Saturday, August 16, 2025

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

 જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

    હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ્રી કૃષ્ણ તમે જેટલા પૂજય છો એટલે જ પોતીકા છો. કદાચ તમે એક માત્ર એવા દેવ હશો જેને આ સંસાર તું કારો આપીને બોલાવે છે. 'કાના તને' એવું કહે છે. આમ તો તું જગત મંદિરમાં બિરાજે છે અને સૌનો પાલક છે એટલે અમારા બધાય કરતા ખૂબ મોટો છે. પણ તું વ્હાલો છે, બાળ ગોપાલ પણ છે અને તારુ આ રૂપ સૌને પ્રિય છે એટલે જ તને તું કારો આપતા હશે. આધ્યાત્મની માર્કેટમાં તું પાયોનિયર છે. પણ કળિયુગની હકીકત એ પણ છે કે કેટલાક લોકો એ તારા નામની માર્કેટ બનાવી નાખી છે. જેમાં હૃદયના ભાવ કરતાં સમૃદ્ધિના ભાવને વધારે જોવામાં આવે છે. 



   આમ તો દરરોજ તારી પાસે ગામ આખાની ફરિયાદ આવતી હશે. લોકો પોતાના દુઃખ દર્દ ઠાલવતા હશે. માગણીની ચીઠ્ઠી આવ્યા કરતી હશે એટલે હવે એ એક ગ્રંથ જેવડી બની ગઈ હશે. પણ મને વિશ્વાસ છે તે સૌને એની ક્ષમતાથી વધારે નહીં આપ્યું હોય અને આપ્યું હશે તો એનો ખાલીપો કોઈ એક બાબત પર ખૂબ મોટો હશે. કારણ કે તું બધાને બધું નથી આપતો. કારણ કે બધા સુદામા નથી. દર ઓગસ્ટ મહિનામાં તારી અને સુદામાની ફ્રેન્ડશિપનું જૂનુંને જાણીતું પોસ્ટર સ્ટેટસમાં મૂકીને દોસ્તોને વિશ કરવામાં આવે છે. નેતા, અભિનેતા સૌ કોઈ દોસ્તીનો તહેવાર માનવે છે. પણ તે ખરેખર દોસ્તી મનાવી છે. દોસ્તીને જીવી છે. સુદામા એ કોઈ જ વાત કરી નથી છતાં તું બધું જ સમજી ગયો. ડિજિટલ યુગમાં જે સમજે છે એને આખું ગામ સમજાવે છે અને નથી સમજતા એની સાથે બધા 'એડજસ્ટ' થઈ જાય છે.

    ઓધવજી, સુદામા અને અર્જુન. આમ તો આ ત્રણેય તારા ઓફિશિયલ મિત્રો છે. પણ દાયકાઓ પછી તારા મિત્ર બનવા ઘણાય થનગને છે. કારણ કે તે જે સુદામાને આપ્યું એ એમને પણ ક્યાંક ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું તો જોઈએ જ છે. અર્જુનને સખા કરતા શિષ્ય વધુ માની શકાય. એમને તે તારા મુખે અને અવાજે ગીતા સંભળાવી. તું એનો સારથી બન્યો. દ્વવાપર યુગ પછી ઘણા એવા છે જે ઇચ્છે છે કે તું એમનો જીવનરથ હાંકીને સારથી બને. પણ સ્વાર્થી હોય ત્યાં તું થોડી સારથી બને? તારી પાસે તો પહેલા મનથી ખાલી અને માયાથી મુક્ત થવું પડે. તો તારી કહેલી ગીતા સમજાય અને સંભળાય. હે કરનીશ (કૃષ્ણનું એક નામ) તને માનનારા ઘણા છે, ગણ્યા ગણાય નહીં એટલા, પણ તારું કહેલું માનનારા? બધાય કૃષ્ણને માને પણ કૃષ્ણનું કહેલું કોણ માને છે?. આ સવાલ હું રોજ મારી જાતને પૂછું છું. જવાબ પણ તું જ આપે છે એ પણ સરનામા સાથે. આ સવાલનો જવાબ ગીતા છે. એમાં પણ તારી વાત છે પણ એમાં તારી ક્યાંક સહી નથી. 

    ગીતાના જ્ઞાન બાદ તે અર્જુનને પણ કહ્યું કે, તારી ઈચ્છા પડે એમ કર. હું પથદર્શક છું, રક્ષક છું પણ રડવું છે કે લડવું એ નિર્ણય તારો. આમ તો તારા જેટલું જ્ઞાન મારું નથી. કદાચ કોઈનું પણ નહીં હોય. જ્યારે તારું જીવન જોવ છું ત્યારે એમાં કેટલાય દુઃખથી આંખો ભીની થઈ જાય છે. તમે તમારી નજર સામે એક આખી પેઢીનો સૂર્યાસ્ત થતા જોયો. મથુરાનું સામ્રાજ્ય શરૂ કરવાના બદલે સાંદિપની આશ્રમની રાહ પકડી. બાકી અમારે ત્યાં તો જીતેલી વસ્તુને છોડે એવા કોઈ છે નહીં. પણ હું એટલું તારા જીવન માંથી શિખ્યો કે, જે પોતાનું કર્મ છોડે એ પડે અને કે કરેલા સત્કર્મનું ફળ છોડે એ ચડે. પ્રગતિ કરે. તમે મથુરાધિપતી બની શકતા હતા પણ તમે દ્વારકા નરેશ બન્યા. ખુદની નગરી બનાવી દીધી. તમારી સાથેના દરેક પાત્રોને તમે જજ કર્યા પણ કોઈ દિવસ તમારું જજમેન્ટ ન આપ્યું. જ્યારે તારું જજમેન્ટ સમજાયું ત્યારે સમય વીતી ચૂક્યો હોય. 

