા. વાહ...ક્યા મૌસમ હૈ....

     સિનેમા ક્ષેત્રે સિંઘમ અગેઈન પર રામકૃપા થઈ ગઈ. ફિલ્મમાં ભલે કોઈ દમ ન હતો પણ રામાયણ પર રીસર્ચને કારણે ફિલ્મ બોક્સઓફિસના દરિયામાં તરી ગઈ. લોકોને ગમી ગઈ અને કરોડો કમાઈ ગઈ. એ પછી ભૂલભૂલૈયા પણ ઠીકઠાક ચાલી. આ બધા વચ્ચે ડંકો તો મહિલાઓનો વાગે હો...બોલે તો સ્ત્રી-2. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સુરક્ષા ક્ષેત્રથી લઈને સિનેસૃષ્ટિ સુધી. સેલ્યુટ ટુ લેડીઝ વિંગ. ડિફેન્સક્ષેત્રે 2024માં નોંધપાત્ર મહિલાઓની સંખ્યા જાણવા મળી. બાકી સ્ત્રી-2એ તો કમાણીના મામલે બાહુબલીને પણ પછાડ્યો. વાહ...શેરની વાહ....વિદાય લઈ રહેલા વર્ષની વાત છે ત્યાં સુધી આ વર્ષના અંતિમ તબક્કામાં ત્રિશોક અનુભવાયો. શ્યામ બેનેગલ, પુરૂષોત્તમ ઉપાધ્યાય અને ઝાકિર હુસૈન. એવું લાગે છે કે, સ્વર્ગમાં રતન ટાટા કોન્સર્ટ યોજશે. જેમાં સુગમ સંગીતના સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાય સ્વર આપશે જ્યારે તબલા પર સાથ આપશે ઝાકીર હુસૈન. વાહ...શું એ સીન હશે! સ્વર્ગના સ્ટેજનો જ્યાં આપણી મર્યાદિત દ્રષ્ટિ પહોંચશે પણ નહીં અને દિલ એને માણશે પણ નહી. હા, આ ગીતમાં શબ્દો હશે સ્વ. મુનવ્વર રાણાના. પુરૂષોત્તમભાઈ સ્ટેજ પર પછી સરપ્રાઈઝ આપીને ચિઠ્ઠી આઈ હૈ ફેઈમ પંકજ ઉઘાસને રજૂ કરે તો તો જલસો.

      આવડી મોટી ઈવેન્ટ કંઈ પૈસા વગર થોડી થાય? નો ડાઉટ દેશ જ્યારે આર્થિક રીતે ખખડી રહ્યો હતો એ સમયે કોઈ જ દેવું વધાર્યા વગર જેણે પોલીસી મેકિંગથી નેશનને સ્ટ્રોંગ મોટિવેશન આપ્યું છતાં મૌન રહ્યા એવા સ્વ.ડૉ.મનમોહનસિંહ. પિતાની ઈચ્છા આ વ્યક્તિને ખરા અર્થમાં તબીબ બનાવવાની હતી. પણ આખરે અર્થશાસ્ત્ર પસંદ કરીને બીમાર અર્થતંત્રની સારવાર કરી. તબીબ તો ન બન્યા પણ પદવી લઈને ડૉક્ટર તો સો ટકા બન્યા. સ્વર્ગમાં યોજાનારા આ કાર્યક્રમનું સરનામું રામોજી ફિલ્મસિટી અવશ્ય રહેવાનું. ચલો જો ચલા ગયા વો વાપસ ન આયેગા. તું કિસ્મત લેકે આયા હૈ કરમ લેકે જાયેગા. ખોટ અને ખામીને બાજુએ મૂકીને મુવ-ઓન થઈએ. લેટ્સ વેલકમ ટુ 2025. જેમાં પ્રેક્ટિકલ બનીએ. ઈમોજીથી વ્યક્ત થવા કરતા ઈમોશનથી વ્યક્ત થઈએ. સ્ક્રિન ટચ કરતા ગમતી વ્યક્તિને સ્કિનટચ કરીએ (સામેવાળીની પરમિશન સાથે હો.) વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી નોલેજનો નીચોડ કાઢીએ અફવાઓને ઊલટી લાત મારીને એકચ્યુઅલમાં જીવીએ. 

       ડીયર 2025. ડીજેના તાલે તને આવકારતું યુવાધન અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરમ ન ભૂલે એવી પ્રભુપ્રાર્થના. થનગનાટ વખતે દિલ માગે મોર અને પછી જાહેરમાં સુરક્ષાકર્મી કોઈના મોર ન બોલાવે તો સારૂ. શક્તિ વંદનાની વાતો વચ્ચે કોઈ દીકરી અને કોઈ જ વર્ગની દીકરી શરીરના ભૂખ્યા રાક્ષસોથી પીંખાઈ નહીં એવી પીળાપિતાંબરધારીને અરજી. મધુસુદનજીને પ્રિય એવું માખણ દૈનિક ધોરણે પોસાય એમ નથી. પણ કોઈ ભૂખ્યું ન સુવે મોંઘવારીનો એનાકોન્ડાના કાબુમાં કરવા કોઈ જગમોહન પધારે તો વગર પંડિતે મધ્યમવર્ગ એને પોંખે. ચૂંટણીમાં ઊતરે તો આને વગર પ્રચારે કેન ભરાઈને મત મળે. આમ તો મારો દેશ દરેક ક્ષેત્રમાં દુનિયાના દેશને હંફાવી રહ્યો છે. પણ ભાગ્યના ઈશ્વર, આ ધર્મના ફાકા મારનારા અને એની ફૌજ ઊભી કરનારાનું ફોતરૂં પણ ન અસર કરે એવા ભારતની અમે કલ્પના કરીએ છીએ. અને અંતે 2025માં આપણું ભારત નંદનવન બને અને આપણે સૌ એમાં મસ્ત રીતે નિયમપાલન સાથે રહીએ. હેપ્પી ન્યૂ યર





Friday, December 13, 2024

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક 

    ડિસેમ્બર મહિનો વર્ષનો સૌથી છેલ્લે મહિનો ગણાય. આખા વર્ષમાં શું થયું એનું સંક્ષિપ્ત આ મહિનાના છેલ્લા ચાર-પાંચ દિવસોમાં આપણી સામે આવે. દિવાળી પછી આવતા ન્યૂયર પર રીઝોલ્યુશન સેટ ન કર્યું હોય હવે તેને સેટ કરવા માટેનો મહિનો. જેના છેલ્લા દિવસમાં એક આખું વર્ષ બદલી જાય. આમ તો દૈનિક ધોરણ પર તારીખ બદલે પણ વર્ષના અંતિમ દિવસે એક આખું વર્ષ બદલે. આવા બદલાવ વચ્ચે પણ સ્પોર્ટ્સ જગતમાં એક એવો ઈતિહાસ લખાયો જેની નોંધ રમતગમત જગતના દરેક ખેલાડીએ લીધી. મૂંછનો દોરો ફૂટ્યો ન હતો એવી ઉંમરમાં દેશના નામનો ડંકો સાત સમંદર પાર વગાડવાની લોખંડી ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિએ ડિસેમ્બર 2024 બદલી નાંખ્યું. દક્ષિણ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ પ્રાંતમાંથી સમયાંતરે એવા વિવાદ સામે આવે કે, અહીંયાના કેટલાક ગોબરગંદાઓ અલગ પ્રાંતની માંગ કરે છે. એની વિચારધારા સામે એમના જ ઝોનમાંથી આવતા વ્યક્તિએ પોતાની સિદ્ધિથી તમાંચો મારીને બોલતી બંધ કરી દીધી. હવે એ જ લોકો વી આર ઈન્ડિયનના પીપૂડી વગાડતા થઈ ગયા. ધેટ્સ એ સક્સેસ. આ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ એટલે રગરગમાં જોશ ધરાવતો તરવરિયો યુવાન એટલે ગુકેશ ડોમ્મારાજુ. (ડી.ગુકેશ)

    આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ એના જીવનના ફ્લેશબેકમાં ડોકિંયુ કરવામાં આવે તો પહેલીવાત એ શીખવા મળે છે કે, હારને પચાવતા શીખવી પડે. વિષય રમતનો છે એની સાથે સૌથી વધુ  જેની ચર્ચા સદાય થતી રહે છે એવા ક્રિકેટની પણ વાત કરીએ તો વિરાટનું કંગાળ પ્રદર્શન કેવું હતું એના દરેક ક્રિકેટપ્રેમી સાક્ષી રહ્યા છે. પત્તાપ્રેમીઓએ તો એના પર નંબર લગાવવાના બંધ કરી દીધા હતા. આ ભાઈનું બેટ ઉપડ્યું છેલ્લા ટી20 વિશ્વકપમાં. હાફસેન્ચુરી પૂરી કરીને ભાઈ ફોર્મમાં આવ્યો. એવી જ રીતે ગુકેશે પણ અંતિમ તબક્કામાં હરિફને પરસેવો લેવડાવી દીધો. ચીનના ખેલાડી ડિંન લિરેનને માત આપી દીધી. ચેસ ચેમ્પિયન ગુકેશ ચેન્નઈથી આવે છે. દક્ષિણ ભારતનું મહાનગર તમિલનાડું રાજ્યનું એપી સેન્ટર ગણાય છે. આ રાજ્યને ચેસનું કેન્દ્ર જ નહીં ગઢ કહેવામાં આવે છે. દેશના કુલ 85 ગ્રાન્ડ માસ્ટર્સમાંથી 31 તમિલનાડુંના છે. હવે તો માનવું પડે કે, બુદ્ધિ તો બાકી સાઉથમાં છે.

     આટલું વાંચ્યા બાદ સવાલ એ થાય કે, આમાં નવું શું છે. લો હવે જે છે એ નવું છે. સમ્રગ દેશના તમામ રાજ્ય કરતા સૌથી વધારે ચેસ મેન્ટર્સ તમિલનાડુંમાંથી છે. શતરંજને તમિલ ભાષામાં સથુરંગમ નામથી ઓળખાય છે. જેની ઉત્પત્તિ તમિલ ભૂમીમાંથી થઈ છે. એવું તમિલનાડુંના દરેક લોકોનું માનવું છે. તિરૂવરૂર નામનું એક સરસ સિટી છે. તમિલનાડુંના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીને પણ અહીંયાથી રાજકીય સફર શરૂ કરી છે. જ્યાં સથરંગ વલ્લભનાથન મંદિર છે. જેની કલાકૃતિ મનમોહક છે. આ મંદિરનમાં જે પ્રભુ બિરાજમાન છે એને શતરંજના દેવતા મનાય છે. કહાની યહાં સે શુરૂ હોતી હૈ.  દંતકથા અનુસાર પ્રભુ શિવે એક ભક્તને રાજાની દીકરી સામે શતરંજમાં જીતી બતાવવાનું કહ્યું. આ ભક્ત જીતી જતા નામ અપાયું સથરંગ વલ્લભનાથન. હવે રાજરાજેશ્વરી તરીકે રહેલી સુંદરીને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. આ રાજકુમારી પણ એક શતરંગની અનુભવી ખેલાડી રહી ચૂકી હતી.  

     સુંદરીના પિતા રાજા વસુસેને એ પણ એવું એલાન કરેલું હતું કે, જે સુંદરીને શતરંજમાં હરાવશે એના લગ્ન સુંદરી સાથે થશે. પિતા (રાજા)એ જ ચિંતા વ્યક્ત કરી કે, આને કોઈ પરાજીત કરી શકતું ન હતું. શિવકૃપાથી એક ભક્તે આ કરી બતાવ્યું. એવું પણ કહેવાય છે કે, આ કોઈ ભક્ત નહીં પણ સ્વયં પ્રભુ શિવ જ હતા. આ મંદિરના ડૉક્યુમેન્ટેશનમાં ચેસનો ઉલ્લેખ છે. વિશ્વનાથ આનંદથી લઈને માસ્ટર મૈનુઅલ આરોન સુધી દરેક માસ્ટરે પોતાના શિષ્યોને તૈયાર કર્યા. આ રીતે તૈયાર થઈ ટીમ ચેસ. જેને દુનિયાભારના ચેસના ખેલાડીને લલકારી ચેઝ કર્યા. તમિલનાડુંમાં બાળક જ્યારે સ્કૂલમાં હોય એ સમયથી એમને ચેસની ચાલનું પ્રાથમિક પ્રકરણ શિખવાડમાં આવે છે. દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર સુબ્બારામન વિજયલક્ષ્મી પણ તમિલનાડુંથી હતા. ગ્રાન્ડમાસ્ટર્સની યાદીમાં કુલ 18 જેટલી તો મહિલાઓ છે. હવે કહેતા નહીં કે, છોકરીઓની બુદ્ધિ પગની પાનીએ હોય કારણ કે, ચેસ દિમાગથી રમાતી ગેમ છે. 

   જે રીતે આપણે ત્યાં શેરીએ શેરીએ સ્ટાર્ટઅપ (વેપાર, બિઝનેસ) ઊભું કરવા માટેના ભેજાબાજ છે એમ તમિલનાડુંના દરેક જિલ્લામાં શતરંજના પાવરફૂલ અને ઓરિજિનલ ખેલાડી છે. તમિલનાડું રાજ્યમાં એક પ્રોગ્રામ ચાલે છે. જેનું નામ છે સેવન ટું સેવનટીન. જે અંતર્ગત સાત વર્ષનું બાળક થાય એટલે એને ચેસની તાલીમ આપવામાં આપવામાં આવે છે. વેલામ્મલ વિદ્યાલય. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી એક એવી સરકારી પ્રાથમિક શાળા, જ્યાં 10000થી વધારે વિદ્યાર્થીઓને ચેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ચેસ રમવામાં હોશિયાર હોય એને પછી ભણવાનું ભારણ દેવાતું નથી. ચેસમાં જ એનો ગ્રોથ અને ગોલ ફિક્સ કરી દેવાય છે. આને કહેવાય સ્પોર્ટ્સના બીજ શિશુવયમાંથી. આપણા ગુકેશભાઈ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે. 

   તમિલનાડુંમાં શતરંજ એ કોઈ ગેમ નહીં પણ સંસ્કૃતિ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. તમિલનાડું સરકાર અને વેલમ્મલ જેવી સંસ્થાના પ્રયાસથી આ રાજ્ય ચેસનું પેરેડાઈઝ છે. એક સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે બને એ તમિલનાડું પાસેથી શીખવું પડે. ગૂગલસર્ચ કરજો નેપિયર બ્રિજ. ચેસની દુનિયામાં પગલાં પાડ્યા હોય એવું લાગશે. માત્ર વાતો કરવાની જ વાત નથી. સમયાંતરે જે ટુર્નામેન્ટ થાય છે એમાં લાખો રૂપિાયના ઈનામ પણ વિજેતાને અપાય છે. ભાગ લેનારને પ્રમાણપત્ર અપાય છે. હવે તમે કહેશો કે એમ તો આપણે અહીંયા ખેલ મહાકુંભ પણ થાય છે. કડવું સત્ય સ્વીકારવું પડે કે, ગુજરાતમાંથી કોઈ જ ગ્રાન્ડમાસ્ટર્સ નથી. ચેસ ચેમ્પિયન નથી. પીટીની ચોપડીમાં ચેસનો પાઠ નથી. હશે તો પણ તજજ્ઞ નથી. 

Wednesday, November 13, 2024

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

 ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

      9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્યવસાયમાં કામ કરતી યુવતી અકાળે મોતને ભેટી. આઘાતનો સ્ટ્રોક ખાઈને ખમી ગયેલા એના માતા-પિતાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, ડ્યૂટી પૂરીને દીકરી ક્યારેય પાછી ઘરે આવશે જ નહીં. હિંસા અને હોબાળાથી ભરપૂર આ મહાનગરની ઘટનાએ દેશ-દુનિયામાં ફરી આપણી નારી સુરક્ષાના મુદ્દા સામે ડાચું બગાડ્યું. દૂધના ઊભરા જેવા સોશિયલ મીડિયામાં સમગ્ર પુરૂષજાત સામે વિરોધનો દાવાનળ એવો ફૂટ્યો કે, 48 કલાક સુધી ટ્રેન્ડ રહ્યો. દીકરીના ફોટા પરથી ઓળખ જાહેર થઈ ગઈ. શરીર ભૂખ્યા ઝોંબીને પણ પકડી લેવામાં આવ્યો. એ આખી ટોળખી તપાસના દાયરાામાં લોક થઈ ગઈ. દીકરીના વ્યવસાયને એના જ વ્યવસાય મંડળે એવો ટેકો આપ્યો કે, ગામેગામ-મહાનગરમાં એના ડંકા વાગ્યા. એક દિવસ કામથી દૂર રહીને વિરોધ નોંધવામાં આવ્યો. આટલું વાંચ્યા બાદ કોઈ વિચાર આવતો હોય તો એ આપની કલ્પનાનો ટ્રેક સત્યના પંથે છે. યસ, આર.જી.કર હોસ્પિટલ, કૉલકાતા. દુષ્કર્મ કાંડ. પાક્કા ત્રણ મહિના બાદ એ જ વ્યવસાયના કેટલાક હરામખાયા ધનપ્યાસી તબીબોએ ગુજરાતમાં કોઈના પેટની તો કોઈના હૈયાની પથારી ફેરવી. નામ ખ્યાતિ હોસ્પિટલ અને કામ સરકારી યોજનાના માધ્યમથી પૈસા ખંખેરવાનું. 

     આખો ઘટના ક્રમ શું હતો એ તો સૌ જાણે છે. ગુજરાત રાજ્યને વિકાસનું ઉદાહરણ કેવું હોય એ આઈકોન તરીકે ઉપસાવવામાં આવે છે. સારી વાત છે ઈન્ફ્રાં.થી એજ્યુકેશન સુધી બધું જ સલામત છે. શ્રેષ્ઠ છે. બસ ખિસ્સું પાવરફૂલ હોવું જોઈએ. એમાં લક્ષ્મીકૃપા કાયમી હોય તો શક્તિકૃપાથી કોઈ પણ શરણે થઈ જાય. જ્યારે કોલકાતામાં ન બનવી જોઈએ એવી ઘટના બની એ સમયે આખા દેશમાંથી ડૉક્ટરો એકમત થઈ ગયા હતા. વાહ... સલામ છે આ વ્યવસાયના લોકોની એકતાને..પણ જ્યારે એમના જ વ્યવસાયના કેટલાક અપવાદના અજગરો આવા કાંડ કરે ત્યારે એમની સામે કોઈ જ રેલી નથી નીકળતી. એમના ઘરની નેમપ્લેટ પર કોઈ કાળી પટ્ટી પર મારવા નથી જતું. માત્ર એક નાનકડી નોટિસ અને સસ્પેન્ડ. સસ્પેન્ડ એટલે અડધો પગાર ઘરે બેસીને ખાવાનો અને અડધા પડખે સુવાનું. આ એ જ માઈલા ડૉક્ટરે છે જે સિસ્ટમ સામે પોતાની માંગ સામે લડી લેવાના મૂડમાં હોય છે અને ગર્ભપરિક્ષણ છુપી રીતે તો કરતા જ હોય છે. જાહેરમાં વાત યોગ, ફિટનેસ અને ફ્રેશફ્રુટ ખાવાની કરતા હોય અને પ્રિસ્ક્રિપશનમાં એક પણ જીનેરિક દવા ન લખતા હોય. આવું તો દૈનિક ધોરણે થતું જ હશે. પણ કોઈ ભોપાળું બહાર ફૂટે એટલે બધાને રેલો આવે.

