Thursday, September 06, 2018

જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.


જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.

       ટાઇમટેબલના એન્જિન સાથે દોડતી જિંદગીમાં અનેક એવા જંક્શન આવે છે જ્યાં સગાની પરખ થાય અને વ્હાલાની વ્યાખ્યા મળી જાય. બેસ્ટ વસ્તુ પાછળ ક્યારેક વિવાદીત બની જવાતું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના ભૂતકાળને બિલોરી કાચમાંથી જોયો જ હશે. એટલે વીતી ગયેલો સમય કાયમ મોટો લાગવાનો. પાસ્ટ કાયમ વિચારોની કાસ્ટ બદલતો રહે છે. બાળપણથી લઇને બુઢાપા સુધી દરેક વ્યક્તિ પાસે પોતાના કોમ્પ્રોમાઇઝની આખી સિરીઝ હશે અને એ પછી મળેલા પરિણામને વિરાટ રૂપ આપીને બોલાતું હશે. હું આટલા કિમી સુધી અપ-ડાઉન કરતો, અમે છ મહિના સુધી કોઇ ખરીદી કરી ન હતી, એ દિવસોમાં તો છૂટક તેલ પણ પરવડે એમ ન હતું. આવા કેટલાય નિવેદનો વાક્યરચનાનો વિચાર કર્યા વગર આપણે વગર તોતડાયે કે અચકાયે બોલીએ છીએ. પરંતુ, જ્યારે કોઇ મળ્યું હોય કે કંઇક મેળવ્યું હોય એ સફળતા વિશે બહું ઓછું બળબળ કરી શકાય છે. બોર્ડમાં ફસ્ટ આવેલો વ્યક્તિ પણ કરેલી મહેનત, કોઇને આપેલા શ્રેય અને લક્ષ્ય સિવાય કોઇ વાત કરોત નથી.

       જીવનના દરેક પાસામાં એક વિષય હોય છે અને એ વિષય સતત સાર્વત્રિક રીતે બદલતો હોય છે. ક્યારેક બિલની ચર્ચા તો ક્યારેક બિડાયેલા પરબિડીયાની સાબિતી. તકલીફ એ છે કે દરેકને પોતાનું માઇન્સ તરત યાદ રહી જાય છે અને પ્લસ વિશે બોલવાનું આવે તો વિચારવું પડે છે. પરિણામ આવે ત્યારે પ્રોસેસની મજાને કોઇ વાગોળતું નથી. વોટ્સએપ અને ફેસબુક-ટિ્વટરની દુનિયામાં અનેક સુવિચારો અને સુફિયાણી વાતો આપણી આંખ સાથે અથડાય છે. પણ પ્રેક્ટિકલની વાત આવે ત્યારે કોઇ પણ લજામણીના છોડ બની જાય છે. વાત કરો એટલે બીડાય જાય. કોઇ પણ મહાપુરુષના જીવનની મહેનતના ઉદાહરણ આપીને એના પરિણામની ચર્ચા કરવામાં આવે છે. એમાં એના પ્લસ અને માઇન્સની વાત હોય છે. આજની સોસાયટીમાંથી આવતા લોકો પાસે કાયમ માઇનસની વાત જ હોય છે. ખરેખર તો દરેકને માઇનસની વાત કરીને સ્વાર્થને સિક્યોર કરવાની ટેવ પડી ગઇ છે. કોણે શું ભોગ આપ્યો એનો હિસાબ દરેકને મોટો લાગે છે. પણ ખુલ્લી કિતાબ રાખીને ભાગ્યે જ કોઇ જીવવા માગે છે.