   કૃષ્ણ તને પોંખનારા અને સાચા દિલથી વધાવનારાને ભલે તે કોઈ પ્રસિદ્ધિ ન આપી હોય પણ એટલું તો આપ્યું જ હશે કે એને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન પડે. કોણ કેવા પ્રેમથી અને એ પ્રેમના પેકેટમાં પેટના પાપથી કોણ પૂજે છે એ તો તને ખબર છે. હે, રૂક્ષ્મણીપતિ રિલ્સની દુનિયામાં રહીને રેવન્યુની ચિંતા કરનારા ઘણા છે પણ મોબાઈલના વિશ્વમાં એટલું તો સમજાયું છે કે, ફેમસ થવું સરળ છે પણ સારી ઈમેજ બનાવતા વર્ષો વીતે છે.

    અને છેલ્લે તારા વિશે બોલું કે લખું એ ઓછું જ પડશે પણ વાસ્તવિકતા એ પણ છે કે આ મૌનને તું સમજે છે. આ મૌન પણ મોરપીંછ જેવું મુલાયમ હોય. હું તને સમજવા ખૂબ નાનો છું પણ એટલું જાણી લીધું છે કે, જ્યારે તને દુઃખ થયું ત્યારે તે કોઈને પણ ફરિયાદ નથી કરી. ગાંધારીના શ્રાપ સામે તારું મૌન એ ઘણું ઊંડું છે. આ પરથી મને એટલું તો આવડી ગયું કે આપણે આપણી કંપ્લેઈનને કંટ્રોલ કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ખુશ રહેવાનું અને બીજાને પણ રાખવાના કારણ કે ખુશ હોઈએ ત્યારે ખરાબ વિચાર નથી આવતા. આજે દરેકને એવું છે કે બધાય એને ઓળખે પણ સાથે એવું પણ છે કોઈ એને ઓળખી ન જાય. બસ કાના આજે તારા જન્મદિવસ પર કોઈ જ માગણી નહીં પણ શબ્દો રૂપી લાગી લઈને આવ્યો છું. જવાબદારી તારી બહુ મોટી છે પણ મારી જરૂર હોય ત્યાં તારો ઈશારો મને માત્ર સમજાવજે. કામ તારું થશે પણ નામ મારું થશે આ ભરોસો છે તારા પર. લવ યુ કાના...

Tuesday, June 17, 2025

ક્રેશ, ક્રેક અને કાટમાળ

 ક્રેશ, ક્રેક અને કાટમાળ

જુન મહિનાને અકસ્માતોનો મહિનો જાહેર કરી દેવામાં આવે તો કંઈ ખોટું નથી. કેદારનાથમાં પૂર હોનારત થઈ એ સમયની આફતે પણ અનેક લોકોના જીવ લીધા હતા. એ સમયે પણ જુન મહિનો હતો. આપણે ત્યાં જુન મહિનામાં જ ચોમાસું સીઝન શરૂ થાય છે. કોરોના કાળ વખતે જુન મહિનામાં જ સૌથી વધારે કેસ આવતા હતા. કોરોનાનો પ્રાઈમટાઈમ જુન મહિનો કહેવાય એ કહો તો પણ હકીકત છે. 12 મી જુન 2025. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાનો કાળો દિવસ. અણધાર્યા અકસ્માતના પડઘા આવનારા દાયકાઓ સુધી ભૂલાશે નહીં. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેસીને લંડન જનારા વગર વિઝાએ યમલોક પહોંચ્યા. ફ્લાઈટ બુક કરાવનારને પણ ક્યાં ખબર હશે કે આ જીવનની અંતિમ સફર હશે? બી.જે. મેડિકલની મેસમાં બપોરનું ભોજન લેનારાને પણ ક્યાં ખબર હતી કે જે અનાજનું બટકું એ ભરે છે તેઓ પોતે જ કાળનો કોળીયો બની જશે. બપોરના સમયે જાણે આકાશમાંથી ઉડતું મોત આવ્યું હોય એમ પ્લેનક્રેશ થયું અને અનેક લોકોના ઘરમાં ભરબપોરે અંધારુ કાયમી ધોરણે છવાઈ ગયું. 

કોઈએ પોતાના માતા-પિતા ગુમાવ્યા તો કોઈએ પોતાનો ભાઈ, પરિવારમાંથી બાળકોનો કિલ્લોલ કાયમી ધોરણે વિમાન ક્રેશની આગમાં હોમાઈ ગયો. એક વ્યક્તિને બાદ કરતા વિમાનમાં બેઠેલા તમામ ટિકિટ સાથે અંતિમસફરની વાટે અકાળે ચાલ્યા ગયા. જેનાથી અનેક એવા પરિવારમાં એટલી મોટી ક્રેક (તિરાડ) પડી જે હવે ક્યારેય ભરી નહીં શકાય. એમાં હવે લાગણીની સિમેન્ટ કે યાદોના આંસુ પડશે તો પણ એ ક્ષણમાં સંવેદના હશે પણ સ્વજન નહીં હોય.ટ્રાંસપોર્ટના ત્રણેય ફોર્મેટ રોડ, રેલવે અને હવાઈમાં સૌથી વધારે સુરક્ષિત એર ટ્રાવેલિંગ માનવામાં આવે છે. ફ્લાઈટમાં બેસતા પહેલા જેટલું ચેકિંગ પ્રવાસીઓનું કરવામાં આવે છે કદાચ એટલું એ ફ્લાઈટનું માત્ર કાગળ પર થતું હશે. બોઈંગ કેટેગરીનું વિમાન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. જેની પાછળ એક શબ્દનું કારણ જવાબદાર છે. એ શબ્દ એટલે અકસ્માત. ક્રુ મેમ્બર્સના ધારાધોરણો અને એ બનવા માટેની ફીનો આંકડો તપાસજો. ફ્લાઈટમાં એનાઉસમેન્ટ કરતી વખતે કદાચ કેટલી ઊંચાઈએથી કુદીએ તો જીવ બચી જાય એ કોઈ બોલતું નથી. કદાચ એવું ક્રુ મેમ્બર્સને તાલીમ દરમિયાન કોર્ષ પેપરમાં નહીં હોય. અન્યથા સ્વર્ગસૌદર્ય સમાન આ ટીમ બોલે નહીં? 