      સ્કૂલનો સમય પૂરો થયા બાદ નૈતિકતાનું માનસિક વિસર્જન થઈ જાય છે. મેડિકલની ફી સામાન્ય માણહને પોસાય એમ નથી એટલે જ્યારે એમાંથી જે તે વ્યક્તિ પાસ થાય છે ત્યારે એ પણ ભરેલા પૈસા એમ ઊભા થાય એની જ ફિરાકમાં હોય છે. વાત બિલકુલ સાચી છે કે, બધા એવા નથી હોતા. એવા જે હોય છે એને બીજાની શરમ પણ નથી હોતી. સિસ્ટમ જૂની અને જાણીતી કેસેટ વગાડશે કે, બેદરકારી બદલ કોઈને છોડવામાં નહીં આવે. સારૂ. એ પહેલા પણ પકડો તો ખરા.! ભૂગર્ભમાં ઊતરી ગયેલાના શ્યામલક્ષ્મી (બ્લેકમની.. યુ નો)  ધારકોને કોઈ ફેર પડતો નથી. બ્લડપ્રેશર હોય એ મીઠું ખાય તો એને પ્રેશર વધે, ડાયાબિટિઝ હોય અને વધારે પડતું મિષ્ઠાન ખાવ તો મુશ્કેલી ઊભી થાય. પણ એક સવાલનો જવાબ ગૂગલમાં પણ ગોત્યે જડતો નથી કે, આવા હરામખાયાઓ હરામનું ખાય એને કેમ એક ચોક્કસ સમય સુધી કંઈ થાતું નથી? આવા કાંડ ઉઘાડા પડે ત્યારે પહેર્યા કપડાં એમની ઈજ્જત ઊતરે. પછી ભૂગર્ભ રસ્તો શોધીને બીજે હાટડીઓ ખોલે. આવા લોકો કંઈ કાયમી ઘરે બેસે એવા હોતા નથી. સામે સિસ્ટમ પણ એવી ઉદાહરણ બેસાડી શકાય એવી સજા આપતું નથી એટલે ભક્તિ ચલતી હૈ. હવે જે પરિવારના ઘરમાંથી એક જીવ કાયમી ધોરણે ચાલ્યો ગયો એનું શું? પૈસાનો ઢગલો કરીએ તો પણ એનું ફરી અવતરણ તો થશે નહીં.

      મલ્ટિ ફેસેલિટી ધરાવતી હોસ્પિટલનો નજારો જોઈએ તો હોટેલ પણ ટૂંકી પડે. કાચનો દરવાજો ખોલો એટલે એ દર્દી (એમના માટે ગ્રાહક)ના ખિસ્સા નહીં બેંકની તિજોરીઓ ખેલાવી દે. ભાત-ભાતના ટેસ્ટ લખીને શારીરિત પરિક્ષણની સાથે માનસિક પરીક્ષણ કરતા હોય એવું લાગે. ટેસ્ટના લિસ્ટમાં તૂટી જતી અને હેરાન થતી પ્રજાની દયા કોઈને આવતી નથી. આવી હોસ્પિટલની પાછી શરત એ હોય છે કે, એમની જ મેડિકલ દુકાનમાંથી દવાઓ લેવાની. બહારના જનઔષધી કેન્દ્રના પ્રિસ્ક્રિપ્શન લખે તો તમને મળે ને? સરવાળે ગમે ત્યાંથી ઘી ઢોળાય પડે તો ખુદ નામની ખિચડીમાં જ. મેડિકલને મફત કરવાનો પ્રયાસ ઉત્તમ છે. પણ આવી ગટરછાપ માનસિકતા હોય ત્યાં દુર્ગંધના સ્ત્રોત શોધવા ન પડે. હરામની રેવન્યૂ રોડ પર ભલે લાવી તે પણ ભેગું સરસ કરાવી આપે છે. બસ, ઈમાનદારીને લોક કરી રાખવાની. મફતની સેવા પાછળ પણ હેતું તો મતનો જ હોય છે. ચૂંટણીસ્પર્શી એજન્ડા અને બેકપ્લાન માટે આવી ખખડી ગયેલી પોલીસી હોય ત્યાં સામાન્ય પ્રજાને હક માટે પણ સંઘર્ષ કરવો પડે. આ હકીકત છે. ખેર, હવે ફ્રિ કેમ્પમાં જતા પહેલા સો વખત વિચારવું પડશે. બાકી આવા ધોળા લૂંગડાવાળા ધારે તો ખરા અર્થમાં સેવા કરી શકે.

Thursday, October 31, 2024

દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

 દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

  દીવાઓની હારમાળા અને રોશનીનો તહેવાર એટલે દિવાળી. નવમા નોરતા બાદ દશેરા એટલે દિવાળીના ઓફિશિયલ એંધાણ. આમ તો દિવાળીને વર્ષાંત કહી શકાય જ્યારે નવા વર્ષને શુભશરૂઆત. કોઈ જ્ઞાતિ-જાતિ કે વર્ગીકરણના વાળા વગર સૌને કનેક્ટ કરતો કદાચ એકમાત્ર તહેવાર દિવાળી છે. 14 વર્ષના વનવાસ પછી પ્રભુ રામે વતનવાપસી કરી હતી. આ હકીકત હવે ગામથી દૂર રહેતા, પરિશ્રમ કરીને પૈસો કમાતા લોકોમાં જોવા મળે છે. વર્ષે એકવખત વતનની વાટે પહોંચવાનો આનંદ ભીડમાં પણ અકબંધ તેમજ યથાવત હોય છે. સુરતના ઉઘનાના રેલવે સ્ટેશનના દ્રશ્યો હોય કે પછી બસની ઉપર બેસીને જવાની જોખમી સવારી. વતનની વાટે એટલે જૂની યાદો તાજા કરવાની અને નવી બનાવવાની. મો મીઠાં કરવાનો અને કારવવાનો, આવકારો લેવાનો અને દેવાનો, આંગણું પૂજવાનો અને ઘરે આવેલાને પોંખવાનો, રંગોની ખરીદી કરીને જીવનના ખાલીપામાં કેટલાક નવા રંગો ભરવાનો ઉત્સવ એટલે દિવાળી. 

    દિવાળીની વ્યાખ્યા કે કથા સાથે તો ઘણા એવા પ્રસંગો જોડાયેલા છે. દેશની જેટલી વ્યક્તિ એટલી કથા આ તહેવારને જોડીને લખી શકાય, કહી શકાય અને ડિજિટલ યુગમાં પોસ્ડકાસ્ટ પણ કરી શકાય. ઈમરજન્સી ડ્યૂટી કરતો આખો વર્ગ ઓનડ્યૂટી દિવાળી મનાવે છે. પરિવારને થોડી એવી અધૂરપ આપીને કર્તવ્યની મધૂરપમાં પોતાનું સો ટકા આપે છે. આ દિવાળીએ એક દીવો એમની પ્રાર્થના માટે. આપણા તહેવારો આપણા જીવન શેડ્યુલ સાથે જોડાયેલા છે. ટેકનોલોજીના યુગમાં એને કોઈ જ સ્પર્શ લાગ્યો નથી. એટલે કે શ્રાવણ માસ પછી ગણપતિ પછી નોરતા પછી દશેરા. હા, એડવાન્સમાં આની તૈયારીઓ સો ટકા થતી હોય છે. ઘણા લોકો નોરતા અને દિવાળીની તુલના કરે છે. જે ખરેખર તો કરી શકાય એમ નથી. દિવાળીમાં પણ મા (કાળી ચૌદશ) છે અને નોરતાના ગરબામાં તો ગોપી, કૃષ્ણ અને સ્વયં મા ખુદ રાસ રમે છે. આપણી આસપાસની પ્રકૃતિ, માહોલ અને કણ કણ જાણે દીપિ ઊઠે એ દિવાળી. તન અને મન ભલે અપડેટ થતા વાર લાગે પણ કપડાંથી લઈને કેશ (રોકડા) સુધી બધુ નવું જોઈએ. 

    અચૂક મને તો એ દિવાળી દર વર્ષે થોડી થોડી મિસ થાય છે જ્યારે દિવાળીના પાંચ દિવસ પહેલા બેંકમાંથી નવી નોટના બંડલ આવતા, કેલેન્ડરના પાના પૂરા થતા, દૈનિક ધોરણે એક પત્તુ ફાળવાના ડટ્ટામાં છેલ્લા પાંચ-સાત પાના બાકી હોય, રહોડા (રસોડા)માંથી પૂરીની સુગંધ આવતી હોય, નવા નવા મુખવાસની નાની પણ ક્રિએટિવ ડબ્બીઓ ભરાતી હોય. દરરોજ થોડ થોડા ફટાકડા ફોડીને વેલકમ નવરાત્રીની જેમ વેલકમ દિવાળી થતું. આ હવે અમુક સોસાયટીમાં પ્લેહાઉસ કે સ્કૂલના બાળકો પૂરતું જ મર્યાદિત રહ્યું. આ પાછળનું કારણ મોબાઈલ. સિંદરી બૉંબ (સુતળી બૉંબ) ફોડવામાં રીતસરની ફાટતી હોય છતાં હોશિયારી મારવાની મજા હતી. જમીન ચક્રી (ભોં ચક્કર)ને તગારામાં ફોડવાનો આનંદ હતો. દોરીને કચરાના બોક્સમાં વીંટાળીને કલરફૂલ દીવાસળી મૂકતા. આ પણ એક યુગ હતો. હવે ઘણા લવિંગયા જેવા હોય જે અવાજ મોટો કરે પણ કદ નાનું હોય. ગનપાઉડર સમાન ગુસ્સો એવો ભર્યો હોય કે ભૂલથી પણ ઠપકાની સળી મૂકો તો જગ્યા કે જણને ધ્યાને લીધા વગર ફૂટે. આમાં કેટલાકના બોસ પણ એવા હોય.. કર્મચારીગણના સામ્રાજ્યમાં તડાફડીની સર ફૂટે એમ ધડધડાવી નાંખે. જેના તણખલા કેટલાક શાણા માણસોને પણ ઊડે. ઘણા સૂતળી બૉંબ જેવા હોય ફૂટી ગયા બાદ પણ બળતા હોય. બાકી ઘણાના બીજી વ્યક્તિને નીચા દેખાડવાના સુરસુરિયા તો આખું વર્ષ પ્રાપ્ય હોય.


    જેટલી વિવિધતા ફટાકડાની છે એનાથી અનેકગણી વિવિધતા લોકોની છે. બસ, ક્નેક્ટ કરવા માટે યોગ્ય દ્રષ્ટિકોણ જોઈએ. ઘણા તારામંડળ (ફૂલઝર) જેવા હોય, હેરાન કોઈને ન કરે પણ કોઈનો હાથ પાછળ હોવો જોઈએ. રાજકારણમાં આવા તારામંડળની શૈલીના ઘણા છે. જે સ્વયં ન ફૂટે પણ કોઈનો હાથ પાછળ હોય તો મસ્ત કલર બદલે, તારામંડળમાં પણ તળતળીયાળી આવે. જે થોડી થોડી સેકન્ડે ફૂટે. દરેકની ઓફિસમાં આવી તળતળીયાળી કોઈને કોઈ તો હોઈ જ. તે સમયાંતરે ફૂટતી રહે પણ કોઈ મજબૂત વ્યક્તિનો પાછળ હાથ જોડાયેલો હોય. ઘણા જમીન સાથે જોડાયેલા રહેવાની વાતો કરતા હોય એ જમીન ચક્રી જેવા હોય. કોઈનો પાવરચડે એટલે એવા ફરે કે ન પૂછો વાત. પછી એનો પાવર ખતમ થઈ જાય તો પણ ફરતા જ હોય. આવા ઘણાય મળશે થોડું નિરિક્ષણ કરજો. ઘણા આતશબાજી જેવા હોય પોતે નુકસાન સહન કરી લે પણ બીજાને પ્રકાશિત કરતા જાય. આવા માણસોની સમાજ અને દુનિયામાં કાયમી ખોટ વર્તાય. પરિવાર કે ઓફિસમાં જે ગયા એનો કોઈ પ્લસપોઈન્ટ યાદ કરી જોજો. 

     રોકેટની ખાસ વાત એ છે કે, એને બોટલનો (લીકરની નહીં ફટાકડા ફોડવા માટેની) સહારો જોઈએ. બદલતા સમયની સાથે હવે હાથમાં પ્રગટાવીને ઘા કરવાના રોકેટનો ટ્રેન્ડ છે. એટલે આવા લોકોથી બચવું. જે આજે કોઈના હાથમાં તો કાલે બીજાને ત્યાં ફૂટતા હોય. આવા લોકોના ઘા કાયમી ધોરણે હૈયા બાળી જતા હોય છે. પેન્સિલ (સ્ટિક) ફોડવાની પણ મજા છે, એ અડધી થાય ત્યાં એનું આત્મવિલોપન થઈ જાય. એટલે કેટલાક માણસો કાયમી અધૂરા જ હોય. એને કુબેરનો ભંડારો ખોલી આપો તો પણ અંસતોષની આગ પ્રગટતી હોય. ખેર આવી તો ઘણી વેરાઈટી તમારે ત્યાં અને મારે ત્યાં છે. આ બધા વચ્ચે આપણે આપણા હૈયા, હરખ અને મનને મસ્ત કલરફૂલ કરીને દિવાળી મનાવવાની છે. બસ ક્યાં ફૂટવું અને ક્યાં તૂટવું એ નવા વર્ષે થોડું ધ્યાન રાખવાનું છે. આપણા દિમાગની વેલ્યું સોના જેવી કરીએ. કાયાને પ્લેટિનમ જેવી કરીએ. ખુશ રહેવાની લીલીવાડી કરીએ. ચાલો ભારતને નંદનવન બનાવે એવી દિવાળી કરીએ. હેપ્પી દિપાવલી...નવા વર્ષના રામ રામ....

Saturday, September 21, 2024

લાઈન, લાગવગ અને લાચારી

લાઈન, લાગવગ અને લાચારી

    દુનિયામાં કોઈ પણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું એક શિસ્ત માનવામાં આવે છે. વ્યવસ્થા બગડે નહીં એ માટે લોકો સહકાર આપીને લાઈનમાં ઊભા હોય છે. કોઈ પણ શહેર કે ગામમાં એક હદથી વધારે લાઈન લાંબી હોવી એ દર્શાવે છે કે, ખરેખર કંઈક ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહી છે. એનાથી ઊલટું બેકારના પેટની વસ્તુ માટેની લાઈન પણ દરેકે નજર સામે નિહાળી જ હશે. ચૂંટણીમાં મત આપવા માટેની લાઈન લાંબી હોય ત્યારે એ વાત ચોક્કસથી સમજી શકાય કે, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે. ડિમાન્ડ અને સપ્લાયની લાઈન વ્યવસ્થિત બની હોય તો અર્થતંત્ર મજબૂત થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે નિયમની લાઈન તૂટે છે ને ત્યારે મોટું ભંગાણ થાય છે. સ્કૂલથી લઈને સ્કોલરશીપ સુધી, ક્લાસથી લઈને કોન્ફરન્સરૂમ સુધી, રાશનથી લઈને રોજગારી માટેના ભરતી મેળા સુધી, એડમિશનથી લઈને ઈમરજન્સીમાં એડમીટ થવા સુધી એક ચોક્કસ લાઈનને સૌ કોઈ ફોલો કરે છે. ક્યારેક એમાં કંટાળો આવે છે તો ક્યારેક સવાલ થાય છે કે, આટલું બધું ડિજિટાઈઝેશન થયું હોવા છતાં આ લાઈનનું આવું મજબૂત અસ્તિત્વ?

    થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક હોટેલમાં નોકરી માટે લાઈન જોવા મળી હતી. બેરોજગારોની આવી લાઈન જોઈને ચિંતા થાય છે. પછી એ વીડિયોમાં રેલિંગ તૂટી અને નોકરી વગરના નીચે પટકાયા. વિડિયો અંકલેશ્વરની એક હોટેલ પાસેનો હતો. જ્યાં ઓપન ઈન્ટરવ્યૂ હતા. તારીખ 20મી સપ્ટેમ્બર, લોકેશન મુંબઈનું BKC અને દિલ્હી સાકેત એરિયા. જ્યાં આઈફોન 16 લેવા માટે લાંબી લાઈનમાં ઊભો રહેલો એક યુવાવર્ગ જોવા મળ્યો. કલાકો સુધી રાહ જોયા બાદ સ્ટોર ખુલ્યા અને ખિસ્સાથી મજબૂત લોકોએ આઈફોન 16 ખરીદ્યો. ગુજરાતના કેટલાક આઈફોન 'લવર્સ' મુંબઈ-દિલ્હી પહોંચ્યા હતા. કોઈ આઈફોન લે એમાં કંઈ ખોટું નથી અને વિરોધ પણ નથી. કેટલાક આંકડાકીય તથ્યો પર નજર કરવા જેવી છે જે વિચારવા મગજને વેગ આપે છે. દેશના દરેક મહાનગરમાં કોર્પોરેટ સેક્ટરની બેઝિક સેલેરી ઓછામાં ઓછી 15થી 18000 રૂપિયા મળે છે. દિલ્હી જેવા સિટીમાં તો હવે છેક 21થી 24000 સ્ટાર્ટિંગ સેલેરી થઈ. અમદાવાદમાં રેશિયો હજું 15000 જ છે. જે આઈફોન પાછળ યુવાવર્ગ ગાંડો (સારી ભાષામાં ક્રેઝી) છે. તેના લોએસ્ટ મોડેલની કિંમત 79,000 રૂપિયા છે. આ પરથી એક વાત તો નક્કી છે કે, જેટલા લાઈનમાં ઊભા હતા એની પાસે આવકનો પ્લાન બી તો છે જ. (મોટાભાગે શેરબજાર)

    પાટનગર ગાંધીનગરમાં અને દિલ્હીમાં એક વસ્તુ કોમન છે. દર મહિને એક વિરોધ પ્રદર્શન. થોડા સમય પહેલા ગાંધીનગરમાં શિક્ષકોના પ્રશ્નોને લઈ હતું. એ પછી દિલ્હીમાં એડમિશનમાં ચાલતી લાગવગશાહીને લઈને થયું. ભીડ બન્ને ઘટનામાં હતી પણ લાઈન ઊભી નહીં આડી હતી. રસ્તાના કિનારે બેઠી હતી. એમ તો રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો પણ ન્યાય મળે એની લાઈનમાં જ છે ને? લાગવગ રંગીલા રાજકોટમાં કેવી પાક્કી અને સિમેન્ટના રોડની સખ્તાઈ જેવી હોય એનો પુરાવો મળ્યો, મનોજ સાગઠિયા કેસમાં. 

