Thursday, April 17, 2025

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું

હવામાંથી પાણી બને, એ પણ પી શકાય એવું
     
     ઉનાળાની ગરમીમાં વધારે પડતી તરસ લાગે અને ઠંડા પીણા અને પાણી આપણે સૌ પી એ નહીં પણ ઢીંચી લઈએ. પાણી માત્ર તરસને તૃપ્ત કરવાનું જ સાધન નથી. યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પાણી શરીરને મળે એ જરૂરી હોય છે. તમામ ડૉક્ટર્સ એવું કહે છે કે, પાણી વધારે પીવું જોઈએ પણ હદથી વધારે તો કેરીનો રસ પીવો તો પણ ઉપાધી થઈ જાય. પીવાનું શુદ્ધ જળ દરેકને મળી રહે એ માટે સરકારથી લઈને સંસ્થાઓ સુધી દરેક મોટાએકમ પ્રયાસો કરે છે. વાત પાણીની આવે ત્યારે ચર્ચા શુદ્ધતાની થયા વગર રહે નહીં. વરસાદી પાણીને સ્ટોર કરીને એકથી વધારે ઉપયોગમાં લઈ શકાય છે. આ કોન્સેપ્ટ આપણે સૌએ કેરળના ઘર-પરિવાર પાસેથી શીખવા જેવો છે. કેચ ધ રેઈનનું સરકારી સુત્ર સાર્થક થાય તો વરસાદી દરેક ટીપૂ બચી જાય. વાત સાચી પણ વરસાદી ટીપાની શુદ્ધતાની કોઈ ગેરેન્ટી વોરંટી લેતું નથી. આ પણ હકીકત છે. પાણીમાં ટીડીએસ કેટલો એ પણ જાણવું જરૂરી છે. એ પહેલા ટીડીએસ એટલે શું એ સમજીએ. ટીડીએસ એટલે ટોટલ ડીસોલ્વડ સોલિડ. પાણીમાં મેલ્ટ થયેલા કુલ પદાર્થ જેમ કે, ખનિજ, ધાતુ, ખારાશ જે પાણીની ગુણવત્તાનો સંકેત આપે છે. આ ટીડીએસ 0થી 50 હોય તો એ પાણી અતિશુદ્ધ ગણાય. જેમાં જરૂરી મિનરલ્સ ઓછા હોય છે. ટૂંકમાં આરોનું પાણી. 


      50થી 150 ટીડીએસ હોય એને સૌથી બેસ્ટ પાણી કહેવામાં આવે છે. પીવા માટેનું આ પાણી દરેકને મળવું જોઈએ. 150થી 300 ટીડીએસ હોય એ પાણી સારૂ ગણાય પણ પીવાલાયક ન ગણાય. 300થી 500નો ટીડીએસ હોય એ પાણી સારૂ હોય પણ સ્વાદ જીભને પોસાય એમ નથી. હવે 500થી ઉપર જાવ એટલે ગટરનું પાણી સમજી લો. હવે દરિયામાં પણ પાણી છે અને નદીમાં પણ પાણી છે. નદીનો એરિયા દરિયા કરતા નાનો છે. પણ દરિયાનું પાણી સીધું મોઢે મંડાતું નથી. શરીરમાં 60 ટકા પાણી હોય છે. પ્રકૃતિ પાસે પણ પાણી ખૂબ જ છે. ઘણાને કોનું અને ક્યાંનું પાણી હોય એ જ ખબર નથી પડતી જે સમયાંતરે ઊભરાતા હોય છે. પછી ખાખીધારીઓ એનું પાણી ઊતારી દે. ઘણા ક્ષમતા કરતા વધારે ફાંકા ફૌજદારી કરે ત્યારે એનું પાણી મપાઈ જાય. હવે પીવાના પાણીની માત્રા મર્યાદિત છે. પણ હવે કોઈ એવું કહે કે હવામાંથી પાણી બની શકે તો? હા, આ અશક્ય લાગતી વાત ચેન્નઈમાં શક્ય બની છે. આઈઆઈટી મદ્રાસની ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાંથી એક ટીમે હવામાંથી પાણી બને એવું મશીન તૈયાર કર્યું. જેમાંથી નીકળતું પાણી સીધુ જ પી શકાય છે.