આપણા દેશની આ વર્ષની કદાચ આ સૌથી મોટી હવાઈ દુર્ઘટના હોઈ શકે. ભૂલ કોની હતી, શું હતી અને કેમ થયું એ તો તપાસના તબક્કા બાદ બહાર આવશે. જેને સ્વજનો ગુમાવ્યા એમની પાસે અત્યારે શબ્દો નથી. દોષ નસીબને આપવો કે નવી નવી વિકસતી ટેકનોલોજીને. એમના માટે આ એક એવી ક્રેક છે જે જેમાં લાગણીની સિમેન્ટ કે આંસુના ટીપાં પડે તો પણ સ્વજનોને સ્પર્શે નહીં. ભોજન કરતા ભાવિ તબીબોને સારવાર કરવાનો મોકો જ નહીં મળે એવું તો એના અભ્યાસક્રમમાં પણ નહીં હોય. ઘણીવાર આફત કરતા એના પછીના અણધાર્યા પરિણામ સ્તબ્ધ કરી દે છે. 46 કે 47 ડિગ્રીનું તાપમાન માંડ માંડ સહન કરનારા 1000 ડિગ્રીએ ભૂંજાઈ ગયા. મસાણની અગ્નિ પહેલાની આગે અંતિમવિધિ માટે દેહ પણ ન આપ્યો. કરૂણતાની હદપારની ઘટનામાં તબીબ બનીને બહાર આવશે એ આશાએ બેઠેલા વાલીઓને પોતાના તનનો હિસ્સો ઓળખ માટે આપવો પડશે એ દિવસ તો સંતાનના શબને કાંધ આપવા બરોબર લાગ્યો હશે. છઠ્ઠા દિવસે વિમાન અને ઈમારતના કાટમાળમાંથી જે વસ્તુઓ મળી એનું મુલ્ય માનવજીવન સામે શું હોઈ શકે? વિચારજો. 

સંપત્તિવાન થવા માટે જિંદગીમાં દોડધામ બધાની હોય છે પણ સંપત્તિ સામે આવે પણ વ્યક્તિ ન આવે ત્યારે એ બધુ જ વ્યર્થ લાગે છે. કમાયેલું પડ્યું રહ્યું અને કમાનાર કૈલાશે જતા રહ્યા. કરંસી મળી આવી પણ કોની છે એ જાણીને પણ શું ફાયદો? જિંદગીનો કોઈ ભરોસો નથી અને નશ્વરદેહમાંથી પ્રાણ ક્યારે, કેવી રીતે ઉડે એનું નક્કી નથી. પણ જે નક્કી છે, શક્ય છે અને યોગ્ય છે એ તો કરીએ. દરરોજ નાનકડુ પણ સારૂ કામ કરીએ. એ પણ ન થાય તો દરરોજ આપણા કારણે બીજાના મોઢા પર નાનકડી સ્માઈલ આવે એવું તો કરીએ. કદાચ એની લાગણી, ખુશી, દુઆ કે બ્લેસિંગ કપરાં સમયે કામ આવી જાય. એ ક્રેડિટ જીવ બચાવી જાય. ખાલીપો ભરી નહીં શકાય પણ બોધપાઠ તો લઈ શકાય. શું લેવો, કેવો લેવો અને ક્યો લેવો એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ એડલ્ટ છે, મેચ્યોર છે બસ જોઈએ કે, સમજદાર કેટલો છે. 

Thursday, April 17, 2025

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું
     
     ઉનાળાની ગરમીમાં વધારે પડતી તરસ લાગે અને ઠંડા પીણા અને પાણી આપણે સૌ પી એ નહીં પણ ઢીંચી લઈએ. પાણી માત્ર તરસને તૃપ્ત કરવાનું જ સાધન નથી. યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી શરીરને મળે એ જરૂરી હોય છે. તમામ ડૉક્ટર્સ એવું કહે છે કે, પાણી વધારે પીવું જોઈએ પણ હદથી વધારે તો કેરીનો રસ પીવો તો પણ ઉપાધી થઈ જાય. પીવાનું શુદ્ધ જળ દરેકને મળી રહે એ માટે સરકારથી લઈને સંસ્થાઓ સુધી દરેક મોટાએકમ પ્રયાસો કરે છે. વાત પાણીની આવે ત્યારે ચર્ચા શુદ્ધતાની થયા વગર રહે નહીં. વરસાદી પાણીને સ્ટોર કરીને એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોન્સેપ્ટ આપણે સૌએ કેરળના ઘર-પરિવાર પાસેથી શીખવા જેવો છે. કેચ ધ રેઈનનું સરકારી સુત્ર સાર્થક થાય તો વરસાદી દરેક ટીપૂ બચી જાય. વાત સાચી પણ વરસાદી ટીપાની શુદ્ધતાની કોઈ ગેરેન્ટી વોરંટી લેતું નથી. આ પણ હકીકત છે. પાણીમાં ટીડીએસ કેટલો એ પણ જાણવું જરૂરી છે. એ પહેલા ટીડીએસ એટલે શું એ સમજીએ. ટીડીએસ એટલે ટોટલ ડીસોલ્વડ સોલિડ. પાણીમાં મેલ્ટ થયેલા કુલ પદાર્થ જેમ કે, ખનિજ, ધાતુ, ખારાશ જે પાણીની ગુણવત્તાનો સંકેત આપે છે. આ ટીડીએસ 0થી 50 હોય તો એ પાણી અતિશુદ્ધ ગણાય. જેમાં જરૂરી મિનરલ્સ ઓછા હોય છે. ટૂંકમાં આરોનું પાણી. 