     ઈન્ચાર્જ સા-ગઠિયાએ કેટલાય 'લેન્ડલવર્સ'ને સાચવી લીધા. જે હવે કોઈ કેસમાં મગનું નામ મરી પાડતા નથી. મૌનનું રહસ્ય ક્યારેક અસ્પષ્ટ બની જતું હોય છે. બેદરકારીનું અમલીકરણ થયું એ પાછળ પણ નિયમોની લાઈન ક્રોસ કરી હતી એ જ હતું. લક્ષ્મણે સીતાજી માટે ખેંચેલી લાઈન ક્રોસ થઈ એટલે જ રાવણે પાપ આચર્યું. લાગવગની વ્યાખ્યા એ જ છે પણ જે રીતે એ કામ કરે છે એની શૈલી બદલી છે. થઈ જશે અને ગોઠવાઈ જશે શબ્દો કાને અથડાય એટલે અભણને પણ ખબર પડી જાય કે આખરે શું થયું છે? લાયકાત વગરના લાગવગિયા ગોઠવાયા હોય ત્યાં ટેલેન્ટને તળિયા ઘસવાનો વારો આવે એ હકીકત છે. વાત એ પણ સ્વીકારવી પડે કે, ટેલેન્ટ પાછું બાવળ જેવું હોય છે. આપોઆપ બીજે પણ ઊગી નીકળે અને ખોટું કરનારાને આપોઆપ ખૂંચે. એકવખત ભરતીમેળામાં આવેલા ડબલ ગ્રેજ્યુએટે કહ્યું હતું. "નોકરી મેળવવા માટે જડબેસલાક રેફરન્સ હોવો અનિવાર્ય છે. ગમે તે નોકરીમાં". કૌશલ્યને પોંખનારાની સંખ્યા ઘટી રહી છે એ બારીકીભર્યું સત્ય છે.

        ડખો ત્યાં પણ છે કે, નોકરી એટલે સરકારી નોકરી. બસ. વાર્તાપૂરી. એ પછી કરવાનું શું? ઉપલી ખુરશી કહે એમ, શીખવાનું, કરવાનું અને ગુડબુક બનાવવાની. સૌના મોઢે મીઠાં અને અંદરની ગ્રંથીથી તિખા. એટલે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તનમન એક જ રંગ. થોડા પ્રશ્નો મૂકું છું, ઈમાનદારીથી જવાબ તમારા મનને આપજો. મુકેશ અંબાણી સરકારી નોકરી કરે છે? એની કંપનીમાં કામ કરતા કોર એમ્પલોય સરકારી પરીક્ષાના ફોર્મ ભરે છે? એને જરૂર નથી એવું નથી. એને એ વાતની તો ખબર છે કે, કરોડનું પેકેજ કોઈ જ સરકાર નથી આપવાની. કરોડનું વાર્ષિક પેકેજ હોય એટલે માસિક સેલેરી લાખોમાં થઈ. એક વાત દિલમાં યુવાનો કોતરી નાંખે તો બેડોપાર થઈ જાય. જ્યાં પણ નોકરી કરો દિલ અને ઈમાનદારીથી કરવી જોઈએ. હવે જ્યાં પણ નોકરી કરો ત્યાં કોઈ સંસ્થાના કમાઉ દીકરા હોવ તો કોઈ છોડશે તમને? લેવલ એટલું ઊચું કરીએ કે, સિસ્ટમમાં બેઠેલા પણ બે ઘડી પૂછવા આવે. 

     છેલ્લી વાત. લાચારી. ટ્રાફિક પોઈન્ટ પર ડાબીબાજું ખુલ્લી રાખવી એ નિયમ છે. એ સાઈડથી થોડે દૂર લાઈનમાં ઊભા રહેવું જોઈએ. કોણ ફોલો કરે છે આ? લાચાર એ વ્યક્તિ બને છે જેને ખરેખર ડાબીબાજું વળવું છે. એ બિચારો આખું ટ્રાફિકપોઈન્ટની લાઈટનું કાઉન્ટિંગ ખતમ થશે ત્યાં સુધી રાહ જોશે. હવે બોલો લાઈન કોણે ક્રોસ કરી? નિયમોની લાઈન દરેક જગ્યાએ ફોલો થતી હોય તો ભંગાણ અટકે અને લાગવગની વગ તીવ્રતાવિહિન થાય તો ટેલેન્ટને આકાશ મળે. બાકી તો દરેક ઘટના પાછળ મજબૂર લોકોની લાચારી અત્યાર સુધી જોઈ છે, ભવિષ્યમાં પણ જોવી પડશે.  

Tuesday, September 17, 2024

વહેણ, વિસર્જન અને વિદાય

વહેણ, વિસર્જન અને વિદાય   

      શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ગણપતિ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ જાય. બાપાના આગમનને વાજતે-ગાજતે વધાવ્યા એમ વસમી વિદાય પણ આપી. બાપાની હોય કે દીકરીની વિદાય હંમેશા વસમી જ હોય છે. આપણા દેશમાં વિસર્જન પણ એક ઉત્સવ છે. સેલિબ્રેશન છે. ભીની આંખે અપાતી વિદાયમાં ભાવ છે. ભક્તિ છે અને નાનકડા ખૂણામાં એક ખાલીપો પણ છે. અગલે બરસ તુ જલ્દી આ..ના નાદ સાથે સૌ કોઈ બાપાને વિદાય આપે છે. આખાય વિસર્જનનો અર્થ કાઢીએ તો એવો પણ નીકળે છે કે, આખરે જે પાણીમાંથી આવ્યા એક ચોક્કસ સમય બાદ એ જ પાણીમાં અસ્ત થઈ જવાનું. કોઈ પણ શિશું માતાના ગર્ભમાં હોય ત્યાં પાણીમાં હોય છે. વ્યક્તિનું મૃત્યું થાય છે ત્યારે અગ્નિસંસ્કાર કરી દેવાય છે જે પછી તે માટીમાં ભળી જાય છે. માટીમાં પણ પાણી જ તો હોય છે. 

      બાપાના ઉત્સવ કરતા જીવનમાં શીખવા જેવી કેટલીય વાતો છે. વિસર્જન એક પ્રક્રિયા છે. નવસર્જન પહેલા વિસર્જન અનિવાર્ય હોય છે. શરીરમાંથી એક આત્મા છોડી બીજા શરીરમાં પ્રવેશે એ પહેલા એક શરીર તો છોડવું જ પડે છે. જૂના કપડાં હોય કે વધી ગયેલા કેશ(રોકડા), એક ચોક્કસ સમય બાદ વિદાય તો આપવી જ પડે છે. મુંબઈના દરિયામાં મોટી સંખ્યામાં ગણપતિ બાપાને પધરાવી વિસર્જન કરવામાં આવે છે. માટીના ગણેશને કુંડમાં મૂકી દેવામાં આવે છે. ભક્તિભાવ સાથે થતી વિદાયમાં ડિ.જે.કી બીટ પે ગોરી નાંચે...આ વાગે ત્યારે બાપા તમારા કાનની અને સહનશક્તિની શું હાલત થતી હશે? આવું તો દરેક જાહેર ધાર્મિક તહેવારમાં ઘર કરી ગયું છે. નોરતા નજીકમાં છે. તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માર્કેટમાં ગામઠી કપડાંનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે. વાસ્તવિકતા સ્વીકારવી પડે કે, સુહાના સફર ઔર યે મૌસમ...પર ગરબાની પ્રેક્ટિસ થાય છે. ખરેખર આવા ભેળ કલ્ચરનું વિસર્જન ન કરી નાંખવું જોઈએ? કોઈ જ ઓથોરિટીની પરવાનગી વગર. પ્રજાનો નિર્ણય તો ચૂંટણીપંચ પણ સ્વીકારે છે તો ઓથોરિટી તો સ્વીકારશે.

     બાપાનું આગમન થાય ત્યારે કોઈ નિશ્ચિત તિથિમાં જ સ્થાપના કરવી એવું તો નથી હોતું. ઘણા મંડળ ચોથના દિવસે વહેલી સવારે બાપાનું સ્થાપન કરે તો કોઈ સાંજના સમયે આરતી-પૂજા સાથે બાપાને આવકારે. જેવી જેની આસ્થા. પણ સલામ છે બાપાની ભક્તો પ્રત્યેની કેરિંગ કેપેસિટીને. ખરેખર સિદ્ધિ વિનાયક પાસેથી અપનાવવા જેવી વસ્તુ ફ્લેક્સિબિલિટી છે. ઘણા શરીરથી ફ્લેક્સિબલ હોય પણ દિમાગથી ન હોય. નિયમની લીલ એમના દિમાંગમાં એવી જામી ગઈ હોય જાણે શિયાળાની ઋતુમાં વગર ફ્રિજનું ઘી-માખણ. ડખો ત્યાં છે કે, આ નિયમ પાછા કસ્ટમાઈઝ થયેલા હોય છે. લાગુ પડે એને ચુસ્તપણે પડે અને જેને ન લાગું પડે એની પરિસ્થિતિનો કાઠલો ઝાલીને બોલાવવામાં આવે. બાપા તમને આવું તો સાવ નહીં જ ગમતું હોય. આવી જડતા, ગંધાતી લીલ જેવા નિયમો અને સૂકા નાળીયેર જેવા કઠણ મનનાની ભક્તિમાં તત્ત્વ તો નહીં જ હોય. તો આનું વિસર્જન થશે? સમયના વહેણ સાથે વહી જતું બધુ પછી સ્થિર થતું જાય છે. બાપા, એક જવાબ મને આપો. આ દિમાગમાં રહેલા સાતેય કોઠા પર રાજ કરતા સ્વભાવમાં સકારાત્મકતાનું વહેણ કેમ નથી સ્પર્શતું? સમય સાથે પરિવર્તન એ વાક્ય સ્વભાવના અભેદ કિલ્લાને કેમ નથી તોડતું? સમાજમાં ઘણા આવા કિલ્લાઓ છે જ્યાં જ્ઞાનની રોશની અને ફેરફારનું વહેણ લાગી જાય તો એની પાછલી પેઢિ વગર હલેસા એ ભવસાગર તરી જાય. 


      ડિજિટલના જમાનામાં એઈડી લાઈટ જેવા કેટલાક લોકોનો આખો વર્ગ છે. આવા લોકો પાસે પાવર ઓછો અને ખોટું તેજ વધારે છે. બાપા, આ ખોટા તત્ત્વના દિમાગની ઉપજ છે એની વિદાય કરતા જાવ ને...અમારા દેશમાં તકલાદી કામનારા મજબૂત કોન્ટ્રાંક્ટરની આખી ફૌજ છે. જેથી કોઈ બ્રિજ ન તૂટે, પિલ્લર ન પડે. આવા લોકોની શ્યામલક્ષ્મી (બ્લેકમની)નું કાયમી વિસર્જન થાય એવું કંઈક કરજો. બાપા તમે રાજકોટમાં આવ્યા, વડોદરામાં આવ્યા, સુરતમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા, જામનગરમાં આવ્યા, ભાવનગરમાં આવ્યા, વલસાડમાં આવ્યા. અમારા રાજ્યની દરેક જગ્યાએ આવ્યા. આવી દરેક જગ્યાએ તમારી ઝીણી આંખોમાંથી પીડાનું દ્રશ્ય તો દેખાતું જ હશે. શક્ય હોય તો આવી બધી જ જગ્યાઓની પીડાને તમારી સાથે લેતા જાવ ને..દંભિસ્તાનનો આખો પ્રદેશ ધમધમે છે. સમાજમાં અને સંસારમાં. અહીંયા પરંપરાના નામે કેટલુંય ખોટું બટકી જાય છે. બાપા, આનું વિસર્જન કરતા જજો. સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રેન્ડ ચાલે છે. બાપા, આ દેશના યુવાનો ટ્રેન્ડ ફોલોઅર્સ નહીં ટ્રેન્ડ સેટર બને એવાં કંઈક આશીર્વાદ આપો. બેરોજગારી તો સમયાંતરે વધવાની એ અમને ખબર છે. પણ આ બેકારીના વિધ્નનો હલ કહેતા જજો. ઈમોજીની દુનિયા છે સાચા ઈમોશન ઓળખી શકે અને સ્વીકારી શકે તો કંકાસનું કાયમી વિસર્જન થઈ જાય. બાપા, તકલીફ ત્યાં પડે છે કે, આ સમાજમાં કોઈને સાચું કહીએ તો ખરજવા પર ઘા લાગે એમ દુઃખતું ખોટું લાગી જાય છે. અંતે છેલ્લી ફરિયાદ...બાપા, વિસર્જન દર વર્ષે થાય છે પણ આ વખતે તને દિલથી ચાહનારા અને માનનારા ભક્તોના દિમાંગમાં વર્ઝન અપડેટ નહીં થતા. બસ આ થોડું કરતા જાવ. જેથી આવતા વર્ષે તારી જેમ દિલ અને મનથી ફ્લેક્સિબલ રહેનારાની સંખ્યા વધે અને સંસારમાં ક્લેશ ઘટે. મિસ યુ બાપા. તારા આશીર્વાદ કાયમ આ વાંચનારા અને ન વાંચનારા દરેક પર રહે. 

Saturday, September 07, 2024

ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

 ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

     તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને ખંજવાળ ઉપડાવી દેતો તડકો મિસિંગ છે. સાર્વત્રિક વરસાદી માહોલમાં આ વર્ષે બાપા (સિદ્ધિવિનાયક)નું આગમન થવાનું છે. બાપાના આગમન પૂર્વે એક નાનકડી અરજી કરી છે. જેમાં સૌની વિનંતી છે, અપીલ છે અને એક્શન લેવા માટેની તીવ્ર રિક્વેસ્ટ છે.

     કેમ છો કાર્તિકેયના અનુજ? દુંદાળા દેવ પધારો. આખરે ભારદવા મહિનાની ચોથ આવી ગઈ. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદ આપવા માટેની ઘડી નક્કી થઈ ગઈ. એકદંતજી, એક વાત કહેવી છે. તમે તો વિદ્યાના દેવ છો, અંતર્યામી છો અને કૌશલ્યપ્રધાન છો. જ્યાં બળ કામ નથી આવતું ત્યાં કળ કેમ વપરાય, આપના પાસેથી શીખવા જેવું છે. વિનાયકજી, વિધ્ન એવું છે કે, જ્યારે તમે દર વર્ષે પધારો છો એની પહેલા આ ખાંડ, દૂધ અને સાકરના ભાવ ખૂબ જ વધી જાય છે. આ કારણે તમને અર્પણ કરવામાં આવતા ભોગમાં અમારો સ્નેહભાવ તો જોડાય છે પણ આવું કેમ? આ વખતે અમારા ગામમાં ભયાનક પૂર આવ્યું એમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા. ગૌરનંદન, આ ખોટી નિંદામણ (કોઈ પણ પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ) જેવી સમસ્યાનો ઉકેલ કહેજો ને...

     મૂષકના મિત્ર કલિકાળમાં દિવસ એવા જોવા પડે છે જ્યાં એક દીકરો જ એની મંદબુદ્ધિ માતાને અકાળે યમરાજાને સોંપી દે છે. આવી આત્માને લેવા માટે કદાચ યમરાજા પણ રાજી નહીં હોય. જેને પુત્ર-પુત્રી ન થતા હોય એ તમારે શરણે આવીને આશીર્વાદ લે છે. બાપા, આ સંકુચિત સમાજમાં આવા કપાતર ન પાકે એવી તને દુઃખના ભાવ સાથેની અપીલ છે. આ ધરતી પર તમે પણ કર્મ અર્થે બંધાયેલા હતા. રિદ્ધિ સિદ્ધિના સ્વામિ આ નંદનવન ગણાતી ધરતી પર, તમારા મમ્મીના અવતાર (દુર્ગા)ને સૌથી વધુ માનતી પ્રજાના પ્રદેશમાં અસુર બનીને અવતરેલા માણસનો કાયમી સંહાર થશે? તમે પણ અશોકસુંદરીના ભાઈ છો. એ ભૂમિ ઉપર પણ એક દીકરી કોઈની બહેન હતી. જે અકાળે ખોટી રીતે પીંખાઈ ગઈ. તમને બધી ખબર છે નામ આપવાની તમને જરૂર ન હોય. તમારા સુપડા જેવા કાન પાસે અઢળક વાતો આવતી હશે. માણસના નાનકડા કાન પાસે આવતી વાતોમાં ઉશ્કેરણીનો ઉકરડો ઠલવાતો બંધ થાય તો કેટલાય ઝઘડા ઓછા થઈ જાય. 

      બાપા, અમે તમને સીધી જ અરજી કરી શકીએ છીએ તો ભગવારંગ ધારણ કરીને બેઠેલા શેતાન રૂપી સંતોનો નીવડો લાવોને..કારણ કે, આવા ખોટા લોકોએ ભગવા પહેરી લીધા એટલે ભોળી પ્રજાએ એને ભગવાન માની લીધા છે. સાદગી અને સંપૂર્ણતાનું તમે પ્રતિક છો પણ જ્યારે આ લોકોના આશ્રમ પર નજર કરીએ ત્યારે પેલેસને પણ ટક્કર મારે એવી જાહોજલાલી જોવા મળે છે. આટલી સુવિધા અને આંતરિક સુંદરતા તમારા મહેલમાં પણ નથી જોઈ. આવું થાય ત્યારે એવું લાગે બાપા કે, સનાતન ધર્મનો દાટ વાળવા માટે આ જ વંદાછાપ કુદરતના ખોટા વકીલનો હાથ હશે. ધર્મને લઈને જ્યારે ખોટું થાય ત્યારે આ જ બની બેઠેલા બાબાઓ સમજૂતીના ધારા ધોરણ અને શાસ્ત્રોના પાનાઓ આગળ ધરીને મુદ્દાને ફંગોળી નાખે છે. આશ્રમ પર એક વેબ સીરિઝ પણ બનેલી છે. સાદુ જીવન જીવે એને સાધુ કહેવાય. વ્યક્તિના ત્યાગ, અડગતા અને સંયમતાની મિસાલ આપવી પડે એ સંત કહેવાય.