    આ ટેકનોલોજીને કહેવાય છે એટમોસ્ફેરિક વોટર જનરેટર. જે રીતે વૃક્ષના પાન હવામાંથી ભેજ અને પાણી શોષે છે એ જ મેથળ પર મશીન તૈયાર કર્યું. એક સપાટી પર હવામાંથી ભેજ ભેગો કરી એક ટાંકીમાં ભેગો કરી એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. પછી એમાં જરૂરી મિનરલ્સ યોગ્ય માત્રામાં ઉમેરીને આ પાણીને ગળે ઊતારવા લાગક બનાવવામાં આવે છે. આ મશીનથી દૈનિક ધોરણે 400 લિટર પાણી જનરેટ થાય છે. આ મશીન ચેન્નઈની કેટલીય જગ્યાઓ પર લગાવવામાં આવી છે. આપણે ત્યાં પાણીના પરબ બંધાય છે. પણ સાફ થાય છે એવો દાખલો જૂજ હોય છે એના બદલે આવી મશીન સેટ કરવામાં આવે તો ફાયદો થાય. હા. આ મશીનને પણ પાંજરે પેક કરીને રાખવી પડે. કારણ કે આપણે ત્યાં જાહેર પરબમાં લોકો ગ્લાસ પણ મૂકતા નથી. ચેન્નઈની ઘણી સ્કૂલમાં આ મશીન લાગેલી છે. આ હવાઈ પાણીનો ટેસ્ટ હવે ચેન્નઈ જાવ ત્યારે કરજો. મશીનની ખાસ વાત એ છે કે, મશીન એસીના આઉટડોર જેવું કામ કરે છે જેની પાઈપિંગ અંદર હોય છે. 

     30 લીટરનું મશીન એક પરિવારમાં જોઈએ. એટલે આ હિસાબથી ફરીથી આ મશીન તૈયાર કરવા માટે ટીમ લાગી ગઈ. આનાથી થયું એવું કે દરેક પરિવાર પાસે પીવાના પાણીનો પર્સનલ સોર્સ ઊભો થયો. એટલે ન કોર્પોરેશનના પાણીનો ઝંઝટ ન પાણીની બોટલનો ખર્ચો. ઘરે જ પાણીનું સર્જન અને પછી મોઢામાં વિસર્જન. 10 વર્ષ સુધી આ મશીન કામ કરે છે. એટલે વર્ષે સર્વિસ અને મેઈન્ટેનન્સનો માત્ર 3000 રૂપિયાનો ખર્ચો. હવે આ ટીમ દૈનિક ધોરણે 2000 લિટર પાણી આપે એવી મશીન તૈયાર કરી રહી છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ સમગ્ર મશીન સોલાર પેનલ પર ચાલે છે. એટલે કે, નો ઈલેક્ટ્રિસિટી. એક દિવસમાં 8000 ગ્લાસ પાણી તો ઓછામાં ઓછું મળે એ. હવે એ પણ જાણી લો કે પાણી ક્યારે પીવું જોઈએ. સવારે ઊઠીને (ગરમ પાણી પીવો તો સૌથી બેસ્ટ), જમવાના અડધો કલાક પહેલા, જમવાનું ચાલું હોય ત્યારે વચ્ચે પી શકો, જમ્યા પછીની 45 મિનિટ બાદ, કસરત કર્યાના 30 મિનિટ બાદ, રનિંગ કર્યાના 40 મિનિટ બાદ, સૂવા જાવ ત્યારે ઓછામાં ઓછા બે ગ્લાસ. હા, ગરમીની સીઝનમાં ગરમ પાણી ન પીવું જોઈએ. પણ ચીલ પાણી પણ ન પીવું જોઈએ. સૌથી બેસ્ટ માટલાનું પાણી. હા, મશીન તૈયાર કરનારી ટીમ પાછળ ટી પ્રદીપ, રમેશ સોની અને અંકિત નાગરનું ભેજું છે. વાહ મેરે દોસ્ત...ચલો હવે હું પણ પાણી પી લઉં.

Friday, April 11, 2025

બે ટંકનું જમવાનું અને એક ટાઈમ નાસ્તો મળશે ફ્રીમાં, બસ એક જ કામ કરવાનું છે.