      50થી 150 ટીડીએસ હોય એને સૌથી બેસ્ટ પાણી કહેવામાં આવે છે. પીવા માટેનું આ પાણી દરેકને મળવું જોઈએ. 150થી 300 ટીડીએસ હોય એ પાણી સારૂ ગણાય પણ પીવાલાયક ન ગણાય. 300થી 500નો ટીડીએસ હોય એ પાણી સારૂ હોય પણ સ્વાદ જીભને પોસાય એમ નથી. હવે 500થી ઉપર જાવ એટલે ગટરનું પાણી સમજી લો. હવે દરિયામાં પણ પાણી છે અને નદીમાં પણ પાણી છે. નદીનો એરિયા દરિયા કરતા નાનો છે. પણ દરિયાનું પાણી સીધું મોઢે મંડાતું નથી. શરીરમાં 60 ટકા પાણી હોય છે. પ્રકૃતિ પાસે પણ પાણી ખૂબ જ છે. ઘણાને કોનું અને ક્યાંનું પાણી હોય એ જ ખબર નથી પડતી જે સમયાંતરે ઊભરાતા હોય છે. પછી ખાખીધારીઓ એનું પાણી ઊતારી દે. ઘણા ક્ષમતા કરતા વધારે ફાંકા ફૌજદારી કરે ત્યારે એનું પાણી મપાઈ જાય. હવે પીવાના પાણીની માત્રા મર્યાદિત છે. પણ હવે કોઈ એવું કહે કે હવામાંથી પાણી બની શકે તો? હા, આ અશક્ય લાગતી વાત ચેન્નઈમાં શક્ય બની છે. આઈઆઈટી મદ્રાસની ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાંથી એક ટીમે હવામાંથી પાણી બને એવું મશીન તૈયાર કર્યું. જેમાંથી નીકળતું પાણી સીધુ જ પી શકાય છે.

    આ ટેકનોલોજીને કહેવાય છે એટમોસ્ફેરિક વોટર જનરેટર. જે રીતે વૃક્ષના પાન હવામાંથી ભેજ અને પાણી શોષે છે એ જ મેથળ પર મશીન તૈયાર કર્યું. એક સપાટી પર હવામાંથી ભેજ ભેગો કરી એક ટાંકીમાં ભેગો કરી એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. પછી એમાં જરૂરી મિનરલ્સ યોગ્ય માત્રામાં ઉમેરીને આ પાણીને ગળે ઊતારવા લાગક બનાવવામાં આવે છે. આ મશીનથી દૈનિક ધોરણે 400 લિટર પાણી જનરેટ થાય છે. આ મશીન ચેન્નઈની કેટલીય જગ્યાઓ પર લગાવવામાં આવી છે. આપણે ત્યાં પાણીના પરબ બંધાય છે. પણ સાફ થાય છે એવો દાખલો જૂજ હોય છે એના બદલે આવી મશીન સેટ કરવામાં આવે તો ફાયદો થાય. હા. આ મશીનને પણ પાંજરે પેક કરીને રાખવી પડે. કારણ કે આપણે ત્યાં જાહેર પરબમાં લોકો ગ્લાસ પણ મૂકતા નથી. ચેન્નઈની ઘણી સ્કૂલમાં આ મશીન લાગેલી છે. આ હવાઈ પાણીનો ટેસ્ટ હવે ચેન્નઈ જાવ ત્યારે કરજો. મશીનની ખાસ વાત એ છે કે, મશીન એસીના આઉટડોર જેવું કામ કરે છે જેની પાઈપિંગ અંદર હોય છે. 

     30 લીટરનું મશીન એક પરિવારમાં જોઈએ. એટલે આ હિસાબથી ફરીથી આ મશીન તૈયાર કરવા માટે ટીમ લાગી ગઈ. આનાથી થયું એવું કે દરેક પરિવાર પાસે પીવાના પાણીનો પર્સનલ સોર્સ ઊભો થયો. એટલે ન કોર્પોરેશનના પાણીનો ઝંઝટ ન પાણીની બોટલનો ખર્ચો. ઘરે જ પાણીનું સર્જન અને પછી મોઢામાં વિસર્જન. 10 વર્ષ સુધી આ મશીન કામ કરે છે. એટલે વર્ષે સર્વિસ અને મેઈન્ટેનન્સનો માત્ર 3000 રૂપિયાનો ખર્ચો. હવે આ ટીમ દૈનિક ધોરણે 2000 લિટર પાણી આપે એવી મશીન તૈયાર કરી રહી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ સમગ્ર મશીન સોલાર પેનલ પર ચાલે છે. એટલે કે, નો ઈલેક્ટ્રિસિટી. એક દિવસમાં 8000 ગ્લાસ પાણી તો ઓછામાં ઓછું મળે એ. હવે એ પણ જાણી લો કે પાણી ક્યારે પીવું જોઈએ. સવારે ઊઠીને (ગરમ પાણી પીવો તો સૌથી બેસ્ટ), જમવાના અડધો કલાક પહેલા, જમવાનું ચાલું હોય ત્યારે વચ્ચે પી શકો, જમ્યા પછીની 45 મિનિટ બાદ, કસરત કર્યાના 30 મિનિટ બાદ, રનિંગ કર્યાના 40 મિનિટ બાદ, સૂવા જાવ ત્યારે ઓછામાં ઓછા બે ગ્લાસ. હા, ગરમીની સીઝનમાં ગરમ પાણી ન પીવું જોઈએ. પણ ચીલ પાણી પણ ન પીવું જોઈએ. સૌથી બેસ્ટ માટલાનું પાણી. હા, મશીન તૈયાર કરનારી ટીમ પાછળ ટી પ્રદીપ, રમેશ સોની અને અંકિત નાગરનું ભેજું છે. વાહ મેરે દોસ્ત...ચલો હવે હું પણ પાણી પી લઉં.

Friday, April 11, 2025

બે ટંકનું જમવાનું અને એક ટાઈમ નાસ્તો મળશે ફ્રીમાં, બસ એક જ કામ કરવાનું છે.