     વિદ્યાના દેવ આપનું દિમાગ જેટલું દોડે છે એનાથી અનેકગણી ગતિથી અહીંયા માણસો દોડે છે. ખબર નહીં કઈ દિશામાં દોટ ચાલી રહી છે. તમારા સતત હલતા કાન અમને એ શીખવાડે છે કે, ઉશ્કેરણીજનક કે ખોટા મુદ્દાઓને કાનની અંદર નહીં જવા દેવાના. તમારા એક તૂટેલા દાંતથી એ શીખવા મળે છે કે, જીવનમાં કંઈક ખૂટતું હોય તો એનો શોક કરવાના બદલે એને સૌદર્યની દ્રષ્ટિથી સ્વીકારવાનું. ખામી હોવા છતાં ખુશ રહેવાનું. આમ તો ફાંદવાળા દેવ છો તમે. માણસોની ફાંદ હોય તો એ અસ્વસ્થતાનું પ્રતીક મનાય છે. રોગનું ઘર બને છે. પ્રભુ, એવું ન બની શકે કે, મીઠાઈ તમારી પ્રસાદ તરીકે ખાઈએ છતાં કોઈને ડાયાબિટીઝ ન વધે અને મિલાવટ મુક્ત વસ્તુ મળે? તમારી ફાંદ એ શીખવાડે છે કે, પેટમાં જે હોવું જોઈએ એ શુદ્ધ હોવું જોઈએ. વાત કોઈની કોઈને કોઈ દિવસ લીક ન થવી જોઈએ. તમારી લાંબી સૂંઢ અમને અમારા કેરિયરની લાઈનને, વિચારોની વેવલેન્થને, પોઝિટિવ થિકિંગને, સારપની સીરિઝને લાંબી કરતા શીખવાડે છે. તમારા નાના પગ એ સમજાવે છે કે, નાનું-મોટું કશું હોતું નથી. ક્યારેક નાના બની જવામાં ભલાઈ હોય છે. મોટપ દરેક જગ્યાએ દેખાડવાની હોતી નથી. તમારા હાથ એટલે ભલાઈ માટે ટેકો દેવો અને નફ્ફટાઈ માટે કળથી કામ લેવું. તમે સાક્ષાત મોટિવેશનની મૂર્તિ છો. વેલકમ વિનાયક ગૌરીશંકર  

Sunday, August 25, 2024

રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું

 રોજ ચાલે છે અહીં રમતની ઋતુ, ખેલાડી જુદા અને અલગ મુખોટું


      ઓગષ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો પણ ઓગષ્ટ એટલે તહેવારનું પેકેજ. આસ્થા, આધ્યાત્મિકતા સાથે અવિસ્મરણીય રીતે ખીલી ઊઠેલી પ્રકૃતિનું સેલિબ્રેશન. ન તડકાનું ટેનશન ન ટાઢની ચિંતા. ખુશનુમા માહોલ વચ્ચે કુદરતી છતાં માણી શકાય એવી મસ્ત ટાઢક. લીલીછમ પ્રકૃતિનો રસ જ્યારે આંખ વાટે અંદર જાય ત્યારે ભલભલાના કલેજામાં ક્રિએટિવિટીના બીજ સ્ફૂરી ઊઠે. સીઝનલ કવિઓની આખી ફૌજ ઊભી થાય. હવે સમય થોડો અપડેટ થયો એટલે રીલ્સના રહુડિયાઓએ વીડિયોની હોડીમાં વિહાર કરવા નીકળી પડે. ડેમ ઓવરફ્લો થાય એ જોવા જાય ત્યાં પણ રીલ્સનું રેકોર્ડિંગ શરૂ થઈ જાય. ઘણી વખત જે તે જગ્યાએ એવા બોર્ડ વાંચીને આશ્ચર્ય થાય કે, જોખમી જગ્યા પર ખતરો કે ખિલાડીઓ(ખોટે)ને એટલી બુદ્ધિ તો નહીં જ હોય કે અહીંયા સેલ્ફી કે રીલ્સ ન બનાવાય. એટલા માટે જ બોર્ડ મૂકવા પડે. સીઝન હોય, શાંતિ હોય અને એ..યને મસ્ત માહોલ હોય એટલે એક રમત દર વર્ષે શરૂ થાય. આ ગેમ્સ હવે તો મોબાઈલમાં આવી ગઈ છે. એપ્લિકેશન સ્વરૂપે. દ્વાપરયુગથી રમાય છે પણ યુગે-યુગે એના સ્વરૂપ બદલાય છે. મહાભારતમાં પણ હતી. અત્યારે ભારતમાં પણ પોપ્યુલર છે. 

     જન્માષ્ટમી આવે એટલે સૌરાષ્ટ્રના ગામડાં ખૂંદવાનો મોકો મળે. એક ચોક્કસ પ્રજાતિ તો આ તહેવારના મહિનાઓ પહેલા એક જગ્યાએ ગોઠવાય જાય. 'વસ્તુ' તો મંગાવી શકાય નહીં કારણ કે શ્રાવણ મહિનો ચાલતો હોય એટલા માટે રમતના સાધનોનો બંદોબસ્ત એડવાન્સમાં થઈ ગયો હોય. પછી તો બેંકમાં પૈસા ગણવાનું મશીન જે ગતિએ પૈસા ગણે એમ એ ગતિએ વિતરણ થાય. ખેલાડીઓ ચોક્કસ સ્ટાઈલથી એને ઉપાડે અને પછી એવો પંખો બનાવે કે જાણે એમાંથી કરોડો રૂપિયાનો ઑક્સિજન મળવાનો હોય. અંતે હાર-જીતની ચર્ચાઓ મહિના સુધી ચાલે. કોણ ઊતર્યું અને કોણ ફાયદામાં એ માટે તો આ સીઝનમાં આ રમતના ખેલાડી વગર ડિગ્રીના ફેસ રિડીંગમાં પીએચડી થયા હોય એવો હિમાલય જેવડો આત્મવિશ્વાસ દેખાડે. હકીકતમાં તો આ રમત કાયમી થઈ ગઈ છે. નાના શહેરોમાં છાના ખૂણે રમાય અને રમાડાય છે. પછી જો જીતા વો સિકંદર જો હારા વો બંદર (બાતમીદાર). શેરમાર્કેટની પરિસ્થિતિ સમયાંતરે રોકાણકારો સાથે ગેમ રમી નાંખે છે. બાકી રાજરમત તો ગામેગામ કાયમી ધોરણે ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક વીજવેગે ચાલું જ હોય છે. ચૂંટણી નજીક હોય એવા સમયમાં તો ભારે રમત રમાય છે. વાયદાઓનો પિટારો એવો ખોલવામાં આવે કે, થોડો સમય તો એવું લાગે કે, આ ખેલાડી છે કે ઘરનો માણસ? પણ હકીકતમાં ઘરનો માણસ પણ એક ખેલાડી જ હોય છે. 

     ક્રિકેટ કે ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોનું જોરશોરથી એલાન થાય છે. એ પહેલા એના સિલેક્શનમાં પણ ઘણી રમત રમાઈ ચૂકી હોય છે. પ્લેયર્સ માત્ર મેદાનમાં જ હોય એવું જરૂરી નથી. સમાજમાં પણ હોય અને સિસ્ટમમાં પણ હોય. ઓફટર ઓલ આવા ખેલાડી અંતે આવે છે તો આપણી આસપાસની જ સોસાયટીમાંથી. એટલે વધારે પડતા કોઈ રમતમાં ઊંડા ઊતરવું એ વ્યક્તિનું માનસિક ઑપરેશન કરવા જેવું થશે. જૂન મહિનો આવતા જ શિક્ષણ ક્ષેત્રે રમતો શરૂ થાય છે. ચોમાસામાં સારા વરસાદ પછી જે રીતે લીલું ઘાસ ચોતરફ ઊગી નીકળે એમ મે અને જૂન મહિનામાં બિલાડીના ટોપની જેમ શાળાઓ ઉઘડે. મેદાનના ઠેકાણા ન હોય તો પણ ક્યા જૂના વર્ષના ફોટો ટિંગાળીને વાલીઓ સાથે ગેમ રમવામાં આવે છે મારો રામ જાણે. આ બે મહિનામાં સ્ટેશનરીવાળાઓ પણ જબરા ખેલ પાડી દે. ડિસ્કાઉન્ટના નામે જૂનો ડુચો બટકાવી દે. એમઆરપીના સ્ટિકર તો દુકાને દુકાને નવા બનતા હોય એવું આજનું ચિત્ર છે. એક રમત તો એવી છે કે, ભલભલાને બોટલમાં ઊતારી દે. મોબાઈલ પર ફોરવર્ડ થતી લીંક. જેના પર ક્લિક કરો એટલે એક નંબર પૂછે અને પછી તિજોરૂનું તળિયું ખાલી બાકી રાખે. સિક્યોરિટીમાં આવી લોલમલોલ. સવાલ એ પણ થાય કે, આવા ભેજાબાજો પાસે નંબર આવતા ક્યાંથી હશે? નાનકડા નિરિક્ષણ પરથી કહું તો જે તે સોસાયટીઓમાં ચોપડામાં એન્ટ્રી કરાવવામાં આવે છે ત્યાંથી. કોઈને કોઈ તો આવા નંબરના ડીલિંગમાં હોય છે. 

     મીઠાઈની દુકાનથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો સુધી એક રમતનું સાતત્ય અખંડ છે. ખોટું બોલવાની રમતનું. શરૂઆત અધિકારીથી થાય પછી એય ને ક્યાંનું ક્યાં પહોંચે કે ન પૂછો વાત. જન્માષ્ટમી પર જેનો બર્થ ડે આપણે જોરશોરથી ઉજવીએ છીએ એને પણ જુઠ્ઠ બોલવું પડ્યું હતું પણ એ બીજાની આજીવન ભલાઈ માટે હતું. બસ ફેર એટલો છે કે, અત્યારે લોકો 'મલાઈ' માટે બોલે છે. માખણથી લઈને મોલના રાશન સુધી મિલાવટની જબરી રમત ચાલે છે. સમયાંતરે પકડાઈ જાય છે પણ વેલિડિટી ઝડપથી પૂરી થઈ જાય છે. ફૂડ વિભાગના દરોડા હોય એક આયકર વિભાગના, સિક્યોરિટીના તળે અંદર કંઈક તો રમત રમાતી જ હશે. એટલા માટે જ કેટલાક હરામખાયાઓના નામ પબ્લિક જાણતી હોવા છતાં સરકારી ચોપડે નથી આવતા. ખેર આવી રમતોની યાદી મૂકીશું અને નિરિક્ષણ કરતા રહીશું તો રામરાજ્યની કલ્પના માત્ર બંધ આંખો પૂરતી સિમિત થઈ જશે. હકીકતમાં તો દેશને એક સશક્ત રાષ્ટ્ર બનાવવા માટેની તાતી જરૂર છે. બસ એના પાયામાં ભ્રષ્ટાચારની ઊધી ન હોવી જોઈએ. ચાલો ત્યારે ખોટી રમત રમવાનો વિચાર આવે ત્યારે રણછોડનું નામ લઈ જજો. હેપ્પી જન્માષ્ટમી. બસ આને જુગારાષ્ટમી ન બનાવી એ જ સાચી ઉજવણી. 



Tuesday, July 23, 2024

ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

 ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

     સામાન્ય રીતે કોઈ મહાનગરમાં જ્યારે બહુમાળી ઈમારતનો નજારો આંખમાંથી પસાર થાય છે ત્યારે એની જોરશોરથી વાત થાય છે. મુંબઈ જેવા સિટીમાં તો કોર્પોરેટ ઓફિસ પણ એટલી ઊંચાઈએ હોય કે, જે તે વિસ્તારના મોટાભાગના આકાશી દ્રષ્યના દર્શન એ ઈમારતમાંથી થાય. ઊંચાઈ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે. એ પછી ઈમારતની ઊંચાઈ હોય કે વિચારોની. માણસમાં તો ઊંડાઈ હોવી જોઈએ એવું અનેક સુવાક્યોમાં લખાઈ ચૂક્યું છે. કોર્પોરેટ ઓફિસ હોય કે મલ્ટિલેવલના મોલ, અંદર કેવું અને શું હશે એ કાયમી ધોરણે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ મુદ્દાની વેલિડિટી જ્યાં સુધી તે સંપૂર્ણ પણે કાર્યરત ન થાય ત્યાં સુધી જ રહે છે. એકવખત શરૂ થઈ ગયા બાદ બધાને બધી જ ખબર હોય છે. અંદર શું થાય છે અને શું નથી થતું એ. શિક્ષણ વ્યવસ્થામાં નીટની પરીક્ષાએ જે શિક્ષણ વિભાગની ઊંચાઈને શરમાવી એ મામલો છેક સુપ્રીમ સુધી પહોંચ્યો. સિસ્ટમમાં જ બેઠેલા ચેરલવર્સ (ખુરશીપ્રેમી)ની ટુકડી ફાવી તો ગઈ પણ દેશ આખામાં પડઘા પડ્યા. 

     આપણા રાજ્ય ગુજરાતના તમામ જિલ્લાની શાળાની ઈમારતની ઊંચાઈ 9 મીટરથી વધારે હશે તો ફાયર NOC ફરજિયાત રજૂ કરવું પડશે. એકથી વધારે ફ્લોર હશે એવા શૈક્ષણિક સંકુલ માટે પણ ફાયર વિભાગ તરફથી મળતું પ્રમાણપત્ર અનિવાર્ય બનાવતો વિભાગે આદેશ આપ્યો છે. આ આદેશના પગલે જે તે જિલ્લાઓમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટિના ફરજિયાતપણા પર વિશેષતમ ભાર મૂકાઈ રહ્યો છે. એમાં કંઈ ખોટું નથી. એમ તો ફિલ્મો હોય કે ફેમિલી એવા તો કેટલાય નથી મળતા જેની ઊંચાઈ હોય પણ વાતમાં કંઈ હાજુ ન હોય? જોકે, આ ફરજિયાત શબ્દ જેટલો ગંભીર છે એટલી ગંભીરતાથી લેવાતો નથી. વગદારો માટે એ કાગળ ઉપર ને મધ્યમવર્ગ માટે જ તે અમલમાં હોય છે. એટલે આ ચોક્કસ વર્ગ પૂરતું નથી. જેટલી પણ કંપનીઓમાં આઈડી કાર્ડ ન હોવા પર સજા કે દંડનો નિયમ છે એના કેટલા માલિકોને આપણે આઈડીકાર્ડમાં જોયા છે? વિદેશનું અનુકરણ કરવામાં પાવરધા લોકોએ આ વિષય પર અનુકરણ કરવું જ જોઈએ. કંઈ ખોટું નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાવ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારનું તપ કરવું પડે. પુરૂષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. પછી પ્રમાણપત્ર મળે. પાપ વગરની કમાણી જ ટકતી હોય છે એમ તપથી મળેલું જ ટકતું હોય છે. હવે વાત જ્યાં પ્રમાણપત્રની આવે છે ત્યાં ડખો છે. કારણ કે, ચોમાસામાં જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ ફૂટી નીકળેલા વિશ્વવિદ્યાલયો (ભલેને પછી વિશ્વ લેવલનું કંઈ ન ભણાવાતું હોય) જોઈએ એ ડિગ્રી આપે છે. 

      આ વર્ષનો ઉનાળો પણ ગજબ રહ્યો એને પણ ડિગ્રીમાં ભુક્કા કાઢી નાખ્યા. હવે ખબર નહીં ઉનાળાને ક્યાં એવી ડિગ્રી રજૂ કરવાની જરૂર પડી હશે. ડિગ્રી એને વધારી અને શેકાઈ આપણે બધા ગયા. આવું જ થાય છે. કરી કોક જાય છે અને વાહાં (પીઠ) આપણા કાબરા થઈ જાય છે. હાઈક્વોલિટી (ગુણવત્તાની ઊંચાઈવાળું) દૂધ લેવા જઈએ તો આપણે પણ એના માપદંડનું પ્રમાણપત્ર ન માગવું જોઈએ? ઊંચાઈ તો યુનિવર્સલ હોય. પણ લાગુ થતા આદેશનો પ્રદેશ જ મર્યાદિત હોય છે. એમ તો ચૂંટણી વખતે સ્ટાફની ઘટને ઘ્યાને લઈને કેટલાક લોકોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ હોય છે. પરંતુ, અમુક અધિકારીઓને તો આદેશ લાગુ ન પડે પણ રાતોરાત બીમારી યુદ્ધના ધોરણે લાગુ પડી ગઈ હોય. એ સમયે પણ નામાંકિત હોસ્પિટલના પ્રમાણપત્ર તો ઝેરોક્ષ તૈયાર થાય એટલી સ્પીડથી તૈયાર થઈ જાય. એ માન્ય હશે કે નહીં એ તો મારો રામ જાણે.

         હશે અને જોઈશેની રાજરમત તો વર્ષોથી ચાલી આવે છે. હવે બગાસુ ખાતા પતાશું મળી જાય તો આગાહીકારો ને જ્યોતિષો હરખાય જાય કે, જોયું મેં કહ્યું હતું ને કે થશે એમ. ડોબેશચંદને એ ખબર ન હોય કે આ પતાશું છે. જરૂરી પ્રમાણપત્ર કઢાવવા માટે પણ લાંબાલચક કાગળીયાઓની એવી રીતે માગે જાણે આખી ટેસ્ટ સીરઝ પાસ કરી આપણે ગિનિસ બુકની સંસ્થામાંથી પ્રમાણપત્ર લેવાનું હોય. આંધળોપાડો રમવામાં કોઈ ચાલાકીથી છટકી જાય અને ફરાર થઈ જાય એમ વિજયભાઈ માલ્યા સાહેબ જ્યારે દેશ છોડીને ભાગ્યા એ સમયે એની પાસેથી આવેલા કાગળીયા પર કેમ ભરોસો આવી ગયો એ હજું ગૂગલવાળા પણ શોધે છે. વાત સાચી કે, ઊંચાઈ હોવી જોઈએ પણ સત્તાવાર અને ઓથેંટિકેટ હોવી જોઈએ. હવામાં કિલ્લા બાંધીને ખોટા પ્રમાણપત્ર પર ફાંકાફોજદારી એ ચીનથી મંગાવેલા માલ જેવી હોય છે. લાંબા સમય સુધી ટકતી નથી. ઊંચાઈ જરૂરી છે એક લેવલ સુધી પહોંચવા માટે પણ કેટલાય એવા હોય જેને અંધારાથી ડર ન લાગતો હોય એટલો પ્રમાણિક કર્મચારીથી ભય લાગતો હોય. કારણ કે, એ સમકક્ષ થઈ જાય તો ખુરશીમાં તિરાડ પડી જાય.   