       દરેક સંજોગોમાં આપણામાં કંઇક પ્લસ થતું હોય છે અને કંઇક માઇનસ થતું હોય છે. સંબંધથી લઇને કેરિયરની સફળતા સુધી દરેક મુદ્દાઓમાં કંઇકને કંઇક પ્લસ હોય છે પણ દરેકને મેળવેલાના સ્થાને ખર્ચેલું યાદ રહી જાય છે. એક કપલની વાત છે, એક વખત બંનેએ નક્કી કર્યું કે, આજથી આપણે માઇનસને લેસન માનીને પ્લસનું પોઝિટિવ પરિણામ આપવા માટે પ્રયત્ન કરીશુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલ્યો. પછીથી યુવતી આપમેળે જ ફરિયાદ કરતી બંધ ગઇ. સામે યુવક પણ કોઇ વાતનું વતેસર કરતો બંધ થઇ ગયો. એક વર્ષને અંતે પરિણામ એ આવ્યું કે, મેળવેલી વસ્તુથી લઇને અનુભૂતિની સુધીની  યાદી લાંબી હતી અને ગુમાવેલા ખાનામાં માત્ર સમય હતો. જે સાચી સમજદારી અને સંબંધોનું રિઝલ્ટ આપી ગયો. નેકી કર ઔર દરિયા મે ડાલ, આ માત્ર બોલવા પૂરતું રહી ગયું છે. બાકી આજે તો અભાવ બતાવીને દરિયામાંથી ખારાશને  પણ લોકો ઉલેચી લે છે. પ્લસ કરવાનો બીજો એક અર્થ એ થાય છે કે વ્યક્ત થવું જોઇએ. ગુસ્સો હોય કે અકળામણ, એબસન્સ (ખાલીપો) હોય કે એવીડન્સ, થાક હોય કે ઠોકર, આંસુ હોય કે અકસ્માત એક વખત એ જ તીવ્રતા અને આવેશમાં વ્યક્ત થવાથી હાંફ પછી જે હાશકારો મળે એવી હળવાશ ફીલ થાય છે. સમયની સાથએ રહીને નક્કી કરવાનું છે કે આપણા જ લોકોની વચ્ચે વ્યર્થ થવું કે વ્યક્ત થવું. સામે વ્યક્તિએ પણ આપણા લોકોની વાતને સમજવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી ન માત્ર રાખવી જોઇએ પણ એ સ્પેસ પણ આપવી જોઇએ. કહી દેવાનું પણ માત્ર કહી જ દેવાનું ન હોય સમજવાનું પણ હોય જ.

       આઉટ ઓફ ધ બોક્સ...
       કમિટમેન્ટ એવું આપો કે સામેની વ્યક્તિ દુનિયા સામે દાવો કરીને કહી શકે કે, આવું તો મારો વ્યક્તિ કરી જ ન શકે, તમારી કંઇક ભૂલ થાય છે.


Monday, September 03, 2018

કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ


કૃષ્ણ એટલે પ્રેમી અને પૂર્ણ પુરૂષોત્તમ

       દુનિયાનો એક માત્ર એવો કુદરત જેના વિશે કદાચ સૌથી વધારે લખાયું હશે અને વંચાયું પણ હશે જ. કૃષ્ણ અને રાધાને પ્રેમી-પ્રેમીકા એવું દાવા સાથે કહી શકાય. કૃષ્ણ અને રૂક્ષમણી એવું ક્યારેક જ સાંભળવા મળે પણ રાધે કૃષ્ણ એ તો આજે સવારના ગુડ મોર્નિગનું સ્થાન લઇ લીધું છે. રોજ સવારે જય શ્રીકૃષ્ણનો રણકો આજે પણ કોઇ પણ ગામડાંમાંથી પસાર થાવ તો કાને સાંભળવા મળે. કૃષ્ણ એક એવો ભગવાન જેને દરેક ભક્ત, દરેક વ્યક્તિ અને દુનિયાનો કોઇ પણ ધર્મ સંપ્રદાય પોતાના એક ફોર્મેટમાં જુવે છે. એ દરકે ફોર્મેટમાં કાનુડો પોતાનો લાગે. પ્યારો લાગે અને સાચો પ્રેમી લાગે.