   પૈસા મળે અને કાયદેસરના દાયરામાં આવતું હોય એવું વ્હાઈટ કોલર કામ કરવા દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. કોર્પોરેટમાં હોય તો સતત પ્રમોશનના લક્ષ્યાંક સાથે અને વ્યાપારમાં હોય તો દમદાર નફો કમાવવા માટે, આ બે દોડ સિવાય વ્યક્તિ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની બાઉન્ડ્રીમાં અને પરિસ્થિતિમાં બંધાઈ જતા હોય છે. દરેક વ્યક્તિ ઑપ્શન બી વિશે વિચાર એમાંથી પણ રેવન્યૂ જનરેટ થવાનો મુદ્દો પહેલા ક્રમે હોય છે. તો કેટલાંક એવું પણ વિચારે કે, ડબલ પૈસા મળે તો કરવામાં ખોટું શું છે? પેટ માટે થતી પૈસાની રેસમાં જીવન જીવવાનું ભૂલી ગયા હોય એવા આપણી આસપાસ કરોડોની સંખ્યામાં લોકો છે. હવે કોઈ એવું કહે કે, બે ટંકનું જમવાનું અને એક સમયનો નાસ્તો, એસી ચેમ્બર, લેપટોપથી લઈને ઝેરોક્ષ મશીન સુધીની સુવિધા મળશે. આટલું વાંચ્યા પછી કામ કરવાનું વિચારો કે નહીં? ચલો સુવિધાને થોડી અપગ્રેડ કરીએ. સોફા પર બેસવાથી લઈને ટેબલ પર સૂવા સુધીની જગ્યા મળે તો?

લાયબ્રેરીની અંદરનો ફોટો 

   હવે સૂતા સૂતા પણ કામ કરવાના પૈસા મળે તો થોડું તો મન લલચાય. પુરૂષાર્થ કરવાથી પૈસો મળે પણ ડિજિટલ શ્રમથી ક્રિએટિવિટી અને આંખનો ખો થાય એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. 47 ડિગ્રી તાપમાનમાં એસીવાળા માહોલમાં કામ પણ મળે અને પૈસા પણ તો કામ શું છે એના વિશે કોઈ એકવાર તો વિચારે. વાત છે રાજસ્થાનના એ છેવાડાના શહેરની જ્યાં શિયાળે જવાનું સૌને ગમે પણ ઉનાળે કોઈને ન ગમે. રાજસ્થાન રાજ્યનો છેવાડો એટલે ડેઝર્ટ. રણ અને ડેઝર્ટમાં થોડો ફેર છે. થારના રણમાં ભાદરિયા નામનું એક ગામ છે. જેસલમેરથી માત્ર એક કલાકના અંતરે આવેલા આ ગામમાં એક એવી લાયબ્રેરી છે જે જમીનની નીચે આવેલી છે. ખાસવાત એ છે કે, એ ભલે જમીનની નીચે રહી પણ ગરમી બિલકુલ લાગતી નથી. સેન્ટ્રલી એસી તો છે જ પણ શિયાળામાં ઠંડી પણ લાગતી નથી. એવી બેજોડ બાંધણી છે. એ પણ જમીનની નીચે. 

     જમીનથી 16 ફૂટ નીચે આ લાયબ્રેરી એશિયાની સૌથી મોટી અને અંડરગ્રાઉન્ડ લાયબ્રેરી છે. જે ખરેખરમાં તો એક રાજાએ પ્રજાને આપેલી ભેટ છે. આશરે 10 લાખથી વધારે પુસ્તકોનું ક્લેક્શન આ લાયબ્રેરીમાં છે. મૂળ પંજાબના રાજવી હરબંશસિંહ નિર્મલે આ લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. જેને ભદરિયા મહારાજ રાજવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, વિજ્ઞાન, શબ્દકોષ, ઈતિહાસ અને રાજકારણ જેવા વિષયોના અઢળક પુસ્તકો છે. 562 રેકમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પુસ્તકો ખરા અર્થમાં એક ખાણ છે. જ્ઞાનની ખાણ. જુદા જુદા પ્રાંતમાંથી પુસ્તકો એકઠા કરવામાં 22 વર્ષ વીત્યા છે. જગદંબા મંદિર સેવા ટ્રસ્ટ નામની સંસ્થા સમગ્ર લાયબ્રેરીનું મેનેજમેન્ટ સંભાળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જમીનના માલિક ભદરિયા રાજા છે. પુસ્તક પ્રેમીઓ માટે આ લાયબ્રેરી વાંચનનું સ્વર્ગ છે. દેશ-વિદેશના ખૂણે ખૂણે પુસ્તકો લઈ અહીં મૂકવામાં આવ્યા છે. તો કેટલાંક પુસ્તકો ગિફ્ટમાં આવેલા છે. 

   ખરેખર તો વિષયલક્ષી રીસર્સ કરનારાઓ માટે આ ખજાનો છે. જેને ઉલેચવા માટે વ્યક્તિને સારી એવી સગવડ આપવામાં આવે છે. રાજા પોતે પણ વાંચનપ્રેમી હતા. તેમણે પોતાના માટે એક વાંચનકક્ષ બનાવ્યો હતો. જે હજું પણ અહીં એ જ સ્થિતિમાં વ્યવસ્થિ છે. આટલી ભવ્યતા જાણ્યા બાદ આંખે પાણી આવી જાય એવી હકીકત એ છે કે, અહીંયા કોઈ વાંચનારૂ નથી. આટલા પુસ્તકો તો ઠીક લાયબ્રેરી વાપરનાર વર્ગ પણ નથી. જેટલી શાંતિ રણમાં હોય છે એટલી જ શાંતિ આ લાયબ્રેરીમાં છે. જ્યાં પુસ્તકના પાના ફરવાનો પણ અવાજ નથી. ટીવીની શોધ થઈ ત્યારે વાંચન સામગ્રી સામે પ્રશ્નો ઊભા થયા હતા. ઓટીટી પ્લેટફોર્મ આવ્યું તો ટીવી સીરીયલ્સ સામે જોખમ ઊભું થયું. પણ ડિજિટલ ટેકનોલોજીનું સામ્રાજ્ય આવ્યા બાદ વાંચન ઘટ્યું એ વાત તો કડવા ઘૂંટડા સાથે સ્વીકારવી પડે. લાયબ્રેરી સુધી પહોંચવા માટે 32 પગથિયા માત્ર પ્રવાસીઓ ઊતરે છે. એ પણ એવા જેને આ લાયબ્રેરી અંગે ખબર છે. 