      ઊંચાઈ વધારવી હોય તો સાચા, સારા અને સો ટકાના સત્યની સાથે ખુદની વધારવી. આવું સત્ય પાછું સંગઠીત થવું જોઈએ કોઈ સારા કામ માટે, બાકી એ પણ નક્કામું. એ સંગઠનમાં પાછો કોઈ મુખબીર હોય તો શિખર સુધી પહોંચેલું ડગલું પણ ભવનાથની તળેટી કરતા પણ નીચે આવીને ઊભું રહે. એટલે પ્રમાણપત્ર ધારીઓ પાછા એકતામાં હોય તો પરિવર્તન આવે. બાકી તો ફતવા જાહેર કરો. મોજ કરો તપાસના નામે ગોઠવણી કરો. 

Monday, July 01, 2024

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

  વડાપ્રધાન મોદીની છબી હેઠળ બે-બે ચૂંટણીના પરિણામમાં મજબૂત થયેલી ભાજપ પાર્ટી સામે રાજકીય પડકારો પણ મોટા

   છેલ્લા છ દાયકામાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર વ્યક્તિ એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ ખરેખર એક અસાધારણ કહી શકાય એવી રાજકીય ઘટના છે. લોકસભા ચૂંટણીમાં મેરેથોન પ્રચાર અને રેલી વચ્ચે જે માહોલ જોવા મળ્યો એમાં મોદી લહેર કરતા ગેરંટીની ચર્ચા વધારે હતી. એમાં બંધારણમાં ફેરફાર અને પ્રાંત-કોમ-ધર્મનો મુદ્દો એક ચોક્કસ વર્ગમાં અસર કરી ગયો. 4 જુને આવેલું પરિણામ વડાપ્રધાન મોદીજીના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી એક મોટો ફટકો માનવામાં આવે છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ વખતે જીતી ગયા કરતા બચી ગયા એવું ચિત્ર ઉપસ્યું છે. સતત બે વખત બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાવાર પક્ષ તરીકે ભાજપમાં અંદરોઅંદરની ખટાશ પણ તેલનું ટીપું પાણીની સપાટી પર આવે એમ ઉપર આવી. વર્ષ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત ચૂંટણી જીતીને જવાહરલાલ નેહરૂએ હેટ્રિક ફટકારી હતી. આવું જ મોદીજીએ કર્યું.

    ભલે ભાજપને બહુમતી ન મળી. સહકાર-સમર્થનની સરકાર બની. જે વર્ષ 2019માં 303 બેઠક પર કમળ ખીલ્યું હતું એમાં બેઠક એ જ રહી પણ પરિસ્થિતિ બદલી ગઈ. 240 પર બ્રેક લાગી ગઈ. જ્યારે કોંગ્રેસ સદી કરતા એક બેઠક ચૂકી ગઈ. બહુમતીમાં કુલ 32 બેઠક ઘટી. તેથી તેલુગુ દેશમ પાર્ટી અને જેડીયુ પર નિર્ભર થવાનો વખત આવ્યો. વિપક્ષની કુલ 234 બેઠક આવતા અણધાર્યું આશ્ચર્ય અનેક લોકોને થયું. વર્ષ 2014માં 44 અને 2019માં 52 બેઠક જીતનારી કોંગ્રેસ ફરી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ. એક લાંબા સમય બાદ કેન્દ્રીય સ્તર પર ગઠબંધનની રાજનીતિ જોવા મળી છે. ગજગ્રાહ વચ્ચે જનતાએ પોતાનો નિર્ણય તો આપી દીધો, પરંતુ કેન્દ્રમાં હવે સમતોલન જાળવવું અનિવાર્ય છે. પરિણામના ચોક્કસ સમય બાદ સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સેવક તરીકેની વ્યાખ્યા સ્પષ્ટ શબ્દોમાં સમજાવી. એમનું સમગ્ર સંબોધન તો ખૂબ જ લાંબુ છે. જેમાં તેમણે મણીપુર હિંસા અને અહંકારની ટિપ્પણી કરતા રાજકીય ચહલપહલ એકાએક તેજ થઈ ગઈ. સંસદમાં વિપક્ષને કાયમી વિરોધી ગણીને યુદ્ધ જેવો માહોલ ન ઊભો કરવો જોઈએ. એમનું આ વાક્ય ઘણી રીતે સૂચક અને વિચારસર્જક છે.

     સંઘ સુપ્રીમોએ તો ત્યાં સુધી કહ્યું કે, કોઈ પણ પક્ષે સમાજમાં કોઈ વર્ગવિગ્રહ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ફાવે એમ નહીં મનફાવે એમ બોલાયું છે. બફાટ પાર વિનાનો થયો છે. રાજકીય સ્પર્ધા હોઈ શકે પણ સતત અને સખત જુથબંધી નહીં. વિપક્ષ ભલે મજબૂત હોય પણ હવે વડાપ્રધાન શ્રીએ ધ્યાન ઘણું રાખવું પડશે. કર્મબળે મળેલી સત્તા સામે કપાતર ગાલીચરણો તો રહેવાના. પણ જરૂરી છે કંટ્રોલ. પક્ષના આગેવાનો પોતાના દમ પર ડાયનામાઈક જેવો પાવરફૂલ વિશ્વાસ વ્યક્ત કરતા હતા પણ બહુમતીના અભાવે એમનામાં ફરી ખાલીપો પૂરી દીધો. NDAનો આખો અર્થ સમજાવતા મોદીજીએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા અને એસ્પાઈરિંગ ઈન્ડિયા. ટાઈમિંગના દ્રષ્ટિકોણથી જોઈએ તો સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ પણ એવા સમય આવ્યું જ્યારે પરિણામ અને ખાતાઓની જવાબદારી નવી સરકારમાં જે તે નેતાઓને સોંપાઈ ચૂકી હતી. સંઘના મુદ્દે એ વાત પણ સમજવી ને સ્વીકારવી પડે કે, સિસ્ટમ સેટ કરવામાં સંઘ ક્યાંય કોઈની પણ સામે વિધ્ન ઊભું કરવા માગતું ન હતું.  બીજી એક ઘટનાએ પણ ઘટી કે, જ્યારે શપથવિધિ ચાલતી હતી એ સમયે કાશ્મીરમાં ફરી ફાયરિંગથી ફફડાટ ફેલાયો. યાદ રહે કે, આ વખતે કાશ્મીરમાં નોંધપાત્ર મતદાન થયું છે. ભાજપ મહત્ત્વની બે જગ્યાઓ પર મજબૂત થયો છે. 

          સૈન્યની વારંવાર ચોખવટ એ જ રહી છે કે, લોકલ ઈનપુટ વગર એ શક્ય ન બને. એટલે એક વાત એ પણ સપાટી પર આવી કે, નસનસમાં નેગેટીવિટીનું ખુન્નસ ભરીને બેઠેલા પાડોશી પાકિસ્તાન પ્રત્યે અમુક લોકોને પૈસા કે નશાલક્ષી પ્રેમ છે ખરા. પ્રચાર હોય કે પ્રોજેક્ટ, કાશ્મીરના કણમાં કોઈ તો એવું છે જ જેને વિકાસ કણાની આંખમાં જેમ ખટકે છે. નશો અને પૈસાની લાલચ દેશ તોડે છે એ પણ યાદ રાખવું જોઈએ. 9 જુનના રોજે જે રીતે શપથવિધિ પૂરી થઈ એમાં ભાજપના નેતાઓ પાસે મહત્ત્વની જવાબદારી આવી છે. પ્રદેશ અધ્યક્ષ નડ્ડાને મંત્રીમંડળ મળ્યું છે, સારી વાત છે. પણ જરૂરી હવે સંયમ અને મર્યાદા છે. ભાજપના ચહેરા અને જાણીતા નેતાઓ પાસે અતિ મહત્ત્વના પોર્ટફોલિયો છે. જે થયું એમાં પોસ્ટમોર્ટમ કરવા જેવું નથી. જે થવાનું છે એમાં એલર્ટનેસ સાથે અવેરનેસથી પગલું ભરવાનું છે. ભાજપના નેતાઓનો આસમાની અહંકાર કોઈ અસાધારણ જીત સુધી પહોંચ્યો નથી એ હકીકત છે. પથ્થર તો રામના નામે પણ તરવાના એની જેમ માત્ર મોદીજીના બેનર નીચે જે તે આયાતી ઉમેદવારોએ કરેલી લોકઅપીલ ન ચાલે એવું પ્રજાએ શાનમાં સમજાવી દીધું. હવે સૌને સાથે રાખીને ડગ ભરવાની સ્થિતિ છે. કોઈ પણ સમાજ માટે એની પ્રાથમિક જરૂરીયાત ગુણવત્તા સાથે પૂરી થાય એ પાયાની શરત છે. આ દિશામાં ચૂંટાઈ આવેલા નેતાઓ કામ કરે તો મોદીજીની કાર્યશૈલીનું ખરેખર સાતત્ય જળવાશે.

       ભાજપના નેતા કોઈ ચૂંટણી પ્રચારમાં ભલે મોંઘવારી કે બેરોગારીના દયાજનક આંક સામે વિકાસના કરોડોના પ્રોજેક્ટ ધરી દે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, વિપક્ષે આ બન્ને મુદ્દા પર લોકોની નસ પારખી નહીં પકડી લીધી. એવામાં બંધારણનો મુદ્દો, અનામતનો મુદ્દો, ધર્મની કેડી જેવી અનેક બાબતોમાં ખાતરી ક્યાંક ખોટી ઠરી. ચૂંટણી પહેલા ફ્યૂલ ચાર્જના ઘટતા ભાવ અને પરિણામ બાદ જીવનજરૂરી વસ્તુઓમાં એ જ કમરતોડ ભાવ વધારો સરકાર સામે સવાલ ઊભા કરે છે. આ મુદ્દે ભલે કોઈ તરત તિખારા ન ઝર્યા હોય પણ વોટ દઈને ખોટું કર્યું કે અફોસસ એવી વાત તો છે જ. મુસ્લિમ અને મંગળસુત્રનો મુદ્દો એટલો પડઘાયો કે, ખરેખર લોકોએ પ્રચારની ચરમસીમાનો દાખલો જોયો. હવે લોકહિતના મુદ્દા સાથે પરિણામલક્ષી કામ થવું જોઈએ. જે માટે વડાપ્રધાન શ્રી નવી ટીમને કોઈ ટાર્ગેટ બેઈઝ વસ્તુ સોંપે તો નક્કર નવીનીકરણ થાય. બાકી કરોડોના પ્રોજેક્ટ અને કાચામાંથી પાક્કા રોડ તો સરકાર બનાવતી જ હતી. ગ્રામીણ, પંચાયત અને જિલ્લા-પાલિકાની ચૂંટણી હવે પછીના સમયમાં છે. ભાજપે સ્થાનિકોની ફરિયાદ સાંભળીને સિસ્ટમમાં નખ ભરાવવા કરતા સિસ્ટમેટિક કામગીરી કરવી પડશે. રાજનેતા-અધિકારીઓ વચ્ચેની લડાઈમાં કામ ક્યારે કચરો બની જાય છે એ શૈલીનું આખું ફોર્મેટ બદલવું પડે. ઓડિશામાં વગર ચિંતાએ આંટાફેરા વધે તો નવાઈ નથી. આ વખતે ઓડિશામાં પણ ડબલ એન્જિન સરકાર બની છે. 

      આંધ્ર પ્રદેશમાં બેઠક વધી પણ ટીડીપીનું વર્ચસ્વ એ જ પાવર સાથે વધારે 'પાવરફૂલ' થયું. ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગઢ તો બચી ગયો. ખરેખર તો હવે સૌનો સાથ અને સૌનો વિકાસ એ સુત્ર સાર્થક કરવાની તક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી એવું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકારની 'પોલીસી' કે નીતિની એક આખી વ્યવસ્થા હતી. વિધ્નો લીગલ કરતા વૈચારિક વધારે હતા. જે હવે નથી. સંઘ અને ભાજપ વચ્ચેના સંબંઘોમાં વિરોધાભાસ દેખાયો. પણ જે રીતે સંઘના સજેશન અને માનવહિત મિશનને ફગાવાયા છે એ ખોટું છે. ન થવું જોઈએ. ડેમેજ કંટ્રોલ કરતા હવે કંટ્રોલમાં જ મજા છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. 

    આ પાછળનું કારણ પણ સમજવા જેવું છે. નીતીશ કુમાર રાજનીતિના અનુભવી અને ખેલાડી કહી શકાય એવા વ્યક્તિ છે. જે સમય આવ્યે ગમે તે બાજું ઢળી જાય એમ છે. બિહારમાં લોકસભાની આ વખતેની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે, નીતીશ સબ હૈ. રાજકારણમાં જે છે એ ન હોવું એવો અર્થ સામાન્ય રીતે કાઢવામાં આવે છે. જેમ કે, મનમોહનસિંહે પીએમ તરીકે જાણીતા નેતાઓ સામે પદનો ઈન્કાર કર્યો હતો. પછીથી તો પીએમ તરીકે એ જ આવ્યા એ દુનિયા આખી જાણે છે. બીજી તરફ પાણી અને પ્રોજેક્ટ વિશેષ રાજ્યને લઈ ચંદ્રબાબુ નાઈડુ ઘણા ક્લિયર છે. અમરાવતીને એક વ્યવસ્થિત ટાઉન તરીકે સ્થાપીને તે નેતાગીરીમાં પર્સન ઓફ રાજનીતિ યુગ થવા માગે છે. હવે આ સ્થિતિ એવી છે કે, પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવું નથી. આંધ્ર પ્રદેશની પ્રજાએ પણ એ જ સમજીને વોટ આપ્યા હશે કે, આ ભાઈ આપણું, આપણા શહેરનું ભલું કરશે. વસ્તુ પણ ખોટી નથી. પણ મોદીજીના હવેના પછીના નિર્ણય પણ સૌની નજર છે. સમીકરણ જે પણ હોય દેશ વિકાસનું પ્રાધાન્ય ખોટું નથી. બીજી તરફ વ્યક્તિના ખિસ્સા એકસામટા જ કપાય જાય એવો ભાવ વધારો અને મનસ્વી નિર્ણય પણ અસ્વીકાર્ય તો છે જ. પ્રજા પણ મનોમન કહેતી જ હશે કે, કિતને ભી તું કરલે સિતમ...હસ હસ કે સહેંગે હમ. કારણ કે, પ્રાથમિક વસ્તુઓ સામે બીજો કોઈ ઓપ્શન જ નથી. મીડલક્લાસ અને નોકરિયાત વર્ગ પાસે બીજી બચત કે આવકના સોર્સ માટેની સ્પેસ જ નથી. કમને કહેવું પડે કે, દેશનો દરેક વ્યક્તિ ભલે ધાર્મિક હોય પણ નૈતિક છે કે નહીં ત્યાં પ્રશ્નાર્થ છે. 

       સંઘ અને ભાજપ વચ્ચે વૈચારિક મતભેદ દૂર થાય તો સારી વાત છે. મજાનું કામ થઈ શકે. આગળના દિવસની કલ્પના કરતા જાને ક્યા હોગા રામા રે...ગીત જેવી સ્થિતિ છે. ધ્યાન હવે ગઠબંધનની અંદર શું, કેમ, કેવી રીતે અને શા માટે ચાલી રહ્યું છે એનું પણ ધ્યાન રાખવાનું છે. દેશવાસીઓએ એક એવો પણ સમય જોયો જેમાં કોઈ જ રાજકીય વિરોધ કે હસ્તક્ષેપ ન હતો. બિલ હોય કે નિર્ણય યુદ્ધના ધોરણે લાગુ થઈ જતા કે પાસ થઈ જતા. આર્થિક અને વિકાસના પાયા પર સહમતી હવે અનિવાર્ય થઈ રહેશે. ભાજપના નેતાઓ પાસે મહત્ત્વના ખાતા છે એ દરેક એનડીએના પક્ષ જાણે છે. મોદીજી પાસે રાજકીય અનુભવ પાક્કો અને મોટો છે. આ ઉપરાંત નીતીશ કુમાર બિહારને એક વિશેષ રાજ્ય તરીકે ગણવા માગ ઊઠાવી રહ્યા છે. જ્યારે ટીડીપીના જ કદાવર નેતા સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અનામતની ટકાવારીની વાત કહી ચૂક્યા છે. ખેર, ચૂંટણી મુદ્દાઓ અનેક છે જેમાં બેલેન્સ કરવાનો હાલ સમય છે. હવે શરૂઆત કેવી અને કોની થાય એ તો મારો રામ જાણે. પણ હવે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર પક્ષની મજબૂતી પ્રાધાન્ય હોય તો કંઈ ખોટું નથી. 

વૈશ્વિક સ્તરે મોદીજીની છબી હજું પણ યથાવત

ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં જી7 દેશના વડાઓની બેઠકમાં હાજરી આપી હતી. ઈટાલીના અપુલિયામાં આયોજીત વૈશ્વિક બેઠકમાં ઝેલેન્સકીથી લઈ ઋષિ સુનક સુધીના વડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, પોપ ફ્રાંસિસ પહેલી વખત આ બેઠકમાં સામેલ થયા છે. પોપનું ખ્રિસ્તી સમુદાયમાં એક મોટું માન છે. આ બેઠકના પહેલા જ દિવસે મોદીજીએ ટેકનોલોજીની જે તે દેશની એક મોનોપોલી ખતમ કરવાની વાત કહી હતી. ટેકનોલોજીને સંહારક કરતા સર્જકતાનું માધ્યમ બનાવવાની વાત કરી હતી. દુનિયાના કોઈ પણ દેશ જ્યારે કોઈ એકમંચ પર ભેગા થાય છે ત્યારે જે તે વડા મોદીજીની એક સકારાત્મક પર્સન તરીકે નોંધ લેવાનું ભૂલતા નથી.

Tuesday, June 04, 2024

યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ

 યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ 

      લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનની બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ઝિટ પોલ સામે ગણતરી ઊંધી વળી ગઈ એવું ચિત્ર જોવા મળ્યું છે. ગુજરાતમાં મજબૂત મનાતા ભાજપને એ અહેસાસ તો થઈ ગયો કે, આ વખતે ખરેખર બચી ગયા. ચારથી પાંચ બેઠક પર મતગણના શરૂ થતા જે વિપક્ષના ઉમેદવારોના જંગી આકડાં સામે આવ્યા એમાં થોડો આત્મવિશ્વાસ વિજયને રહ્યો હતો. આ જીતના ઝંડાના પાયામાં મજબૂતી ખખડી ગઈ હતી. આ પણ વાસ્તવિકતા છે. ગુજરાતમાં ભાજપની ઘટી રહેલી વિશ્વસનીયતા ભાજપના નેતાઓ માટે ચિંતાનો વિષય તો છે જ. આ સાથે 300 સુધી પહોંચતા ખરેખર પક્ષ અને ઉમેદવારોને પરસેવો આવી ગયો આ પણ કમને સ્વીકારવું તો પડે જ. એક્ઝિટ પોલમાં ગળું ખેંચી ખેંચીને બોલતા એન્કર કહી રહ્યા હતા કે, ઈન્ડિયા ગઠબંધનને 100 બેઠક પણ નહીં મળે. જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીથી સંજીવની મળી ગઈ છે. 