       બાળપણમાં ગૌપ્રેમી, ગોપીપ્રેમી અને પછી રાધાનો રિયલ લવર. યુવાનીમાં ખરો ક્રિએટિવ ગોડ. રાસલીલા કરે, રાધાની રીસમાં અને દરેક રસપ્રદ ક્ષણને મેમોરેબલ બનાવે. સાચા પ્રેમીઓ વચ્ચે ઝઘડો તો સામાન્ય હોય. પણ જ્યારે અભિમાન આકાશ જેટલું વિરાટરૂપ લે ત્યારે સાલુ લાગી આવે. જ્યારે માર્વેલસ માધવે કાયમ માટે મથુરા છોડ્યુ ત્યારે એક વખત પણ પાછું વળીને ગોપી કે રાધાની સામે જોયું નહીં. એટલે જ તો આજે પણ બરસાના અને મથુરામાં કૃષ્ણએ લીલા કરી હોવા હોવા છતા કોઇ જયશ્રી કૃષ્ણ કે જય દ્વારકાધીશ બોલતું નથી. રાધે રાધે બોલે છે. પ્રેમ કેવો હોવો જોઇએ? એ માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે રાધા અને માધા જેવો હોવો જોઇએ. પણ સમાજ કોઇ નિખાલસ પ્રેમને સ્વીકારે છે ખરા? જાતિ, જ્ઞાતિ, ધર્મ અને જડતાના બાવળમાં બાંધીને મેણા-ટોણાંની સોસાયટીઓ ઊભી થઇ ગઇ હોય ત્યાં ફરી વૃંદાવન બનાવવા માટે વૈચારિક પરિવર્તન અનિવાર્ય છે. ધર્મના નામે ભવિષ્યમાં ધર્મને જ સિક્યુરિટી આપવાની અને ટકાવી રાખવાની હોડમાં નિર્દોષ જિંદગીઓ હોમાઇ ગઇ હોય એવા અનેક દાખલા છે.

       દામોદરે ક્યારેય કોઇ ડિમાન્ડ કરી હોય એવું ક્યાંય સાંભળવા નહીં મળ્યું હોય. રાધીકા ગોરી સે, બીરજ કી છોરી સે, મૈયા કરા દે મેરો બ્યાહ. ભજન હંમેશા ભક્તની કલ્પનામાંથી જન્મે. પણ મોરલીવાળો તો માય વર્ડસ માય ફેસ જેવો. હું જ છું મારા શબ્દોમાં. અર્થઘટન અને અમલીકરણ તો તારે કરવાનું છે. પ્રેમી તરીકે આજે અનેક લોકો પોતાની પ્રેયસી સામે ડિમાન્ડ કરે છે. રાધાજીએ કાયમ કૃષ્ણને પ્રોટેક્શન આપ્યું. હિસાબી જમાનામાં કપલ્સ સામસામે અવાજના અધિકારથી કહે. મે આમ કર્યું, જે આ જતું કર્યું. પણ પિળાપિતાંબર વાળાએ પોતાના જીવન દરમિયાન ક્યાંય એમ નથી કહ્યું કે, મારે તો આ જોઇએ જ. જીદ છે ત્યાં જોખમ છે એમ ઇગો છે ત્યાં કોઇ ઇમોશન કાયમ ટકી ન શકે. કૃષ્ણની પ્રેમકથામાંથી એક વાત શીખવા મળે કે પામવું ક્યારે પ્રેમ ન હોય શકે. કોઇ પણ શરીરને એક સ્પર્શ જોઇએ. પણ એમાં લવ હોવો જોઇએ લસ્ટ (વાંસના) નહીં.