    2 લાખ પુસ્તકો તો 1 હજાર વર્ષ જૂના છે અને સારી રીતે સચવાયેલા છે. લાયબ્રેરી શરૂ કરવા પાછળનો રાજાનો હેતું આસપાસના ગ્રામ્યજનોમાં શિક્ષણ લાવવાનો હતો, શિક્ષણ તો આવ્યું પણ મોબાઈલથી અને ડિજિટલથી વાંચનનો વ્યાપ ડિજિટલ સ્ક્રિન વ્યૂઅર્સ સામે ટૂંકો થતો ગયો છે. રાજસ્થાનની મનુ સ્ક્રિપ્ટની ઓરજિનલ બુક અહીંયા પડી છે. પરમિશન સાથે જોવા મળશે. સ્થાનિક સુનિલ ચૌહાણ કહે છે કે, આ લાયબ્રેરી નહીં પુસ્તકોનું મ્યુઝિયમ છે. પોખરણ બ્લાસ્ટ થયો એ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. કલામ સાહેબ અહીં આવેલા. એની યાદી અહીં છે. તે પણ અહીં બુક વાંચી ચૂક્યા છે. એમના અક્ષરમાં લખાયેલી નોટ પણ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે, ત્રણ મહિનામાં ગણીને પાંચ વ્યક્તિ અહીં મુલાકાતે આવ્યા છે. રીસર્ચ કરનારા એકવાર અહીં મુલાકાત લે તો એમના વિષયને લગતું કંઈક તો એમને મળે એવી એક સ્થાનિક તરીકે મારી ગેરેન્ટી છે. ચાલો આટલું તો સૌએ વાંચ્યું. થેંક્યું.

Thursday, March 27, 2025

લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

  લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

  આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે હાથ મિલાવીને કર લો દુનિયા મુઠ્ઠી મેં સ્વપ્ન સાકાર કર્યું. એક સર્વે એવું કહે છે કે, આ મોબાઈલ નંબર ભાગ્યે જ કોઈને યાદ હોય છે. ચાર મોબાઈલ નંબરમાંથી બે માંડ યાદ હોય છે બાકીના નંબરમાં રીચાર્જ કે બિલ ભરવાની પ્રક્રિયા ઓટો પેઈડ મોડ પર હોય છે. સતત અને સખત વ્યસ્ત રહેતા લોકો એક મોબાઈલમાં બે નંબરથી પણ કંટાળી ગયા હોય ત્યાં બીજો વસાવવો આર્થિક રીતે પણ ભારી લાગે અને સ્ક્રિન ટાઈમિંગ પણ વધી જાય. મોબાઈલ સગવડ કરતા સમસ્યા વધારે બન્યો છે એવું ઘણા લોકો માને છે. એમાં પણ જ્યારથી રીલ્સ અને નાના વિડિયોનો જે રાફડો ફાટ્યો છે એમાં કોને શું બતાવવું છે અને શું જોવું છે એની કોઈને ખબર જ નથી પડતી. 

   બધાને ફેમસ થઈ જવું છે પણ હકીકત એ સ્વીકારવી પડે કે, ફોટો હોય કે દુનિયા ઈમેજ બનાવતા અને ક્રેડિટ મેળવતા ઘણીવાર લાગે છે. ખેર, મોબાઈલનો વિષય તો પીએચડી થાય એટલો વિશાળ છે. પણ મોબાઈલના જુદા જુદા મોડલ પાછળ ઊંડો અભ્યાસ અને શોખ ધરાવતો માણસ કેવો હોય ખ્યાલ છે? મહારાષ્ટ્ર રાજ્યના ઐતિહાસિક નગર થાણેમાં એક વ્યક્તિ છે જેની પાસે મોબાઈલનું જે મોડેલ માગો એ મળે. એ પણ ચાલું કંડિશનમાં. આ ભાઈના બેડરૂમનું કોઈ પણ ડ્રોઅર ખોલો એટલે મોબાઈલ સિવાય કંઈ ન જડે. છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનનું ક્લેક્શન કરવા માટે કમરતોડ પ્રયાસ કરતા આ વ્યક્તિ પાસે કોઈ કંપની એવી નહીં હોય જેનો ફોન માર્કેટમાં આવ્યો હોય અને એ મોડેલ આ વ્યક્તિ પાસે ન હોય. ખાસ અને મોટીવાત એ છે કે, માની લો કે નોકિયા કંપનીએ જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકેલા. આ વ્યક્તિ પાસે એ દરેક મોડેલનું સેમ્પલ નહીં ઓરિજિનલ ફોન મોડેલ છે. આખા દેશમાં ફરી ફરીને ક્લેક્શન ભેગું કર્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, ડબલ બેડના બેડ પર જો સેલફોન સેટ કરવામાં આવે તો પગ તો ઠીક હેથળી જેટલી જગ્યા પણ ન જોવા મળે એટલા ફોન છે. 