અનઅપેક્ષિત યુપી

       ઉત્તર પ્રદેશમાં પલટાયેલું પાસું છેક દિલ્હીમાં પડઘા પાડી ગયું. મીડિયામાં પણ આશ્ચર્ય અને ઉમેદવારોમાં પણ ચોંકાવનારૂ પરિણામ. ગુજરાતમાં ભાજપને ધારેલી લીડ ન મળી એ પાછળ કાર્યકર્તાઓની નારાજગી અને અસરકારક આગેવાનોને ન મળેલી ટિકિટ માની શકાય છે. પક્ષ પલટો કરનારા તરફ કોઈ પણ પક્ષ થોડા સમય માટે શંકાના ચશ્મામાંથી એને જુવે છે. આ કામની વેલિટિડી ખૂબ ઓછી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપ રહેલા કોંગ્રેસી નેતાઓ માટે કહે છે કે, પક્ષ પલટો કરનારા માટે આ પરિણામ છે એવું ધીમા અવાજે કહી રહ્યા છે. જે અવાજ પબ્લિકે મોટો કરી દીધો. મતદાનનો દિવસ યાદ કરીએ તો ટકાવારીના આધારે મતદાન પણ ઓછું થયું હતું. મોટા કહેવાતા નેતાઓ અને જાણીતા ચહેરાઓના મતવિસ્તારમાં મતદાનની ટકાવારી સૂચક હતી. એ સમયે ગરમીનું થર્મોમીટર આગળ ધરીને કેટલાકે સંતોષ માની લીધો. આનો અર્થ ડાયરેક્ટ પક્ષમાં ન રહેલા પણ પરોક્ષ રીતે ભાજપમાં રહેલા 'સિનિયર્સ' અમુક અંશે તો સમજી ગયા હતા.

છબી સામે સવાલ ન હતો  

    બીજો ખેલ પડ્યો ઉત્તર પ્રદેશમાં. જેટલી ભીડ સભા અને રેલીમાં જોવા મળતી હતી. એનાથી અનેકગણી રીતે અંદરખાને શાંતિ ધારણ થઈ ગઈ હતી. ચોક્કસ વર્ગ અને સ્થાનિક પક્ષોના માનીતા વોટર્સ બીજે શિફ્ટ થયા. જેની અસર આ રીઝલ્ટ સુધી જોવા મળી. સ્થાનિકોના પ્રકાશિત અહેવાલ અનુસાર અહીં મોંઘવારી, બેરોજગારી, યુવા મતદારોમાં અંદરખાને મોટી નારાજગી, રદ્દ થતી પરીક્ષાઓ, શિક્ષકોના પ્રશ્નો એવા અનેક કારણો અસર કરી ગયા. વડાપ્રધાનની છબી સામે એક સવાલ ન હતો પણ સાંસદ તરીકે ઊભા રહેલા ચહેરાઓને જે તે પ્રાંતની મૂળ સમસ્યા પણ ખબર ન હતી. જોકે, આ મુદ્દો તો ગુજરાતમાં પણ એટલો જ લાગું પડે છે. ભલું થયું કે, ભાજપને ફરી વિજયતિલક લોકોએ કર્યું. કોઈ જ્ઞાતિ કે વર્ગના પ્રભાવને ઓછો ન આંકી શકાય. ભલે બીજા પ્રાંતમાં એનો વિરોધ ઠારવા પ્રયાસ થયા હોય પણ અસર તો થાય. જે રીતે આગ લાગે ને પાડોશીને પહેલા ધૂમાડો લાગે એવી આ વાત છે.  બાકી વટ છે ગેનીબેનનો. જે બન્ને પક્ષ માટે રીસર્ચનો વિષય છે. એક ગુજરાતની નારી આખા રાજકારણ પણ ભારી એવું સ્પષ્ટ લખવું પડે.  હવે પછી ભાજપ જે પગલાં ભરે અને આત્મચિંતન બાદ જે નક્શીકામ કરશે એ ખૂબ જ તકેદારી કરતા ગણતરી પૂર્વકનું વધુ રહેશે. 


Image Source_Indiatv News Channel

ભાવની વધઘટ બધા જાણે છે

       સારી વાત છે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં મામલો સ્પષ્ટ જીતનો રહ્યો છે. દિલ્હીમાં ભલે સરકાર કેજરીવાલે ચલાવી હોય પણ મોદીજીના સમર્થકો ઘણા છે. આ વાત આ પહેલાની 2019ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. યુપી, પ.બંગાળ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં આઘાત લાગે એવું પરિણામ છે. મોટાભાગની રેલી અને સભામાં વડાપ્રધાનની વાતને આગળ ધરી વિકાસના વડાને પબ્લિકને જે સ્વાદમાં ભાવે એ રીતે પીરસવામાં આવ્યા. હકીકતમાં લોકોને શું ભાવે છે એ પરિણામમાં દેખાયું. વિપક્ષનો બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ગેરંટી સાથે અસર કરી ગયો.  અગ્નીવીર યોજના અને ખેડૂતોને ન મળતા ભાવ ભલે સ્પષ્ટ રીતે સપાટી પર ન આવ્યા પણ ઈવીએમમાં જનાક્રોશ કેદ થયો હતો. પેટ્રોલ ડીઝલ જેવી જીવનજરૂરી ચીજ-વસ્તુમાં ઘટેલા ભાવથી લોકોને એ તો ખબર પડી ગઈ હતી કે, ચૂંટણી આવી રહી છે. પરિણામના એક દિવસ પહેલા વધેલા દૂધ અને ટોલટેક્સના ભાવથી પ્રજાને એ પણ આઈડિયા આવી ગયો કે, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. લોકોને માત્ર ઈમોશનલ ક્નેક્ટ કરવાથી કદાચ બચી શકાય પણ આત્મચિંતન કરવું જ હોય તો પીડિત કોણ એનું રીસર્ચ કરવામાં આવે તો કંઈક નવી દિશમાં મોટું કામ થઈ શકે. બાકી પરિણામ રોચક છે એ તો સૌ સ્વીકારે છે.

Tuesday, February 13, 2024

ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

 ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

     રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પાસે પ્લાન હતો પણ અમલવારીનું ચિત્ર સ્પષ્ટ ન હતું. એરફોર્સમાં મોટા અધિકારીના પદ પર બઠેલા બીએસ ધનૌઆ અને આર્મી ચીફ વિપિન રાવત પાસે પણ અનુભવના નીચોડમાંથી ઘડાયેલી અને મજબૂત વૉર સ્ટ્રેટજી હતી. રીસર્ચની પહેલું પગથિયું ઈનપુટ હતા. રજૌરીથી લઈને રાવલકોટ સુધી, આ તરફ શિગર (લદ્દાખમાં આવેલો ભારતીય સીમા તરફનો અંતિમ પહાડી વિસ્તાર)થી લઈ શ્રીનગર સુધી દરેક મુવમેન્ટમાં એ ધ્યાન રાખવાનું હતું કે, પાડોશી દેશે રાક્ષસી ઈરાદા સાથે પચાવી પાડેલા આપણા જ એક પ્રદેશમાં કોઈને ગંધ ન આવી જાય. કોર્ડિનેટ તો મળી રહેવાના હતા પણ માણસ તો શું ત્રાસવાદી વિસ્તારની માંખી પણ બચવી ન જોઈએ એવું જામી ગયેલી સિમેન્ટ જેવું મજબૂત પ્લાનિંગ હતું. અલર્ટ, પેટ્રોલિંગ અને ઈનપુટની હેકટીક વચ્ચે મિશન પાર પાડવું એક પડકાર હતો.    

  


       આઈબી અને રૉના ફોન રણકવાના શરૂ થઈ ચૂક્યા હતા. કોડવર્ડની ભાષાઓમાંથી એ વાત ફિક્સ થઈ ગઈ હતી કે, પચાવી પાડેલા પ્રદેશમાં તાલિબાની વિચારધારા ધરાવતા આકાઓ મૌજુદ છે. આમ તો કોઈ પણ સળીચાળાનો જડબાતોડ જવાબ દેવામાં જવાનને માત્ર ઈશારાઓની જરૂર હોય છે. દાંત ખાટા કરી નાખે એવો ઠોસ અને થોબડા પણ ધડથી અલગ હોય એવી રીતે એના પર તૂટી પડવામાં આવે છે. પણ દરેક દેશવાસીના આંખમાં પાણી લાવી દે આવી ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કરીને જવાબ દેવો ઉતાવળ સમાન હતું. કદાચ પિત્તળભેજાના ફટ્ટુઓ પણ એ જ ઈચ્છા હતા કે, એક્શનનું ઘડીના છઠ્ઠા ભાગમાં રીએક્શન આવે. પણ જ્યાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા જવાનની વાત આવે ત્યાં જવાન દેશ માટે વધુ અગ્રતા ધરાવે છે. અતિ સંવેદનશીલ વૉરરૂમમાં સ્ટ્રેટજી તો ઘણી હતી પણ વિચારઘારા એક કેન્દ્રમાં અટકી હતી. જેમાં કેઝ્યુઅલ્ટી ઓછી થાય ને દુશ્મનનો ખાતમો વધું થાય. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર, કાશ્મીરની ભૌગોલિક સ્થિતિ, ત્યાંના કેટલાક બની બેઠેલા 'ભાઈ' પણ વિસ્ફોટક જેટલા સંવેદનશીલ હતા. પાણા (પથ્થર) મારીને પથારી ફેરવનારા પણ કેટલાક કાશ્મીરમાંથી પણ હતા જ. આ હકીકત કાશ્મીર પોલીસથી લઈને સ્થાનિક પોલિટિકલ લીડર સુધી સૌને ખબર હતી.  

      વાયુ સેનાના તત્કાલિન પ્રમુખ આર.કે. એસ ભદૌરિયા ઑપરેશન ડેટ ડિક્લેર કરી. પણ સૈન્યની ત્રણેય પાંખના આંગળીના વેઢે ગણી શકાય એટલા અધિકારીઓને જ આ તારીખ ખબર હતી. જે જવાનો ઑપરેશનમાં સામિલ થવાના હતા એમને એટલો તો અંદાજો હશે જ કે, વારંવાર છમકલા કરતા જૈશ અને મુજાઈદ્દિનના આકાઓના ડાચાને ડેથ પનિશમેન્ટ દેવાનો કાળ પાકી ગયો છે. પણ શું? ક્યાં? કેવી રીતે? અને કેમ? આ તમામ પ્રશ્નોની પાછળ જંગલ જેવું ગાઢ અંધારૂ હતું. ઑપરેશનનું નામ નક્કી હતું પણ લોકો સુધી ન પહોંચી એવી ચોક્કસ અને રાજસ્થાનના કિલ્લાઓ જેવી કિલ્લેબંધી હતી. દિવાલ વચ્ચે નહીં, દિલ અને દિમાગ વચ્ચે. ઝનૂન અને ઉગ્રતા વચ્ચે. સમય પણ નક્કી હતો. પણ સૌથી કપરો સમય રીર્ટનનો હતો. ખાલી થપ્પડ માર્યે ભાઈડા નથી. ભાગતા પણ આવડવું જોઈએ. જેથી ક્રુર માનસ ધરાવતા ઘાતકીઓથી બચી શકાય. માત્ર ત્રણ જ કલાકમાં તૈયાર થયેલી વૉર સ્ટ્રેટજી સોલીડ હતી. બસ વાર તો ટીમ તૈયાર કરવાની હતી. એ વાત પણ ધ્યાન રાખવાની હતી કે, જે જવાન ડ્યૂટી પર છે એને રીપ્લેસ કરવાના નથી.

        એર માર્શલ હરિ કુમારે આખા વૉરરૂમની સ્થિતિને આંખમાં કેદ કરી હતી. કારણ કે, સૌથી નજીકના સાક્ષી એ હતા. પાવર, પ્લાનિંગ અને પરિણામ સુધીની આખી પ્રોસેસના. ઑપરેશનના નામ પાછળ પણ એક સીધી લાઈનની સ્ટોરી એ હતી કે, ભારતીય સંસ્કૃતિમાં એ પ્રજાતિને એક વિશેષ સ્થાન મળેલું છે. મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવાનો હતો કે, ઝીણીં આંખ વાળા અને ચીબા નાકવાળા ચીને જે પ્રદેશ પચાવી પાડ્યો છે એની સાથે આ પાડોશીને પાછો વાટકી વ્યવહાર હતો. એટલે અડધી રાત્રે ઊઠીને એ ધુણે નહીં એ પણ ઘ્યાન રાખવું એટલું જરૂરી હતું જેટલું બિલાડીની સામેથી દૂધને સુરક્ષા આપવી. ચંદગામ હાઈવેથી જાબા સુધીનું બાય રોડ અંતર 250 માંડ હતું. પણ ફાઈટર તો આટલું માત્ર ગણતરીની મિનિટોમાં કાપી કાઢે. દમ વગરની દાઢી ધરાવતા અને મજબૂતીની મુંછ ન ધરાવતા ગટરછાંપ મુખિયાઓનો આ ગઢ હતો. જ્યાં નવયુવાનોને ફના થવાની માનસિક-શારીરિક તાલિમ આપવામાં આવતી. હવે મદડું પણ ન મળે એવો ઘા મારવો હોય તો તીવ્રતા પણ એટલી જ જોઈએ.

     ઘા કરો અને સામે ઘાવ ન લાગે એવું તો કેમ બને? તારીખ નક્કી અને વાયુદળના લડાકું વિમાનની ફૌજ નક્કી. હવે વાર તો માત્ર ઘા મારવાની હતી. પણ રાત્રીના સમયને એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે, લડાઈ નાક વગરના આત્મઘાતીઓ સામે હતી. સામાન્ય પ્રજા સામે નહીં. પણ ત્રણ લૉંચપેડ પર વિમાનમાંથી બોંબમારો કર્યા બાદ રીટર્ન વીજવેગે થવાનું હતું. પણ વિમાનના અવાજ અને એના જ સળી ગયેલા રડારે સાચી માહિતીને ઓનસ્ક્રિન કરી દીધી. જેમાં આપણા વિમાન શિયાળામાં સનસેટ ચોખ્ખો દેખાય એમ અંધારી રાતે દેખાયા. પણ શિકાર માત્ર એકનો જ કરી શક્યા. કારણ કે એમને પણ ભીખમાં મળેલા વિમાન પર ભરોસો હોયને..! તૂટી પડેલા વિમાનમાં હિમાલય જેટલી સખ્તાઈ વાળો જવાન જીવતો નીકળ્યો. પણ રાજકીય દબાણને કારણે પાડોશી રાજનીતિ ઘૂંટણીએ પડી ગઈ. સન્માન સાથે હેન્ડ ઓવર કરવો પડ્યો. 


     તારીખ 26 ફેબ્રુઆરી 2019 ઈન્ડિયન એરફોર્સના મિરાજની એક ટીમ ગ્વાલિયરથી રવાના થઈને દુશ્મનોનાં દાંત ખાટા કરીને પાછી આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહમાં જાબા સહિત ત્રણ લોકેશન પર આતંકીઓના આકાના અડ્ડાઓ પર બોંબવર્ષા કરવામાં આવી હતી. જેમાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયા હતા. પણ પોતાના ગાલ પર પડેલો તમાચો સ્વીકારે તો પાકિસ્તાન થોડું કહેવાય? એને આપણી સામે ફરી ફાંકાફોજદારીનો બફાટ શરૂ કર્યો. ભારતે કર્યું એ દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે દેશવાસીઓએ તો સ્વીકાર્યું. પુલવામાનો બદલો બાપ થઈને લીધો. પછી તો ફૈડકા મારતું ચકલું ચીનની આપેલી ભીખમાં છુપાઈ ગયું. આ હતું ઑપરેશન બંદર. જ્યારે પાકિસ્તાનના એફ-16 એક્ટિવ થયા ત્યારે આપણા વિમાન આપણી હવાઈ સીમામાં કામ પતાવીને પરત આવી ગયા હતા. જે રીતે તેઓ જંગલ અને ધુમ્મસની આડમાં ભાગે છે એમ. આપણે સામે છાતીએ લડ્યા પણ ફટ્ટુઓની ફૌજમાં આજે પણ આનો પડઘો શમ્યો નથી. ધીસ ઈસ ઈન્ડિયન એર ફોર્સ એન્ડ ઑપરેશન બંદર. રાત્રે 3.30 વાગ્યે શરૂ થયું ને 30 મિનિટથી ઓછા સમયમાં ખતમ. 

           પણ માત્ર મિરાજ ન હતા. એમની સાથે સુખોઈ-30 MIK હતા. જે પાકિસ્તાનના વિમાનને ડાઈવર્ટ કરવા માટે અને હેરાન કરવા માટે બાહુબલી હતા. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોની એક ટીમ સ્ટેન્ડ ટુ હતી. જે માત્ર જમીન પર ઊતરે તો કાળા કપડાં પહેરીને આવેલાઓના યમરાજ બનીને બતાવે એમ હતા. બાલાકોટમાં 200થી વધુ આતંકીઓના ફોન એક્ટિવ હતા એટલે એ વાત તો નક્કી હતી કે, સળી કરીને સળગાવનારા આ જ હતા. માનસેરા જે પાકિસ્તાનમાં આવેલું એક સિટી છે, જે ઈન્ડો-પાક. બોર્ડરથી સૌથી નજીક છે. બાલાકોટ એનો તાલુકો છે. કાગાન નામનો પહાડી વિસ્તાર પ્રવાસીઓ માટે જાણીતો છે પણ આંતકી આકા આનો ખોટો ઉપયોગ કરીને છાશવારે છમકલા કરે છે. છાણ વગરના છોતરાંઓ ઘા કરવામાં માહિર છે પણ છાતી કાઢીને લડવામાં એને રાજકારણ નડે છે. જોકે, એમના રાજકારણમાં પણ અંદરોઅંદર યુદ્ધ જ ચાલે છે. માનસેરાના જંગલનો વિસ્તાર આજે પણ એટલો જ સંવેદનશીલ છે. જ્યાંથી ડાયરેક્ટ શ્રીનગરથી લઈને બાલાકોટ સુધીના હાઈવે ક્નેક્ટ થાય છે. ચીન અને પાકિસ્તાનનો જોડતો કારાકોરમ હાઈવે અહીંથી પસાર થાય છે. મુઝ્ઝફરાબાદ પીઓકેનું મુખ્યકેન્દ્ર છે. આ સમગ્ર ઑપરેશનમાં સુબેદારથી લઈને સર્વેલન્સ રડાર સિસ્ટમ સુધી જુદા જુદા વિભાગમાં કુલ 6 હજાર લોકોએ યોગદાન આપ્યું છે. આવી જ આ ઑપરેશન સાથે જોડાયેલી ફેક્ટ ફાઈલ વાંચવી હોય તો ઉપાડો The Lession learnt from operation નામનો રીપોર્ટ.