       રાધા અને રણછોડની લવસ્ટોરી પણ સંવાદ વગરની પણ પૂરી સેન્ટિમેન્ટલ હતી. ઈશારો થાય એટલે રાધાજી સમજી જાય અને અવાજમાં રજભારનો પણ ફેર પડે તો લાલો સમજી જાય. કદાચ સમજ જ પ્રેમ માટેનું પ્રથમ તત્વ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. શિક્ષણ અને શિસ્તમાં માનનારો એક માત્ર પ્રેમી એટલે કૃષ્ણ. પારકાની અપેક્ષા વગર પરિશ્રમથી પોતાના પરાક્રમ કરનાર પૂર્ણ પુરૂષોત્તમ. જેણે કાયમ સજેશન આપ્યું પણ સોલ્યુશન તમારા હાથમાં મૂકી દીધું. કોઇ માણસ પર્ફેક્ટ નથી અને કમપ્લિટ નથી. પણ કાનુડાને તો તુકારો આપીને અ પર્ફેક્ટ કમપ્લિટમેન કહી શકાય. એ પણ કોઇ જાતના પૂરાવા કે સાબિતી આપ્યા વગર. ગોપાલ એટલે એવો ગોડ જેને મસ્કા લગાવ્યા વગર મોઢે જ કહી શકાય કે વ્હાલા આમા મજા આવી અને અહીં મજા ન આવી. પુર્ણ પુરૂષોત્તમ પોતાના જીવનકાળ દરમિયાન વીર રહ્યા પણ વિખ્યાતી માટે ક્યાંય ભડક્યા નથી.

       ગીતાના સર્જકે પોતે કહેલી ગીતામાં પણ ક્યાંય પોતાની સિગ્નેચર નથી મૂકી. છતા મોક્ષ માટેના એક નહીં પૂરેપૂરા 18 અધ્યાય અને 700 શ્લોક આપી દીધા એ પણ કોઇ પ્રકારના ચાર્જિસ વગર. દુનિયાના કોઇ પણ ક્ષેત્રમાં કૃષ્ણ જેવો સારથી મળે ને તો માત્ર કુરૂક્ષેત્રનું જ નહીં પણ કેરિયની લડાઇ સરળતાથી જીતી શકાય. પણ દરેક વખતે આપણી અર્જૂન જેવી યોગ્યતા અને સક્ષમતા હોતી નથી. એકાગ્રતાના દાખલા આપતી વખતે કરોડો વખત અર્જૂનને આપણે આગળ ધરી દઇએ છીએ. પણ જેને પ્રોસેસ અને રિઝલ્ટ બંને ખબર હતી એને તો અનેક લોકોએ રાજકારણીની ઉપમા આપી દીધી. એ સાચો રાજનેતા એટલે રૂક્ષમણીપતિ. જેણે પોતાના જીવનની દરેક પળ દરમિયાન કોઇ પણ વિષય કે વાતને કમપ્લિટ ફોર્મેટ આપ્યું. રાધાનું નામ ભાગવતમાં નથી પણ ભગવાનના જીવનની શરૂઆત જ રાધાથી થયેલી. બીજી તરફ રાધાજી પણ કેવા પ્રેમી, રાજાધિરાજના આગમન પહેલા તો આંખ પણ ન ખોલે. દુનિયાના એક નહીં બે ભગવાને કહ્યું કે બિન્દાસ્ત પ્રેમ કરો, એક કૃષ્ણ અને બીજા ઈસુ ખ્રિસ્ત. પ્રેમની સાથે પૂર્ણત્વ માટેના છપ્પરફાળ પ્રયાસો પણ એટલા જ અનિવાર્ય છે. અધુરી છોડવું એ કેશવની પ્રકૃતિમાં ન હતું અને આલિંગન આપીને મુક્ત કરીને કૃષ્ણત્વમાં ડૂબોડી દેવા એ કાનાનો એટિટ્યુડ કહી શકાય. અફેક્શનના રંગ બદલતી દેડકા દેવી દુનિયામાં પ્રેમ કરો ત્યારે લાલને સેન્ટરમાં રાખીને પગલું ભરવું. દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિને લવ યુ કહેવામાં કોઇ પાપ નથી. બસ સાચા દિલ અને દિમાંગથી એને સમજનારા ને સ્વીકારનારા નિસ્વાર્થી હોવા જોઇએ. ફન કરવું જોઇએ ફંદ નથી. લાગણીઓને કાયમ રિલોડ કરતા રહેવું જોઇએ ફ્રોડ તો શેરીએ શેરીએ થાય છે. હેપી બર્થ ડે, સાંદિપનીના શ્રેષ્ઠ શિષ્ય.