     ભારત જ નહીં, યુરોપ, યુકે, યુએસએ, દુબઈ, સ્વિત્ઝરલેન્ડ એવા અનેક દેશમાંથી મોબાઈલ પેઈડ ઓર્ડર કરીને મંગાવેલા છે. એવી ખબર પડે કે, શનિવારી-રવિવારી માર્કેટમાં જૂના ફોન વેચાવવા આવ્યા છે તો આ બંદો ત્યાં પણ ઉપડી જાય. વેપારીને મો માગ્યા પૈસા આપે અને ખરીદે પણ ખરા. બેડમાં રહેલા તમામ ડ્રોઅર, તિજોરી, કબાટ, બોક્સ અને ત્રિપાઈના ખાના સહિત હવે બઘુ જ ફોનથી ભરાઈ ગયું છે. જમાનો એવો છે કે, લોકો ફોનમાં ભરાઈ ગયા છે આ નરવીરે ઘર ફોનથી ભરી દીધું છે. હવે આવે છે એની કારનો વારો, ડેશબોર્ડ, ગિયર પાસેની જગ્યા, કારમાં ગ્લાસ સ્ટેન્ડ, વિન્ડોની નીચેની જગ્યા, ડેકી, હવે આવો એના રસોડામાં, થાળી-વાસણ રાખવાનો ઘોડો, કિચન ડ્રોઅર, અભેરાઈ આ તમામ જગ્યાઓ પર જોવા મળશે મોબાઈલ ફોન. હજું તો શરૂઆત છે. આવો બ્રશ કરવાના વોશબેસિન ઉપરના ખાનામાં, ટોયલેટના ઉપરના બોક્સમાં જ્યાં ટોયલેટ ક્લિનર રાખવામાં આવે છે. આ બધી જ જગ્યા પર ફોન જોવા મળશે.વસ્તુ એવી છે કે, એની પાસે નંબર માત્ર એક જ છે. જે મોબાઈલ ફોનથી કંટાળો આવે એ મૂકી દેવાનો અને બીજો મોબાઈલ ચાલું કરી દેવાનો.

    પછી કોન્ટેક્ટ અને બીજો ડેટા? ગજબનો મોબાઈલ લવર કહે છે કે, મારો તમામ ડેટા એકથી ત્રણથી ચાર મેઈલ આઈડી પર સ્ટોર છે. એટલે જે મોબાઈલ બદલે એમાં એ આઈડી લોગઈન કરીને વાપરૂ છું. એટલે ડેટાનો કોઈ ઈસ્યુ નહીં થયો. બાકી મલ્ટિમીડિયા ગૂગલમાં સ્ટોર છે. મારો પહેલો ફોન નોકિયા 3310 હતો. હું કૉલેજમાં હતો એ સમયે બીજા ફ્લોર પરથી મારો ફોન પડ્યો, હું ટેનશનમાં કે ફોન ચાલું હશે કે નહીં, મેં નવી બેટરી નાંખીને જોયું તો આશ્ચર્ય થયું કે, મોબાઈલ ચાલું હતો. અહીંથી શરૂ થયો મોબાઈલ ડિવાઈસ પ્રત્યેનો અનોખો પ્રેમ. હું ક્લેક્શન કરતા શીખ્યો ત્યારથીએ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, મોબાઈલની કંડિશન સારી હોય અને મોબાઈલ ચાલું સ્થિતિમાં હોવો જોઈએ. અર્થાત હું સિમકાર્ડ નાખું અને ફોન થવો જોઈએ. ગેમ પણ રમી શકું એવું હોવું જોઈએ. મારી પાસે આજે 3500 થી વધુ ફોન છે. જે માટે અત્યાર સુધીમાં આશરે 20 લાખ જેટલા રૂપિયા ખર્ચી નાંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમામ ફોનના કેમેરાથી લઈને ગેમ સુધી બધુ જ ચાલું હાલતમાં છે. આ છે મારી મોબાઈલની દુનિયા, લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મે એને જ મારી દુનિયા બનાવી.આ ભાઈનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે. સેલફોન મેન ઓફ ઈન્ડિયા મિસ્ટર જયેશ કાલે.

Friday, January 10, 2025

બાર આનાના છોલે ભટુરેઃ બ્રેકફાસ્ટનું અવુનવું

 બાર આનાના છોલે ભટુરેઃ બ્રેકફાસ્ટનું અવુનવું

    ડિસેમ્બરથી ફેબ્રુઆરીની સીઝન દેશભરમાં હરવા-ફરવા માટેની બેસ્ટ સીઝન માનવામાં આવે છે. સામાન્ય રીતે તો ઓક્ટોબરથી ટ્રાવેલ સીઝન શરૂ થાય છે જે ફેબ્રુઆરી સુધી ચાલે છે. એ પછી એપ્રિલના વેકેશનમાં પ્રવાસની મૌસમ ખીલે છે. વાત જ્યારે હરવા-ફરવાની હોય ત્યારે પેટની ચિંતા કર્યા વગર પેન્ટના કે મોબાઈલના ખિસ્સામાં રહીને (બજેટને ધ્યાને રાખી) મોજ કરવાનું આયોજન થતું હોય છે. દરેક શહેરની એક તાસીર હોય છે. દરેક વ્યક્તિની શરૂઆત સવારથી થાય છે એમાં પણ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં મુંબઈથી લઈને મોહાલી સુધીના તમામ નાના-મોટા એરિયામાં ચા સામાન્ય છે. ચા સાથે આવતી દરેક વસ્તુ બદલાયા કરે પણ ચા ફિક્સ. અમુક લોકો નથી પીતા એ અલગ છે.

      ચા ના નામથી કાર્યક્રમો ગોઠવાય, ચર્ચા થાય અને ચૂંટણીમાં જીતી પણ શકાય. એક ચા થી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ જેવી મોટી રાજકીય પાર્ટીઓએ સત્તાસ્થાન માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અને વિવાદીત અરવિંદ કેજરીવાલ એ વાતનો ફાયદો ઊઠાવે છે કે, કોંગ્રેસ પાસે ચહેરો નથી અને ભાજપ પાસે દિલ્હીવાસીઓને જોડે એવી બેજોડ પોલીસી નથી. જોકે, લીકરકાંડ અને શિક્ષણમાં ભ્રષ્ટાચારથી ગંદી રીતે મેલી થયેલી આમ આદમી પાર્ટીની છબી પર લોભામણી સ્કિમ કેવી અને કેટલી કામ કરશે એ પરિણામના દિવસે ખ્યાલ આવશે. આ વખતે દિલ્હીવાસીઓ ક્યા નેતા પર વેલેન્ટાઈનનું વ્હાલ કરશે એ સ્પષ્ટ થશે. 