Saturday, February 03, 2024

City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

 City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

     ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન મોટાભાગના ગુજરાતીઓનું પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. નજીકનું નજીક અને માણવા જેવી સાઈટનો ઢગલો. આધુનિકતા સાથે કદમતાલ છતાં ઈતિહાસને સાચવી બેઠેલા શહેર. બેશક ગુજરાતના હાઈવેને ટક્કર મારે એવા રસ્તા. રણ, રસ્તા અને રંગોની એવી દુનિયા જે દરેકના ખિસ્સાને પણ પરવડે અને ગમે પણ ખરા. પ્રાચીનતમ પુરાવાઓ સાથે પેશન સાથે જીવતી કોમનો નજારો. આસ્થાના કેન્દ્ર સમાન મંદિરથી લઈને માણવા જેવા કિલ્લાઓ સુધીની તમામ વ્યવસ્થા કરતા અઢળક ઠેકાણા. રેતીના શહેરો છે અને ગ્રીનરી પણ છે. પાણીની સગવડ અને પીવાની પણ. ફેક્ટ એ પણ છે કે, લાખોની સંખ્યામાં રાજસ્થાની લોકો ગુજરાતના મહાનગરમાં રોકડી કરવા માટે આવે છે. રોકાય છે, કમાય છે અને હોળી આવતા ઘરભેગા થાય છે. યુનિટી પણ એવી અને અસાધારણ કામ પણ ખેંચી જાણે. સિટિ કી બાત એક નવી રજૂઆત છે. જેની શરૂઆત જયપુરથી કરીએ. જેને શુટિંગ ડેસ્ટિનેશનથી પણ ઓળખવામાં આવે છે. તો ગુલાબીનગરી પણ કહેવાય છે. તો રાજસ્થાની પાઘડી પહેરીને બેસી જાવ શબ્દોની ગાડીમાં જેને આંખથી ડ્રાઈવ કરતા કરતા જયપુર જોઈએ. ચાલો ત્યારે.

     સમુદ્ર સપાટીથી 431મીટરની ઊંચાઈએ વસેલું સિટી જયપુર. ટેકરીઓના આ ગામમાં અત્યારે રસ્તાઓ સપાટ છે. એક સમયે ટેકરીઓની આસપાસ રસ્તાઓ હતા. જેમાંથી કેટલીક ટેકરીઓ તૂટી ગઈ. તો કેટલાક પોઈન્ટે પોતાનો ત્યાગ આપીને વિકાસની થપાટ સહન કરી. વાત ત્યાંથી શરૂ કરીએ જ્યારે બ્રિટનના ક્રાઉન પ્રિન્સ આલબર્ટ જયપુર આવવાના હતા. સાલ હતી 1876. એ સમયે જયપુરના રાજવી હતા રામસિંહ. પ્રિન્સને વેલકમ કરવા માટે તેમણે પોતાના શહેરને ગુલાબી રંગથી ડેકોરેટ કર્યું. પછી આખા શહેરની ઈમારતથી લઈને મહેલ સુધી તમામ વસ્તુ ગુલાબી. જ્યાં નજર કરો ત્યાં નજારો ગુલાબી. આમ કિલ્લાઓનું સિટિ ગુલાબી થવાનું શરૂ થયું. એક સમયે જયપુરમાં પ્રવેશ લેવા માટે સાત ગેઈટ બનાવવામાં આવ્યા હતા. છેલ્લે જયપુરમાં પત્રિકા ગેઈટ બન્યો. જેની પાછળ રાજસ્થાનના એક જાણીતા મીડિયાનું યોગદાન છે. આ ગેઈટ પણ અદભૂત છે. ખાસ કરીને રાત્રીના સમયે નજારો કેમેરામાં કેદ કરવા જેવો લાગે છે. રાજવી શાસનની સાક્ષી આપતા પેલેસ પરથી કહી શકાય કે, રજવાડું કેટલું પાવરફૂલ રહ્યું હતું. એ સમયે વિકાસની હોડ કરતા પ્રજાની સુખાકારીનું પ્રાધાન્ય હતું. કારણ કે, રાજાને બિઝનેસ કરવો ન હતો. 

      કોઈ એમ કહે કે, મુંબઈમાં મોનસુન એટલે અવિસ્મરણીય. તો જયપુરમાં ચોમાસું એટલે રાજવીઓના આંગણે થયેલી કુદરતી સપ્તરંગી રંગોળી. માત્ર બે દિવસના વરસાદમાં ઠંડુંબોળ થઈ જતું સિટિ રાજવી પ્રાંતમાં વર્ષારાણીને પોંખતું હોય એવું લાગે. પણ કમાલ કહો કે કમનસીબી કોંક્રિટીકરણને કારણે ગુલાબી રંગો ઝાંખપ લઈ રહ્યો છે. એક જાણ ખાતર, જયપુર રહેલું એવું સિટિ છે જેની બાંધણી સમગ્ર રીતે વાસ્તુશાસ્ત્ર પર આધારીત છે. નવા વિકાસ કરતા જૂના જયપુરનો નજારો આજે પણ અડીખમ છે. જુલાઈ-ઓગષ્ટ બે મહિનામાં જયપુરમાં આંટો મારો તો જાણે વાદળાઓની ફૌજ કિલ્લાઓને સલામ આપતી હોય એવું લાગે. છ નાના નાના નગર ભેગા થયા અને જયપુર ઊભું થયું. નાગરગઢ, તાલકટોરા, સંતોષસાગર, મોતીકટલા, કલ્તાજી અને કિશનપોલ. આ બધાના વિસ્તારો જોડી જયપુર બનાવાયું. વિન્ટેજ કારનું એક્ઝિબિશન થશે એવું જ્યારે પણ કાને પડઘાઈ ત્યારે એને જોવા યુવાનોથી લઈને સિનિયર સિટિઝન ઉમટી પડે. પણ વિન્ટેજ કારને પણ પ્રદર્શની હેઠળ મૂકી શકાય એની શરૂઆત જયપુરે કરી. પછી બીજા શહેરોએ રાજવીયુગની ઝાંખી કરાવતી કારની મુલાકાત પ્રજા માટે ખુલ્લી મૂકી. આજે પણ જયપુરમાં વિન્ટેજ કાર ફેસ્ટિવલ થાય છે. માત્ર ફેસ્ટિવલ નહીં આવી દુર્લભ કારની રેલી થાય છે. ક્યારે? જાન્યુઆરીમાં...

       કેરળમાં હાથીને પવિત્ર માનવામાં આવે છે. સૌથી વધારે હાથી કેરળમાં છે એવી માન્યતા હોય તો જયપુર પાસે હાથીનો આખો ફેસ્ટિવલ છે. હોળીના તહેવાર પર સેલિબ્રેટ થાય છે. જેમાં હાથીને શણગારવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટનું સૌથી મોટું માર્કેટ જયપુરમાં છે. જ્યાં કલાત્મક વસ્તુઓને હાથેથી બનાવીને સેલ કરવામાં આવે છે. હા, તમારી પાસે કોઈ ડીઝાઈન કે કોન્સેપ્ટ હશે તો આ લોકો કરી આપશે. ડીસેમ્બર મહિનામાં જર્મનીથી આવેલા એક પ્રવાસીએ અહીં એક અઠવાડિયા સુધી રોકાણ કરીને પોતાની જૂતી પોતાની રીતે ડીઝાઈ કરાવી. જે પ્રકાશિત થયેલું અને ટીવી પર પ્રસારિત પણ. કાર્પેટ માટે મિર્ઝાપુર દુનિયામાં ભલે ડંકો વગાડે પણ બીજા નંબરે જયપુર આવે છે. જ્યાંની કાર્પેટ મોટી હોટેલમાં પણ સેટ છે. બડા બાઝારમાં નીકળો એટલે કાર્પેટથી લઈને કુમકુમ સુધી અને ઝાંઝરથી લઈને ઝુમકા સુધી બધુ મળી જાય. હા....માર્કેટ આજે ખૂબ જ મોંઘી છે. ખિસ્સા ભરેલા હોય તો જવાય. પણ આના જેવી ડીઝાઈન, વર્ક, મટિરિયલ અને વસ્તુ બીજે ક્યાંય મળે તો પૈસા પાછા. નહેરૂ બાઝાર અને જૌહરી બાઝારમાં દાલબાટી સહિત લોકલ સ્નેક્સ મળશે. આટલું વાંચ્યા બાદ આકર્ષણ થયું હોય તો અનુભવ તો યાદગાર થવાનો એ ગેરેન્ટી. 

    યુનેસ્કોએ જયપુરને હેરિટેજ સિટિનો ટેગ આપ્યો છે. જ્યારે દેશના ટોપ 5 બ્યુટીફૂલ સિટિની યાદીમાં જયપુર બીજા ક્રમે છે. જયપુરને આકાશમાંથી જોવા ડ્રોનની જરૂર નથી. નાહરગઢ કિલ્લામાં પહોંચો એટલે જયપુર આખું આકાશી નજારામાં દેખાય છે. 18 નવેમ્બરના રોજ આ સિટિનો બર્થડે છે. જેને એકસમયે જૈપરથી ઓળખવામાં આવતું. ઈતિહાસને સાથે રાખીને વિકાસ કરતું સિટિ. વર્ષ 2006થી શરૂ થયેલો જયપુર સાહિત્ય ફેસ્ટિવલ અનેક લોકોને જોડે છે. જેમાં દેશ વિદેશથી અનેક લોકો આવે છે. એશિયાનું સૌથી મોટું સર્કલ જયપુરમાં છે. જવાહર સર્કલ. હા, આપણા ગુજરાતમાં ભાવનગરને સિટિ ઓફ સર્કલ કહેવામાં આવે છે. પણ જવાહર સર્કલ 13 હજાર મીટરના દાયરામાં છે. રામબાગ પોલો ગ્રાઉન્ડમાં હોળી રમવાની એક અલગ મજા છે. પણ એના એક દિવસ પહેલા હાથી ઉત્સવ જોવા ગામ ઉમટે છે. ચલો તો મળીએ. આગામી એપિસોડમાં નવા સિટિની અવનવી વાત સાથે....ચીયર્સ

Tuesday, January 23, 2024

રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

 રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

       ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી રામ મંદિર તથા પ્રાણ પ્રતિષ્ઠાથી પાવન થઈ છે. વર્ષોથી જે મુદ્દા પર વાતચીત થતી અને ચૂંટણીની ચર્ચામાં જે વારંવાર ઘુંટાતું એ ચિત્ર તારીખ 22 જાન્યુઆરી 2024માં સ્પષ્ટ થયું છે. રામ મંદિરને લઈને જે વિષયો સંકળાયેલા છે એ તો સદાય રહેવાના, લખાવાના અને વંચાવવાના પણ ખરા. પણ કેન્દ્રમાં જે તત્વ રહ્યું છે એ રામ છે. મંદિર શબ્દની પહેલા પણ રામ, અયોધ્યા પછીનો પહેલો શબ્દ મનમાં આવે એ પણ રામ. સરયુ નદીના કિનારાનો કોઈ ઉલ્લેખ કરો તો પણ રામ અને દિવાળીનું પર્વ હોય ને દીવા જેના નામે થાય એ પણ રામ. આસ્થાનો મીઠડો દરિયો જ્યાં ઘુઘવાય છે એવી અયોધ્યા નગરી રામની પ્રતિષ્ઠાના રીયલ વાયબ્રેશનથી પવિત્ર બની છે. હાથીઓની વિરાટ સેના જેવા પથ્થરમાંથી સુંદર નક્શી કામ કરીને જે મંદિર તૈયાર થયું એ દરેક કારીગરોના હૈયે કદાચ રામે જ હિંમત કાયમ રાખીને મંદિર કાર્ય માટે નિમિત કર્યા હશે. મંદિર સાથેના અનેક એવા વિષયો છે જેની પર એક આખું પુસ્તક લખી શકાય. ફેક્ટ ફાઈલ પણ એવી છે જે દિમાગથી ખાલી કોઈ ફોલ્ડરીયો વાંચે તો પણ એના દિલમાં દશરથ નંદન વસી જાય. પણ હકીકત એ પણ છે કે, જ્યારે મૂખ્ય મૂર્તિ તૈયાર કરનાર અરૂણ યોગીરાજ મૂર્તિને કંડારી રહ્યા હતા ત્યારે એની આંખમાં ઈજા થઈ હતી. 14 દિવસના વિરામ બાદ કામ ચાલું થયું અને મૂર્તિ તૈયાર થઈ. અહીંયા પણ તબીબે એને 14 દિવસનો વિરામ આપેલો. છે ને બાકી રામની ક્નેક્ટિવિટી!

            રામ કોઈ શબ્દ નથી પણ એક યુનિવર્સ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્રેતાયુગથી રામને જાણનારા સ્વીકારે છે કે, રામ કદી ખોટા નથી અને ખોટું હોય ત્યાં રામ નથી. ઈન્ડોનેશિયાથી લઈને ઈન્ડિયા (ભારત) સુધી રામનું એક વ્યાપક નેટવર્ક છે. અનેક એવા સ્થળો એની લીલાના સાક્ષી છે. પણ રામ જેટલું નામ ટૂંકું છે એટલી એનામાં ઊંડાઈ છે. પણ ખુદ રામના હૈયામાં આધાત ને પીડાનું સામ્રાજ્ય છે. કારણ કે, યુવાની માણવાની વયમાં વનવાસ માણ્યો ને પિતાના વચનને પાળવા રાજવી ઠાઠમાઠ ત્યાગી દીધો. આપણી આસપાસ કેટલાક માથાઓ બાપાની છત્રછાયા છોડી શકે પણ રોકડા નહીં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક પ્રાર્થના કરીએ કે રાજકીય અખાડામાં કોઈ રામને લઈને દોષારોપણ ન થાય. કૃષ્ણ ને રામની તુલના ન થઈ શકે, કારણ કે બન્ને એક જ મુખ્ય પ્રભુના અલગ અલગ અવતાર છે. નિયમ, નીતિ અને નિર્ણય પરની અડતા એટલે રામ. વર્ષાંતે ઘણા લોકો રિઝોલ્યુશન નક્કી કરે પણ પછી એ ફોલો થાય છે કે નહીં એ તો હવે રામ જાણે! રામના સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો એક વાત શીરાની જેમ ગળે ઊતરે એ છે નીતિ. પોલીસી. કોઈનું ખોટું કરવાની નીતિ નહીં અને સાચું હોય એને અન્યાય ન થાય એવી નીતિ. રાવણવધ કરીને એની લંકા પર રાજ કરી શકે એમ હતા. પણ તેણે વિભિષણને રાજ આપીને અવધાગમન કર્યું. એક વાસ્તવિકતા એ પણ છે કે, જેના પિતા રામપ્રેમી હોય એનો પુત્ર થોડી રાવણને ફોલો કરે? વિભિષણનો પુત્ર અયોધ્યા આવ્યો એવા પુરાવા છે. જેનું નામ છે મતગજેન્દ્ર. આજે અયોધ્યામાં એનું મંદિર છે. હેડમાં ભરાતા બેડ ન્યૂઝને કારણે આવું આપણી આંખ સુધી પહોંચ્યુ નહીં હોય કદાચ. 

           રામ એટલે રિલેશનશીપના માઈલસ્ટોન વ્યક્તિ. પતિ, પુત્ર અને ભ્રાતા તરીકે જેને કોઈ પણ ફ્રેમ વગર સ્વીકારી શકાય. રામાયણનું દરેક પાત્ર એક ઊંડાઈને સરળ શબ્દોમાં સમજાવે છે. ભરત ધારત તો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી શકત. પણ ના...રાજ તો રામનું. હવે આ શબ્દને થોડો ટ્વિસ્ટ કરીએ તો રામરાજ છે આવો શબ્દ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? જવાબ તમારી પાસે છે જ...રામ રાજ્ય ને પ્રજા સુખી...આવું પણ બોલાય છે. હવે રામ પણ ઈચ્છે છે કે, આ શબ્દ પ્રયોગને કોઈ નેગેટિવ ટોનમાં ન બોલવામાં આવે. કમાલ કહો કે કમનસીબી પણ વારંવાર એવું પણ બોલાય છે કે, રામાયણ થઈ ગઈ. વાત સાચી કે રામાયણમાં લડાઈ હતી પણ માત્ર લડાઈ જ ન હતી. હનુમાન જેવા રામભક્ત પાસેથી રામભક્તિ પણ શીખવા જેવી છે. બસ, આ પ્રાણ પ્રતિષ્ઠાથી એ પ્રણ લઈએ કે, કોઈ પણ લડાઈ વખતે રામાયણ થઈ ગઈ એવું નહીં બોલીએ. આસ્થાની અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમ દરેકના દિલમાં એક રામ મંદિર છે એની મર્યાદા રાખીને કોઈ પાસેથી રીવેંજ લેવાના બદલે relinquish (રેલિંક્વિશ-જતુ કરવું) કરીએ. બદલો લેવાના તાલિબાની વિચારોનું અમલીકરણ થાય છે એટલે જ તર્કશક્તિનો વિનાશ થાય છે.