Friday, August 10, 2018

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

નિવૃત થવું જોઇએ નિષ્ક્રિય નહી

દવા હોય કે દિવ્ય પુરુષ દરેકના ક્ષેત્રની એક એક્સપાયરી ડેટ નક્કી હોય છે. એવામાં કોઇ સમય-સંજોગો જોઇને રાજીનામું આપી દે, તો કોઇ નિવૃતિ જાહેર કરી દે. રાજીનામા અને નિવૃતમાં પણ એક પાતળી ભેદરેખા છે. રાજીનામું ચોઇસ અને નિવૃતિ સ્થિતિ છે. જે દરેકના ક્ષેત્રમાં વ્યક્તિએ મનથી કે મજબૂરીથી છોડવું પડે છે. આમ પણ કુદરતી નિયમ છે પાનખર પછી જ વસંત આવે. પણ મહાનગરની મોહમાયામાં કદી સાંજ પડતી નથી અને બોંબની માફક સવાર પડે. કોઇ કામ, વ્યવસાય કે વ્યાપાર એક ક્ષમતા સુધી જ સારા લાગે અને ઉંમર ઉંમરનું કામ કરે. વાસ્તવિકતા એ છે કે તમામ લોકો ઉમરલાયક થાય છે પણ બહું ઓછા ઉમરને લાયક થાય છે. આઇસીસીના પ્રથમ મહિલા સભ્ય તેમજ પેપ્સિ-કો બ્રેવરેજીસના સીઈઓ ઇન્દ્રા નૂઇએ નિવૃતિ જાહેર કરી. કારર્કિદીમાં સતત 12 વર્ષ સુધી ખેડાણ કર્યા બાદ અંતે ક્ષેત્રને અલવિદા કહી દીધુ. પણ ક્ષેત્રને અલવિદા કહ્યું છે પોતાના વિષયોને નહી. દરેક માણસ પાસે પોતાના કેટલાક વિષયો હોય છે જેની થિયરી અભ્યાસમાં શીખી ચૂક્યા  હોય છે પણ પ્રેક્ટિકલ તો માર્કેટ જ શીખવાડે છે.

ઇન્દ્રા દેશનું ગૌરવ છે જેણે દેશમાંથી અભ્યાસ કરીને સાત સમંદર પાર દેશનો ડંકો વગાડ્યો. કોઇ પણ વિષયમાં ભલે ડૉક્ટરી મેળવી લીધી હોય પણ કેળવણીકારથી લઇને કંપની સુધીના તમામ લોકોને સોલ્યુશનમાં રસ છે. સમસ્યાઓમાં નહીં. ઉકેલની આવશ્યકતા દરેક જગ્યા હોય છે ઉણપને ક્યાંય સ્થાન નથી. આઇઆઇએમમાંથી મેનેજમેન્ટની કસોટી પાસ કરીને પોતાના જ ક્ષેત્રમાં લો પ્રોફાઇલ છતા લાઇમલાઇટમાં રહેલા ઇન્દ્રા નૂઇને કંપનીના ડાયરેક્ટરોથી લઇને ડૉનાલ્ડ ટ્રમ્પની દીકરી સુધીના લોકોએ શુભેચ્છા પાઠવી છે. પિયરથી કે પ્રોફેશનમાંથી વિદાય કાયમી વસમી હોય છે. જે નામરૂપ ધારણ કર્યાં છે તેનાથી સમજણપૂર્વક છૂટા પડવું એ જ સાચી નિવૃત્તિ છે. કેટલાક વ્યક્તિની નિવૃતિની લોકો રાહ જોઇને બેઠા હોય છે. જેમ કે, ક્રિકેટર સચીન તેંડુલકર. જેની નિવૃતિથી ઘણા નવા નિશાળીયાઓને હાશકારો થયો. એ ચોક્કસ વાત છે કે આટલા મોટા ખેતરમાં સફળતાના ચાસ પાડ્યા બાદ સોનાની જ લગડી થવાની છે.