   પૈસા મળે અને કાયદેસરના દાયરામાં આવતું હોય એવું વ્હાઈટ કોલર કામ કરવા દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. કોર્પોરેટમાં હોય તો સતત પ્રમોશનના લક્ષ્યાંક સાથે અને વ્યાપારમાં હોય તો દમદાર નફો કમાવવા માટે, આ બે દોડ સિવાય વ્યક્તિ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની બાઉન્ડ્રીમાં અને પરિસ્થિતિમાં બંધાઈ જતા હોય છે. દરેક વ્યક્તિ ઑપ્શન બી વિશે વિચાર એમાંથી પણ રેવન્યૂ જનરેટ થવાનો મુદ્દો પહેલા ક્રમે હોય છે. તો કેટલાંક એવું પણ વિચારે કે, ડબલ પૈસા મળે તો કરવામાં ખોટું શું છે? પેટ માટે થતી પૈસાની રેસમાં જીવન જીવવાનું ભૂલી ગયા હોય એવા આપણી આસપાસ કરોડોની સંખ્યામાં લોકો છે. હવે કોઈ એવું કહે કે, બે ટંકનું જમવાનું અને એક સમયનો નાસ્તો, એસી ચેમ્બર, લેપટોપથી લઈને ઝેરોક્ષ મશીન સુધીની સુવિધા મળશે. આટલું વાંચ્યા પછી કામ કરવાનું વિચારો કે નહીં? ચલો સુવિધાને થોડી અપગ્રેડ કરીએ. સોફા પર બેસવાથી લઈને ટેબલ પર સૂવા સુધીની જગ્યા મળે તો?

લાયબ્રેરીની અંદરનો ફોટો 

   હવે સૂતા સૂતા પણ કામ કરવાના પૈસા મળે તો થોડું તો મન લલચાય. પુરૂષાર્થ કરવાથી પૈસો મળે પણ ડિજિટલ શ્રમથી ક્રિએટિવિટી અને આંખનો ખો થાય એવું અત્યારનું વિજ્ઞાન કહે છે. 47 ડિગ્રી તાપમાનમાં એસીવાળા માહોલમાં કામ પણ મળે અને પૈસા પણ તો કામ શું છે એના વિશે કોઈ એકવાર તો વિચારે. વાત છે રાજસ્થાનના એ છેવાડાના શહેરની જ્યાં શિયાળે જવાનું સૌને ગમે પણ ઉનાળે કોઈને ન ગમે. રાજસ્થાન રાજ્યનો છેવાડો એટલે ડેઝર્ટ. રણ અને ડેઝર્ટમાં થોડો ફેર છે. થારના રણમાં ભાદરિયા નામનું એક ગામ છે. જેસલમેરથી માત્ર એક કલાકના અંતરે આવેલા આ ગામમાં એક એવી લાયબ્રેરી છે જે જમીનની નીચે આવેલી છે. ખાસવાત એ છે કે, એ ભલે જમીનની નીચે રહી પણ ગરમી બિલકુલ લાગતી નથી. સેન્ટ્રલી એસી તો છે જ પણ શિયાળામાં ઠંડી પણ લાગતી નથી. એવી બેજોડ બાંધણી છે. એ પણ જમીનની નીચે. 

     જમીનથી 16 ફૂટ નીચે આ લાયબ્રેરી એશિયાની સૌથી મોટી અને અંડરગ્રાઉન્ડ લાયબ્રેરી છે. જે ખરેખરમાં તો એક રાજાએ પ્રજાને આપેલી ભેટ છે. આશરે 10 લાખથી વધારે પુસ્તકોનું ક્લેક્શન આ લાયબ્રેરીમાં છે. મૂળ પંજાબના રાજવી હરબંશસિંહ નિર્મલે આ લાયબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. જેને ભદરિયા મહારાજ રાજવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, વિજ્ઞાન, શબ્દકોષ, ઈતિહાસ અને રાજકારણ જેવા વિષયોના અઢળક પુસ્તકો છે. 562 રેકમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પુસ્તકો ખરા અર્થમાં એક ખાણ છે. જ્ઞાનની ખાણ. જુદા જુદા પ્રાંતમાંથી પુસ્તકો એકઠા કરવામાં 22 વર્ષ વીત્યા છે. જગદંબા મંદિર સેવા ટ્રસ્ટ નામની સંસ્થા સમગ્ર લાયબ્રેરીનું મેનેજમેન્ટ સંભાળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જમીનના માલિક ભદરિયા રાજા છે. પુસ્તક પ્રેમીઓ માટે આ લાયબ્રેરી વાંચનનું સ્વર્ગ છે. દેશ-વિદેશના ખૂણે ખૂણે પુસ્તકો લઈ અહીં મૂકવામાં આવ્યા છે. તો કેટલાંક પુસ્તકો ગિફ્ટમાં આવેલા છે. 