           રામ એટલે સરળતા, સમાનતા અને સભ્યતાનો સંગમ. પ્રભુએ એક વ્યક્તિ તરીકે જન્મ લઈને પાવરફૂલ કામ કર્યા. સાલું અહીંયા બધાને વ્યક્તિત્વ ભૂલીને પાવરફૂલ થવું છે. એ પણ શોર્ટકટથી. રામાયણમાં હનુમાનને કદી રામે તુકારો નથી આપ્યો. હનુમાને કદી ખોટી હોશિયારી નથી દેખાડી. શક્તિ પ્રયોગ પહેલા પણ હનુમાન જય શ્રી રામ બોલતા. સમાજના કેટલાક ડાયરેક્ટ શક્તિ પ્રયોગ કરે છે ને પછી હાય રામ...બોલે છે. બસ આવું ન કરીએ એ જ રામની સાચી પ્રાણ પ્રતિષ્ઠા. રામાયણના દરેક કિસ્સામાં જીવનમાં ઊતારવા જેવા પાઠ છે. પણ રામ પાસેથી ઈન્ટિગ્રિટી (પ્રમાણિતકા) અને સિમ્પિસિટી (સરળતા) શીખવા જેવી છે. આ ઉપરાંત જે સૌથી વધારે ગળે નહીં પણ આચરણમાં ઊતારવા જેવું છે એ છે બી રીયલ. અમુક લોકો દરેક કામમાં ખોટા ફિલ્ટર મારીને ન હોવાનું દેખાડે છે અને પોતાને પુરવાર કરે છે. એટલે જ તકલીફ પડે છે. કુટનીતિ મંથરાએ અપનાવી, નિમિત બની કૈકેઈ અને પરિણામ ભોગવ્યું રામે. બસ આવું થાય ત્યારે રામને યાદ કરી લેવાના. ખુદને સાચા સાબિત કરવાના બદલે સમયને પુરાવા આપવા દીઓ. કૈકેઈ જેવી કેટલીય સુધરી જશે એવી ગેરેન્ટી રામની. ચલો ત્યારે રામ રાષ્ટ્ર બનાવીએ એવા પ્રયાસ સાથે જય શ્રી રામ

Tuesday, January 16, 2024

બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

  બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

          ટોટલ 48 કલાકના ટાઈમગેપમાં જ સેલિબ્રિટિના પ્રિય એવા માલદીવને એના જ ટાપુના પાણીએ વાસ્તવિકમાં એના જ પદાધિકારીઓને પાણી મપાવી દીધું. સોશિયલ મીડિયા પર કોઈની જ મંજૂરી વગર યુવાધને માલદીવ પર બોયકોટ નામની મિસાઈલથી સર્જિકલ સ્ટ્રાઈક (ઈરાદાપૂર્વક કરેલો હુમલો) કરી દીધી. એવામાં માલદીવની ઓથોરિટીએ થપ્પડ ખાઈને ગાલ રાખવા અને ટણી ઊંચી રાખવા કહ્યું હતું કે, ભલે ટિકિટ બુકિંગ પ્રવાસીઓએ રદ્દ કરી દીધા પણ અમારી રેવન્યૂને કોઈ અસર થઈ રહી નથી. પણ આ તો એવી જગ્યાએ ડામ લાગ્યો છે કે, દેખાડી શકાય એમ નથી અને સહન પણ કરી શકાય એમ નથી. માલદીવના પ્રધાન માલશા શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટર પોસ્ટ મૂકીને પોતાના પગ પર કુહાડો નહીં પણ એમના જ દેશની આવક આડે બુલ્ડોઝર મૂકી દીધું છે. હવે આ માલશા શરીફના રવાજે ચડીને બીજા બે ડાહ્યા (વધુ પડતા) નેતા મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમે ભારતને ભૂંડું કહેવાની પાપડતોડ હિંમત કરી નાંખી. પછી એમને જ એમના જ મંત્રાલયમાંથી ઘરે નેતાગીરી કરવાનો વારો આવ્યો. 

માલદીવ

        આટલો મામલો અખબારોની હેડલાઈન બન્યાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું બોયકોટ માલદીવ. એમાં પણ પહેલા હેશટેગ લગાવીને આ શબ્દ અંગ્રેજીમાં વગર કોઈ સ્પેલિંગ ભૂલ સાથે લખવાની ચીલો શરૂ થયો. હલકી માનસિકતા સામે બોલિવૂડના સેલિબ્રિટિથી લઈને સામાન્ય નાગરિકે પણ આક્રોશનો અગ્નિ શબ્દ થકી સોશિયલ મીડિયા પર ફૂંકી મરાયો. પરિણામ એ આવ્યું કે, માલદીવના શાસકોની ફાટી રહી. કરોડોનું રોકાણ કરીને બનાવેલા વોટર રૂમ ખાલી પડ્યા રહ્યા અને રાજકીય લોબીમાં રેવન્યૂનો મુદ્દો એવો ખખડ્યો કે, 24 કલાકમાં જ એના વડા ભારત આવવા ઘાંઘા થયા. સુંદરીઓનું (બોલિવૂડની સેલિબ્રિટીઓનું) સ્વર્ગ મનાતું માલદીવ બ્યુટીફૂલ નિર્જન બની રહ્યું. પ્રવાસ પ્રેમીઓ ઉપડ્યા લક્ષદીપ. હવે લક્ષદીપ તો આપણા ભારતમાં જ હતું. પણ ખિસકોલીને ખાખરાનો ટેસ્ટ થોડી ખબર હોય?? પણ સોશિયલ મીડિયા પર જે બોયકોટ વાયરલ થયું એ તો વાયરસની સ્પીડ કરતા પણ સો ગણું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ બોયકોટનો બોંબ ફૂટ્યો એ પણ માલદીવ પર. 

     એના છાંટા એમના જ પ્રવાસન ઉદ્યોગને લાગ્યા. ખરેખર તો બોયકોટનો બોંબ સમજી-વિચારીને સમયાંતરે ફોડવો જોઈએ. એ પણ નિશ્ચિત આત્માઓ પર. આ એવી આત્માઓ છે જે દેખાતી નથી. આમ પણ આત્મા ક્યાં કોઈને દેખાય છે? દર વર્ષે સંક્રાંત આવે એટલે ચીનની દોરી (હકીકતમાં પ્લાસ્ટિકની દોરી) પર બોયકોટનો સુતળી બોંબ ન ફોડવો જોઈએ? આવી બોયકોટની બારક્ષરીને આગળ વધારીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખોંખારો ખાઈને ગમે ત્યાં થૂંકતા (ગોબરા) લોકોને ન બોલાવીને બોયકોટ ન કરી શકાય? પાન ખાવ એનો વાંધો નથી પણ પાન ખાઈને પિચકારી ગમે ત્યાં મારે એને બોયકોટ કરી દેવાઈ જોઈએ. આવા લોકોનું નેટ 2જીની સ્પીડમાં કરી નાંખવું જોઈએ. ટ્રાફિક પોઈન્ટ પર લેફ્ટ સાઈડ (ડાબી બાજુ) જામ કરતા લોકોના લાઇસન્સ બાઈકોટ કરી શકાય.

       દર વર્ષે હિમાલય જેટલો તોતિંગ ફી વધારો કરતી સ્કૂલને બાઇકોટ કરવા વાર્ષિક અભિયાન ચાલું કરવું જોઈએ. હું તો કહું છું વાલીઓ આવી સ્કૂલ જ બાઇકોટ કરે. સરકારી સ્કૂલ ઘણી સારી છે જેમાં ખરા અર્થમાં ભારતીય વિષયોના પાઠ શીખવવામાં આવે છે. 31મી ડિસેમ્બરે પાર્ટીમાં ના કરવાનું કરતા લોકોની આખી પાર્ટી બોયકોટ કરી શકાય. પાર્ટી કરો એની સામે કોઈ વાંધો નથી પણ પાર્ટીમાં જે ન થવાનું થાય છે એની સામે વાંધાની આખી તલવાર છે. ક્રેડિટ કાર્ડના નામે આપણા પૈસા પર કળા કરી જાતા છુપા રુસ્તમને તો કાયમી બાઈકોટ કરો. સાલા પૈસા આપણા અને વાપરી જાય બીજા. એ પાછા 12મી ફેઈલ હોય છે. જાહેરમાં કચરો ભેગો કરીને એમાં દીવાસળી મૂકનારાના નાક પર ચિપટી મારીને બોયકોટ કરવા જોઈએ. જેમ હવા વગર શ્વાસ ન લઈ શકાય એમ આ કચરાના ધૂમાડાંથી કેવી મુશ્કેલી પડે છે એનો અહેસાસ નાક પર ક્લિપ મારીને જ કરાવી શકાય. બોયકોટની બબાલમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખે ભારતીય સેનાને ફૂટબેક કરવા (ખસેડી લેવા) કહ્યું છે. આ સમયે ગતવર્ષની ચૂંટણીમાં વાયદા કરેલા નેતાઓની યાદી બનાવીને એને 'સારી જગ્યા' એ ખસેડવા પગલાં લઈ શકાય. 

     જે વર્ષે મગફળીનું ઉત્પાદન મબલખ થયુ હોવા છતાં તેલના ભાવમાં એક પૈસો ન ઘટાડનારાને કાચું તેલ પાઈને બોયકોટ ન કરાય? ખેડૂતને કમાવા દેતા નથી અને આપણા (મધ્યવર્ગના) ખિસ્સા પર રાજ કરે છે એવા તેલીયા રાજા. મહાનગરમાં મોડી રાત્રે દોઢું ભાળું લેતા રીક્ષા ચાલકોની ગેસની ટાંકી એક મહિના સુધી કાઢી લઈ બોયકોટ કરાય. કારણ કે, આ દોઢુભાડું લેવાની સમયમર્યાદા દરેક રીક્ષા ચાલકે જુદી જુદી હોય છે. પોતાની ડ્યૂટી પૂરી કરીને પાયલટ (રાજસ્થાનના નેતા નહીં હો..) ફ્લાઈટને ફ્લાઈટ મોડ પર મૂકીને પ્રવાસી ગયા તેલ પીવા એવું કહીને બેસી રહેતા પાયલટનું લાયસન્સ બોયકોટ કરવું જોઈએ. પત્રકાર હોવાનું કહીને પૈસા ખંખેરતા કીડીકદના પત્રકારોની કલમ કાયમી આઈપીસી લાગુ પડતી કલમ હેઠળ મૂકીને બોયકોટ કરવી જોઈએ.

Wednesday, January 03, 2024

મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

 મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

     આમ તો આખું વર્ષ કેલેન્ડરમાં તારીખ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, એક તારીખ આખું કેલેન્ડર બદલી નાંખે છે. આ હકીકત બધાની વચ્ચેથી દર વર્ષે પસાર થાય છે. ઉત્સવપ્રેમી અને હરખઘેલી પ્રજા વર્ષમાં બે-બે વખત ન્યૂયર ઉજવે છે. એકમાં ટ્રેડિશન ફોલો કરીને અને બીજામાં બીજાનું ફોલોઈંગ અપનાવીને. પાર્ટી થાય એમાં કોઈને વાંધો ન હોય પણ પાર્ટીમાં જે થાય એની સામે ઘણાને વાંધો હોય છે. એ પછી પાર્ટી 31ની હોય કે રાજકારણની. નવા વર્ષનો રાજીપો રાઈજીરૂ વેચનારા કરિયાણાવાળાથી લઈને કિડ્સ સુધીના તમામ લોકોને હોય છે. જોકે, કોઈ પણ વર્ષની શરૂઆત દિવસથી થાય છે અને દિવસની શરૂઆત સવારથી થાય છે. હવે ખુદને એક સવાલ આપણે પોતે જ કરીએ કે, શું દિવસની શરૂઆત સવારથી થાય છે ખરા? એક હરતુ ફોરતું વોટ્સેપિયું વન-લાઈનર મારા મોબાઈલમાં પણ ખાબક્યું કે, એલાર્મ નથી ઊઠાડતા એટલી જવાદારીઓ સવારે ઊઠાડે છે. વાત પણ સાચી છે. સવારે ઊઠીને પહેલા કરાતા કામમાં પણ મોબાઈલનો સંગાથ અનિવાર્ય થતો જાય છે.

      ઘણાને મોબાઈલ ભેગો હોય તો જ ઊતરે.....ખી..ખી...ખી...અમુક પંચાતો એવી હોય કે, સવારે ઊઠીને ઓફિસના કર્મીને સોંપાતું કામ એના મોબાઈલમાંથી નીકળતું હોય. જેમ કે, આજે સાહેબશ્રી આવવાના છે એટલે મનીયા ડ્રાઈવરને કોલ કરી દેવો. આજે ત્રણના ઈન્ટરવ્યૂ છે એટલે ફોન કરજે. એક થોડી સ્પેશ્યલ વર્ગની વાત કરીએ તો ગુડ મોર્નિંગના મેસેજ પહેલા એવો મેસેજ હોય કે ઘરેથી નીકળતા પહેલા કોલ કરજે, ઘણાને એવો મેસેજ હોય કે હું ટિફિન નથી લાવવાની તું તારી રીતે જમી લેજે. મારી ગાડીમાં પેટ્રોલ થઈ રીયુ છે એટલે મને પિકઅપ કરજે. હવે આ જે પિકઅપ કરવાની ફોર્મ્યુલા છે એમાં સામેવાળી વ્યક્તિ 99 ટકા બેથી પાંચ મિનિટ લેટ જ હોય. આ સર્વેમાં થયેલું પ્રુફ છે. ઘણાના મોબાઈલમાં ગ્રૂપમાં આવેલા દર્શનથી સવાર પડે. એ પછી કોઈ પણ પ્રભુ કે ધર્મના કેમના હોય. મોર્નિંગ હવે કરાગ્રે વસ્તે લક્ષ્મીથી નહીં પણ અમી ભરેલી નજરૂ મોબાઈલમાં નાંખોથી થઈ રહી છે. આ દરેકના ઘરમાં થતું હશે. પણ ફોર્મેટ અલગ હશે.

      એલાર્મ બંધ કરી સૂઈ જવાની બેસ્ટ ઋતુ એટલે શિયાળો. એમાં પણ મોબાઈલ અડધી રાત્રે વાગે એટલે ધ્રાંસકો પડે એવા જ વાવડ હોય. નવા વર્ષમાં આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે, કોઈના ઘરમાં આવો ફોન ક્યારેય ન વાગે. ઘણા બીજાને સવાર સવારમાં થોટ્સ, મોટિવેશન, ઈસ્પીરેશન અને સુવાક્યોની એવી ડિજિટલ સુનામી મોકલી દે કે, ચોથા દિવસે સંસારમાંથી નિવૃતિ જાહેર કરીને દિક્ષા લઈ લઈએ એવું મન થાય. પાછું જે મોકલનાર છે એ મોબાઈલને ઘડીભર રેઢો ન મૂકે, જાણે મોબાઈલ રેઢો મૂકતા પેલો લાલ કપડું જોઈને આખલો ભૂરાટો થાવાનો હોય. હવે આ રમત કઈ એ તો મારો રામ જાણે કે, આમા વિજેતા પેલો બચી ગયો એને માનવો કે આખલો મુર્ખ બન્યો એને?? 

         આમ તો મોબાઈલમાં ઈન્ટરનેટ આવતા દરિયો હાથમાં છલકાતો હોય એવું છે પણ આ મધની પીપર આલ્પેનલીબે જેવું છે. જી લલચાયે રહા ન જાય....વોટ્સએપ પણ ઘણું સ્માર્ટ છે. પરમેનેન્ટ ડિલિટનો ઓપ્શન ત્યારે જ આપ્યો જ્યારે કેટલાક લોકો મેેસેજ મોકલવામાં પીએચડી થઈ ગયા (વોટ્સએપ વિષવિદ્યાલયની ડિગ્રીથી). હવે આંખ ઊંઘમાં હોય તો પણ મેસેજ કરવામાં ભાગ્યે જ કોઈની ભૂલ થાય છે. અહીંયા પણ શરાબી ફિલ્મના ડાયલોગ જેવું લાગુ પડે છે. તૌફે દેનેવાલી કિ નિયત દેખી જાતી હૈ ઉનકે દામ નહીં. જેવું ઈન્ટરનેટનું ઓપ્શન ઓન થાય એટલે વોટ્સએપ, મેઈલ, ટેલિગ્રામ, સ્નેપચેટ, એસએમએસ (આ તો હવે બેંકવાળા સિવાય અને ઓટીપી વાળા સિવાય કોઈ કરતું નથી)નું તાઉતૈ (તોફાનનું એક નામ) નોટિફિકેશનનો કિનારો તોડી નાખે. એન્ડ્રોઈડ બનાવનારે સૌથી મજબુત જે વસ્તુ બનાવી એ છે નોટિફિકેશન વિન્ડો, મારી બેટી ભલભલાને સમાવી લે છે. 

    હવે થોડી કલ્પનાના ઘોડાને રીવર્સ ગેરમાં નાંખીને સીધા દોડાવીએ. કારણ કે ઓરિજિનલ ઘોડો તો રીવર્સ ન ચાલે. જ્યારે મોબાઈલ ન હતા ત્યારે મોર્નિગ કેવી મસ્ત હતી. પ્રકૃતિના કેન્વાસ પર થતી રંગોળીના રંગો આંખના કોરા કાગળ પર સ્મૃતિ બનીને દિમાંગમાં સચવાતા. મોર્નિંગ વૉક કરનારાઓને એના રૂટનો આખો નક્શો યાદ રહેતો. રોડની નીચે ફીટ કરેલી ચાવીને ખોલનારો ક્યાં ઊભીને સરીયો ફેરવે છે એ આખી પ્રક્રિયા આપણને યાદ હતી. દૂધ ઘરે ઘરે આપનારાઓની એક હાંકલથી આપણી સવાર પડતી આ પણ હકીકત છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ઉનાળામાં ઉઘાડ થતોને આંખ ઉઘડતી. શિયાળામાં વહેલા ઊઠતા પણ ઠંડીને બરોબર માણતા. સ્કૂલ ટાઈમમાં વહેલા તૈયાર થઈને રીક્ષા કે બસની રાહ જોતા. પૂજા (પેલી ડ્રિમગર્લવાળી નહીં હો..)થી લઈને દિવસ આખામાં પતાવવા પડે એવા કામ મોઢે હતા. ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ થઈએ ત્યારે કઈ નવી ટ્રાવેલ્સ સિટીમાં સેટ થઈ છે એ બસના કલર સહિત એ ક્યા ચાર રસ્તેથી પસાર થાય છે એ યાદ હતું. 

          મોર્નિંગનો અજવાશ રોમેરોમે દીપી ઊઠતો. જાણે તાજગીના દરિયામાં સૌ કોઈ તરબોળ થઈને એક્ચ્યુઅલ ક્નેક્ટ થવાના હોય. પણ આ વર્ચ્યુઅલ આવ્યા બાદ દેખાય તો ઘણું છે પણ સ્ક્રિનમાંથી, ફીલિંગ્સની સર્કિટ નાની થતી જાય છે. આંખેથી પડતા ફોટોને સ્નેહીજન જોઈ લેતા. એ વખતે રિંગટોન ન હતી એટલે જ કદાચ શિયાળાની અફલાતુંન સવારની રોશની હતી. વહેલા ઉઠાતું પણ જે ભેગું થવાનું છે એને મનથી ગુડમોર્નિંગ થતું. મફલર, જેકેટ ને વાંદરાટોપીથી ઓળખી જવાતું કે, આ આપણો ભેરૂ. ઓળખીતા પારખીતાના રામ રામથી સવાર પણ એમાં ટાપસી પૂરાવતી.વિચારો સ્પષ્ટ અને ડગલા મજબુત હતા. વિશ્વાસ સિંહ જેવો હતો પછી ભલે પગમાં ફાટેલા બૂટ હતા. બસ કે રીક્ષામાંથી થતી શહેર કે ગામની પરિક્રમાથી એ ખ્યાલ આવતો કે ઝાકળ ક્યાં ક્યાં વધું છે. કદાચ આપણે સવારને એકલી કરી દીધી એટલે જ એને આપણી સવાર મેલી કરી દીધી.

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...