નિવૃતિ એટલે મુક્તિ પણ વ્યવસાયિક જવાબદારીમાંથી સમજદારીમાંથી નહીં. નિરાંતની રજને શ્વાસમાં ભરીને ફરી એક નવી ફરજ અદા કરવાની શરૂઆત એટલે નિવૃતિ. પ્રવૃતિ રહેવી જોઇએ અન્યથા વૃતિ ખરાબ થતા વાર નથી લાગતી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને યોગ્ય સમયે અલવિદા કહીને પોતાની એક મેચ્યોરિટી બતાવી દીધી. જેમાં કોઇ તેની કોઇ કેપેસિટીનો સવાલ નથી. આજે પણ ધોની એટલો જ ફિટ અને ફાઇન છે. કહેવાય છે કે માણસ વ્યવસાયમાંથી નિવૃત થાય પછી આળસું બની જાય છે. આળસ થાય એ સ્વાભાવિક છે પણ ઐયાશી ન થવી જોઇએ. આરામના આયોજનમાં જીવવાનું છે અલગારીપણાના આવરણમાં નહીં.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીની અણધારી વિદાયથી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઇ હતી. જોકે, બેન આ દિવેસ પણ મક્કમ હતા પણ આંખો સત્યતાની ચાડી ખાતી હતી. દરેક સમયે માણસની સ્થિતિ જુદી હોય છે પણ આંખો એ માત્ર અસ્તિત્વનો જ નહી પણ આવેલી પરિસ્થિતિનો  પણ અરીસો હોય છે. શંકરસિંહ બાપુની નિવૃતિના એંધાણની સિક્સ સેન્સ દરેક લોકોને થઇ ગઇ હતી. પરંતુ, એ સમયે નિવૃતિ બાજુએ રહી ગઇને રિમોટ કંટ્રોલની રાજનીતિની આગાહી પોપટલાલો કરવા લાગ્યા. થાક ઉતારવાનો શ્રેષ્ઠ સમય શરૂ થયો ત્યાં સવાલરૂપી સમસ્યાઓએ વાતાવરણને ઘેરી  લીધુ. સમય થતા વ્યક્તિનું કદ અહેસાસ કરાવે છે કે હવે બસ. જ્યારે નેતાઓ અને પત્રકારોને જ પોતાનું મેદાન મૂકવું ગમતું નથી. જ્યારે પણ મૂકવું પડતું  હોય છે ત્યારે કબજિયાતમાં ન કઠે એવું મનમાં કઠતું હોય છે.

સમય આવ્યે ક્ષેત્રમાંથી મુક્તિ મળે, ટાઇમ થતા શરીરને પણ નિવૃતિ જોઇએ. ક્યારેક આ વાત શરીર જીદ કરીને મનાવી લે તો ક્યારેક વ્યક્તિએ જાતે જ શરીરની ક્ષમતાને બિલોરી કાચમાંથી જોઇને નિવૃતિના નિર્ણય લેવા પડે. સમય વહે છે બાકી દરેક અણુથી લઇને પરમાણું સુધીની દરેક વસ્તુ કે વ્યક્તિની ટાઇમ લિમિટ હોય છે.

જમાનો આવ્યો જૂનિયર્સનો

 જમાનો આવ્યો જૂનિયર્સનો     વિકસિત રાષ્ટ્ર બનવા માટે વીજવેગે આગળ વધી રહેલા આપણા દેશના કોર્પોરેટ સેક્ટરમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું છે. ન...