   આ વિધાનસભા ચૂંટણીની પ્રચાર યાત્રામાં જે જોવા મળ્યું એ હતા છોલે ભટુરે. મોટા કહેવાતા નેતાઓ પણ દાંત મારી મારીને ખાતા હતા અને કવરેજ માટે પહોંચેલા પત્રકારો પણ છોલેનો ટેસડો કરતા હતા. આમ તો નેતાઓ ખાતા જ હોય છે એ કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. શું ખાય છે એ પણ કહેવાની જરૂર નથી. પણ પ્રચારયાત્રામાં છોલે ભટુરે પણ પિન ચોંટી ગઈ. જેટલું વૈવિધ્ય દેશની સંસ્કૃતિમાં છે એનાથી ક્યાંક વધારે દેશના દરેક શહેરની થાળી-સ્ટ્રીટ ફૂડ અને બ્રેકફાસ્ટમાં છે. દિલ્હી માત્ર દેશની નહીં પણ બ્રેકફાસ્ટનું પણ કેપિટલ સિટી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. દિલ્હીના નાસ્તામાં સવારે છોલે ભટુરે મળે છે. આપણા ગુજરાતીઓ દિલ્હી ફરે ત્યારે છોલે મંગાવે એની પહેલા ચા-પૂરીનો મેળ કરી છે.

   છોલે ભટુરેમાં પૂરી આવે અને ચાનો મેળ થઈ જાય એટલે મોજ આવી જાય. વાત જાણીને નવાઈ લાગશે કે, સવારે 7 વાગ્યે ગરમા-ગરમ નાસ્તો મળી રહે એ માટે ચાંદનીચૌકની દુકાન સવારે 3.30 વાગ્યે ખુલી જાય છે. છોલે ભટુરે ઓરિજિની ક્યા શહેરની ડીશ છે એ અંગે જુદા જુદા મત છે. પાકિસ્તાનના લાહોર સિટીવાળા કહે છે છોલે ભટુરે અમારી ઉપજ છે. હરિયાણાવાસીઓ કહે છે સૌથી પહેલા પૂરી સાથે છોલેચણા અમે શરૂ કર્યા. યુપીના લખનૌ અને સીતાપુરના ફૂડ સ્ટાર્ટઅપ વાળા કહે છે છોલે પૂરી અમારી ડીશ છે. પણ દિલ્હીમાં છોલે ભટુરેના મૂળીયા ઊંડા છે.

    દિલ્હીમાં સ્વાદિષ્ટ આ વ્યજંન બનાવવાનો શ્રેય સીતારામ દિવાનચંદ નામના વ્યક્તિને જાય છે. સીતારામજી પોતાના પુત્ર દિવાન સાથે દિલ્હી આવ્યા હતા. આ બન્ને પિતા-પુત્રએ બનાવેલી પહેલી છોલે ભટુરેની ડીશનો ભાવ હતો માત્ર બાર આના. એટલે કે માત્ર 75 પૈસા. સમય વીતતો ગયો અને દિલ્હીના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છોલે ભટુરેએ સ્થાન અચલ કર્યું. લોકોના દાઢે વળગી આ થાળી. હવે બ્રેકફાસ્ટ કલ્ચર દરેક જગ્યાએ અલગ અલગ છે. પણ અમદાવાદમાં ખાસ કોઈ બ્રેકફાસ્ટ નહી સ્નેક અને ફાસ્ટફૂડ કલ્ચર છે. સૌરાષ્ટ્રના કોઈ પણ ગામે કડક મીઠડી ચાનો સબડકો મારો એટલે ઊંઘ ઊડી જાય. કાઠિયાવાડીમાં કહું તો નીંદર ભાગી જાય. સુરેન્દ્રનગરની હદમાં પ્રવેશો એટલે સવારના 6 વાગ્યામાં ગરમાગરમા ગાંઠિયાની સુગંધ નાકને કાપાલભારતી પ્રાણાયમ કરાવે. જે જીભ સુધી વિસ્તરે.

     ભાવનગર તો ગાંઠિયાનું કેન્દ્ર. આ એકમાત્ર શહેર છે જેના નામ પરથી ગાઠિયા વેચાય છે. યસ ભાવનગરી ગાઠિયા. બાર ગામે બોલી બદલાય પણ અહીંયા તો આખેઆખી થાળી અને રેસિપી બદલાય. સુરેન્દ્રનગર વટો (આગળ જાવ) એટલે ગાંઠિયાનું સ્વરૂપ ફરી જાય. એનો નવો અવતાર ફાફડા અવતરે. જે હોય રેલગાડીના પાટા જેવા જાડા અને એની સાથે સાંજે પીવાતી કઢી સવારના પહોરમાં પીરસાય. ચોંકી ન જતા પપૈયાનું મીઠું ખમણ (જે રીતે બટાટાની ફ્રેન્ચફ્રાઈ હોય એવું) એકમાત્ર જામનગરમાં જ મળે છે. એમ તો સુરત અને અમદાવાદમાં જામનગરના ઘુઘરા મળે છે પણ એમાં પણ કસ્ટમાઈઝડ. ઓરિજિનલની વાત આખી અગલ છે. અમદાવાદનું મસ્કાબન કલ્ચર છેક દાહોદ અને ઈન્દૌર સુધી ફેલાયું છે. જ્યારે રાજકોટમાં ભાખરી-પરાઠામાં અન્નકુટ જેવી વેરાઈટી મળે છે. જ્યારે સુરતમાં ખમણ, ઢોકળા અને લોચો દિવસની શરૂઆત કરાવે છે. ખેર, જીવનના દરેક ક્ષણે ટેસ્ટ માણી લેવો. કારણ કે, પેટ પાપી નથી હોતું વિચાર પાપી હોય છે. હવે પૌઆ, ઈડલી, ઢોસા સ્થાન લઈ રહ્યા છે. થેપલા માત્ર ટ્રાવેલિંગ ફૂડ તરીકે મર્યાદિત થયું છે. હા, રાજસ્થાનના કોઈ પણ સિટીમાં જાવ તો બડી કચૌરી ટ્રાય કરવા જેવી છે.

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...