   ખરેખર તો વિષયલક્ષી રીસર્સ કરનારાઓ માટે આ ખજાનો છે. જેને ઉલેચવા માટે વ્યક્તિને સારી એવી સગવડ આપવામાં આવે છે. રાજા પોતે પણ વાંચનપ્રેમી હતા. તેમણે પોતાના માટે એક વાંચનકક્ષ બનાવ્યો હતો. જે હજું પણ અહીં એ જ સ્થિતિમાં વ્યવસ્થિ છે. આટલી ભવ્યતા જાણ્યા બાદ આંખે પાણી આવી જાય એવી હકીકત એ છે કે, અહીંયા કોઈ વાંચનારૂ નથી. આટલા પુસ્તકો તો ઠીક લાયબ્રેરી વાપરનાર વર્ગ પણ નથી. જેટલી શાંતિ રણમાં હોય છે એટલી જ શાંતિ આ લાયબ્રેરીમાં છે. જ્યાં પુસ્તકના પાના ફરવાનો પણ અવાજ નથી. ટીવીની શોધ થઈ ત્યારે વાંચન સામગ્રી સામે પ્રશ્નો ઊભા થયા હતા. ઓટીટી પ્લેટફોર્મ આવ્યું તો ટીવી સીરીયલ્સ સામે જોખમ ઊભું થયું. પણ ડિજિટલ ટેકનોલોજીનું સામ્રાજ્ય આવ્યા બાદ વાંચન ઘટ્યું એ વાત તો કડવા ઘૂંટડા સાથે સ્વીકારવી પડે. લાયબ્રેરી સુધી પહોંચવા માટે 32 પગથિયા માત્ર પ્રવાસીઓ ઊતરે છે. એ પણ એવા જેને આ લાયબ્રેરી અંગે ખબર છે. 

    2 લાખ પુસ્તકો તો 1 હજાર વર્ષ જૂના છે અને સારી રીતે સચવાયેલા છે. લાયબ્રેરી શરૂ કરવા પાછળનો રાજાનો હેતું આસપાસના ગ્રામ્યજનોમાં શિક્ષણ લાવવાનો હતો, શિક્ષણ તો આવ્યું પણ મોબાઈલથી અને ડિજિટલથી વાંચનનો વ્યાપ ડિજિટલ સ્ક્રિન વ્યૂઅર્સ સામે ટૂંકો થતો ગયો છે. રાજસ્થાનની મનુ સ્ક્રિપ્ટની ઓરજિનલ બુક અહીંયા પડી છે. પરમિશન સાથે જોવા મળશે. સ્થાનિક સુનિલ ચૌહાણ કહે છે કે, આ લાયબ્રેરી નહીં પુસ્તકોનું મ્યુઝિયમ છે. પોખરણ બ્લાસ્ટ થયો એ સમયે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. કલામ સાહેબ અહીં આવેલા. એની યાદી અહીં છે. તે પણ અહીં બુક વાંચી ચૂક્યા છે. એમના અક્ષરમાં લખાયેલી નોટ પણ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે, ત્રણ મહિનામાં ગણીને પાંચ વ્યક્તિ અહીં મુલાકાતે આવ્યા છે. રીસર્ચ કરનારા એકવાર અહીં મુલાકાત લે તો એમના વિષયને લગતું કંઈક તો એમને મળે એવી એક સ્થાનિક તરીકે મારી ગેરેન્ટી છે. ચાલો આટલું તો સૌએ વાંચ્યું. થેંક્યું.

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...